ترجمة سورة العنكبوت

الترجمة الغوجراتية
ترجمة معاني سورة العنكبوت باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) અલિફ-લામ્-મીમ્
૨) શું લોકોએ અનુમાન કરી રાખ્યું છે કે તેમના ફક્ત આ દાવા પર, કે અમે ઈમાન લાવ્યા છે, અમે તેમની કસોટી કર્યા વગર જ છોડી દઇશું?
૩) તેમનાથી પહેલાના લોકોને પણ અમે કસોટી કરી, ખરેખર અલ્લાહ તઆલા સાચા લોકોને પણ જાણી લેશે અને તેમને પણ, જે લોકો જુઠ્ઠા છે.
૪) શું જે લોકો દુષ્કર્મો કરી રહ્યા છે, તેમણે એવું સમજી રાખ્યું છે કે તેઓ અમારા વશમાં નહીં રહે, આ લોકો કેટલું ખોટું સમજી રહ્યા છે.
૫) જેને અલ્લાહ સાથે મુલાકાત કરવાની આશા હોય, બસ ! અલ્લાહ તઆલાએ નક્કી કરેલ સમય જરૂર આવશે, તે બધું જ સાંભળનાર, બધું જ જાણનાર છે.
૬) અને દરેક મહેનત કરનાર પોતાના ફાયદા માટે જ કરે છે, અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે.
૭) અને જે લોકો ઈમાન લાવ્યા અને તે લોકોએ સત્કાર્ય કર્યા, અમે તેમના દરેક પાપોને તેમનાથી દૂર કરી દઇશું અને તેમને તેમના સત્કાર્યોનો શ્રેષ્ઠ બદલો આપીશું.
૮) અમે દરેક માનવીને પોતાના માતાપિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો, હાં ! જો તેઓ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવવાનો આદેશ આપે, જેનું તમને જ્ઞાન નથી, તો તેમનું કહ્યું ન માનો. તમારે સૌએ મારી તરફ જ પાછા ફરવાનું છે, પછી હું તે દરેક વસ્તુની જાણ આપીશ જે તમે કરતા હતાં.
૯) અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમને હું મારા સદાચારી બંદાઓમાં કરી દઇશ.
૧૦) અને કેટલાક લોકો એવા પણ છે કે, જે જબાનથી કહે છે કે અમે ઈમાન લાવ્યા છે, પરંતુ જ્યારે અલ્લાહના માર્ગમાં કોઈ પરેશાની આવી પહોંચે છે તો લોકોથી પહોંચેલી તકલીફને અલ્લાહ તઆલાની યાતનાની જેમ સમજી લે છે, હાં જો અલ્લાહની મદદ આવી જાય તો પોકારે છે કે અમે તો તમારા જ મિત્રો છે. શું દુનિયાવાળાઓના હૃદયમાં જે કંઇ છે, તેને અલ્લાહ તઆલા જાણતો નથી ?
૧૧) જે લોકો ઈમાન લાવ્યા, અલ્લાહ તેઓને પણ જાહેર કરશે અને ઢોંગીઓને પણ જાહેર કરશે.
૧૨) ઇન્કાર કરનારાઓએ ઈમાનવાળાઓને કહ્યું, કે તમે અમારા માર્ગનું અનુસરણ કરો, તમારા પાપો અમે ઉઠાવી લઇશું, જો કે તેઓ તેમના પાપો માંથી કંઇ પણ નહીં ઉઠાવે, આ તો જુઠ્ઠા લોકો છે.
૧૩) જો કે આ લોકો પોતાનો બોજ ઉઠાવી લેશે અને પોતાના બોજની સાથેસાથે બીજા બોજ પણ અને જે કંઇ જૂઠાણું ઘડી રહ્યા છે, તે સૌને તેના વિશે પૂછતાછ કરવામાં આવશે.
૧૪) અને અમે નૂહ અ.સ.ને તેમની કોમ પાસે મોકલ્યા, તે તેમની સાથે નવસો પચાસ વર્ષ રહ્યા, પછી તે લોકોને વાવાઝોડાએ પકડી લીધા અને તે લોકો અત્યાચારી હતાં.
૧૫) પછી અમે તેમને અને હોડીવાળાઓને છૂટકારો આપ્યો અને આ કિસ્સાને અમે સમગ્ર સૃષ્ટિના લોકો માટે શિખામણ બનાવી દીધી.
૧૬) અને ઇબ્રાહીમ અ.સ.એ પણ પોતાની કોમને કહ્યું કે અલ્લાહની બંદગી કરો અને તેનાથી ડરતા રહો, જો તમારામાં બુદ્ધિ હોય તો આ જ તમારા માટે ઉત્તમ છે.
૧૭) તમે અલ્લાહ સિવાય મૂર્તિઓની પૂજા કરી રહ્યા છો અને જુઠ્ઠી વાતો ઊપજાવી કાઢો છો, સાંભળો ! જે લોકોની તમે અલ્લાહ સિવાય બંદગી કરો છો, તેઓ તમારી રોજીના માલિક નથી, બસ ! તમે ફક્ત અલ્લાહ પાસે રોજી માંગો અને તેની જ બંદગી કરો અને તેનો જ આભાર માનો અને તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે.
૧૮) અને જો તમે જુઠલાવતા હોય તો તમારા પહેલાની કોમોએ પણ જુઠલાવ્યું છે, પયગંબરની જવાબદારી તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
૧૯) શું તે લોકોએ નથી જોયું કે અલ્લાહએ સર્જનોની શરૂઆત કેવી રીતે કરી ? પછી અલ્લાહ તેને ફરી વાર કરશે, આ તો અલ્લાહ માટે ખૂબ જ સરળ છે.
૨૦) કહી દો, કે ધરતી પર હરીફરીને જુઓ તો ખરા કે કેવી રીતે અલ્લાહ તઆલાએ શરૂઆતમાં સર્જન કર્યું, પછી અલ્લાહ તઆલા જ નવું સર્જન કરશે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૨૧) જેને ઇચ્છે તેના પર યાતના મોકલે, જેના પર ઇચ્છે કૃપા કરે, સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશે.
૨૨) તમે અલ્લાહને ન તો ધરતીમાં અસમર્થ કરી શકો છો અને ન તો આકાશમાં, અલ્લાહ તઆલા સિવાય કોઈ તમારો વાલી નથી અને ન મદદ કરનાર.
૨૩) જે લોકો અલ્લાહની આયતો અને તેની મુલાકાતને ભૂલી જાય છે, તેઓ મારી કૃપાથી વંચિત રહી જાય છે અને તેમના માટે દુ:ખદાયી યાતના છે.
૨૪) તેમની કોમનો જવાબ આ સિવાય કંઇ ન હતો, તેઓ કહેવા લાગ્યા આને મારી નાખો અથવા આને સળગાવી દો, છેવટે અલ્લાહએ તેમને આગથી બચાવી લીધા, આમાં ઈમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.
૨૫) (ઇબ્રાહીમ અ.સ.એ) કહ્યું, કે તમે જે મૂર્તિઓની પૂજા અલ્લાહ સિવાય કરી છે, તમે લોકોએ તેમને દુનિયાના ફાયદાના કારણે મિત્ર બનાવ્યા, તમે સૌ કયામતના દિવસે એકબીજાનો ઇન્કાર કરવા લાગશો અને એકબીજા પર ફિટકાર કરવા લાગશો અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ હશે અને તમારી મદદ કરનાર કોઈ નહીં હોય.
૨૬) બસ ! ઇબ્રાહીમ અ.સ. પર, લૂત અ.સ. ઈમાન લાવ્યા, અને કહેવા લાગ્યા કે હું મારા પાલનહાર તરફ હિજરત કરવાવાળો છું, તે ઘણો જ વિજયી અને હિકમતવાળો છે.
૨૭) અને અમે તેમને ઇસ્હાક અને યાકૂબ (અ.સ.) આપ્યા અને અમે પયગંબરી અને કિતાબ તેમના સંતાન માંથી જ કરી દીધી અને અમે દુનિયામાં પણ તેમને બદલો આપ્યો અને આખેરતમાં તો તેઓ સદાચારી લોકો માંથી છે.
૨૮) અને લૂત અ.સ.નું પણ વર્ણન કરો, જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, કે તમે તો તે ખરાબ કૃત્ય કરી રહ્યા છો, જે તમારાથી પહેલા દુનિયામાં કોઈએ કર્યું ન હતું.
૨૯) શું તમે પુરુષો સાથે ખરાબ કાર્ય કરવા માટે આવો છો અને રસ્તા બંધ કરી દો છો અને પોતાની સામાન્ય સભામાં અશ્લીલ કાર્યો કરો છો. આના જવાબમાં તેમની કોમે તે સિવાય કંઇ ન કહ્યું, બસ ! જતો રહે, જો તું સાચો હોય તો અમારી પાસે અલ્લાહની યાતના લઇ આવ.
૩૦) લૂત અ.સ.એ દુઆ કરી કે પાલનહાર ! આ વિદ્રોહી કોમ પર મારી મદદ કર.
૩૧) અને જ્યારે અમારા અવતરિત કરેલા ફરિશ્તાઓ ઇબ્રાહીમ અ.સ. પાસે ખુશખબરી લઇ આવ્યા, તો કહેવા લાગ્યા કે આ વસ્તીવાળાઓને અમે નષ્ટ કરવાના છે, નિ:શંક અહીંયા રહેનારા અપરાધી છે.
૩૨) (ઇબ્રાહીમ અ.સ.એ) કહ્યું, આ લોકોમાં લૂત અ.સ. પણ છે, ફરિશ્તાઓએ કહ્યું અહીંયા જે પણ છે, અમે સારી રીતે જાણીએ છીએ, લૂત અ.સ. અને તેમના કુટુંબીજનોને અમે બચાવી લઇશું, તેમની પત્ની સિવાય, જો કે તે સ્ત્રી પાછળ રહી જનારા લોકો માંથી છે.
૩૩)પછી જ્યારે અમારા સંદેશવાહક લૂત અ.સ. પાસે પહોંચ્યા તો, (લૂત અ.સ.) તેમનાથી નિરાશ થયા અને અંદર જ અંદર નિરાશ થવા લાગ્યા, સંદેશવાહકોએ કહ્યું કે તમે ન ડરો, ન તો નિરાશ થાવ, અમે તમને તમારા અનુયાયીઓ સાથે બચાવી લઇશું, પરંતુ તમારી પત્ની સિવાય, તે યાતના માટે બાકી રહેનારા લોકો માંથી હશે.
૩૪)અમે આ વસ્તીવાળાઓ પર આકાશ માંથી પ્રકોપ ઉતારીશું, એટલા માટે કે આ લોકો અવજ્ઞાકારી બની ગયા છે.
૩૫) જો કે અમે આ વસ્તીને સ્પષ્ટ શિખામણ માટે નિશાની બનાવી દઇશું, તે લોકો માટે જેઓ બુદ્ધિ ધરાવે છે.
૩૬) અને “મદયન” તરફ અમે તેમના ભાઇ શુઐબ અ.સ.ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, કયામતના દિવસ પર વિશ્વાસ ધરાવો અને ધરતીમાં વિદ્રોહ ન ફેલાવો.
૩૭) તો પણ તે લોકોએ તેમને જુઠલાવ્યા, છેવટે તેમને ધરતીકંપે (યાતના) પકડી લીધા. અને તેઓ પોતાના ઘરોમાં બેઠાબેઠા જ મૃત્યુ પામ્યા.
૩૮) અમે આદ અને ષમૂદના લોકોને પણ નષ્ટ કર્યા, જેમના કેટલાક ઘરો તમારી સામે છે અને શેતાને તેમના ખરાબ કૃત્યોને શણગારીને બતાવ્યા હતા અને તેમના માર્ગથી રોકી દીધા હતાં, આંખો અને બુદ્ધિ ધરાવવા છતાં પણ.
૩૯) કારૂન, ફિરઔન અને હામાનને પણ, તેમની પાસે મૂસા અ.સ. સ્પષ્ટ ચમત્કારો લઇને આવ્યા હતાં, તો પણ તે લોકોએ ધરતી પર ઘમંડ કર્યો, પરંતુ અમારા કરતા આગળ ન વધી શક્યા.
૪૦) પછી તો દરેકને અમે તેમના અપરાધના કારણે પકડી લીધા, તેમના માંથી કેટલાક પર અમે પથ્થરોનો વરસાદ વરસાવ્યો અને તેમના માંથી કેટલાકને સખત ચીસે પકડી લીધા અને તેમના માંથી કેટલાકને અમે ધરતીમાં ધસાવી દીધા અને તેમના માંથી કેટલાકને અમે ડુબાડી દીધા, અલ્લાહ તઆલા તેમના પર અત્યાચાર કરવાવાળો નથી, પરંતુ તેઓ પોતે જ પોતાના પર અત્યાચાર કરતા હતાં.
૪૧) જે લોકોએ અલ્લાહ તઆલા સિવાય બીજા ભાગીદારો ઠેરાવી રાખ્યા છે, તેમનું ઉદાહરણ કરોળિયા જેવું છે, કે તે પણ એક ઘર બનાવે છે, જો કે દરેક ઘરો કરતા નબળું ઘર કરોળિયાનું છે, કાશ ! કે તેઓ જાણી લેતા.
૪૨) અલ્લાહ તઆલા તે દરેક વસ્તુને જાણે છે જેને તેઓ અલ્લાહના સિવાય પોકારે છે, તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
૪૩) અમે આ ઉદાહરણોને લોકો માટે વર્ણન કરીએ છીએ, તેને ફક્ત જ્ઞાની લોકો સમજે છે.
૪૪) અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીનું સર્જન સત્ય સાથે કર્યું છે, ઈમાનવાળાઓ માટે આમાં ઘણા પુરાવા છે.
૪૫) જે કિતાબ તમારી તરફ વહી કરવામાં આવી છે, તેને પઢો અને નમાઝ પઢતા રહો, નિ:શંક નમાઝ ખરાબ કાર્યો અને અપરાધ કરવાથી રોકે છે, નિ:શંક અલ્લાહના નામનું સ્મરણ ખૂબ જ મોટું કાર્ય છે. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે.
૪૬) અને કિતાબવાળાઓ સાથે તકરાર ન કરો, પરંતુ ઉત્તમ રીતે, તે લોકો માંથી જેઓ અત્યાચારી છે (તેમની સાથે તકરાર કરો). અને સ્પષ્ટ રીતે કહી દો કે અમે તે કિતાબ ઉપર પણ ઈમાન ધરાવીએ છીએ જે અમારા માટે અવતરિત કરવામાં આવી છે અને તે કિતાબ ઉપર પણ જે તમારા માટે અવતરિત કરવામાં આવી છે. અમારો અને તમારો પૂજ્ય એક જ છે, અમે સૌ તેની જ આજ્ઞાનું પાલન કરીએ છીએ.
૪૭) અને અમે આવી જ રીતે તમારી તરફ અમારી કિતાબ અવતરિત કરી છે, બસ ! જે લોકોને અમે કિતાબ આપી છે તેઓ તેના પર ઈમાન લાવે છે અને તે લોકો (મુશરિક લોકો) માંથી કેટલાક આ કિતાબ પર ઈમાન ધરાવે છે અને અમારી આયતોનો ઇન્કાર ફક્ત ઇન્કાર કરનારાઓ જ કરે છે.
૪૮) આ પહેલા તમે કોઇ કિતાબ પઢતા ન હતા અને ન કોઇ કિતાબને પોતાના હાથ વડે લખતા હતા, કે આ અસત્યનું અનુસરણ કરનારા લોકો શંકામાં પડ્યા છે.
૪૯) પરંતુ આ (કુરઆનમાં) તો પ્રકાશિત આયતો છે, જે જ્ઞાની લોકોના હૃદયોમાં સુરક્ષિત છે, અમારી આયતોનો ઇન્કાર કરનાર અત્યાચારી સિવાય બીજા કોઇ નથી.
૫૦) તે લોકોએ કહ્યું કે આના માટે કોઇ નિશાની તેના પાલનહાર તરફથી અવતરિત કરવામાં કેમ નથી આવી ? તમે કહી દો કે દરેક નિશાની અલ્લાહ પાસે જ છે, હું તો સ્પષ્ટ રીતે સચેત કરી દેનાર છું.
૫૧) શું આ લોકો માટે પૂરતું નથી કે અમે તમારા પર કિતાબ અવતરિત કરી, જે તેમની સમક્ષ પઢવામાં આવે છે, આમાં રહમત અને શિખામણ છે, તે લોકો માટે, જેઓ ઈમાન લાવે છે.
૫૨) કહી દો કે મારી અને તમારી વચ્ચે સાક્ષી માટે અલ્લાહ પૂરતો છે, તે આકાશ અને ધરતીની દરેક વસ્તુને જાણે છે, જે લોકો અસત્યને માને છે અને અલ્લાહનો ઇન્કાર કરે છે, તે જબરદસ્ત નુકસાન ઉઠાવનારા છે.
૫૩) આ લોકો તમારી સામે પ્રકોપ માટે ઉતાવળ કરી રહ્યા છે, જો મારા તરફથી નક્કી કરેલ સમય ન હોત તો અત્યાર સુધી તો તેમની પાસે પ્રકોપ આવી પહોંચ્યો હોત, આ ચોક્કસ વાત છે કે અચાનક તેમની જાણ વગર પ્રકોપ આવી પહોંચશે.
૫૪) આ લોકો યાતના માટે ઉતાવળ કરી રહ્યા છે, જહન્નમ ઇન્કાર કરનારાઓને ઘેરાવમાં લેશે.
૫૫) તે દિવસે તેમના ઉપરથી યાતના આવી પહોંચશે અને અલ્લાહ તઆલા કહેશે કે હવે પોતાના કાર્યોનો સ્વાદ ચાખો.
૫૬) હે મારા ઈમાનવાળા બંદાઓ ! મારી ધરતી ઘણી વિશાળ છે, તો તમે મારી જ બંદગી કરો.
૫૭) દરેક સજીવ મૃત્યુનો સ્વાદ ચાખશે અને તમે સૌ અમારી તરફ જ પાછા આવશો.
૫૮) અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેમને અમે ખરેખર જન્નતના તે ઊંચા સ્થાને જગ્યા આપીશું, જેની નીચે ઝરણા વહી રહ્યા છે. જ્યાં તેઓ હંમેશા રહેશે. કામ કરવાવાળાઓનો કેવો સારો બદલો છે.
૫૯) તે, જે લોકોએ ધીરજ રાખી અને પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.
૬૦) અને ઘણા જાનવરો છે, જેઓ પોતાની રોજી ઉઠાવીને ફરતા નથી, તે બધાને અને તમને પણ અલ્લાહ તઆલા જ રોજી આપે છે. તે ખૂબ જ સાંભળનાર, જાણનાર છે.
૬૧) અને જો તમે તેમને સવાલ કરો કે ધરતી અને આકાશનું સર્જન કરનાર અને સૂર્ય અને ચંદ્રને કામ પર લગાવનાર કોણ છે ? તો તેમનો જવાબ હશે, “અલ્લાહ તઆલા” પછી ક્યાં ઊંધા જઇ રહ્યા છે.
૬૨) અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને પુષ્કળ રોજી આપે છે અને જેને ઇચ્છે તેને તંગ, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણનાર છે.
૬૩) અને જો તમે તે લોકોને પૂછો કે આકાશ માંથી પાણી ઉતારી, નિષ્પ્રાણ ધરતીને જીવિત કોણે કરી ? તો ખરેખર તે લોકોનો જવાબ આ જ હશે કે “અલ્લાહ”. તમે કહી દો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે. પરંતુ તેમાંથી ઘણા લોકો સમજતા નથી.
૬૪) અને દુનિયાનું આ જીવન તો ફક્ત મોજ મસ્તી છે. જો કે આખેરતનું જીવન જ હંમેશાવાળું છે. કદાચ ! આ લોકો જાણતા હોત.
૬૫) બસ ! જ્યારે આ લોકો હોડીમાં સવારી કરે છે, તો અલ્લાહ તઆલાને જ પોકારે છે, નિખાલસતા સાથે, પછી જ્યારે તે (અલ્લાહ) તેમને ધરતી પર લાવે છે તો તરત જ અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવવા લાગે છે.
૬૬) જેથી અમારી આપેલી નેઅમતોનો ઇન્કાર કરે અને ફાયદો ઉઠાવતા રહે, થોડીક વાર માંજ ખબર પડી જશે.
૬૭) શું આ લોકો નથી જોતા કે અમે હરમ (મક્કા શહેર)ને શાંતિવાળું બનાવી દીધું છે, જો કે તેની આસ-પાસના લોકો અશાંત છે, શું આ લોકો અસત્યને તો માને છે અને અલ્લાહ તઆલાની નેઅમતોનો ઇન્કાર કરે છે.
૬૮) અને તેના કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે જે અલ્લાહ તઆલા પર જૂઠાણું બાંધે, અથવા જ્યારે તેની પાસે સત્ય આવી જાય તો તેનો ઇન્કાર કરે, શું આવા ઇન્કાર કરનારાઓનું ઠેકાણું જહન્નમ નહીં હોય ?
૬૯) અને જે લોકો અમારા માર્ગમાં તકલીફો સહન કરે છે, અમે તેમને અમારા માર્ગ જરૂર બતાવીશું, નિ:શંક અલ્લાહ તઆલા સદાચારી લોકોનો મિત્ર છે.
Icon