ترجمة سورة المزّمّل

الترجمة الغوجراتية
ترجمة معاني سورة المزّمّل باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) હે ચાદર ઓઢનાર !
૨) રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું,
૩) અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો.
૪) અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર.
૫) નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું.
૬) નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે.
૭) હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે.
૮) તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો.
૯) પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો.
૧૦) અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.
૧૧) મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.
૧૨) નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે.
૧૩) અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે.
૧૪) જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.
૧૫) નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા.
૧૬) તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા.
૧૭) જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે.
૧૮) જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે.
૧૯) નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં.
૨૦) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે.
Icon