سورة الأنبياء

الترجمة الغوجراتية

ترجمة معاني سورة الأنبياء باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) લોકોના હિસાબનો સમય નજીક આવી ગયો, તો પણ તેઓ અજાણ બની મોઢું ફેરવી રહ્યા છે.
૨) તેમની પાસે તેમના પાલનહાર તરફથી જે પણ નવી નવી શિખામણ આવે છે તેને તેઓ રમત-ગમતમાં સાંભળે છે.
૩) તેમના હૃદય તદ્દન બેદરકાર છે અને તે અત્યાચારીઓએ ધીરેધીરે વાતો કરી કે તે તમારા જેવો જ માનવી છે, તો શું કારણ છે કે તમે નરી આંખે જાદુ સમજો છો.
૪) પયગંબરે કહ્યું, મારો પાલનહાર તે દરેક વાતને, જે ધરતી અને આકાશમાં છે ખૂબ સારી રીતે જાણે છે, તે ખૂબ જ સાંભળનાર અને જાણનાર છે.
૫) એટલું જ નહીં પરંતુ તેઓ કહે છે કે આ કુરઆન, અલગ-અલગ સપનાનો સંગ્રહ છે, પરંતુ તેણે પોતે ઘડી કાઢ્યું છે, પરંતુ આ તો કવિ છે. નહીં તો અમારી સામે આ કોઈ એવી નિશાની લાવી બતાવતો જેવું કે આગળના પયગંબરોને (નિશાનીઓ) લઇને મોકલવામાં આવ્યા હતાં.
૬) તે લોકોથી પહેલા જેટલી વસ્તીઓને અમે નષ્ટ કરી, સૌ ઈમાનવાળા ન હતાં, તો શું હવે આ લોકો ઈમાન લાવશે.
૭) તમારા પહેલા પણ જેટલા પયગંબરો અમે મોકલ્યા, તે સૌ પુરુષ હતાં, જેમની તરફ અમે વહી અવતરિત હતાં, બસ ! તમે કિતાબવાળાને પૂછી લો જો તમે પોતે ન જાણતા હોય.
૮) અમે તે લોકોના એવા શરીર નહતાં બનાવ્યા કે તે ખોરાક ન લે અને ન તો તેઓ હંમેશા રહેવાવાળા હતાં.
آية رقم 9
૯) પછી અમે તેમની સાથે કરેલા બધા વચનોને પૂરા કર્યા, તેમને અને જે લોકોને અમે ઇચ્છ્યું માફ કરી દીધા અને હદ વટાવી જનારને નષ્ટ કરી દીધા.
૧૦) નિ:શંક અમે તમારી તરફ કિતાબ અવતરિત કરી છે, જેમાં તમારા માટે શિખામણ છે, શું તો પણ તમે સમજતા નથી ?
૧૧) અને ઘણી વસ્તીઓ અમે નષ્ટ કરી દીધી જે અત્યાચારી હતી અને ત્યાર પછી અમે બીજી કોમને લઇ આવ્યા.
آية رقم 12
૧૨) જ્યારે તે લોકો અમારી યાતનાથી ચેતી ગયા તો તેનાથી ભાગવા લાગ્યા.
૧૩) ભાગદોડ ન કરો અને જ્યાં તમને ખુશહાલી આપવામાં આવી હતી, ત્યાં જ તમે પાછા ફરો અને પોતાના ઘરો તરફ જાઓ, જેથી તમને સવાલ તો કરીએ.
آية رقم 14
૧૪) કહેવા લાગ્યા અફસોસ ! અમારી ખરાબી ! નિ:શંક અમે અત્યાચારી હતાં.
آية رقم 15
૧૫) પછી તેઓ આ પ્રમાણે જ વાત કરતા રહ્યા, ત્યાં સુધી કે અમે તે લોકોને મૂળથી ઉખાડેલી ખેતી અને હોલવાઇ ગયેલી આગ જેવા કરી દીધા.
آية رقم 16
૧૬) અમે આકાશ અને ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓને રમતા રમતા નથી બનાવી.
૧૭) જો અમે આમ જ રમત-ગમતની ઇચ્છા કરતા તો તેને પોતાની પાસે જ બનાવી લેતા, જો અમે કરવા ઇચ્છતા તો.
૧૮) પરંતુ અમે સત્યને જુઠ પર ફેકી દઇએ છીએ, બસ ! સત્ય જુઠનુ માથું તોડી નાખે છે અને તે જ સમયે નષ્ટ થઇ જાય છે, તમે જે વાતો ઘડો છો તે તમારા માટે નુકસાનનું કારણ છે.
૧૯) આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે, તે અલ્લાહનું જ છે અને જે તેની પાસે છે, તે તેની બંદગીથી ન વિદ્રોહ કરે છે અને ન તો થાકે છે.
آية رقم 20
૨૦) તે રાત-દિવસ અલ્લાહના નામનું સ્મરણ કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા.
آية رقم 21
૨૧)શું તે લોકોએ ધરતી (ના સર્જન) માંથી જે લોકોને પૂજ્ય બનાવી રાખ્યા છે, તે જીવિત કરી શકે છે ?
૨૨) જો આકાશ અને ધરતીમાં અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય હોત તો આ બન્ને અસ્ત-વ્યસ્ત થઇ જાત, બસ ! અલ્લાહ તઆલા-અર્શનો પાલનહાર, તે દરેક ગુણોથી પવિત્ર છે જે આ મુશરિકો કહે છે.
آية رقم 23
૨૩) તે પોતાના કાર્યો માટે જવાબદાર નથી અને બધા જ (તેની સામે) જવાબદાર છે.
૨૪) શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજાને પૂજ્યો બનાવી રાખ્યા છે, તેમને કહીદો કે લાઓ, પોતાના પુરાવા રજુ કરો. આ છે મારી કિતાબ અને આગળના લોકોના પુરાવા, વાત એવી છે કે તેમના માંથી વધારે પડતા લોકો સત્ય નથી જાણતા, એટલા માટે મોઢું ફેરવી રહ્યા છે.
૨૫) તમારાથી પહેલા પણ જે પયગંબર અમે મોકલ્યા તેની તરફ આ જ વહી અવતરિત કરી કે મારા સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, બસ ! તમે સૌ મારી જ બંદગી કરો.
૨૬) (મુશરિક લોકો) કહે છે કે રહમાનને સંતાન છે, (ખોટું છે) તે પવિત્ર છે, પરંતુ તે બધા તેના પ્રતિષ્ઠિત બંદાઓ છે.
آية رقم 27
૨૭) કોઈ વાતમાં અલ્લાહની અવજ્ઞા નથી કરતા, પરંતુ તેના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કરે છે.
૨૮) તે તેમના આગળ-પાછળના દરેક કાર્યોને જાણે છે, તે કોઈના માટે ભલામણ નથી કરતા, સિવાય તે લોકોની જેમનાથી અલ્લાહ રાજી છે, તે તો પોતે જ અલ્લાહના ડરથી ભયભીત છે.
૨૯) તેમના માંથી જો કોઈ કહી દે અલ્લાહ સિવાય હું બંદગીને લાયક છું તો અમે તેને જહન્નમની યાતના આપીશું, અમે અત્યાચારીઓને આવી જ રીતે યાતના આપીએ છીએ.
૩૦) શું ઇન્કાર કરનાર લોકોએ એવું નથી જોયું કે આકાશ અને ધરતી એક-બીજા સાથે જોડાયેલા હતાં, પછી અમે તે બન્નેને અલગ કર્યા, અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા.
૩૧) અને અમે ધરતી પર પર્વત બનાવી દીધા, જેથી તે સર્જનને હલાવી ન શકે અને અમે તેમાં પહોળા માર્ગ બનાવી દીધા, જેથી તે માર્ગદર્શન મેળવી શકે.
૩૨) આકાશને સુરક્ષિત છત અમે જ બનાવ્યું, પરંતુ લોકો તેની કુદરતની નિશાનીઓ પર ધ્યાન જ નથી ધરતા.
૩૩) તે જ અલ્લાહ છે, જેણે રાત અને દિવસનું તથા સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યું, તે દરેક પોતાના ક્ષેત્રમાં ફરે છે.
૩૪) તમારાથી પહેલા કોઈ પણ મનુષ્યને અમે હંમેશાનું (જીવન) નથી આપ્યું, જો તમે મૃત્યુ પામ્યા તો શું તેઓ હંમેશા માટે રહેશે ?
૩૫) દરેક સજીવ મૃત્યુનો સ્વાદ ચાખશે, અમે કસોટી માટે તમારા માંથી દરેકને બુરાઇ અને ભલાઇનું માર્ગદર્શન આપીએ છીએ. અને તમે સૌ અમારી તરફ જ પાછા ફેરવવામાં આવશો.
૩૬) આ ઇન્કાર કરનારાઓ તમને જ્યારે પણ જુએ છે તો તમારી મશ્કરી કરે છે, કહે છે કે શું આ જ છે જે તમારા પૂજ્યોનું ખરાબ વર્ણન કરે છે અને તે પોતે જ રહમાનની યાદના તદ્દન ઇન્કાર કરનારા છે.
૩૭) માનવી ઉતાવળું સર્જન છે, હું તમને મારી નિશાનીઓ હમણા જ બતાવીશ, તમે મારી સામે ઉતાવળ ન કરો.
آية رقم 38
૩૮) કહે છે કે જો સાચા છો તો જણાવો કે આ વચન ક્યારે પૂરું થશે ?
૩૯) કદાચ કે આ ઇન્કાર કરનારાઓ જાણતા હોત કે તે સમયે ન તો આ ઇન્કાર કરનારાઓ આગને પોતાના મોઢા પરથી હટાવી શકશે અને ન પોતાની પીઠ ઉપરથી અને ન તેમની મદદ કરવામાં આવશે.
૪૦) (હાં-હાં) વચનનો સમય તેમની પાસે અચાનક આવી પહોંચશે અને તેમને આશ્ચર્ય ચકિત કરી દેશે, પછી ન તો આ લોકો તેને ટાળી શકશે અને ન તો તેમને થોડીક પણ મહેતલ આપવામાં આવશે.
૪૧) અને તમારા પહેલાના પયગંબરોની મશકરી કરવામાં આવી હતી, બસ ! મશકરી કરનારને તે વસ્તુએ ઘેરાવમાં લઇ લીધી જેની તેઓ મશકરી કરતા હતાં.
૪૨) તેમને સવાલ કરો કે રહમાન વગર, દિવસ-રાત તમારી સુરક્ષા કોણ કરી શકે છે ? વાત એવી છે કે આ લોકો પોતાના પાલનહારના સ્મરણથી ફરી ગયેલા છે.
૪૩) શું અમારા સિવાય તેમના બીજા પૂજ્યો છે જે તેઓને મુસીબતથી બચાવી શકે, કોઈ પણ પૂજ્ય પોતાની મદદ નથી કરી શકતો અને ન તો કોઈ અમારી તરફથી તેમની મદદ કરશે.
૪૪) પરંતુ અમે તે લોકોને અને તેમના પૂર્વજોને જીવન જીવવા માટે સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની ઉંમરનો સમય પસાર થઇ ગયો, શું તે લોકો નથી જોતા કે અમે ધરતીને તેના કિનારા પાસેથી ઓછી કરીએ છીએ, હવે શું તે લોકો પ્રભુત્વશાળી છે ?
૪૫) કહી દો કે હું તો તમને અલ્લાહની વહી દ્વારા સચેત કરી રહ્યો છું પરંતુ બહેરા લોકો વાત નથી સાંભળતા જ્યારે તે લોકોને સચેત કરવામાં આવે છે.
૪૬) જો તે લોકો પર તમારા પાલનહાર તરફથી કોઈ યાતનાની ઝપટ પણ આવી પહોંચે તો, પોકારી ઉઠશે કે, હાય ! અમારી ખરાબી, નિ:શંક અમે જ પાપી હતાં.
૪૭) કયામતના દિવસે અમે બરાબર તોલનારા ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર, કંઇ પણ, અત્યાચાર કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે.
آية رقم 48
૪૮) આ સાચે જ સત્ય છે કે અમે મૂસા અને હારૂનને ફેંસલો કરનારી, પ્રકાશિત અને ડરવાવાળાઓ માટે શિખામણ મેળવવા માટેની કિતાબ આપી છે.
آية رقم 49
૪૯) તે લોકો, જે પોતાના પાલનહારથી વણ દેખે ડરે છે અને કયમાતના (વિચાર)થી ધ્રુજે છે.
آية رقم 50
૫૦) અને આ શિખામણ અને બરકતવાળું કુરઆન પણ અમે જ અવતરિત કર્યું, શું તો પણ તમે આ કુરઆનના ઇન્કાર કરનારા બનો છો ?
૫૧) નિ:શંક અમે આ પહેલા ઇબ્રાહીમને આની સમજણ આપી હતી અને અમે તેની સ્થિતિ સારી રીતે જાણતા હતાં.
૫૨) જ્યારે કે તેણે તેના પિતા અને પોતાની કોમને કહ્યું કે આ મૂર્તિઓ, જેમના તમે સંતો બની બેઠા છો, શું છે ?
آية رقم 53
૫૩) સૌએ જવાબ આપ્યો, કે અમે અમારા પૂર્વજોને આમની જ બંદગી કરતા જોયા.
آية رقم 54
૫૪) પયગંબરે કહ્યું, પછી તો તમે અને તમારા પૂર્વજો, સૌ નિ:શંક સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ રહ્યા.
آية رقم 55
૫૫) કહેવા લાગ્યા, શું તમે અમારી પાસે સાચે જ સત્ય લાવ્યા છો ? અથવા ફક્ત મજાક કરી રહ્યા છો ?
૫૬) પયગંબરે કહ્યું કે, ના ! ખરેખર તમારા સૌનો પાલનહાર તો તે છે જે આકાશો અને ધરતીનો માલિક છે. જેણે તેમનું સર્જન કર્યું, હું તો આ વાતનો જ સાક્ષી અને કહેવાવાળો છું.
آية رقم 57
૫૭) અને અલ્લાહના સોગંદ ! હું તમારા તે પૂજ્યો સાથે એક યુક્તિ કરીશ જ્યારે તેમનાથી દૂર જતા રહેશો.
آية رقم 58
૫૮) બસ ! તેણે તે સૌના ટુકડે-ટુકડા કરી નાખ્યા, હાં ફક્ત મોટી મૂર્તિ ન તોડી, આવું એટલા માટે કે તે સૌ તેની જ તરફ ફરે.
آية رقم 59
૫૯) કહેવા લાગ્યા કે અમારા પૂજ્યો સાથે આવું કોણે કર્યું ? આવું કરનાર વ્યક્તિ ખરેખર અત્યાચારી છે.
آية رقم 60
૬૦) કહ્યું, અમે એક નવયુવાનને આ વિશે વાત કરતા સાંભળ્યો હતો, જેને ઇબ્રાહીમ કહેવામાં આવે છે.
آية رقم 61
૬૧) સૌએ કહ્યું, તો તેને સભામાં લોકોની નજર સામે લાવો, જેથી સૌ જોઇ લે.
آية رقم 62
૬૨) કહેવા લાગ્યા કે, હે ઇબ્રાહીમ ! શું તેં જ અમારા દેવી-દેવતાઓ સાથે આવું કર્યું છે ?
૬૩) પયગંબરે જવાબ આપ્યો, અરે ! આ કૃત્યતો તેમના મોટાએ કર્યું છે, તમે પોતાના દેવી-દેવતાઓને જ પૂછી લો, જો આ લોકો બોલતા હોય.
آية رقم 64
૬૪) બસ ! આ લોકોના હૃદયોમાં આ વાત બેસી ગઇ અને કહેવા લાગ્યા કે ખરેખર અત્યાચારી તો તમે જ છો.
૬૫) પછી પોતાના વિચારમાં ઊંધા થઇ ગયા, (અને કહેવા લાગ્યા કે) આ તો તમે પણ જાણો છો કે આ બોલી નથી શકતા.
૬૬) અલ્લાહના મિત્રએ તે જ સમયે કહ્યું, દુ:ખ છે, શું તમે અલ્લાહ સિવાય તેમની બંદગી કરો છો જે ન તો તમને ફાયદો પહોંચાડી શકે છે અને ન તો નુકસાન.
૬૭) અફસોસ છે, તમારા પર અને તેમના પર, જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, શું તમને આટલી પણ બુદ્વિ નથી ?
آية رقم 68
૬૮) કહેવા લાગ્યા કે આને બાળી નાખો અને પોતાના દેવી-દેવતાઓની મદદ કરો, જો તમે કશું કરવા જ ઇચ્છતા હોવ.
آية رقم 69
૬૯) અમે કહી દીધું કે, હે આગ ! તુ ઠંડી થઇ જા અને ઇબ્રાહીમ અ.સ. માટે સલામતી વાળી થઇ જા.
آية رقم 70
૭૦) તે લોકોએ ઇબ્રાહીમ અ.સ. માટે ખરાબ ઇચ્છયું, પરંતુ અમે તે લોકોને નિષ્ફળ બનાવી દીધા.
آية رقم 71
૭૧) અને અમે ઇબ્રાહીમ અને લૂત અ.સ.ને બચાવી તે ધરતી તરફ લઇ ગયા, જેમાં અમે દરેક લોકો માટે બરકત મુકી હતી.
૭૨) અને અમે તેમને ઇસ્હાક આપ્યો અને ત્યાર પછી યાકૂબ અને દરેકને અમે સદાચારી બનાવ્યા.
૭૩) અને અમે તેમને આગેવાન બનાવી દીધા કે અમારા આદેશોથી લોકોને માર્ગદર્શન આપે અને અમે તેમની તરફ સત્કાર્ય કરવા અને નમાઝોની પાબંદી કરવા અને ઝકાત આપવાની વહી કરી. અને તે બધા જ અમારી બંદગી કરનારા બંદાઓ હતાં.
૭૪) અમે લૂત અ.સ.ને પણ આદેશ અને જ્ઞાન આપ્યું અને તેમને તે વસ્તી માંથી છૂટકારો આપ્યો, જ્યાંના લોકો ખરાબ કૃત્ય કરતા હતાં અને તે લોકો તદ્દન પાપી હતાં.
آية رقم 75
૭૫) અને અમે લૂત અ.સ.ને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, નિ:શંક તે સદાચારી લોકો માંથી હતો.
૭૬) નૂહ ના તે સમયને યાદ કરો, જ્યારે તેમણે એ પહેલા દુઆ કરી, અમે તેમની દુઆ કબૂલ કરી અને તેમને તથા તેમના ઘરવાળાઓને મોટી મુસીબતથી છૂટકારો આપ્યો.
૭૭) અને જે લોકો અમારી આયતોને જુઠલાવી રહ્યા હતાં, તેમની વિરુદ્ધ અમે તેની મદદ કરી, નિ:શંક તે ખરાબ લોકો હતાં, બસ ! અમે તે સૌને ડુબાડી દીધા.
૭૮) અને દાઉદ અને સુલૈમાન અ.સ.ને યાદ કરો, જ્યારે કે તે લોકો એક ખેતર બાબતે નિર્ણય કરી રહ્યા હતાં, થોડાંક લોકોની બકરીઓ રાત્રે ખેતરમાં ચારો ચરી ગઇ અને તેમના નિર્ણય વખતે અમે હાજર હતાં.
૭૯) અમે તેમનો સાચો નિર્ણય સુલૈમાનને સમજાવી દીધો, હાં ! દરેકને અમે આદેશ અને જ્ઞાન આપી રાખ્યું હતું અને દાઉદના વશમાં પર્વતો અને પંખીઓને પણ કરી દીધા હતાં, જે તસ્બીહ (અલ્લાહના નામનું સ્મરણ) કરતા હતાં, અમે જ કરવાવાળા હતાં.
૮૦) અને અમે તેને તમારા માટે પોશાક બનાવવાની કારીગરી શિખવાડી જેથી યુદ્વ વખતે તમારા માટે બચાવનું કારણ બને, શું તમે આભારી બનશો ?
૮૧) અમે ભયંકર હવાને સુલૈમાન અ.સ.ના વશમાં કરી દીધી, જે તેમના આદેશ પ્રમાણે તે ધરતી તરફ ફૂંકાતી હતી, જ્યાં અમે બરકત આપી રાખી હતી અને અમે દરેક વસ્તુને ખૂબ સારી જાણીએ છીએ.
૮૨) આવી જ રીતે ઘણા શેતાનોને પણ અમે તેમના વશમાં કર્યા હતાં, જેઓ તેમના આદેશ પ્રમાણે દરિયામાં ડુબકી મારતા હતાં અને તે ઉપરાંત પણ ઘણા કાર્યો કરતા હતાં, તેમની દેખરેખ રાખનારા અમે જ હતાં.
૮૩) અય્યૂબ અ.સ.ની તે સ્થિતિને પણ યાદ કરો, જ્યારે તેમણે પોતાના પાલનહારને પોકાર્યા કે, મને આ બિમારી પહોંચી છે અને તું દયા કરવાવાળાઓ કરતા વધારે દયાળુ છે.
૮૪) તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું તેને દૂર કરી દીધું અને તેમને પત્ની અને સંતાન આપ્યા, પરંતુ તેમની સાથે તેમના જેવા જ બીજા પણ, પોતાની ખાસ કૃપા વડે આપ્યા, જેથી સાચા બંદાઓ માટે શિખામણનું કારણ બને.
آية رقم 85
૮૫) અને ઇસ્માઇલ અને ઇદરિસ અને ઝુલ્ કિફ્લ (અ.સ.) આ સૌ ધીરજ રાખનારા બંદાઓ હતાં.
آية رقم 86
૮૬) અમે તેમને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, આ સૌ સદાચારી લોકો હતાં.
૮૭) માછલીવાળા (યૂનુસ અ.સ.) ને યાદ કરો, જ્યારે તેઓ ગુસ્સામાં નીકળી ગયા અને વિચાર કર્યો કે, અમે તેમની પકડ નહીં કરી શકીએ, છેવટે તે અંધકારમાં પોકારી ઉઠયા કે, અલ્લાહ ! તારા સિવાય કોઈ પૂજ્ય નથી, તું પવિત્ર છે. નિ:શંક હું અત્યાચારી લોકો માંથી થઇ ગયો.
૮૮) તો અમે તેમની પોકાર સાંભળી લીધી અને તેમને દુ:ખથી છૂટકારો આપ્યો અને અમે ઈમાનવાળાઓને આવી જ રીતે બચાવી લઇએ છીએ.
૮૯) અને ઝકરિયા અ.સ.ને યાદ કરો, જ્યારે તેમણે પોતાના પાલનહારને દુઆ કરી કે હે મારા પાલનહાર ! મને એકલો ન છોડ, તું સૌથી શ્રેષ્ઠ વારસદાર છે.
૯૦) અમે તેમની દુઆ કબૂલ કરી, યહ્યા અ.સ. આપ્યા અને તેમની પત્નીને તેમના માટે સ્વસ્થ કરી દીધી, આ પ્રભુત્વશાળી લોકો સત્કાર્ય તરફ ઉતાવળ કરતા હતાં અને અમને આશા અને ડર, બન્ને સાથે પોકારતા હતાં અને અમારી સામે આજીજી કરવાવાળા હતાં.
૯૧) અને તે પવિત્ર સ્ત્રી, જેણે પોતાની આબરૂની સુરક્ષા કરી, અમે તેમનામાં પોતાની રૂહ ફૂંકી તથા તેમને અને તેમના દિકરાને દરેક લોકો માટે નિશાની બનાવી દીધા.
آية رقم 92
૯૨) આ તમારી કોમ છે, જે ખરેખર એક જ કોમ છે અને હું તમારા સૌનો પાલનહાર છું, બસ ! તમે મારી જ બંદગી કરો.
آية رقم 93
૯૩) પરંતુ લોકોએ અંદરોઅંદર પોતાના ધર્મમાં મતભેદ કરી દીધા, સૌ અમારી તરફ જ પાછા ફરવાના છે.
૯૪) પછી જે પણ સત્કાર્ય કરશે અને તે ઈમાનવાળો હશે તો તેના પ્રયત્નોની અવગણના કરવામાં નહીં આવે. અમે તો તેને લખવાવાળા છે.
آية رقم 95
૯૫) અને જે વસ્તીને અમે નષ્ટ કરી દીધી, તેમના માટે શક્ય નથી કે તે પાછા ફરી શકે.
૯૬) ત્યાં સુધી કે યાજૂજ અને માજૂજને છોડી દેવામાં આવશે અને તેઓ દરેક ઊંચા સ્થાનો પરથી દોડતા આવશે.
૯૭) અને સાચું વચન નજીક આવી જશે, તે સમયે ઇન્કાર કરનારાઓની નજરો ફાટેલી રહી જશે, કે અફસોસ ! અમે આ પરિસ્થિતિથી અજાણ હતાં, પરંતુ ખરેખર અમે જ અપરાધી હતાં.
૯૮) તમે અને જેની તમે અલ્લાહ સિવાય બંદગી કરો છો, સૌ જહન્નમના ઇંધણ બનશો, તમે સૌ જહન્નમમાં જવાના છો.
૯૯) જો આ (સાચા) પૂજ્ય હોત તો, જહન્નમમાં દાખલ ન થાત અને દરેકે દરેક તેમાં જ હંમેશા રહેનારા છે.
آية رقم 100
૧૦૦) તેઓ ત્યાં ચીસો પાડતા હશે અને ત્યાં કંઇ પણ સાંભળી નહીં શકે.
آية رقم 101
૧૦૧) હાં, જેના માટે અમારા તરફથી સત્કાર્ય કરવાનો નિર્ણય પહેલા જ થઇ ચુક્યો છે, તેઓ બધા જહન્નમથી દૂર રાખવામાં આવશે.
૧૦૨) તે તો જહન્નમની આહટ પણ નહીં સાંભળે અને તેઓ પોતાની મનપસંદ વસ્તુઓમાં હંમેશા રહેવાવાળા છે.
૧૦૩) કોઈ મોટી બેચેની (પણ) તેઓને નિરાશ નહીં કરી શકે અને ફરિશ્તાઓ તેમને હાથો હાથ લેશે. કે આ જ તમારા માટે તે દિવસ છે જેનું વચન તમને આપવામાં આવતું હતું,
૧૦૪) જે દિવસે અમે આકાશને એવી લપેટી લઇશું, જેવી રીતે લેખક પાનાને લપેટી દે છે, જેવી રીતે કે અમે પ્રથમ વખત સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું.
૧૦૫) અમે ઝબૂરમાં શિખામણ આપ્યા પછી આ લખી ચુક્યા છે કે ધરતીના વારસદાર મારા સદાચારી બંદાઓ (જ) હશે.
آية رقم 106
૧૦૬) બંદગી કરનારાઓ માટે તો આમાં એક મોટો આદેશ છે.
آية رقم 107
૧૦૭) અને અમે તમને સૃષ્ટિના લોકો માટે દયાળુ બનાવીને જ મોકલ્યા છે.
૧૦૮) કહી દો કે, મારી પાસે તો બસ ! વહી કરવામાં આવે છે કે તમારા સૌનો પૂજ્ય એક જ છે, તો શું તમે પણ તેની આજ્ઞાપાલન કરવાવાળા છો ?
૧૦૯) પછી જો આ લોકો મોઢું ફેરવી લે તો કહી દો કે મેં તમને બરાબર સચેત કરી દીધા, જેનું વચન તમને આપવામાં આવ્યું છે તેનું જ્ઞાન મારી પાસે નથી કે તે નજીક છે અથવા દૂર છે.
آية رقم 110
૧૧૦) હાં, અલ્લાહ તઆલા સ્પષ્ટ અને જાહેર વાતોને પણ જાણે છે અને જે કંઇ તમે છુપાવો છો તેને પણ જાણે છે.
آية رقم 111
૧૧૧) મને આ વિશેની પણ જાણ નથી, આ તમારી કસોટી હોઇ શકે અને એક નક્કી કરેલ સમય સુધીનો ફાયદો છે.
૧૧૨) પયગંબરે કહ્યું, હે પાલનહાર ! ન્યાયથી ફેંસલો કર અને અમારો પાલનહાર ઘણો જ દયાળુ છે, જેની પાસે મદદ માંગવામાં આવે છે, તે વાતો અંગે જેના વિશે તમે વર્ણન કરો છો.
تقدم القراءة