سورة مريم

الترجمة الغوجراتية

Traduzione della Sura مريم in الغوجراتية da الترجمة الغوجراتية

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) કાફ્-હા-યા-ઐન્-સાદ્
૨) આ તારા પાલનહારની તે કૃપાનું વર્ણન છે જે તેણે પોતાના બંદા ઝકરિયા (અ.સ.) પર કરી હતી.
૩) જ્યારે તેણે પોતાના પાલનહારની સામે એકાંતમાં દુઆ કરી.
૪) કે હે મારા પાલનહાર ! મારા હાડકા નબળા પડી ગયા છે અને માથું વૃદ્ધા વસ્થામાં (વાળની સફેદીના) કારણે ભડકી ગયું છે, પરંતુ હું ક્યારેય તારી સામે દુઆ કરી નિરાશ નથી થયો.
૫) મને મારા મૃત્યુ પછી પોતાના સગાસંબંધીઓનો ભય છે, મારી પત્ની પણ વાંઝ છે, બસ તું મને તારી પાસેથી વારસદાર આપ.
૬) જે મારો પણ વારસદાર બને અને યાકૂબ અ.સ. ના કુંટુંબનો પણ નાયબ બને અને મારા પાલનહાર, તું તેને નિકટનો બંદો બનાવી લે.
૭) હે ઝકરિયા! અમે તને એક બાળકની ખુશખબર આપીએ છીએ, જેનું નામ યહ્યા છે, અમે આ પહેલા કોઈને તેના જેવું નામ પણ નથી આપ્યું.
૮) ઝકરિયા (અ.સ.) કહેવા લાગ્યા, હે મારા પાલનહાર ! મારે ત્યાં બાળક કેવી રીતે થશે, જ્યારે કે મારી પત્ની વાંઝ અને હું પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી ગયો છું.
૯) કહ્યું કે વચન આવી જ રીતે થઇ ગયું, તારા પાલનહારે કહી દીધું છે કે મારા માટે તો આ ખૂબ જ સરળ છે અને મેં તારું સર્જન કર્યું, તે પહેલા તમે કંઇ ન હતાં.
૧૦) કહેવા લાગ્યા કે મારા પાલનહાર મારા માટે કોઈ નિશાની નક્કી કરી દે, કહેવામાં આવ્યું કે તારા માટે નિશાની એ છે કે, સ્વસ્થ હોવા છતાં તમે ત્રણ રાતો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરી શકો.
૧૧) હવે ઝકરિયા (અ.સ.) પોતાની ઓરડી માંથી નીકળી, પોતાની કોમ પાસે આવી, તેમને ઇશારો કરે છે કે તમે સવાર-સાંજ અલ્લાહ તઆલાના નામનું સ્મરણ કરો.
૧૨) હે યહ્યા ! મારી કિતાબને મજબૂતાઇથી પકડી લો અને અમે તેમને બાળપણથી જ સમજદારી આપી હતી.
૧૩) અને પોતાની પાસેથી દયા અને પવિત્રતા પણ, તે ડરવાવાળો હતો.
૧૪) અને પોતાના માતાપિતા સાથે સદવર્તન કરનારો હતો, તે વિદ્રોહી અને પાપી ન હતો.
૧૫) તેના પર સલામતી છે, જે દિવસે તે પેદા થયો અને જે દિવસે મૃત્યુ પામશે અને જે દિવસે તે જીવિત કરી ઉઠાવવામાં આવશે.
૧૬) આ કિતાબમાં મરયમના કિસ્સા નું પણ વર્ણન કરો, જ્યારે તે પોતાના ઘરવાળાઓથી અલગ થઇ, પશ્ચિમ તરફ આવી.
૧૭) અને તે લોકો તરફ પરદો કરી લીધો, પછી અમે તેની પાસે રૂહ (જિબ્રઇલ અ.સ.) ને મોકલ્યા, બસ ! તે તેમની સામે સંપૂર્ણ વ્યક્તિ બની પ્રગટ થયા.
૧૮) તે (મરયમ) કહેવા લાગી, હું તારાથી રહમાનનું શરણ માંગું છું જો તું થોડોક પણ અલ્લાહથી ડરવાવાળો હોય.
૧૯) તેણે જવાબ આપ્યો કે હું તો અલ્લાહએ મોકલેલો સંદેશવાહક છું, તને એક પવિત્ર બાળક આપવા આવ્યો છું.
૨૦) કહેવા લાગી, મારે ત્યાં બાળક કેવી રીતે થઇ શકે છે ? મને તો કોઈ મનુષ્યનો હાથ પણ નથી અડ્યો અને ન તો હું દુરાચારી છું.
૨૧) તેણે (જિબ્રઇલે) કહ્યું, વાત તો આવી જ છે, પરંતુ તારા પાલનહારનું કહેવું છે કે તે મારા માટે ખૂબ જ સરળ છે, અમે તો આને લોકો માટે એક નિશાની બનાવીશું. અને પોતાની ખાસ કૃપા, આ તો એક નક્કી થયેલી વાત છે.
૨૨) બસ ! તે ગર્ભવતી થઇ ગઇ અને આના જ કારણે તે દૂરના સ્થળે જતી રહી.
૨૩) પછી પીડા તેને એક ખજૂરના વૃક્ષ નીચે લઇ આવી કહ્યું, કાશ ! હું આ પહેલા જ મૃત્યુ પામી હોત અને લોકોની યાદથી પણ ભૂલાઇ જતી.
૨૪) એટલા માંજ તેને નીચેથી પોકારવામાં આવી અને કહ્યું કે નિરાશ ન થા, તારા પાલનહારે તારા પગ નીચે એક ઝરણું વહાવ્યું છે.
૨૫) અને તે ખજૂરની ડાળીને પોતાની તરફ હલાવ, ડાળી તારા માટે તાજી ખજૂર પાડશે.
૨૬) હવે શાંતિ થી ખા અને પી અને આંખો ઠંડી રાખ, જો તને કોઈ વ્યક્તિ મળે, તો કહી દે જે કે મેં દયાળુ અલ્લાહના નામનો રોઝો રાખ્યો છે, હું આજે કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરું.
૨૭) હવે ઈસા (અ.સ.)ને લઇ તે પોતાની કોમ સમક્ષ આવી, સૌ કહેવા લાગ્યા, મરયમ તેં ઘણું અધમ કૃત્ય કર્યું.
૨૮) હે હારૂનની બહેન ! ન તો તારા પિતા ખરાબ વ્યક્તિ હતાં અને ન તો તારી માતા દુરાચારી હતી.
૨૯) મરયમે પોતાના બાળક તરફ ઇશારો કર્યો, સૌ કહેવા લાગ્યા કે જુઓ, અમે આ નવજાત બાળક સાથે વાત કેવી રીતે કરીએ ?
૩૦) બાળક કહેવા લાગ્યું, કે હું અલ્લાહનો બંદો છું તેણે મને કિતાબ આપી અને મને પોતાનો પયગંબર બનાવ્યો.
૩૧) અને તેણે મને પવિત્ર કર્યો છે, જ્યાં પણ હું છું અને તેણે મને નમાઝ અને ઝકાતનો આદેશ આપ્યો છે જ્યાં સુધી હું જીવિત રહું.
૩૨) અને તેણે મને પોતાની માતાની સેવા કરનાર બનાવ્યો છે અને મને વિદ્રોહી અને દુરાચારી નથી બનાવ્યો.
૩૩) અને મારા પર મારા જન્મ વખતે અને મારા મૃત્યુના સમયે અને તે દિવસે, કે જ્યારે હું બીજી વાર જીવિત કરવામાં આવીશ, સલામતી જ સલામતી છે.
૩૪) આ છે સત્ય કિસ્સો મરયમના પુત્ર ઈસાનો, આ જ છે તે સત્ય વાત જેના વિશે લોકો શંકા કરે છે.
૩૫) અલ્લાહ તઆલાને સંતાન હોવું અશક્ય છે, તે તો અત્યંત પવિત્ર છે, તેને તો જ્યારે કોઈ કાર્ય કરવાની ઇચ્છા થાય છે, તો તેને કહી દે છે કે થઇ જા, તો તે જ સમયે તે થઇ જાય છે.
૩૬) મારો અને તમારા સૌનો પાલનહાર ફક્ત અલ્લાહ છે, તમે સૌ તેની જ બંદગી કરો, આ જ સત્ય માર્ગ છે.
૩૭) પછી આ જૂથો અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા, બસ ! ઇન્કાર કરનારાઓ માટે “વૈલ” છે, એક મોટા દિવસની હાજરી વખતે.
૩૮) કેટલા જોનાર અને સાંભળનાર હશે, તે દિવસે જ્યારે અમારી સમક્ષ હાજર થશે, પરંતુ આજે તો આ અત્યાચારી લોકો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.
૩૯) તમે તેમને આ હતાશા અને નિરાશાના દિવસના ભયની જાણ આપી દો, જ્યારે કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આ લોકો બેદરકારી અને ઇન્કારમાં જ રહી જશે.
૪૦) અમે પોતે જ ધરતી અને ધરતીની દરેક વસ્તુના વારસદાર હોઇશું અને દરેક લોકો અમારી તરફ જ પાછા ફેરાવવામાં આવશે.
૪૧) આ કિતાબમાં ઇબ્રાહીમ (અ.સ.)ના કિસ્સાનું વર્ણન કરો, નિ:શંક તેઓ અત્યંત સાચા પયગંબર હતાં.
૪૨) જ્યારે તેઓએ પોતાના પિતાને કહ્યું કે, પિતાજી ! તમે તેમની બંદગી કેમ કરી રહ્યા છો જે ન સાંભળે ન જુએ ? ન તમને કંઇ ફાયદો પહોંચાડી શકે.
૪૩) મારા પિતાજી, તમે જુઓ મારી પાસે એવું જ્ઞાન આવ્યું છે જે તમારી પાસે પહોંચ્યું જ નથી, તો તમે મારું જ માનો, હું તદ્દન સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ.
૪૪) મારા પિતાજી ! તમે શેતાનની બંદગી છોડી દો, શેતાન તો દયાળુ અને કૃપાળુ અલ્લાહનો અવજ્ઞાકાર છે.
૪૫) મારા પિતાજી ! મને ભય છે કે ક્યાંક તમારા પર અલ્લાહનો કોઈ પ્રકોપ ન આવી પહોંચે કે તમે શેતાનના મિત્ર બની જાવ.
૪૬) તેણે જવાબ આપ્યો કે, હે ઇબ્રાહીમ ! શું તું અમારા પૂજ્યોની અવગણના કરે છે, સાંભળ ! જો તું છેટો ન રહ્યો તો હું તને પથ્થરો વડે મારી નાખીશ, જા એક સમયગાળા સુધી મારાથી અલગ થઇ જા.
૪૭) કહ્યું કે, સારું તમારા પર સલામતી થાય, હું તો મારા પાલનહાર સામે તમારી માફીની દુઆ કરતો રહીશ તે મારા પર ઘણો જ કૃપાળુ છે.
૪૮) હું તો તમને પણ અને જેમની પણ તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો તેમને પણ, સૌને છોડી રહ્યો છું, ફક્ત પોતાના પાલનહારને જ પોકારતો રહીશ, મને આશા છે કે હું મારા પાલનહાર સામે દુઆ માંગી , વંચિત નહીં રહું.
૪૯) જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) તે સૌને અને અલ્લાહ સિવાયના તેમના દરેક પૂજ્યોને છોડી ચૂક્યા, તો અમે તેમને ઇસ્હાક અને યાકૂબ (અ.સ.) આપ્યા. અને બન્નેને પયગંબર બનાવ્યા.
૫૦) અને તે સૌને અમે પોતાની ઘણી કૃપા આપી અને અમે તેમના સારા નામોને ઉચ્ચ કરી દીધા.
૫૧) આ કુરઆનમાં મૂસા અ.સ.ના કિસ્સાનું વર્ણન પણ કર, જે પસંદ કરેલા અને પયગંબર તથા નબી હતાં.
૫૨) અમે તેને તૂર (પર્વતનું નામ) ની જમણી બાજુથી પોકાર્યા અને ભેદની વાતો જણાવતા તેમને નજીક લાવી દીધા.
૫૩) અને પોતાની ખાસ કૃપા વડે તેમના ભાઇને પયગંબર બનાવ્યા.
૫૪) આ કુરઆનમાં ઇસ્માઇલ અ.સ.ના કિસ્સાનું પણ વર્ણન કર, તે વચનના ખૂબ જ સાચા હતાં અને પયગંબર તથા નબી હતાં.
૫૫) તે પોતાના ઘરવાળાઓને સતત નમાઝ અને ઝકાતનો આદેશ આપતા હતાં અને પોતાના પાલનહારની સામે પસંદગી પામેલા અને માન્ય પણ હતાં.
૫૬) અને આ કિતાબમાં ઇદરિસ અ.સ.ના કિસ્સાનું પણ વર્ણન કર, તે પણ સદાચારી પયગંબર હતાં.
Verse 57
૫૭) અમે તેમને ઊંચા દરજ્જાવાળા બનાવી દીધા.
૫૮) આ જ તે પયગંબરો છે જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી અને જેઓ આદમના સંતાન માંથી છે અને તે લોકોના ખાનદાન માંથી છે જેમને અમે નૂહ અ.સ.ની સાથે હોડીમાં સવાર કરી દીધા હતાં. અને ઇબ્રાહીમ અને યાકૂબ અ.સ.ની સંતાન માંથી અને અમારા તરફથી સત્ય માર્ગ ઉપર અને અમારા નિકટના લોકો માંથી. તેમની સામે જ્યારે દયાળુ અલ્લાહની આયતો પઢવામાં આવતી તો આ લોકો રડતા રડતા સિજદામાં પડી જતા હતાં.
૫૯) તેમના પછી એવા વિદ્રોહી લોકો આવ્યા, કે તે લોકોએ નમાઝ છોડી દીધી અને મનેચ્છાઓની પાછળ પડી ગયા, તો તેમનું નુકસાન તેમનાથી આગળ આવશે.
૬૦) તે લોકો સિવાય, જેઓ તૌબા કરી લે અને ઈમાન લાવી દે અને સત્કાર્યો કરે. આવા લોકો જન્નતમાં પ્રવેશશે અને તેમનો થોડોક પણ અધિકાર ઝૂંટવી લેવામાં નહીં આવે.
૬૧) હંમેશાવાળી જન્નતોમાં, જેનું અદૃશ્ય વચન કૃપાળુ અલ્લાહએ પોતાના બંદાઓને કર્યું છે, નિ:શંક તેનું વચન પૂરું થઇને જ રહેશે.
૬૨) તે લોકો ત્યાં કોઈ નિરર્થક વાતો નહીં સાંભળે, ફક્ત સલામ જ સલામ સાંભળશે, તેમના માટે ત્યાં સવાર-સાંજ તેમની રોજી હશે.
૬૩) આ છે તે જન્નત, જેના વારસદાર અમે અમારા બંદાઓ માંથી તેમને બનાવીએ છીએ, જેઓ ડરે છે.
૬૪) અમે તારા પાલનહારના આદેશ વગર ઉતરી નથી શકતા, અમારી આગળ-પાછળ અને તેમની વચ્ચેની સંપૂર્ણ વસ્તુઓ તેની જ માલિકી હેઠળની છે. તમારો પાલનહાર ભૂલી જનાર નથી.
૬૫) આકાશો, ધરતી અને જે કંઇ પણ તે બન્ને વચ્ચે છે સૌનો પાલનહાર તે જ છે, તમે તેની જ બંદગી કરો અને તેની બંદગી પર અડગ રહો, શું તમારા જ્ઞાનમાં તેના જેવું બીજું નામ તથા તેના જેવો બીજો કોઈ છે ?
૬૬) માનવી કહે છે કે, જ્યારે હું મૃત્યુ પામીશ તો શું ફરી જીવિત કરી ઉઠાવવામાં આવીશ ?
૬૭) શું આ માનવી એટલું પણ યાદ નથી રાખતો કે અમે તેનું સર્જન આ પહેલા કર્યું, જ્યારે તે કંઇ પણ ન હતો.
૬૮) તમારા પાલનહારના સોગંદ ! અમે તેમને અને શેતાનોને ભેગા કરી જરૂર જહન્નમની આસ-પાસ, ઘૂંટણે પડેલા હાજર કરીશું.
૬૯) અમે પછી દરેક જૂથ માંથી તેમને છેટા ઊભા કરી દઇશું, જેઓ દયાળુ અલ્લાહથી ઘણા ઇતરાઇને ચાલતા હતાં.
૭૦) પછી અમે તેમને પણ સારી રીતે જાણીએ છીએ, જેઓ જહન્નમમાં પ્રવેશ માટે વધારે હક ધરાવે છે.
૭૧) તમારા માંથી દરેક ત્યાંથી જરૂર પસાર થશે, આ તમારા પાલનહારનો અત્યંત સચોટ નિર્ણય છે.
૭૨) પછી અમે ડરવાવાળાઓને બચાવી લઇશું અને અવજ્ઞાકાર લોકોને તેમાં જ ઘૂંટણે પડેલા છોડી દઇશું.
૭૩) જ્યારે તેમની સમક્ષ અમારી પ્રકાશિત આયતોનું વર્ણન કરવામાં આવે છે તો ઇન્કાર કરનાર, મુસલમાનોને કહે છે કે જણાવો, અમારા અને તમારા જૂથ માંથી કોણ પ્રતિષ્ઠિત છે અને કોની સભા ઉત્કૃષ્ટ છે ?
૭૪) અમે તો આ પહેલા પણ ઘણા જૂથોને નષ્ટ કરી ચૂક્યા છે, જે સામાન તથા ખ્યાતિમાં તેમના કરતા વધારે હતાં.
૭૫) કહી દો જેઓ પથભ્રષ્ટ હોય છે, દયાળુ અલ્લાહ તેને ઘણી મહેતલ આપે છે, ત્યાં સુધી કે તે, તે વસ્તુઓને જોઇ લે જેનું વચન કરવામાં આવે છે, એટલે યાતના અથવા કયામતને. તે સમયે તે લોકો સત્ય જાણી લેશે કે કોણ ખરાબ છે અને કોનું જૂથ અશક્ત છે ?
૭૬) અને સત્ય માર્ગદર્શનવાળાઓને અલ્લાહ તઆલા સત્ય માર્ગ તરફ આગળ વધારે છે અને બાકી રહેવાવાળા સત્કર્મો તમારા પાલનહારની નજીક વળતર રૂપે અને પરિણામ સ્વરૂપે ખૂબ જ ઉત્તમ છે.
૭૭) શું તમે તેને પણ જોયો, જેણે અમારી આયતોનો ઇન્કાર કર્યો અને કહ્યું કે મને તો ધન તથા સંતાન જરૂરથી આપવામાં આવશે.
૭૮) શું તે લોકો અદૃશ્યના જ્ઞાનને જાણે છે ? અથવા અલ્લાહ પાસેથી કોઈ વચન લઇ લીધું છે ?
૭૯) ક્યારેય નહીં, આ જે કંઇ પણ કહી રહ્યો છે અમે તેને જરૂર લખી લઇશું અને તેના માટે યાતના વધારતા રહીશું.
૮૦) આ જે વસ્તુને કહી રહ્યો છે, તેને અમે આ પછી, પાછી લઇ લઇશું અને આ તો તદ્દન એકલો જ અમારી સમક્ષ હાજર થશે.
૮૧) તેમણે અલ્લાહ સિવાય બીજાને પૂજ્યો બનાવી રાખ્યા છે કે તે તેમના માટે ઇજજતનું કારણ બને.
૮૨) પરંતુ આવું ક્યારેય નહીં થાય, તે તો તેમની બંદગીનો ઇન્કાર કરશે અને તેમના શત્રુ બની જશે.
૮૩) શું તમે નથી જોયું કે અમે ઇન્કાર કરનારાઓ પાસે શેતાનોને મોકલીએ છીએ, જે તેમને ખૂબ ઉશ્કેરે છે.
૮૪) તમે તેમના વિશે ઉતાવળ ન કરો, અમે તો પોતે જ તેમના મહેતલના દિવસો ગણી રહ્યા છે.
૮૫) જે દિવસે અમે ડરવાવાળાઓને દયાળુ અલ્લાહ તરફ, મહેમાન બનાવી ભેગા કરીશું.
૮૬) અને પાપીઓને સખત તરસની સ્થિતિમાં જહન્નમ તરફ હાંકી કાઢીશું.
૮૭) કોઈને પણ ભલામણનો અધિકાર નહીં હોય, સિવાય તે લોકોના, જેમણે અલ્લાહ તઆલા પાસેથી કોઈ પરવાનગી લીધી હોય.
Verse 88
૮૮) તેમની વાત તો એવી છે કે દયાળુ અલ્લાહએ પણ સંતાન રાખ્યું છે.
Verse 89
૮૯) નિ:શંક તમે ખૂબ જ ખરાબ અને અત્યંત ભારે વસ્તુ લઇ આવ્યા છો.
૯૦) નજીક છે કે આ વાતના કારણે આકાશ ફાટી જાય અને ધરતી પણ ફાટી જાય અને પર્વત ચૂરેચૂરા થઇ જાય.
Verse 91
૯૧) કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે.
૯૨) રહમાનની શાન નથી કે તે સંતાન રાખે.
૯૩) આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે બધા જ અલ્લાહના દાસ બનીને જ આવશે.
Verse 94
૯૪) તે સૌને તેણે ઘેરાવમાં લઇ લીધા છે અને સૌની ગણતરી પણ કરી રાખી છે.
૯૫) આ બધા જ કયામતના દિવસે એકલા તેની પાસે હાજર થશે.
૯૬) નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કર્મો કર્યા છે, તેમના માટે અલ્લાહ રહમાન (દયાળુ) મોહબ્બત નાંખી દેશે.
૯૭) અમે આ કુરઆનને તમારી ભાષામાં ખૂબ જ સરળ કરી દીધું છે કે તમે તેના દ્વારા ડરવાવાળાઓને ખુશખબર આપી દો અને ઝઘડો કરનારને સચેત કરી દો.
૯૮) અમે આ લોકો પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી દીધા છે, શું તેમના માંથી એકની પણ આહટ તમે અનુભવો છો ? અથવા તેમના અવાજના ભણકારા પણ તમારા કાનમાં પડે છે ?
تقدم القراءة