ترجمة سورة غافر

الترجمة الغوجراتية
ترجمة معاني سورة غافر باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) હા-મિમ્
૨) આ કિતાબનું અવતરણ તે અલ્લાહ તરફથી છે, જે વિજયી અને જાણવાવાળો છે.
૩) પાપોને માફ કરવાવાળો અને તૌબા કબૂલ કરવાવાળો, સખત યાતના આપનાર, ઇનામ આપનાર અને શક્તિશાળી, જેના સિવાય કોઇ પૂજ્ય નથી, તેની તરફ જ પાછા ફરવાનું છે.
૪) અલ્લાહ તઆલાની આયતો બાબતે તે જ લોકો ઝઘડો કરે છે જેઓ ઇન્કાર કરનાર છે, બસ ! તે લોકોનું શહેરમાં હરવું-ફરવું તમને ધોખો ન આપે.
૫) નૂહની કોમ અને તેમના પછીના જૂથોએ પણ જુઠલાવ્યું હતું અને દરેક કોમે પોતાના પયગંબરને કેદી બનાવવાનો વિચાર કર્યો અને અસત્યથી તકરાર કરવા લાગ્યા, જેથી તેઓ સત્યને બગાડી દે, બસ ! મેં તે લોકોને પકડી લીધા, તો મારા તરફથી કેવી સજા આવી.
૬) અને આવી જ રીતે તમારા પાલનહારનો આદેશ ઇન્કાર કરનારાઓ માટે સાબિત થઇ ગયો, કે તેઓ જહન્નમી લોકો છે.
૭) અર્શને ઉઠાવનારા અને તેની નજીકના ફરિશ્તા પોતાના પાલનહારની તસ્બીહ પ્રશંસા સાથે કરે છે અને તેના પર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફી માંગે છે, કહે છે કે, હે અમારા પાલનહાર ! તેં દરેક વસ્તુને પોતાની માફી અને જ્ઞાન વડે ઘેરાવમાં લઇ રાખી છે, બસ ! તું તેમને માફ કરી દે જેઓ તૌબા કરે અને તારા માર્ગનું અનુસરણ કરે અને તું તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લે.
૮) હે અમારા પાલનહાર ! તું તે લોકોને હંમેશા રહેવાવાળી જન્નતોમાં પ્રવેશ આપ, જેનું વચન તેં તેમને આપ્યું છે અને તેમના બાપ-દાદાઓ, તેમની પત્નીઓ અને સંતાન માંથી (પણ) તે (બધા) ને જેઓ સત્કાર્યો કરે છે, નિ:શંક તું વિજયી અને હિકમતવાળો છે.
૯) તેમને દુષ્કર્મોથી પણ સુરક્ષિત રાખ, સાચું તો એ છે કે તે દિવસે તેં જેમને દુષ્કર્મોથી બચાવી લીધા છે, તેના પર તેં કૃપા કરી અને ભવ્ય સફળતા આ જ છે.
૧૦) નિ:શંક જે લોકોએ ઇન્કાર કર્યો, તેમને પોકારવામાં આવશે કે ખરેખર તમારા પર અલ્લાહ તઆલાનું ગુસ્સે થવું, તમારા ગુસ્સા કરતા ઘણું વધારે છે, જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં આવતા હતા, ત્યારે તમે ઇન્કાર કરતા હતા.
૧૧) તેઓ કહેશે કે હે અમારા પાલનહાર ! તેં અમને બે વખત મૃત્યુ આપ્યું અને બે વખત જીવન આપ્યું, હવે અમે પોતાના અપરાધનો એકરાર કરીએ છીએ, તો શું હવે કોઇ રસ્તો છુટકારા માટે છે ?
૧૨) આ (યાતના) તમને એટલા માટે આપવામાં આવી છે કે, જ્યારે ફક્ત એક અલ્લાહને યાદ કરવામાં આવતો હતો, તો તમે ઇન્કાર કરતા હતા અને જો તેની સાથે કોઇને ભાગીદાર ઠેરાવતા તો, તમે માનતા હતા, બસ ! હવે નિર્ણય સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત અલ્લાહનો જ છે.
૧૩) તે જ છે, જે તમને પોતાની નિશાનીઓ બતાવે છે અને તમારા માટે આકાશ માંથી રોજી ઉતારે છે, શિખામણ તો ફક્ત તે જ લોકો પ્રાપ્ત કરે છે, જેઓ (અલ્લાહ તરફ) વિનમ્રતા દાખવે છે.
૧૪) તમે અલ્લાહને પોકારતા રહો, તેના માટે દીનને વિશિષ્ટ બનાવીને, ભલેને ઇન્કાર કરનારને ખરાબ લાગે.
૧૫) સર્વોચ્ચ, દરજ્જાવાળો અર્શનો માલિક, તે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેના પર વહી અવતરિત કરે છે, જેથી તે મુલાકાતના દિવસથી સચેત કરે.
૧૬) જે દિવસે સૌ લોકો જાહેર થઇ જશે, તેમની કોઇ વસ્તુ અલ્લાહથી છૂપી નહીં રહે, આજે કોની બાદશાહત છે ? ફક્ત એક-જબરદસ્ત અલ્લાહની જ.
૧૭) આજે દરેક જીવને તેની કરણીનું વળતર આપવામાં આવશે, આજે (કોઇ પણ પ્રકારનો) અત્યાચાર નહીં હોય, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ ઝડપથી હિસાબ લેશે.
૧૮) અને તેમને ખૂબ જ નજીક આવનારી (કયામતથી) સચેત કરી દો, જ્યારે હૃદય, ગળા સુધી પહોંચી જશે અને દરેક લોકો ચૂપ હશે, અત્યાચારી લોકોના ન તો કોઇ મિત્ર હશે અને ન કોઇ ભલામણ કરનાર હશે, કે જેમની વાત માનવામાં આવે.
૧૯) તે નજરોની ચોરી અને હૃદયોની છૂપી વાતોને (પણ) જાણે છે.
૨૦) અને અલ્લાહ તઆલા ન્યાય પૂર્વક ફેંસલો કરશે, તેના સિવાય, જેમને આ લોકો પોકારે છે, તે કોઇ પણ વસ્તુનો નિર્ણય કરી નથી શકતા. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે સાંભળે, જૂએ છે.
૨૧) શું આ લોકોએ ધરતી પર હરીફરીને જોયું નથી કે જે લોકો તેમનાથી પહેલા હતા તેમની દશા કેવી થઇ ? તે લોકો તેમના કરતા વધારે શક્તિશાળી હતા અને ધરતી પર પ્રબળ નિશાનીઓ મૂકી ગયા છે, બસ ! અલ્લાહએ તેમને તેમના પાપોના કારણે પકડી લીધા અને તેમને અલ્લાહના પ્રકોપથી બચાવનાર કોઇ ન હતું.
૨૨) આ એટલા માટે કે તેમની પાસે તેમના પયગંબર ચમત્કાર લઇને આવ્યા હતા, તો તેઓ ઇન્કાર કરતા હતા, બસ ! અલ્લાહ તેમને પકડી લેતો હતો, નિ:શંક તે શક્તિશાળી અને સખત યાતના આપનાર છે.
૨૩) અને અમે મૂસા અ.સ.ને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે મોકલ્યા.
૨૪) ફિરઔન, હામાન અને કારૂન તરફ, તો તે લોકોએ કહ્યું, (આ તો) જાદુગર અને જુઠ્ઠો છે.
૨૫) બસ ! જ્યારે તેમની પાસે (મૂસા અ.સ.) અમારા તરફથી સત્ય લઇને આવ્યા, તો તે લોકોએ કહ્યું કે આમની સાથે જે ઈમાનવાળાઓ છે, તેમના બાળકોને તો મારી નાંખો અને તેમની બાળકીઓને જીવિત રાખો અને ઇન્કાર કરનારાઓની જે યુક્તિ છે, તે ખોટી જ છે.
૨૬) અને ફિરઔને કહ્યું કે મને છોડી દો કે જેથી હું મૂસા અ.સ.ને કતલ કરી નાંખું અને તે તેના પાલનહારને પોકારે, મને ભય છે કે આ તમારો દીન ન બદલી નાંખે અથવા શહેરમાં કોઇ વિદ્રોહ ન ફેલાવે.
૨૭) મૂસા અ.સ.એ કહ્યું, કે હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું તે દરેક ઘમંડ કરનાર વ્યક્તિથી, જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો.
૨૮) અને એક ઈમાનવાળા વ્યક્તિએ, જે ફિરઔનના કુટુંબ માંથી હતો અને પોતાનું ઈમાન છૂપાવી રહ્યો હતો, કહ્યું કે શું તમે એક વ્યક્તિને ફક્ત આટલી વાત માટે કતલ કરો છો કે તે કહે છે, કે મારો પાલનહાર અલ્લાહ છે અને તમારા પાલનહાર તરફથી પુરાવા લઇને આવ્યો અને તે જુઠો હોય, તો તેનું જૂઠ તેના માટે જ છે અને જો તે સાચો હોય તો જે (યાતના)નું વચન તમારી સમક્ષ કરી રહ્યો છે, તેમાંથી કંઈક તો તમારા પર આવી પહોંચશે, અલ્લાહ તઆલા તેને માર્ગ નથી બતાવતો, જે અતિરેક કરનાર અને જુઠ્ઠા છે.
૨૯) હે મારી કોમના લોકો ! આજના દિવસે બાદશાહત તમારી છે, કે આ ધરતી પર તમે વિજયી છો, પરંતુ જો અલ્લાહનો પ્રકોપ અમારા પર આવી ગયો તો અમારી મદદ કરવાવાળો કોણ છે ? ફિરઔને કહ્યું, કે હું તો તમને તે જ સૂચન કરી રહ્યો છું, જે જોઇ રહ્યો છું અને હું તો તમને ભલાઇનો માર્ગ જ બતાવી રહ્યો છું.
૩૦) તે ઈમાનવાળાએ કહ્યું, હે મારી કોમના લોકો ! મને તો ભય છે કે તમારા પર પણ એવો દિવસ ન આવી જાય, જે દિવસ બીજી કોમના લોકો પર આવ્યો.
૩૧)જેવી કે નૂહ, આદ અને ષમૂદની કોમ તથા ત્યાર પછી આવનારી કોમોની (દશા થઇ), અલ્લાહ પોતાના બંદાઓ પર કોઇ પણ પ્રકારનો અત્યાચાર કરતો નથી.
૩૨) અને મને તમારા માટે શોર-બકોરના દિવસનો પણ ભય છે.
૩૩) જે દિવસે તમે પીઠ ફેરવી પાછા ફરશો, તમને અલ્લાહથી બચાવનાર કોઇ નહીં હોય અને જેને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે, તેને સત્ય માર્ગ બતાવનાર કોઇ નથી.
૩૪) અને આ પહેલા તમારી પાસે યૂસુફ પુરાવા લઇને આવ્યા, તો પણ તમે તેમના લાવેલા (પુરાવા)માં શંકા કરતા રહ્યા, ત્યાં સુધી કે જ્યારે તેમનું મૃત્યુ થઇ ગયું તો કહેવા લાગ્યા, તેમના પછી અલ્લાહ કોઇ પયગંબરને મોકલશે જ નહીં, આવી જ રીતે અલ્લાહ તઆલા તે દરેક વ્યક્તિને પથભ્રષ્ટ કરે છે, જે હદ વટાવી જનાર અને શંકા કરવાવાળો હોય.
૩૫) જેઓ કોઇ પુરાવા વગર જે તેમની પાસે આવ્યા છે,અલ્લાહની આયતોમાં ઝઘડો કરે છે, અલ્લાહ અને ઈમાનવાળાઓની નજીક આ ખૂબ જ નારાજગીની વાત છે, અલ્લાહ તઆલા આવી જ રીતે દરેક અહંકારી અને વિદ્રોહીના હૃદય પર મહોર લગાવી દે છે.
૩૬) ફિરઔને કહ્યું, હે હામાન ! મારા માટે એક ઊંચી જગ્યા બનાવ, કદાચ હું આકાશના જે દ્વાર છે,
૩૭) (તે) દ્વાર સુધી પહોંચી શકુ અને મૂસાના પૂજ્યને જોઇ શકુ અને નિ:શંક હું તેને જુઠ્ઠો સમજું છું અને આવી જ રીતે ફિરઔનનું ખરાબ વર્તન તેને સારું લાગવા લાગ્યું અને માર્ગથી રોકી દેવામાં આવ્યો અને ફિરઔનના (દરેક) બહાના વ્યર્થ થઇ ગયા.
૩૮) અને તે ઈમાનવાળા વ્યક્તિએ કહ્યું, કે હે મારી કોમના લોકો ! તમે મારું અનુસરણ કરો, હું સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ.
૩૯) હે મારી કોમના લોકો ! આ દુનિયાનું જીવન ખતમ થવાનું છે અને નિ:શંક હંમેશા રહેવાવાળું ઘર તો આખેરતનું જ છે.
૪૦) જેણે અપરાધ કર્યો છે, તેના માટે સરખો બદલો છે અને જેણે સત્કાર્ય કર્યા છે, ભલેને પુરુષ હોય અથવા સ્ત્રી અને તેઓ ઈમાન ધરાવતા હોય, તો આવા લોકો જન્નતમાં જશે અને ત્યાં પુષ્કળ રોજી મેળવશે.
૪૧) હે મારી કોમ ! કેવી વાત છે કે હું તમને છુટકારા તરફ બોલાવી રહ્યો છું અને તમે મને જહન્નમ તરફ બોલાવી રહ્યા છો.
૪૨) તમે મને અલ્લાહનો ઇન્કાર કરવાનું કહી રહ્યા છો અને તેનો ભાગીદાર ઠેરવવાનું કહી રહ્યા છો, જેનું જ્ઞાન મારી પાસે નથી અને હું તમને વિજયી, માફ કરનાર (પૂજ્ય) તરફ બોલાવી રહ્યો છું.
૪૩) આ ચોક્કસ વાત છે કે તમે મને જેની તરફ બોલાવી રહ્યા છો, તેઓ ન તો દુનિયામાં પોકારવાને લાયક છે અને ન આખેરતમાં અને એ કે આપણે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે અને હદ વટાવી જનારા લોકો જ જહન્નમી છે.
૪૪) બસ ! આગળ જતા તમે મારી વાતોને યાદ કરશો, હું મારો મુકદ્દમો અલ્લાહને સોંપુ છું. નિ:શંક અલ્લાહ તઆલા બંદાઓની દેખરેખ રાખનાર છે.
૪૫) બસ ! તેમને અલ્લાહ તઆલાએ દરેક યુક્તિઓથી બચાવી લીધા, જે તે લોકોએ વિચાર્યું હતું અને ફિરઔનવાળાઓ પર સખત પ્રકોપ આવી પહોંચ્યો.
૪૬) આગ છે, જેની સામે આ લોકોને પ્રત્યેક સવાર-સાંજ લાવવામાં આવે છે અને જે દિવસે કયામત આવી જશે, (કહેવામાં આવશે કે) ફિરઔનના લોકોને સખત યાતનામાં નાંખો.
૪૭) અને જ્યારે જહન્નમમાં એકબીજા સાથે ઝઘડો કરશે તો નબળા લોકો અહંકારી લોકોને કહેશે કે અમે તો તમારું આજ્ઞાપાલન કરતા હતા, તો શું હવે તમે અમારા પરથી આગનો કોઇ ભાગ દૂર કરી શકો છો.
૪૮) તે અહંકારી લોકો જવાબ આપશે કે આપણે સૌ આ આગમાં છે, અલ્લાહ તઆલા પોતાના બંદાઓ વચ્ચે નિર્ણય કરી ચૂક્યો છે.
૪૯) અને (દરેક) જહન્નમી લોકો ભેગા મળી, જહન્નમના ચોકીદારોને કહેશે કે તમે જ પોતાના પાલનહારને દુઆ કરો કે કોઇ દિવસ તો અમારી યાતનામાં ઘટાડો કરે.
૫૦) તે જવાબ આપશે, કે શું તમારી પાસે તમારા પયગંબર ચમત્કાર લઇ નહતા આવ્યા ? તેઓ કહેશે કેમ નહીં, તેઓ કહેશે કે, પછી તમે જ દુઆ કરો અને ઇન્કાર કરનારાઓની દુઆ વ્યર્થ થઇ જશે.
૫૧) નિ:શંક અમે પોતાના પયગંબરોની અને ઈમાનવાળાઓની મદદ દુનિયાના જીવનમાં પણ કરીશું અને તે દિવસે પણ, જ્યારે સાક્ષી આપનારા ઊભા થશે.
૫૨) જે દિવસે અત્યાચારીઓને તેમની માફીનું બહાનું કંઈ ફાયદો નહીં પહોંચાડે, તેમના માટે લઅનત (ફિટકાર) જ હશે અને તેમના માટે ખરાબ ઘર હશે.
૫૩) અમે મૂસા અ.સ.ને સત્ય માર્ગ બતાવ્યો અને ઇસ્રાઇલના સંતાનને તે કિતાબના વારસદાર બનાવ્યા.
૫૪) કે તે સત્ય માર્ગદર્શન અને શિખામણનો સ્ત્રોત હતી, બુદ્ધિશાળી લોકો માટે.
૫૫) બસ ! હે પયગંબર તમે ધીરજ રાખો, નિ:શંક અલ્લાહનું વચન સાચું છે, તમે પોતાના પાપોની માફી માંગતા રહો. અને સવાર-સાંજ પોતાના પાલનહારની તસ્બીહ અને પ્રશંસા કરતા રહો.
૫૬) જે લોકો પોતાની પાસે કોઇ પુરાવા ન હોવા છતાં, અલ્લાહની આયતો બાબતે ઝઘડો કરે છે, તેમના હૃદયોમાં અહંકાર સિવાય કંઈ નથી, તેઓ ત્યાં સુધી પહોંચવાના નથી, તો તમે અલ્લાહનું શરણ માંગતા રહો, નિ:શંક તે સંપૂર્ણ સાંભળનાર અને સૌથી વધારે જોવાવાળો છે.
૫૭) આકાશ અને ધરતીનું સર્જન, ખરેખર, માનવીના સર્જન કરતા ઘણું મોટું કાર્ય છે, પરંતુ ઘણા લોકો અજ્ઞાની છે.
૫૮) દૃષ્ટિહીન અને જોનાર સરખા નથી, અને જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેઓ દુરાચારી (જેવા નથી). તમે (ખૂબ જ) ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.
૫૯) નિ:શંક કયામત આવશે જ, પરંતુ ઘણા લોકો ઈમાન નથી લાવતા.
૬૦) અને તમારા પાલનહારનો આદેશ છે કે મારી પાસે દુઆ કરો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે હમણાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે.
૬૧) અલ્લાહ તઆલાએ તમારા માટે રાત બનાવી, કે તમે તેમાં આરામ કરો અને દિવસને પ્રકાશિત બનાવ્યો, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે કૃપાળુ અને દયાળુ છે. પરંતુ ઘણા લોકો આભાર નથી માનતા.
૬૨) આ જ અલ્લાહ છે, સૌનો પાલનહાર, દરેક વસ્તુનો સર્જનહાર, તેના સિવાય કોઇ પૂજ્ય નથી, પછી તમે ક્યાં જઇ રહ્યા છો ?
૬૩) આવી જ રીતે તે લોકોને પણ ફેરવવામાં આવ્યા, જેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા હતા.
૬૪) અલ્લાહ જ છે, જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત બનાવ્યું અને તમારા ચહેરા બનાવ્યા અને ખૂબ જ સુંદર બનાવ્યા અને તમને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, બસ ! ખૂબ જ બરકતવાળો અલ્લાહ છે, સમગ્ર સૃષ્ટિનો પાલનહાર.
૬૫) તે જ જીવંત છે, તેના સિવાય કોઇ પૂજ્ય નથી, બસ ! તમે નિખાલસતાથી તેની બંદગી કરતા તેને પોકારો. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
૬૬) તમે કહી દો કે મને તેમની બંદગીથી રોકી દેવામાં આવ્યો, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, એટલા માટે કે, મારી પાસે મારા પાલનહારના પુરાવા આવી ગયા છે, મને એ આદેશ આપવામાં આવ્યો છે કે હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનું અનુસરણ કરવાવાળો બની જઉં.
૬૭) તે જ છે, જેણે તમારું સર્જન માટી વડે, પછી ટીપાં વડે, પછી જામેલા લોહી વડે કર્યું, પછી તમને બાળકના રૂપમાં જનમ આપે છે, પછી (તમારો વિકાસ કરે છે), તમે પુખ્તવયે પહોંચી જાવ, પછી વૃદ્ધ બની જાવ, તમારા માંથી કેટલાક આ પહેલાં જ મૃત્યુ પામે છે, (તે તમને છોડી દે છે) જેથી તમે નક્કી કરેલ સમય સુધી પહોંચી જાવ અને જેથી તમે વિચાર કરી લો.
૬૮) તે જ છે, જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, પછી જ્યારે તે કોઇ કામ કરવા ઇચ્છે છે, તો ફક્ત આટલું જ કહે છે કે થઇ જા, બસ તે થઇ જાય છે.
૬૯) શું તમે તેમને નથી જોયા, જે અલ્લાહની આયતો વિશે ઝઘડો કરે છે, તેઓ ક્યાં ફેરવવામાં આવે છે ?
૭૦) જે લોકોએ કિતાબનો ઇન્કાર કર્યો અને તેનો પણ, જેને અમે અમારા પયગંબરો સાથે મોકલ્યું, તેમને હમણાં જ સત્યતાની ખબર પડી જશે.
૭૧) જ્યારે તેમના ગળામાં પટ્ટા હશે અને સાંકળો હશે, ઘસડવામા આવશે.
૭૨) ઉકળતા પાણીમાં અને પછી જહન્નમની આગમાં બાળવામાં આવશે,
૭૩) પછી તેમને પૂછવામાં આવશે કે જેમને તમે ભાગીદાર ઠેરવતા હતા તેઓ ક્યાં છે ?
૭૪) જેઓ અલ્લાહ સિવાય (પૂજ્યો) હતા, તેઓ કહેશે કે તે તો અમારાથી અળગા થઇ ગયા, પરંતુ અમે તે પહેલા કોઇને પણ પોકારતા ન હતા, અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓને આવી જ રીતે પથભ્રષ્ટ કરે છે.
૭૫) આ બદલો છે તે વસ્તુનો, જેમાં તમે ધરતી પર મગ્ન હતા અને ઈતરાતા હતા.
૭૬) (હવે આવો) જહન્નમમાં હંમેશા રહેવા માટે, (તેના) દ્વારોમાં દાખલ થઇ જાવ, કેટલી ખરાબ જગ્યા છે ઘમંડ કરનારાઓ માટે.
૭૭) બસ ! તમે ધીરજ રાખો, અલ્લાહનું વચન ખરેખર સાચું છે, તેમને અમે જે વચન આપ્યું છે, તેમાંથી થોડુંક બતાવીએ અથવા (તે પહેલા) અમે તમને મૃત્યુ આપીએ, તેમને અમારી તરફ જ પાછા ફરવાનું છે.
૭૮) નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ ચમત્કાર અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે.
૭૯) અલ્લાહ તે છે, જેણે તમારા માટે ઢોર બનાવ્યા, જેમાંથી કેટલાકની તમે સવારી કરો છો અને કેટલાકને તમે ખાઓ છો.
૮૦) તમારા માટે બીજા ઘણાં ફાયદા આમાં છે, જેથી પોતાના હૃદયમાં છુપાયેલી જરૂરતોને તેમના પર જ સવારી કરી તમે મેળવી લો અને તે ઢોરો પર અને હોડીમાં મુસાફરી કરો છે.
૮૧) અલ્લાહ તમને પોતાની નિશાનીઓ બતાવે છે, બસ ! તમે અલ્લાહની કેવી કેવી નિશાનીઓને નકારશો.
૮૨)શું તે લોકોએ ધરતી પર હરીફરીને પોતાનાથી પહેલાના લોકોની દશા નથી જોઇ ? જેઓ તેમના કરતા સંખ્યામાં વધારે હતા, શક્તિશાળી અને ધરતી પર ઘણા બધાં ભવ્ય અવશેષો છોડી ગયા છે, તેમના તે કાર્યોએ કંઈ ફાયદો ન પહોંચાડ્યો.
૮૩) બસ ! જ્યારે પણ તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા, તો આ લોકો પોતાની પાસેના જ્ઞાન પર ઇતરાવા લાગ્યા, છેવટે જે વસ્તુની મશ્કરી કરતા હતા, તે જ તેમના પર આવી ગઇ.
૮૪) અમારો પ્રકોપ જોઇ કહેવા લાગ્યા, કે એક અલ્લાહ પર અમે ઈમાન લાવ્યા અને જે જે લોકોને અમે તેના ભાગીદાર ઠેરવતા રહ્યા, તે સૌનો ઇન્કાર કર્યો.
૮૫) પરંતુ અમારા પ્રકોપને જોઇ લીધા પછી તેમનું ઈમાન લાવવું કંઈ ફાયદાકારક સાબિત ન થયું, અલ્લાહનો આ જ નિયમ છે, જે તેના બંદાઓ પર લાગુ છે અને તે જગ્યા પર ઇન્કાર કરનારાઓ નુકસાનમાં પડી ગયા.
Icon