سورة الكهف

الترجمة الغوجراتية

ترجمة معاني سورة الكهف باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

૧) દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે પોતાના બંદા પર આ કુરઆન અવતરિત કર્યું અને તેમાં કોઈ કમી બાકી ન રાખી.
૨) પરંતુ દરેક રીતે ઠીકઠાક રાખ્યું, જેથી પોતાની પાસેની સખત યાતનાથી સચેત કરી દે. અને ઇમાનવાળા અને સત્કાર્ય કરનારાઓને ખુશખબર આપી દે, કે તેમના માટે શ્રેષ્ઠ વળતર છે.
آية رقم 3
૩) જેમાં તેઓ હંમેશા રહેશે.
آية رقم 4
૪) અને તે લોકોને પણ સચેત કરી દો જેઓ કહે છે કે અલ્લાહ તઆલાને સંતાન છે.
૫) ખરેખર તો તે લોકો પણ જાણતા નથી, ન તેમના પૂર્વજો પણ જાણતા હતા, આ આરોપ ખૂબ જ ખોટો છે જે તેમના મોઢા માંથી નીકળી રહ્યો છે, તેઓ સ્પષ્ટ જૂઠ કહી રહ્યા છે.
૬) બસ ! જો આ લોકો આ વાત પર ઇમાન ન લાવે, તો શું તમે તેમની પાછળ તે જ નિરાશામાં પોતાને નષ્ટ કરી દેશો ?
૭) ધરતી પર જે કંઈ પણ છે અમે તેને ધરતીના શણગારનું કારણ બનાવ્યું છે, કે અમે તે લોકોની કસોટી કરીએ કે તેમાંથી કોણ સત્કાર્ય કરનાર છે.
آية رقم 8
૮) તેના (ધરતી) પર જે કંઈ પણ છે અમે તેને એક સપાટ મેદાન કરી દેવાના છે.
૯) શું તમે પોતાના વિચાર પ્રમાણે ગુફા અને વસ્તીવાળાને અમારી નિશાનીઓ માંથી ઘણી અદ્દભુત નિશાની સમજી રહ્યા છો ?
૧૦) તે થોડાંક નવયુવાનોએ જ્યારે ગુફામાં શરણ લીધું, તો દુઆ કરી કે હે અમારા પાલનહાર ! અમને તારી પાસેથી કૃપા આપ અને અમારા કાર્ય માટે અમારા માર્ગને સરળ બનાવી દે.
آية رقم 11
૧૧) બસ ! અમે ગણતરીના કેટલાય વર્ષો સુધી તે જ ગુફામાં તેમના કાન પર પરદા નાંખી દીધા.
૧૨) પછી અમે તે લોકોને ઊભા કર્યા કે અમે એ જાણી લઇએ કે બન્ને જૂથ માંથી તે ઘણાં વર્ષ, જે તે લોકોએ પસાર કર્યા, કોને વધારે યાદ છે.
૧૩) અમે તે લોકોનો સાચો કિસ્સો તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે એ કે થોડાંક નવયુવાન પોતાના પાલનહાર ઉપર ઇમાન લાવ્યા હતા અને અમે તેમના સત્ય માર્ગદર્શનમાં વધારો કર્યો હતો.
૧૪) અમે તેમના હૃદયોને મજબૂત કરી દીધા હતા, જ્યારે આ લોકો ઊભા થયા અને કહેવા લાગ્યા કે હે અમારા પાલનહાર ! તું તે જ છે, જે આકાશો અને ધરતીનો પાલનહાર છે, અશક્ય છે અમે તેને છોડીને બીજા પૂજ્યોને પોકારીએ, જો આવું કર્યું તો અમે અત્યંત ખોટી વાત કરનારા છે.
૧૫) આ છે અમારી કોમ, જેમણે તે (અલ્લાહ)ને છોડીને બીજા પૂજ્યો બનાવી રાખ્યા છે, આ લોકો તેમના પૂજ્ય હોવાની સ્પષ્ટ દલીલ કેમ લાવતા નથી ? અલ્લાહ પર આરોપ મૂકનાર કરતા વધારે અત્યાચારી કોણ છે ?
૧૬) જ્યારે તમે તે લોકોથી અને તેમના પૂજ્યોથી અળગા થઇ ગયા તો હવે તમે કોઈ ગુફામાં જતા રહો, તમારો પાલનહાર તમારા પર પોતાની કૃપા કરશે અને તમારા માટે તમારા કામને સરળ બનાવશે.
૧૭) તમે જોશો કે સૂર્ય, સૂર્યોદયના સમયે તેમની ગુફાની જમણી તરફ ઝૂકી જાય છે, અને સૂર્યાસ્તના સમયે ગુફાની ડાબી બાજુથી હટી જાય છે અને તે લોકો ગુફાની પહોળી જગ્યાએ હતા, આ અલ્લાહની નિશાનીઓ માંથી છે, અલ્લાહ તઆલા જેને માર્ગદર્શન આપે તે સત્યમાર્ગ પર છે અને જેને તે પથભ્રષ્ટ કરી દે અશક્ય છે કે તમે તેના માટે કોઈ મદદ કરનાર અથવા તેને માર્ગદર્શન આપવાવાળો જોશો.
૧૮) તમે એવું વિચારતા હતા કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતેલા હતા, અમે પોતે તેઓને ડાબી, જમણી બાજુ પડખું આપતા હતા, તેમનું કૂતરું પણ કિનારા પર હાથ ફેલાવી બેસેલું હતું, જો તમે તેમને ડોકિયું કરી જોવા ઇચ્છતા તો જરૂર પાછા ફરીને ભાગી જતા અને તેમના ભયથી તમારા પર ડર છવાઇ જતો.
૧૯) આવી જ રીતે અમે તેમને જગાડી દીધા કે એકબીજાને પૂછી લે, એક કહેવાવાળાએ કહ્યું, કે કેમ ભાઇ તમે કેટલો સમય રોકાયા ? તેમણે જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછો સમય. કહેવા લાગ્યા કે તમારા રોકાઇ રહેવાનું જ્ઞાન તો ફક્ત અલ્લાહને જ છે, હવે તો તમે પોતાના માંથી કોઈને પોતાની આ ચાંદી આપી શહેરમાં મોકલો, તે સમજી લેશે કે શહેરનો કેવો ખોરાક પવિત્ર છે, પછી તેમાંથી જ તમારા માટે ખોરાક લઇને આવે અને તે ખૂબ જ ધ્યાન રાખી અને નમ્રતા દાખવે અને કોઈને પણ તમારી જાણ ન થવા દે.
૨૦) જો આ ઇન્કાર કરનારા તમારા પર પ્રભુત્વ મેળવી લે તો તમને પથ્થરો મારી મારીને નષ્ટ કરી દેશે, અથવા તમને પાછા પોતાના દીનમાં ફેરવી નાંખશે અને પછી તમે કયારેય સફળ નહીં થઇ શકો.
૨૧) અમે આવી રીતે લોકોને તેમની સ્થિતિની જાણ કરી દીધી કે તેઓ જાણી લે કે અલ્લાહનું વચન સાચું છે અને કયામત (આવવામાં) કોઈ શંકા નથી, જ્યારે તેઓ પોતાના કાર્યમાં વિવાદ કરી રહ્યા હતા, કહેવા લાગ્યા તેમની ગુફા પર એક ઇમારત બનાવી લો, તેમનો પાલનહાર જ તેમની સ્થિતિને વધારે સારી રીતે જાણે છે, જે લોકોએ તેમના વિશે વિજય મેળવ્યો, તેઓ કહેવા લાગ્યા કે અમે તો તેમની આજુબાજુ મસ્જિદ બનાવી લઇશું.
૨૨) થોડાંક લોકો કહેશે કે કહફવાળાઓ ત્રણ હતા અને ચોથું તેમનું કૂતરું હતું, કેટલાક કહેશે કે પાંચ હતા અને છઠ્ઠું તેમનું કૂતરું હતું, અદૃશ્યની વાતોને આવી જ રીતે કહે છે, થોડાંક લોકો કહેશે કે તે સાત હતા અને આઠમું તેમનું કૂતરું હતું, તમે કહી દો કે મારો પાલનહાર તેમની સંખ્યાને ખૂબ સારી રીતે જાણે છે, તેમને ઘણા ઓછા લોકો જાણે છે. બસ ! તમે તેમના વિશે ફકત ઉપરછલ્લી વાતો કરો અને તેમના માંથી કોઈને તેમના (કહફવાળા) વિશે ન પૂછો.
آية رقم 23
૨૩) અને ક્યારેય કોઈ કાર્ય વિશે એવું ન કહેશો કે હું તેને આવતીકાલે કરીશ.
૨૪) પરંતુ સાથે સાથે “ઇન્ શાઅ અલ્લાહ” કહી દેજો અને જ્યારે પણ ભૂલી જાવ, પોતાના પાલનહારને યાદ કરી લેજો અને કહેતા રહેજો કે મને આશા છે કે મારો પાલનહાર મને આના કરતા પણ વધારે સત્યમાર્ગનું માર્ગદર્શન આપશે.
آية رقم 25
૨૫) તે લોકો ગુફામાં ત્રણસો વર્ષ સુધી રહ્યા અને નવ વર્ષ વધારે.
૨૬) તમે કહી દો કે અલ્લાહ જ તેમના રોકાઇ રહેવાના સમયગાળાને સારી રીતે જાણે છે. આકાશો અને ધરતીનું અદૃશ્યનુ જ્ઞાન ફકત તેને જ છે. તે ખૂબ જ જોનાર, સાંભળનાર છે, અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી, અલ્લાહ તઆલા પોતાના આદેશમાં કોઈને ભાગીદાર નથી બનાવતો.
૨૭) તમારી તરફ તમારા પાલનહાર તરફથી જે કિતાબ વહી દ્વારા અવતરિત કરવામાં આવી છે તેને પઢતા રહો, તેની વાતોને કોઈ બદલી શકતું નથી, તમે તેના સિવાય કોઈનું પણ શરણ નહીં પામો.
૨૮) અને તમે તે લોકો સાથે જ રહો જેઓ પોતાના પાલનહારને સવાર-સાંજ પોકારે છે અને તેની ખુશી પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે, ખબરદાર ! તમારી નજર તે લોકોથી હઠવી ન જોઇએ કે દુનિયાના જીવનના ઠાઠ-માઠ માં લાગી જાઓ, જુઓ તેનું કહ્યું ન માનશો, જેને મેં મારા નામના સ્મરણથી દૂર રાખ્યો છે અને જે પોતાની મનેચ્છાઓની પાછળ પડ્યો છે અને જેનું કાર્ય હદ વટાવી ગયું છે.
૨૯) અને જાણ કરી દો કે આ કુરઆન ખરેખર તમારા પાલનહાર તરફથી છે, હવે જે ઇચ્છે ઇમાન લાવે અને જે ઇચ્છે ઇન્કાર કરે, અત્યાચારીઓ માટે અમે તે આગ તૈયાર કરી રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ ફરિયાદ કરવા ઇચ્છશે તો તેમની ફરિયાદ તે પાણી વડે કરવામાં આવશે જે તેલના છંટકાવ જેવી હશે, જે ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ પાણી અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે.
૩૦) નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્ય કરશે તો અમે કોઈ સદાચારીના કર્મના વળતરને વ્યર્થ નથી કરતા.
૩૧) તેમના માટે હંમેશા બાકી રહેવાવાળી જન્નતો છે, તેમની નીચેથી નહેરો વહી રહી હશે, ત્યાં તેમને સોનાની બંગડીઓ પહેરાવવામાં આવશે અને લીલા રંગના મુલાયમ અને પાતળાં અને જાડાં રેશમી પોશાક પહેરશે, ત્યાં આસનો પર તકિયા લગાવેલા હશે, કેટલું સુંદર વળતર છે અને આરામ કરવાની શ્રેષ્ઠ જગ્યા છે,
૩૨) અને તેમને તે બન્ને વ્યક્તિઓનું ઉદાહરણ પણ આપી દો, જેમાંથી એકને અમે બે દ્રાક્ષના બગીચાઓ આપ્યા હતા અને જેમને અમે ખજૂરોના વૃક્ષો વડે ઘેરી રાખ્યા હતા અને બન્ને વચ્ચે ખેતી ઉપજાવી રાખી હતી.
૩૩) બન્ને બગીચા ખૂબ જ ઊપજ્યા અને તેમાં કોઇ પણ પ્રકારની કમી ન રહી અને અમે તે બગીચાઓ વચ્ચે નહેર વહાવી રાખી હતી.
૩૪) તેમની પાસે ફળો હતા, એક દિવસે તેણે વાત-વાતમાં જ પોતાના મિત્રને કહ્યું કે હું તારા કરતા વધારે ધનવાન છું અને (ધનના) ઢગલા પણ ખૂબ જ છે.
૩૫) અને તે પોતાના બગીચામાં ગયો અને પોતાના ઉપર અત્યાચાર કરનાર હતો, કહેવા લાગ્યો કે હું કલ્પના પણ નથી કરી શકતો કે ગમે ત્યારે આ નષ્ટ થઇ શકે છે.
૩૬) અને હું કયામતના દિવસની કલ્પના નથી કરતો અને જો હું મારા પાલનહાર તરફ ફેરાવવામાં પણ આવ્યો તો ખરેખર હું (તે પાછા ફરવાની જગ્યા) કરતા પણ વધારે ઉત્તમ મેળવીશ.
૩૭) તેના મિત્રએ તેની સાથે વાતચીત કરતા કહ્યું કે શું તું તે (પૂજ્ય) નો ઇન્કાર કરે છે જેણે તારું સર્જન માટી વડે કર્યું, પછી ટીપાથી તને સંપૂર્ણ મનુષ્ય બનાવી દીધો.
آية رقم 38
૩૮) પરંતુ હું તો આસ્થા રાખું છું કે તે જ અલ્લાહ મારો પાલનહાર છે, હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર નહીં ઠેરાવું.
૩૯) તેં પોતાના બગીચામાં જતી વખતે એવું કેમ ન કહ્યું કે અલ્લાહ જે ઇચ્છે છે તે જ થવાનું છે, અલ્લાહની મદદ વગર કોઈની તાકાત નથી, જો તું મને ધન અને સંતાનમાં પોતાનાથી તુચ્છ સમજી રહ્યો છે,
૪૦) શક્ય છે કે મારો પાલનહાર મને તારા તે બગીચા કરતા પણ વધારે સારું આપે અને તેના પર આકાશ માંથી પ્રકોપ મોકલી દે તો આ સપાટ મેદાન થઇ જશે.
آية رقم 41
૪૧) અથવા તેનું પાણી નીચે ઉતરી જાય અને તારા વશમાં પણ ન રહે કે તું તેને શોધી કાઢે.
૪૨) અને તેના (બધા) ફળો ઘેરાવમાં લઇ લીધા, બસ ! પોતાના તે ખર્ચ માં જે તેણે તે (બગીચા માટે) કર્યો હતો, પોતાના હાથ ઘસવા લાગ્યો અને તે બગીચો તો નષ્ટ થઇ ગયો હતો અને (તે વ્યક્તિ) આવું કહી રહ્યો હતો કે, કાશ ! હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરાવતો.
૪૩) તેની મદદ કરવા માટે કોઈ જૂથ ન આવ્યું જે તેને અલ્લાહથી બચાવી લે અને ન તો તે પોતે બદલો લેવામાં સક્ષમ થઇ શક્યો.
૪૪) અહીંયાથી જ (સાબિત થાય છે) કે અધિકાર ફકત સત્ય અલ્લાહનો જ છે, તે વળતર આપવા માટે અને પરિણામ માટે ઘણો જ શ્રેષ્ઠ છે.
૪૫) તેમની સમક્ષ દુનિયાના જીવનનું ઉદાહરણ વર્ણવો, જેવું કે પાણી-જેને અમે આકાશ માંથી વરસાવીએ છીએ તેનાથી ધરતીની ઊપજો મળે છે, પછી છેવટે તે ભૂસું થઇ જાય છે, જેને હવા ઉડાવે છે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૪૬) ધન અને સંતાન તો દુનિયાનો શણગાર છે અને બાકી રહેવાવાળા સત્કાર્યો, તારા પાલનહારની નજીક બદલા અને સારી આશા માટે ઉત્તમ છે.
૪૭) અને જે દિવસે અમે પર્વતોને ચલાવીશું અને ધરતીને તમે સપાટ, ખુલ્લી જોશો અને દરેક લોકોને એકઠાં કરીશું, તે લોકો માંથી એકને પણ બાકી નહીં છોડીએ.
૪૮) અને દરેક લોકો તમારા પાલનહાર સમક્ષ લાઇનબંધ હાજર કરવામાં આવશે, નિ:શંક તમે અમારી પાસે એવી જ રીતે આવ્યા જેવી રીતે અમે તમારું પ્રથમ વખત સર્જન કર્યું હતું. પરંતુ તમે તો તે કલ્પના માંજ રહ્યા કે અમે ક્યારેય તમારા માટે કોઈ વચનનો સમય નક્કી નહીં કરીએ.
૪૯) અને કર્મનોંધ સામે મૂકી દેવામાં આવશે, બસ ! તમે જોશો કે પાપીઓ તેના લખાણથી ભયભીત થઇ રહ્યા હશે અને કહી રહ્યા હશે કે હાય ! અમારી ખરાબી આ કેવું પુસ્તક છે ? જેણે કોઈ નાના, મોટાં (દરેક પાપ) ઘેરાવમાં લીધા વગર છોડ્યા જ નથી અને જે કંઈ તે લોકોએ કર્યું હતું બધું જ તેમાં હશે. અને તમારો પાલનહાર કોઈના પર અત્યાચાર નહીં કરે.
૫૦) અને જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમે આદમ (અ.સ.)ને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ સિજદો કર્યો, આ જિન્નાતો માંથી હતો, તેણે પોતાના પાલનહારનું કહ્યું ન માન્યું, શું તો પણ તમે મને છોડીને તેને અને તેના સંતાનને પોતાનો મિત્ર બનાવી રહ્યા છો ? જો કે તે તમારા બધાનો દુશ્મન છે, આવા અત્યાચારીઓ માટે કેવી ખરાબી હશે.
૫૧) મેં તે લોકોને આકાશો અને ધરતીના સર્જન વખતે હાજર નહતા રાખ્યા અને ન તો તેમના પોતાના સર્જન વખતે અને હું પથભ્રષ્ટ કરવાવાળાઓને પોતાનો મદદગાર બનાવનાર નથી.
૫૨) અને જે દિવસે તે કહેશે કે તમારા વિચાર પ્રમાણે જે મારા ભાગીદારો હતા તેમને પોકારો, તેઓ પોકારશે, પરંતુ તેમના માંથી કોઈ જવાબ નહીં આપે, અમે તેમની વચ્ચે નષ્ટ કરી દેનારો સામાન ઉતારીશું.
૫૩) અને પાપીઓ જહન્નમને જોઇને સમજી લેશે કે તેમને તેમાં જ નાંખવામાં આવશે, પરંતુ તેનાથી બચવા માટે કોઈ જગ્યા નહીં મળે.
૫૪) અમે આ કુરઆનમાં દરેક રીતે સંપૂર્ણ ઉદાહરણો, લોકો માટે જણાવ્યા છે, પરંતુ માનવી સૌથી વધારે ઝઘડો કરનાર છે.
૫૫) લોકો પાસે સત્ય માર્ગદર્શન આવી ગયા પછી તેમને ઇમાન લાવવા અને પોતાના પાલનહાર સામે માફી માંગવામાં ફકત તે જ વસ્તુએ રોક્યા કે આગળના લોકો સાથે જેવું થયું તેવું અમારી સાથે થાય, અથવા તેમની સમક્ષ ખુલ્લો પ્રકોપ આવી જાય.
૫૬) અમે પોતાના પયગંબરોને ફક્ત એટલા માટે જ અવતરિત કરીએ છીએ કે તે ખુશખબર આપી દે અને સચેત કરી દે. ઇન્કાર કરનારાઓ અસત્યના આધારે ઝઘડે છે અને ( ઇચ્છે છે કે) તેનાથી સત્યને હરાવી દે. તે લોકોએ મારી આયતોને અને જે વસ્તુ વડે ડરાવવામાં આવે તેને મજાક બનાવી લીધી.
૫૭) તેના કરતા વધારે અત્યાચારી બીજો કોણ છે, જેને તેના પાલનહારની આયતો દ્વારા શિખામણ આપવામાં આવે, તો પણ મોઢું ફેરવી લે અને જે કંઈ તેના હાથ વડે કરેલા કર્મોને આગળ મોકલી રાખ્યા છે તેને તે ભૂલી જાય, નિ:શંક અમે તેમના હૃદયો પર પરદા નાખી દીધા છે કે તે તેને (ન) સમજે અને તેમના કાનમાં આડ છે, ભલેને તમે તે લોકોને સત્ય માર્ગ તરફ બોલાવતા રહો, પરંતુ તેઓ ક્યારેય સત્ય માર્ગ નહીં પામે.
૫૮) તમારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને કૃપા કરનાર છે, તે જો તેમના કર્મોના બદલામાં પકડ કરે તો ખરેખર તે લોકો પર ઝડપથી જ યાતના આવી પહોંચે, પરંતુ તેમના માટે એક વચનનો સમય નક્કી છે, જેનાથી તેઓ બચવા માટેની કોઈ જગ્યા નહીં પામે.
آية رقم 59
૫૯) આ છે તે વસ્તીઓ, જેમને અમે તેમના અત્યાચારના કારણે નષ્ટ કરી દીધા અને અમે તેમને નષ્ટ કરવાનો એક સમય નક્કી કરી રાખ્યો હતો.
૬૦) જ્યારે કે મૂસા અ.સ.એ પોતાના નવયુવાનને કહ્યું કે હું તો ચાલતો જ રહીશ ત્યાં સુધી કે બે દરિયાના મેળાપ પર પહોંચું, ભલેને મને વર્ષોના વર્ષ સુધી ચાલવું પડે.
૬૧) જ્યારે તે બન્ને દરિયાના મેળાપની જગ્યાએ પહોંચ્યા, ત્યાં પોતાની માછલી ભૂલી ગયા, જેણે દરિયામાં સુરંગ જેવો પોતાનો માર્ગ બનાવી દીધો.
૬૨) જ્યારે તે બન્ને ત્યાંથી આગળ વધ્યાં તો મૂસા (અ.સ.)એ પોતાના નવયુવાનને કહ્યું કે લાવો, આપણું ભોજન આપો, મને તો આપણી આ મુસાફરીથી સખત તકલીફ ભોગવવી પડી.
૬૩) તેણે જવાબ આપ્યો કે શું તમે જોયું ? જ્યારે આપણે પથ્થરના ટેકે આરામ કરી રહ્યા હતા, ત્યાં જ હું માછલી ભૂલી ગયો હતો, ખરેખર શેતાને જ મને ભૂલાવી દીધું કે હું તમારી સમક્ષ તેની વાત કરું, તે માછલીએ અલગ રીતે દરિયામાં પોતાનો રસ્તો બનાવ્યો.
૬૪) મૂસા (અ.સ.)એ કહ્યું આ જ હતું, જેની શોધમાં આપણે હતા, તો ત્યાંથી જ પોતાના પગલાના નિશાન શોધતા પાછા ફર્યા.
૬૫) બસ ! અમારા બંદાઓ માંથી એક બંદાને મળ્યા, જેને અમે પોતાની પાસેની ખાસ કૃપા આપી હતી અને તેને પોતાની પાસેથી ખાસ જ્ઞાન શીખવાડ્યું હતું.
૬૬) તેને મૂસા (અ.સ.)એ કહ્યું કે હું તમારું અનુસરણ કરું ? કે તમે મને તે જ્ઞાન શિખવાડી દો જે તમને શિખવાડવામાં આવ્યું છે.
آية رقم 67
૬૭) તેમણે કહ્યું કે તમે મારી સાથે ક્યારેય ધીરજ નહીં રાખી શકો.
آية رقم 68
૬૮) અને જે વસ્તુને તમે પોતાના જ્ઞાનથી વિચારી લીધું હોય તેના પર ધીરજ કેવી રીતે રાખી શકો છો ?
૬૯) મૂસા (અ.સ.)એ જવાબ આપ્યો કે ઇન્ શાઅ અલ્લાહ તમે મને ધીરજ રાખનારો પામશો. અને કોઈ વાતમાં હું તમારી અવજ્ઞા નહીં કરું.
૭૦) તેણે કહ્યું કે સારું, જો તમે મારી સાથે આવવા માટે આગ્રહ કરો છો તો યાદ રાખજો, કોઈ વસ્તુ બાબતે મને કંઈ પણ ન પૂછશો. ત્યાં સુધી કે હું પોતે તે બાબતે કોઈ વાત ન કરું,
૭૧) પછી તે બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક હોડીમાં સવાર થયા, તો તેણે હોડીના લાકડાની બાજુઓ તોડી નાખી, મૂસા (અ.સ.)એ કહ્યું કે શું તમે તેને તોડી રહ્યા છો, જેથી હોડીવાળાઓને ડુબાડી દો, આ તો તમે ખૂબ જ મોટી વાત કરી દીધી.
آية رقم 72
૭૨) તેણે જવાબ આપ્યો કે મેં તો પહેલા જ તમને કહી દીધું હતું કે તમે મારી સાથે ક્યારેય ધીરજ નહીં રાખી શકો.
૭૩) મૂસા (અ.સ.)એ જવાબ આપ્યો કે મારી ભૂલ પર મારી પકડ ન કરશો અને મારી સાથે સખતી ન કરશો.
૭૪) પછી બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક બાળકને જોયો, તેણે તેને મારી નાંખ્યો, મૂસા (અ.સ.)એ કહ્યું કે શું તમે એક પવિત્ર પ્રાણને વગર કારણે મારી નાંખ્યો ? નિ:શંક તમે તો ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું.
૭૫) તે કહેવા લાગ્યા કે મેં તમને નહતું કહ્યું કે તમે મારી સાથે રહી ક્યારેય ધીરજ નહીં રાખી શકો.
૭૬) મૂસા (અ.સ.) એ જવાબ આપ્યો જો હવે પછી હું તમને કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછું તો ખરેખર તમે મને પોતાની સાથે ન રાખશો. ખરેખર તમારી પાસે મજબૂત કારણ છે.
૭૭) પછી બન્ને ચાલ્યા, એક ગામડામાં લોકોની પાસે ખાવાનું માંગ્યું, તો તે લોકોએ તેમનો સત્કાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, બન્નેએ ત્યાં એક દીવાલ જોઇ, જે પડવાની જ હતી, તેણે તે દીવાલને ઠીકઠાક કરી દીધી, મૂસા (અ.સ.) કહેવા લાગ્યા, જો તમે ઇચ્છતા તો આનું વળતર લઇ લેતા.
૭૮) તેણે કહ્યું, બસ! આ મારી અને તારી વચ્ચે અલગ થવાનું કારણ છે, હવે હું તમને તે વાતોની સચ્ચાઇ પણ જણાવી દઇશ જેના પર તમે ધીરજ ના રાખી.
૭૯) હોડી તો થોડાંક લાચારોની હતી, જે દરિયામાં કામ કરતા હતાં, મેં તે હોડીને થોડીક તોડી નાખવાનો ઇરાદો કર્યો, કારણકે તેમની આગળ એક બાદશાહ હતો, જે દરેક હોડીને બળજબરી કરી છીનવી લેતો હતો.
૮૦) અને તે બાળકના માતા-પિતા ઈમાનવાળા હતાં, મને ભય લાગ્યો કે કદાચ આ તેમને પોતાના અતિરેક અને ઇન્કારના કારણે લાચાર અને પરેશાન ન બનાવી દે.
૮૧) એટલા માટે મેં ઇચ્છા કરી કે તેમને તેમનો પાલનહાર તેના બદલામાં તેના કરતા શ્રેષ્ઠ, પવિત્ર અને તેના કરતા વધારે મોહબ્બત કરનાર બાળક આપે.
૮૨) દીવાલની વાત એવી છે, કે આ શહેરમાં બે અનાથ બાળકો છે, જેમનો ખજાનો તેમની તે દીવાલ નીચે દાટેલો છે, તેમના પિતા ખૂબ જ સદાચારી હતાં, તો તમારા પાલનહારની ઇચ્છા હતી કે આ બન્ને અનાથ યુવાન વયે પહોંચી પોતાનો આ ખજાનો તમારા પાલનહારની કૃપા અને રહમતની સાથે કાઢી લે. મેં મારી ઇચ્છાથી કોઈ કાર્ય નથી કર્યું, આ હતી સત્ય વાત તે કિસ્સાઓની જેના પર તમે ધીરજ ન રાખી.
૮૩) આ લોકો તમને “ઝૂલ્-કરનૈન” નો કિસ્સો પૂછે છે, તમે કહી દો કે હું તે લોકોની થોડીક દશા તમને વાંચી સંભળાવું છું.
૮૪) અમે તેને ધરતી પર શક્તિશાળી બનાવ્યા હતાં અને તેને દરેક વસ્તુનો સામાન પણ આપી દીધો હતો.
آية رقم 85
૮૫) તે એક માર્ગ પાછળ લાગ્યો.
૮૬) ત્યાં સુધી કે સૂર્યાસ્ત થવાની જગ્યાએ પહોંચી ગયો અને તેને એક ઝરણાંના વમળમાં ડૂબતો જોયો, અને તે ઝરણાં પાસે એક કોમને પણ જોઇ, અમે કહી દીધું કે, હે “ઝુલ્-કરનૈન ! તું તેમને તકલીફ આપ અથવા તેમની સાથે ઉત્તમ વ્યવહાર કર.
૮૭) તેણે કહ્યું કે જે અત્યાચાર કરશે તેને તો અમે પણ સજા આપીશું, પછી તે પોતાના પાલનહાર તરફ પાછો ફેરાવવામાં આવશે અને તે તેને સખત યાતના આપશે.
૮૮) હાં, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેના માટે તો બદલામાં ભલાઇ છે અને અમે તેને પોતાના કાર્યમાં પણ સરળતાનો જ આદેશ આપીશું.
آية رقم 89
૮૯) પછી તે બીજા માર્ગ પાછળ લાગ્યો.
૯૦) ત્યાં સુધી કે જ્યારે સૂર્યોદયની જગ્યાએ પહોંચ્યો તો તેને એક એવી કોમ માંથી નીકળતો જોયો જેઓ (ન તો ઘર હતાં અને ન વસ્ત્રો હતાં, પરંતુ તેઓ ખુલ્લી નગ્ન અવસ્થામાં રહેતા હતાં) ખુલ્લા હતાં.
آية رقم 91
૯૧) વાત આવી જ છે અને અમે તેની પાસેની બધીજ જાણકારી સંભાળી રાખી છે.
آية رقم 92
૯૨) તે પાછો મુસાફરી કરવા લાગ્યો.
૯૩) ત્યાં સુધી કે જ્યારે તે બે દિવાલોની વચ્ચે પહોંચ્યો, તે દીવાલની ઉપર તેણે એક એવી કોમ જોઇ, જે કોઈ પણ વાત નહતાં સમજતા.
૯૪) તેમણે કહ્યું, હે ઝુલ્-કરનૈન ! આ “આજૂજ માજૂજ” આ શહેરમાં વિદ્રોહી છે. તો શું અમે તમારા માટે કંઇ ખર્ચનો બંદોબસ્ત કરી દઇએ, (તે શરતે કે) તમે અમારી અને તેમની વચ્ચે એક દીવાલ બનાવી આપો.
૯૫) તેણે જવાબ આપ્યો કે મારા અધિકારમાં મને મારા પાલનહારે જે કંઇ આપી રાખ્યું છે તે જ ઉત્તમ છે, તમે ફક્ત તાકાતથી મારી મદદ કરો.
૯૬) હું તમારી અને તેમની વચ્ચે મજબૂત ઢાલ બનાવી દઉં છું, મને લોખંડની ચાદરો લાવી આપો, ત્યાં સુધી કે જ્યારે તે બન્ને પર્વતો વચ્ચે દીવાલ બરાબર બનાવી દીધી તો આદેશ આપ્યો કે આગ ભડકાવો, જ્યારે તે લોખંડની ચાદરોને તદ્દન આગમાં ફેરવી દીધી, તો કહ્યું કે મારી પાસે લાવો, તેના પર પીગાળેલું તાંબુ નાંખી દો.
آية رقم 97
૯૭) બસ ! ન તો તેમનામાં તે દીવાલ પર ચઢવાની તાકાત હતી અને ન તેમાં કોઈ કાણું પાડી શકતા હતાં.
૯૮) કહ્યું, આ ફક્ત મારા પાલનહારની કૃપા છે, હાં જ્યારે મારા પાલનહારનું વચન આવી જશે તો તેને ધરતીમાં ધસાવી દેશે, નિ:શંક મારા પાલનહારનું વચન સાચું છે.
૯૯) તે દિવસે અમે તે લોકોને અંદરોઅંદર ટોળા બનાવી છોડી દઇશું અને સૂર ફૂંકવામાં આવશે, બસ ! સૌને એકઠા કરીને અમે ભેગા કરી દઇશું.
آية رقم 100
૧૦૦) તે દિવસે અમે જહન્નમને ઇન્કાર કરનારાઓના સામે લાવી દઇશું.
૧૦૧) જેમની આંખો મારા સ્મરણથી અળગી હતી અને (સત્ય વાત) સાંભળી પણ શકતા ન હતાં.
૧૦૨) શું ઇન્કાર કરનાર એવું સમજી બેઠા છે કે મારા વગર તે મારા બંદાઓને પોતાની મદદ કરવાવાળા બનાવી લેશે ? (સાંભળો) અમે તે ઇન્કાર કરનારાઓની મહેમાનગતિ કરવા માટે જહન્નમ તૈયાર કરી રાખી છે.
آية رقم 103
૧૦૩) કહી દો, કે જો હું તમને જણાવી દઉં કે કાર્યોની દૃષ્ટિએ સૌથી વધારે નુકસાન ઉઠાવનાર કોણ છે ?
૧૦૪) તે એ છે, કે જેમના દુનિયાના જીવનના દરેક પ્રયત્નો વ્યર્થ થઇ ગયા. અને તેઓ તે જ વિચારમાં હતાં કે તેઓ ઘણા જ સારા કાર્યો કરી રહ્યા છે.
૧૦૫) આ જ તે લોકો છે જેમણે પોતાના પાલનહારની આયતો અને તેની મુલાકાતનો ઇન્કાર કર્યો, એટલા માટે તેમના કાર્યો વ્યર્થ થઇ ગયા. બસ ! કયામતના દિવસે અમે તેમના માટે કોઈ વજન નહીં કરીએ.
آية رقم 106
૧૦૬) વાત એ છે કે તેમનો બદલો જહન્નમ છે, કારણ કે તે લોકોએ ઇન્કાર કર્યો અને મારી આયતો અને મારા પયગંબરોની મશ્કરી કરી.
૧૦૭) જે લોકો ઈમાન લાવ્યા અને તે લોકોએ કાર્ય પણ સારા કર્યા ખરેખર તેમના માટે ફિરદૌસના બગીચાઓની મહેમાનગીરી છે.
آية رقم 108
૧૦૮) જ્યાં તેઓ હંમેશા રહેશે, જે જગ્યાને બદલવાની ઇચ્છા તેઓ નહીં કરે.
૧૦૯) કહી દો કે જો મારા પાલનહારની વાતોને લખવા માટે સમુદ્રો (નું પાણી) શાહી બની જાય તો તે પણ મારા પાલનહારની વાતો પૂરી થતાં પહેલા જ ખતમ થઇ જશે, અને તેના જેવો જ બીજો પણ તેની મદદ કરવા માટે લઇ આવીએ.
૧૧૦) તમે કહી દો કે હું તમારા જેવો જ એક મનુષ્ય છું, મારી તરફ વહી કરવામાં આવે છે કે સૌનો પૂજ્ય ફક્ત એક જ છે, તો જેને પણ પોતાના પાલનહારની સાથે મુલાકાતની ઇચ્છા હોય તેણે સત્કાર્ય કરવા જોઇએ અને પોતાના પાલનહારની બંદગીમાં કોઈને પણ ભાગીદાર ન ઠેરવે.
تقدم القراءة