ترجمة سورة الحديد

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الحديد باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે (બધું જ) અલ્લાહના નામનું સ્મરણ કરી રહ્યા છે, તે મહાન, હિકમતવાળો છે.
૨) આકાશો અને ધરતીનું સામ્રાજ્ય તેનું જ છે. તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ પણ અને તે દરેક વસ્તુ પર શક્તિમાન છે.
૩) તે જ પ્રથમ છે અને તે જ છેલ્લે છે, તે જ ઝાહિર છે અને તે જ છૂપો અને તે દરેક વસ્તુને ખુબ જ સારી રીતે જાણે છે.
૪) તે (અલ્લાહ) જ છે જેણે આકાશો અને ધરતીનું છ દિવસમાં સર્જન કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થઇ ગયો, તે (ખૂબ જ) જાણે છે તે વસ્તુને જે જમીનમાં જાય અને જે તેમાંથી નીકળે અને જે આકાશ પરથી નીચે આવે અને જે કંઇ ચઢીને જાય અને જ્યાં પણ તમે છો તે તમારી સાથે છે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો (તેને) અલ્લાહ જોઇ રહ્યો છે
૫) આકાશો અને ધરતીનું સામ્રાજ્ય તેનું જ છે અને દરેક કાર્ય તેની જ તરફ મોકલવામાં આવે છે.
૬) તે જ રાત્રીને દિવસમાં ફેરવે છે અને તે જ દિવસને રાત્રીમાં ફેરવે છે અને હૃદયોના ભેદોને તે ખુબ જ સારી રીતે જાણે છે.
૭) અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવી દો અને ધન માંથી ખર્ચ કરો જેમાં અલ્લાહએ તમને (બીજાના) લાભાર્થી બનાવ્યા છે. બસ ! તમારા માંથી જે ઇમાન લાવે અને દાન કરે તેને પુષ્કળ સવાબ (પુણ્ય) મળશે.
૮) તમે અલ્લાહ પર ઇમાન કેમ નથી લાવતા ? જ્યારે કે પયગંબર પોતે તમને પોતાના પાલનહાર પર ઇમાન લાવવાનું કહે છે અને જો તમે ઇમાનવાળા હોય તો તે તો તમારાથી ઠોસ વચન પણ લઇ ચુકયા છે.
૯) તે (અલ્લાહ) જ છે જે પોતાના બંદા પર સ્પષ્ટ આયતો ઉતારે છે, જેથી તે તમને અંધકારથી પ્રકાશ તરફ લઇ જાય. નિ:શંક અલ્લાહ તઆલા તમારા પર નમ્રતા કરનાર અને દયા કરનાર છે.
૧૦) તમને શું થઇ ગયું છે કે તમે અલ્લાહના માર્ગમાં દાન નથી કરતા ? અસલમાં આકાશો અને ધરતીની વારસાઇ નો માલિક (એકલો) અલ્લાહ જ છે, તમારા માંથી જે લોકોએ વિજય પહેલા અલ્લાહના માર્ગમાં દાન કર્યુ છે અને યુધ્ધ કર્યુ છે તેઓ (બીજાના) જેવા નથી, પરંતુ તેઓ તેમના કરતા ઉત્તમ દરજ્જાવાળા છે, જેમણે વિજય પછી દાન કર્યુ અને જેહાદ કર્યુ. હાં સારા કર્મોનું વચન અલ્લાહએ તે સૌને કરેલું છે. જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખુબ સારી રીતે જાણે છે.
૧૧) કોણ છે જે અલ્લાહ તઆલાને સારી રીતે ઉધાર આપે, પછી અલ્લાહ તઆલા તેને તેના માટે વધારતો જાય છે અને તેના માટે મનપસંદ બદલો નક્કી થઇ જાય.
૧૨) (કયામતના) દિવસે તમે જોઇ લેશો કે ઇમાનવાળા પુરૂષો અને સ્ત્રીઓનો પ્રકાશ તેમના આગળ આગળ અને તેઓના જમણે દોડી રહ્યુ હશે. આજે તમને તે જન્નતોની શુભસુચના છે જેની નીચે નહેરો વહેતી છે, જેમાં હંમેશાનુ આવાસ છે, આ છે મોટી સફળતા.
૧૩) તે દિવસે ઢોંગી પુરૂષ અને સ્ત્રી ઇમાનવાળાઓને કહેશે કે અમારી પ્રતિક્ષા તો કરો, કે અમે પણ તમારા પ્રકાશથી કંઇ પ્રકાશ મેળવી લઇએ, જવાબ આપવામાં આવશે કે તમે પોતાની પાછળ ફરી જાવ અને પ્રકાશ શોધો, પછી તે બન્નેની વચ્ચે એક દિવાલ કરી દેવામાં આવશે, જેમાં બારણું પણ
હશે, તેના અંદરના ભાગમાં આનંદ
હશે અને બહારના ભાગમાં યાતના હશે.
૧૪) આ લોકો રાડો પાડીને તેમને (જન્નતીઓ ને) કહેશે કે શું અમે તમારી સાથે ન હતા, તેઓ કહેશે કે હા હતા તો ખરા પણ તમે પોતે વિદ્રોહી બની ગયા હતા અને પ્રતિક્ષા કરવામાં જ રહી ગયા અને શંકા કરતા રહ્યા અને તમને તમારા બેકારના શોખોએ ધોકા માં જ રાખ્યા, ત્યાં સૂધી કે અલ્લાહનો આદેશ આવી પહોંચ્યો અને તમને અલ્લાહ વિશે ધોકો આપનારે ધોકા માં જ રાખ્યા.
૧૫) બસ ! આજે તમારી પાસે ન તો ???? (અને ન તો બદલો) કબૂલ કરવામાં આવશે અને ન ઇન્કારીઓથી, તમારા (સૌ) નું ઠેકાણું જહન્નમ છે, તે જ તમારી દોસ્ત છે અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
૧૬) શું હજૂ સુધી ઇમાનવાળાઓ માટે સમય નથી આવ્યો કે તેઓના હૃદયો અલ્લાહની યાદમાં અને જે સત્ય માર્ગ અવતરિત થઇ ચુકયો છે તેનાથી નરમ થઇ જાય અને તેમના જેવા ન થઇ જાય જેમને તે પહેલા ગ્રંથ આપવામાં આવ્યો હતો પછી જ્યારે તેઓ પર એક લાંબો ગાળો પસાર થઇ ચુકયો તો તેમના હૃદયો સખત થઇ ગયા અને તેમનામાં ઘણાજ વિદ્રોહી છે.
૧૭) ખરેખર તમે જાણી લો કે અલ્લાહ જ ધરતીને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરી દે છે, અમે તો તમારા માટે અમારી આયતોનું વર્ણન કરી દીધું જેથી તમે સમજી લો.
૧૮) નિ:શંક દાન કરવાવાળા પુરૂષો અને સ્ત્રીઓ અને જે અલ્લાહને નિખાલસતાથી ઉધાર આપી રહ્યા છે તેઓ માટે તે વાધારવામાં આવશે, અને તેઓ માટે મનપસંદ સવાબ છે.
૧૯) અલ્લાહ અને તેના પયગંબર પર જે ઇમાન રાખે છે તે જ લોકો પોતાના પાલનહારની નજીક સાચા અને શહીદ છે, તેઓ માટે તેઓનો બદલો અને તેઓ માટે પ્રકાશ છે અને જે લોકો ઇન્કાર કરે
છે અને અમારી આયતોને જુઠલાવે છે તે જહન્નમી છે.
૨૦) જાણી લો કે દૂનિયાનું જીવન ફકત રમત-ગમત, શણગાર અને એક- બીજામાં અહંકાર અને ધન તથા સંતાનો બાબતે એક બીજાના દેખાદેખીમાં પોતાને શ્રેષ્ઠ બતાવવાનું છે, જેવી રીતે કે વરસાદ અને તેની પેદાવાર ખેડુતોને લુભાવે છે, પછી જ્યારે તે સુકી પડી જાય છે તો પીળા રંગમાં તમે તેને જૂઓ છો, પછી તે ચુરે ચુરા થઇ જાય છે. અને આખેરતમાં સખત યાતના અને અલ્લાહની માફી અને રજામંદી છે, અને દૂનિયાનું જીવન ફકત ધોકો જ છે, તે વગર કાંઇ નથી.
૨૧) (આવો) ભાગો પોતાના પાલનહારની ક્ષમા તરફ અને તેની જન્નતો તરફ તેની ચોડાઇ આકાશ અને ધરતીની ચોડાઇ જેટલી છે, આ તે લોકો માટે તૈયાર કરવામાં આવી છે જે અલ્લાહ અને તેના પયગંબરો પર ઇમાન ધરાવે છે. આ અલ્લાહની કૃપા છે જેને ઇચ્છે આપે અને અલ્લાહ ઘણો જ કૃપાળુ છે.
૨૨) કોઇ મુસીબત તમને અને તમારા જીવોને દૂનિયામાં નથી પહોંચતી પરંતુ તે પહેલા કે અમે તેને પેદા કરીએ, તે એક ખાસ પુસ્તકમાં લખેલી છે, આ (કાર્ય) અલ્લાહ માટે (ખૂબ જ) સરળ છે.
૨૩) જેથી તમે ન મળેલી વસ્તુ પર રંજ ન કરો અને ન તો આપેલી વસ્તુ પર ઇતરાઓ અને અહંકારીઓને અલ્લાહ પસંદ નથી કરતો.
૨૪) જે કંજૂસી કરે અને બીજાને (પણ) કંજૂસીની શિખામણ આપે, સાંભળો જે પણ મોઢું ફેરવે અલ્લાહ બેનિયાઝ અને પ્રશંસાને લાયક છે.
૨૫) નિ:શંક અમે અમારા પયગંબરોને ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા અને તેની સાથે પુસ્તક અને ત્રાજવું અવતરિત કર્યુ, જેથી લોકો ન્યાય પર અડગ રહે અને અમે લોખંડ ઉતાર્યુ જેમાં સખતાઇ અને તાકાત છે, અને લોકો માટે બીજા ઘણાં ફાયદા છે અને આ માટે પણ કે અલ્લાહ જાણી લે કે તેની અને તેના પયગંબરોની મદદ વણ દેખે
કોણ કરે છે, નિ:શંક અલ્લાહ તાકાતવર અને મહાન છે.
૨૬) નિ:શંક અમે નૂહ અને ઇબ્રાહીમ (અ.સ.) ને (પયગંબર બનાવી) મોકલ્યા અને અમે તે બન્નેની સંતાનોમાં પયગંબરી અને ગ્રંથો પરંપરિત રાખ્યા, તો તેમાંથી કેટલાકે તો સત્ય માર્ગ અપનાવ્યો અને તેમાંથી ઘણા જ અવજ્ઞાકારી રહ્યા.
૨૭) ત્યાર પછી પણ અમે અમારા પયગંબરોને એક પછી એક મોકલ્તા રહ્યા, અને તે પછી ઇસા બિન મરયમ (અ.સ.) ને મોકલ્યા, અને તેમને ઇન્જીલ આપી અને તેમના માનનારાઓના હૃદયોમાં દયા અને નમ્રતા પેદા કરી દીધી, હાં રહબાનિય્યત (સન્યાસી) તો તે લોકોએ પોતે બનાવી દીધી, અમે તેઓના પર જરૂરી નહતુ ઠેરવ્યુ, અલ્લાહની રજા સિવાય, તો તે લોકોએ તેનું પુરે પુરુ પાલન ન કર્યુ, તો પણ અમે તેઓના માંથી જે ઇમાન લાવ્યા હતા તેઓને તેનો બદલો આપ્યો અને તેમનામાં ઘણા લોકો અવજ્ઞાકારી હતા.
૨૮) હે લોકો જેઓ ઇમાન લાવ્યા છો અલ્લાહથી ડરતા રહો, અને તેના પયગંબર પર ઇમાન લાવો, અલ્લાહ તમને પોતાની કૃપાનો બમણો ભાગ આપશે, અને તમને પ્રકાશ આપશે, જેના પ્રકાશમાં તમે હરી- ફરી શકશો અને તમારા ગુનાહ પણ માફ કરી દેશે, અલ્લાહ ક્ષમા કરનાર, દયાળુ છે.
૨૯) આ એટલા માટે કે ગ્રંથવાળાઓ જાણી લે કે અલ્લાહની કૃપાના કોઇ ભાગમાં પણ તેઓને કંઇ અધિકાર નથી, અને (દરેક) કૃપા અલ્લાહના જ હાથમાં છે, તે જેને ઇચ્છે આપે, અને અલ્લાહ છે જ ઘણો કૃપાળુ.
Icon