ترجمة سورة الأنفال

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الأنفال باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) આ લોકો તમને ગનીમત (યુદ્ધ પછી મળેલો માલ) વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ ગનીમતો અલ્લાહ માટે છે અને પયગંબર માટે છે, તો તમે અલ્લાહથી ડરો અને પોતાના અંદરોઅંદરના સંબંધોને સુધારો અને અલ્લાહ તઆલા અને તેના પયગંબરનું અનુસરણ કરો, જો તમે ઈમાન ધરાવતા હોય.
૨) હાં, ઈમાનવાળાઓ તો એવા હોય છે કે જ્યારે અલ્લાહ તઆલાના નામનું સ્મરણ સાંભળે છે તો તેઓના હૃદય ડરી જાય છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો, તે આયતો તેઓના ઈમાનમાં વધારો કરી દે છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.
૩) જેઓ નમાઝ કાયમ કરે છે અને અમે તેઓને જે કંઈ પણ આપ્યું છે તેઓ તેમાંથી દાન કરે છે.
૪) સાચા ઈમાનવાળાઓ આ લોકો છે, તેઓ માટે ઊંચા દરજ્જા છે પોતાના પાલનહાર પાસે, તથા માફી અને ઇજજતવાળી રોજી છે.
૫) જેવું કે તમારા પાલનહારે તમને તમારા ઘરેથી સત્ય સાથે રવાના કર્યા અને મુસલમાનોના એક જૂથને તે પસંદ ન હતું.
૬) તેઓ તે સત્ય વિશે, જે સ્પષ્ટ થઇ ગયા પછી, તમારી સાથે એવી રીતે ઝઘડો કરી રહ્યા હતા કે જેવું કે તેમને કોઇ મૃત્યુ તરફ હાંકતા હોય અને તેઓ જોઇ રહ્યા હોય.
૭) અને તમે તે સમયને યાદ કરો, જ્યારે અલ્લાહએ તમને તે બન્ને જૂથ માંથી એકને વચન આપ્યું હતું કે તે તમને મળી જાય અને તમે તે આશા કરતા હતા કે હથિયાર વગરનું જૂથ તમને મળી જાય, અને અલ્લાહ તઆલા એવું ઇચ્છતો હતો કે પોતાના આદેશ વડે સત્યનું સત્ય હોવું સાબિત કરી દે અને તે ઇન્કાર કરનારાઓની જડ કાપી નાખે.
૮) જેથી સત્યનું સત્ય હોવું અને અસત્યનું અસત્ય હોવું સાબિત કરી દે, ભલેને આ અપરાધીઓ પસંદ ન કરે.
૯) તે સમયને યાદ કરો જ્યારે કે તમે પોતાના પાલનહાર સામે ફરિયાદ કરી રહ્યા હતા, પછી અલ્લાહ તઆલાએ તમારી (ફરિયાદ) સાંભળી લીધી, કે હું તમારી એક હજાર ફરિશ્તાઓ વડે મદદ કરીશ, જે સતત આવતા રહેશે.
૧૦) અને અલ્લાહ તઆલાએ આ મદદ ફકત એટલા માટે કરી કે ખુશખબર આપે અને જેથી તમારા મનને શાંતિ મળે અને મદદ ફકત અલ્લાહ તરફથી જ છે, જે જબરદસ્ત હિકમતવાળો છે.
૧૧) તે સમયને યાદ કરો જ્યારે અલ્લાહ તમને ઊંઘાડી રહ્યો હતો, પોતાના તરફથી શાંતિ આપવા માટે અને તમારા પર આકાશ માંથી પાણી વરસાવી રહ્યો હતો કે તે પાણી વડે તમને પવિત્ર કરી દે અને તમારા (હૃદયો) માંથી શેતાની વિચારને નષ્ટ કરી દે અને તમારા હૃદયોને મજબૂત કરી દે અને તમારા પગ અડગ કરી દે.
૧૨) તે સમયને યાદ કરો જ્યારે તમારો પાલનહાર ફરિશ્તાઓને આદેશ આપી રહ્યો હતો કે હું તમારો મિત્ર છું, તો તમે ઈમાનવાળાઓની હિંમત વધારો, હમણા જ ઇન્કાર કરનારાઓના હૃદયોમાં ભય નાખી દઉં છું, તો તમે ગળા પર મારો અને તેઓના સાંધાઓ પર પ્રહાર કરો.
૧૩) આ તે વાતની સજા છે કે તેઓએ અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કર્યો અને જે અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તેને ખરેખર અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.
૧૪) હવે આ સજાનો (સ્વાદ) ચાખો અને જાણી લો કે ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના નક્કી જ છે.
૧૫) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે ઇન્કાર કરનારાઓ ની સામે આવી જાવ તો, તેઓને પીઠ ન બતાવો.
૧૬) અને જે વ્યક્તિ તે સમયે પીઠ બતાવશે, પરંતુ હાં જે લડાઇ માટે કોઇ યુક્તિ કરતો હોય અથવા જે (પોતાના) જૂથ તરફ શરણ ઇચ્છતો હોય, તેના માટે છૂટ છે, તે વગર જે કોઇ પણ આવું કરશે તેના પર અલ્લાહનો ગુસ્સો ઉતરશે અને તેનું ઠેકાણું જહન્નમ હશે, તે ઘણી જ ખરાબ જગ્યા છે.
૧૭) તો તમે તેઓને કતલ નથી કર્યા પરંતુ અલ્લાહએ તેમને કતલ કર્યા, અને તમે મુઠ્ઠી ભરીને માટી નથી ફેંકી પરંતુ તે અલ્લાહએ ફેંકી છે અને જેથી મુસલમાનોને પોતાની તરફથી તેઓની મહેનતનો બદલો આપે. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળનાર, ખૂબ જાણનાર છે.
૧૮) (એક વાત તો) આવી થઇ અને (બીજી વાત આ છે) અલ્લાહ તઆલાને ઇન્કાર કરનારાઓની યુક્તિને નિર્બળ કરવી હતી.
૧૯) જો તમે લોકો ફેંસલો ઇચ્છતા હોય તો તે ફેંસલો તમારી સામે જ છે, અને જો અળગા રહો તો આ તમારા માટે ઉત્તમ છે, અને જો તમે ફરી તે જ કાર્ય કરશો તો અમે પણ ફરી તે જ કરીશું અને તમારી એકતા તમને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડે, ભલેને કેટલીય પ્રબળ હોય અને ખરેખર વાત એવી છે કે અલ્લાહ તઆલા ઈમાનવાળાઓની સાથે છે.
૨૦) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ અને તેના પયગંબરનું કહેવું માનો સાંભળવા-જાણવા છતાં અને તેમની અવગણના ન કરો.
૨૧) અને તમે તે લોકો જેવા ન થઇ જાવ, જે લોકો દાવો તો કરે છે કે અમે સાંભળી લીધું જો કે તેઓ સાંભળતા નથી.
૨૨) નિ:શંક સર્જન માંથી સૌથી ખરાબ અલ્લાહની નજીક તે લોકો છે, જેઓ બહેરા છે અને મૂંગા છે, જો કે (થોડુંક) પણ નથી સમજતા.
૨૩) અને જો અલ્લાહ તઆલા તેમનામાં કોઈ ભલાઈ જોતો તો તેઓને સાંભળવાની સદબુદ્ધિ આપી દેત અને જો તેમને હવે સંભળાવી દે તો જરૂર લાપરવાહી સાથે અવગણના કરશે.
૨૪) હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ અને તેના પયગંબરનું કહેવું માનો, જ્યારે પયગંબર તમને જીવન પ્રદાન કરતી વસ્તુ તરફ બોલાવે, અને જાણી લો કે અલ્લાહ તઆલા માનવી અને તેના હૃદયની વચ્ચે પડદો બની જાય છે અને ખરેખર તમને અલ્લાહ પાસે જ ભેગા થવાનું છે.
૨૫) અને તમે એવા ઉપદ્રવથી બચો, કે જેની આફત વિશેષ તે જ લોકો માટે નહીં હોય, જેમણે તમારા માંથી પાપ કર્યા હોય અને આ જાણી લો કે અલ્લાહ સખત સજા આપનાર છે.
૨૬) અને તે પરિસ્થિતિને યાદ કરો જ્યારે તમે ધરતી પર ઓછા હતા, નિર્બળ ગણાતા હતા, એ ભયમાં રહેતા હતા કે તમને લોકો લૂંટી ન લે, તો અલ્લાહએ તમને રહેવા માટે જગ્યા આપી અને તમને પોતાની મદદ વડે શક્તિ આપી અને તમને ઉત્તમ વસ્તુઓ આપી જેથી તમે આભાર વ્યક્ત કરો.
૨૭) હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ અને તેના પયગંબર (ના અધિકારો)ને જાણવા છતાં દગો ન કરો અને પોતાની અમાનતોમાં વિશ્વાસઘાત ન કરો.
૨૮) અને તમે તે વાતને જાણી લો કે તમારું ધન અને તમારી સંતાન એક કસોટી છે અને તે વાતને પણ જાણી લો કે અલ્લાહ તઆલા પાસે પુષ્કળ બદલો છે.
૨૯) હે ઈમાનવાળાઓ ! જો તમે અલ્લાહથી ડરતા રહેશો તો, અલ્લાહ તઆલા તમને એક ફેંસલો કરવાની શક્તિ આપશે અને તમારાથી તમારા પાપોને દૂર કરી દેશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે.
૩૦) અને તે વાતનું પણ વર્ણન કરો, જ્યારે ઇન્કાર કરનારાઓએ તમારા માટે યુક્તિ કરી રહ્યા હતા, કે તમને કેદી બનાવી લે, અથવા તમને કતલ કરી દે અથવા તમને દેશનિકાલ કરી દે અને તે તો પોતાની યુક્તિ કરી રહ્યા હતા અને અલ્લાહ પોતાની યુક્તિ કરી રહ્યો હતો અને સૌથી વધારે મજબૂત યુક્તિ કરનાર અલ્લાહ જ છે.
૩૧) અને જ્યારે તેઓની સમક્ષ અમારી આયતોનું વર્ણન કરવામાં આવે છે તો કહે છે કે અમે સાંભળી લીધું, જો અમે ઇચ્છીએ તો તેના જેવું જ અમે પણ કહી બતાવીએ, આ તો કંઈ પણ નથી, આ તો ફકત પૂર્વજોની ઘડેલી વાતો છે.
૩૨) અને જ્યારે તે લોકોએ કહ્યું કે હે અલ્લાહ ! જો આ કુરઆન તમારા તરફથી અવતરિત કરેલ હોય તો અમારા પર આકાશ માંથી પથ્થરો વરસાવ, અથવા અમારા માટે કોઇ દુ:ખદાયી પ્રકોપ ઉતાર.
૩૩) અને અલ્લાહ તઆલા એવું નહીં કરે, તેઓને માટે તમારા હોવા છતાં પ્રકોપ ઉતારે અને અલ્લાહ તેઓને સજા નહીં આપે તેવી સ્થિતિ માં કે તેઓ માફી પણ માંગતા હોય.
૩૪) અને તેઓમાં એવી કેવી વાત છે જેના કારણે અલ્લાહ તઆલા તેમને સજા ન આપે, જો કે તે લોકો મસ્જિદે હરામમાં જવાથી રોકે છે, જ્યારે કે તે લોકો તે મસ્જિદના દેખરેખ રાખનાર નથી, તેની દેખરેખ રાખનાર ફકત ડરવાવાળા લોકો છે, પરંતુ તેઓમાં વધારે પડતા લોકો અજ્ઞાન છે.
૩૫) અને તેઓની નમાઝ કાબા પાસે ફકત એ હતી , સીટીઓ મારવી અને તાળીઓ પાડવી, તો પોતાના ઇન્કારના કારણે આ યાતનાનો સ્વાદ ચાખો.
૩૬) નિ:શંક આ ઇન્કાર કરનારાઓ પોતાના ધનને એટલા માટે ખર્ચ કરે છે કે લોકોને અલ્લાહના માર્ગથી રોકે, તો આ લોકો પોતાના ધનને ખર્ચ કરતા જ રહેશે, પછી તે ધન તેઓ માટે નિરાશાનું કારણ બની જશે. પછી હારી જશે અને ઇન્કાર કરનારાઓને જહન્નમ તરફ ભેગા કરવામાં આવશે.
૩૭) જેથી અલ્લાહ તઆલા અપવિત્ર લોકોને પવિત્ર લોકોથી અલગ કરી દે અને અપવિત્રોને એક-બીજા સાથે ભેળવી દે, બસ ! તે સૌને એકઠા કરી દે, પછી તે સૌને જહન્નમમાં નાખી દે, આવા લોકો સંપૂર્ણ નુકસાનમાં છે.
૩૮) તમે તે ઇન્કાર કરનારાઓને કહી દો કે જો આ લોકો સુધારો કરી લે તો તેઓના બધા જ પાપ જે પહેલા કરી ચૂક્યા છે, બધા જ માફ કરી દેવામાં આવશે અને જો તેઓ પોતાની તે જ આદત રાખશે તો (ઇન્કાર કરનારાઓ) આગળના લોકો માટે કાયદો બની ગયો છે.
૩૯) અને તમે તેઓ સાથે ત્યાં સુધી લડાઇ કરો જ્યાં સુધી તેઓ ઉપદ્રવને છોડી ન દે અને દીન અલ્લાહનો જ થઇ જાય, પછી જો આ લોકો સુધારો કરી લે તો, અલ્લાહ તઆલા તે કાર્યોને ખૂબ જ સારી રીતે જાણે છે.
૪૦) અને જો અવગણના કરે, તો યકીન રાખો કે અલ્લાહ તઆલા તમારો વ્યવસ્થાપક છે, અને ઘણો જ ઉત્તમ વ્યવસ્થાપક છે અને ઘણો જ ઉત્તમ મદદ કરનાર છે.
૪૧) જાણી લો કે તમે જે પ્રકારની પણ ગનીમત (યુદ્ધમાં મળેલ માલ) પ્રાપ્ત કરો, તેમાંથી પાંચમો ભાગ અલ્લાહ અને તેના પયગંબર માટે છે, અને સગાં સંબંધીઓ માટે અને અનાથો તથા લાચારો માટે અને મુસાફરો માટે, જો તમે અલ્લાહ પર ઈમાન ધરાવતા હોવ અને તે વસ્તુ પર જેને અમે પોતાના બંદા પર તે દિવસે અવતરિત કર્યુ છે, જે દિવસ સત્ય અને અસત્યની વચ્ચે તફાવતનો હતો, જે દિવસે બે લશ્કર લડ્યા હતા, અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૪૨) જ્યારે કે તમે નજીકના કિનારા પર હતા અને તેઓ દૂરના કિનારે હતા અને લશ્કરો તમારા કરતા નીચલા ભાગમાં હતા, જો તમે અંદરઅંદર વચન કરતા તો, નિ:શંક તમે નક્કી કરેલ સમય પર પહોંચવામાં મોડા પડી જતાં, પરંતુ અલ્લાહને તો એક કાર્ય કરી જ નાંખવાનું હતું, જે નક્કી થઇ ગયું હતું, જેથી જે નષ્ટ થાય તે પુરાવા સાથે થાય, અને જે જીવિત રહે તે (સત્યને પારખીને) પુરાવા સાથે જીવિત રહે, નિ:શંક અલ્લાહ ઘણો જ સાંભળનાર, ખૂબ જાણવાવાળો છે.
૪૩) જ્યારે અલ્લાહએ તમને તમારા સપનામાં તેઓની સંખ્યા ઓછી બતાવી, જો તેઓની સંખ્યા વધુ બતાવતો, તો તમે નિર્બળ પડી જાત અને આ કાર્ય વિશે અંદરઅંદર ઝઘડતા, પરંતુ અલ્લાહ તઆલાએ બચાવી લીધા, તે હૃદયોના ભેદોને ખૂબ સારી રીતે જાણે છે.
૪૪) જ્યારે તેણે (અલ્લાહએ) લડાઈ સમયે તેઓની સંખ્યા તમારી દૃષ્ટિએ ખૂબ ઓછી બતાવી, અને તમને તેઓની દૃષ્ટિએ ઓછા બતાવ્યા, જેથી અલ્લાહ તઆલા આ કાર્યને પૂરું કરી દે, જે કરવાનું જ હતું અને દરેક કાર્ય અલ્લાહ તરફ જ ફેરવવામાં આવે છે.
૪૫) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે કોઇ વિરોધી લશ્કર સાથે લડાઇ કરવા લાગો તો અડગ રહો અને અલ્લાહને ખૂબ જ યાદ કરો, જેથી તમને સફળતા પ્રાપ્ત થાય.
૪૬) અલ્લાહ અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, અંદરોઅંદર ન ઝઘડો, નહીં તો કાયર થઇ જશો અને તમારી હવા ઊખડી જશે અને ધીરજ રાખો, નિ:શંક અલ્લાહ તઆલા ધીરજ રાખનારાઓ સાથે છે.
૪૭) તે લોકો જેવા ન થઇ જાવ જેઓ ઇતરાઇને અને લોકો સામે પ્રદર્શન કરતા પોતાના ઘરો માંથી નીકળતા હતા અને અલ્લાહના માર્ગથી રોકતા હતા, જે કંઈ પણ તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તેને ઘેરાવમાં લેવાનો છે.
૪૮) જ્યારે શેતાન તેઓના કાર્યોને તેમના માટે ઉત્તમ બતાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે લોકો માંથી કોઇ પણ આજે તમારા પર વિજય પ્રાપ્ત નથી કરી શકતા, હું પોતે પણ તમારી મદદ કરનાર છું, પરંતુ જ્યારે બન્ને લશ્કર સામ-સામે આવી ગયા તો, પોતાની એડી વડે પાછળ હટી ગયો અને કહેવા લાગ્યો કે હું તો તમારાથી અળગો છું, હું તે જોઇ રહ્યો છું જે તમે નથી જોઇ રહ્યા, હું અલ્લાહથી ડરુ છું અને અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે.
૪૯) જ્યારે ઢોંગીઓ કહી રહ્યા હતા અને તેઓ પણ જેઓના હૃદયોમાં બિમારી હતી, કે તેઓને તેઓના ધર્મએ ધોકામાં રાખ્યા છે, જે કોઇ અલ્લાહ પર ભરોસો કરે, નિ:શંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે.
૫૦) કાશ કે તમે જોતાં જ્યારે ફરિશ્તાઓ ઇન્કાર કરનારાઓના પ્રાણ કાઢી રહ્યા હતા, તેઓના ચહેરા પર અને થાપા પર માર મારે છે, (અને કહે છે) કે તમે બળવાની સજા ભોગવો.
૫૧) આ એ (કાર્યો)ના બદલામાં જે તમારા હાથોએ પહેલાથી જ મોકલી રાખ્યા છે, નિ:શંક અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી.
૫૨) ફિરઔનના લોકોની સ્થિતિ જેવી અને તેમના આગળના લોકો જેવી, કે તેઓએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, બસ ! અલ્લાહએ તેમના પાપોના કારણે તેઓને પકડી લીધા, અલ્લાહ તઆલા ખરેખર તાકાતવાળો અને સખત યાતના આપનાર છે.
૫૩) આ એટલા માટે કે અલ્લાહ તઆલા એવો નથી કે કોઇ કોમ પર કોઇ નેઅમત આપ્યા પછી તેને છીનવી લે, ત્યાં સુધી કે તે લોકો પોતે પોતાની સ્થિતિની ન બદલી લે, જે તેમની હતી, અને એ કે અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
૫૪) ફિરઔન અને તેના પહેલાના લોકોની સ્થિતિ જેવી, તેઓએ પોતાના પાલનહારની વાતોને જુઠલાવી, બસ! તે લોકોના પાપોના કારણે અમે તેઓને નષ્ટ કરી દીધા અને ફિરઔનના લોકોને ડુબાડી દીધા, આ સૌ અત્યાચારીઓ હતા.
૫૫) દરેક સજીવો માંથી સૌથી ખરાબ અલ્લાહની નજરમાં તે છે જે ઇન્કાર કરે, પછી તે ઈમાન ન લાવે.
૫૬) જેમની પાસેથી તમે વચન લઇ લીધું, પછી પણ તેઓ દરેક વખતે વચનભંગ કરે છે અને જરાય ડરતા નથી.
૫૭) બસ ! જ્યારે પણ તમે તેઓ પર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરો, તેઓને એવો માર મારો કે તેઓના પાછળના લોકો પણ ભાગી જાય, કદાચ તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
૫૮) અને જો તમને કોઇ કોમના દગાનો ભય હોય તો, બરાબરની સ્થિતિમાં તેઓ સાથેનું વચન તોડી નાંખો, અલ્લાહ તઆલા દગાખોરોને પસંદ નથી કરતો.
૫૯) ઇન્કાર કરનારા એવું ન વિચારે કે તેઓ ભાગી નીકળશે, ખરેખર તેઓ લાચાર નથી કરી શકતા.
૬૦) તમે તેમની સાથે યુદ્ધ માટે પોતાની શક્તિ પ્રમાણે તૈયારી કરો અને ઘોડાઓને પણ તૈયાર રાખો, જેથી તમે તેના વડે અલ્લાહના અને પોતાના શત્રુઓને ભયભીત કરી શકો અને તેમના સિવાય બીજા લોકોને પણ, જેમને તમે નથી જાણતા, અલ્લાહ તઆલા તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે કંઈ પણ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, તે તમને પૂરેપૂરું આપવામાં આવશે અને તમારો અધિકાર છીનવી લેવામાં નહીં આવે.
૬૧) જો તેઓ સમાધાન તરફ ઝૂકી જાય તો, તમે પણ સમાધાન કરવા માટે ઝૂકી જાવ અને અલ્લાહ પર ભરોસો રાખો, નિ:શંક તે ઘણો જ સાંભળનાર, જાણનાર છે.
૬૨) જો તે લોકો તમારી સાથે દગો કરવા ઇચ્છશે તો, અલ્લાહ તમારા માટે પૂરતો છે, તેણે જ પોતાની મદદ વડે અને ઈમાનવાળાઓના સહકારથી તમારી મદદ કરી છે.
૬૩) તેમના હૃદયોમાં મોહબ્બત પણ તેણે જ ભરી છે, ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ જો તમે ખર્ચ કરી દેતા તો પણ તેઓના હૃદયોને મેળવી ન શકતા. આ તો અલ્લાહએ જ તેઓમાં મોહબ્બત નાખી, તે વિજયી, હિકમતવાળો છે.
૬૪) હે પયગંબર ! તમારા માટે અલ્લાહ પૂરતો છે અને તે ઈમાનવાળાઓ માટે જે તમારું અનુસરણ કરી રહ્યા છે.
૬૫) હે પયગંબર ! ઈમાનવાળાઓને જેહાદ માટે પ્રોત્સાહિત કરો, જો તમારામાં વીસ લોકો પણ ધીરજ રાખનારા હશે, તો બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક સો હશે તો એક હજાર ઇન્કાર કરનારાઓ પર વિજય મેળવશે, એટલા માટે કે તે અણસમજુ લોકો છે.
૬૬) હવે અલ્લાહ તમારો ભાર હળવો કરે છે, તે ખૂબ જાણે છે કે તમારામાં નબળાઇ છે, બસ ! જો તમારામાં એક સો લોકો ધીરજ રાખનારા હશે, તો તે બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક હજાર લોકો હશે તો તે અલ્લાહના આદેશથી બે હજાર પર વિજય મેળવશે, અલ્લાહ ધીરજ રાખનાર લોકોની સાથે છે.
૬૭) પયગંબરને કેદીની આવશ્કતા નથી ત્યાં સુધી કે શહેરમાં ઘમસાણ યુદ્ધ ન થઇ જાય, તમે તો દુનિયાનું ધન ઇચ્છો છો અને અલ્લાહનો વિચાર આખેરતનો છે, અને અલ્લાહ તત્વદર્શી, હિકમતવાળો છે.
૬૮) જો પહેલાથી જ અલ્લાહ તરફથી વાત લખેલી ન હોત તો, જે કંઈ પણ તમે લીધું છે તે વિશે તમને એક મોટી સજા થાત.
૬૯) બસ ! જે કંઈ પણ હલાલ અને પવિત્ર ગનીમત તમે પ્રાપ્ત કરી હોય, તેને ખાઓ, અને અલ્લાહથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.
૭૦) હે પયગંબર ! પોતાના કેદીઓને કહી દો કે જો અલ્લાહ તઆલા તમારા હૃદયોમાં સારો ઇરાદો જોશે તો જે કંઈ પણ તમારી પાસેથી લેવામાં આવ્યું છે તેના કરતા ઉત્તમ તમને આપશે, અને સાથે સાથે પાપ પણ માફ કરી દેશે અને અલ્લાહ માફ કરનાર, દયાળુ તો છે જ.
૭૧) અને જો તેઓ તમારી સાથે દગો કરવાનો ઇરાદો કરશે તો, એ પોતે તો આ પહેલા અલ્લાહ સાથે દગો કરી ચૂક્યા છે, છેવટે અલ્લાહએ તેમને કેદી બનાવી દીધા અને અલ્લાહ જ્ઞાની અને હિકમતવાળો છે.
૭૨) જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને પોતાના ધન તથા પ્રાણ વડે અલ્લાહના માર્ગમાં જેહાદ કર્યું અને જે લોકોએ તેમને શરણ આપ્યું અને મદદ કરી, આ દરેક એકબીજાના મિત્રો છે, અને જેઓ ઈમાન તો લાવ્યા છે પરંતુ હિજરત નથી કરી, તમારા માટે તેમની મિત્રતા કંઈ પણ નથી, જ્યાં સુધી કે તેઓ હિજરત ન કરે, હાં જો તેઓ તમારી પાસે દીન વિશે મદદ માંગે તો તમારા માટે મદદ કરવી ફરજિયાત છે, સિવાય તે લોકો માટે કે તમારું વચન જે લોકો સાથે છે, તમે જે કંઈ કરી રહ્યા છો અલ્લાહ તેને જોઇ રહ્યો છે.
૭૩) ઇન્કાર કરનારાઓ એકબીજાના મિત્રો છે, જો તમે આવું ન કર્યું તો શહેરમાં ઉપદ્રવ ફેલાશે અને ઘમસાણ લડાઇ થશે.
૭૪) જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જેહાદ કર્યુ અને જે લોકોએ શરણ આપ્યું અને મદદ કરી, આ જ લોકો સાચા ઈમાનવાળાઓ છે તેઓ માટે માફી છે અને ઈજજતવાળી રોજી.
૭૫) અને જે લોકો તે પછી ઈમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જેહાદ કર્યું, બસ ! આ લોકો પણ તમારા માંથી જ છે અને સગાં સંબંધી તેઓ માંથી કેટલાક કેટલાકની નજીક છે, અલ્લાહના આદેશથી, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુની જાણ રાખનાર છે.
Icon