ترجمة سورة آل عمران

الترجمة الغوجراتية
ترجمة معاني سورة آل عمران باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

અલીફ્-લામ્-મીમ્
અલ્લાહ તઆલા તો તે છે જેના સિવાય કોઇ પુજવાને લાયક નથી જે જીવિત અને સૌને સંભાળી રાખનાર છે.
જેણે તમારા પર સત્યની સાથે આ કિતાબ અવતરિત કરી, જે પોતાનાથી પહેલાની (કિતાબોની) પુષ્ટી કરનારી છે, તેણે (અલ્લાહ) જ તે પહેલા તૌરાત અને ઇન્જિલને અવતરિત કરી હતી.
આ પહેલા લોકોને માર્ગદર્શન આપવા માટે અને કુરઆન પણ તેણે (અલ્લાહ) જ અવતરિત કર્યુ, જે લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરે છે તેઓ માટે સખત યાતના છે અને અલ્લાહ વિજયી, બદલો લેવાવાળો છે.
નિંશંક અલ્લાહ તઆલાથી ધરતી અને આકાશની કોઇ વસ્તુ છૂપી નથી.
તે માઁ ના પેટમાં તમારા મૂખોને જેવી રીતે ઇચ્છે છે તેવી રીતે બનાવે છે, તેના સિવાય કોઇ સાચો પુજ્ય નથી, તે વિજયી છે, હિકમતવાળો છે.
તે જ અલ્લાહ તઆલા છે જેણે તમારા પર કિતાબ અવતરિત કરી જેમાં ખુલ્લી,પ્રબળ આયતો છે, જે કિતાબનો સરળ ભાગ છે અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, વિદ્રોહની ઇચ્છા અને તેમની મનેચ્છાઓની શોધ માટે, પરંતુ તેઓની સાચી ઇચ્છાને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર ઇમાન લાવી ચુકયા, આ અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે.
હે અમારા પાલનહાર ! અમને માર્ગદર્શન આપ્યા પછી અમારા હૃદયોને ગેરમાર્ગે ન દોરીશ અને અમને તારી પાસેથી કૃપા આપ, નિંશંક તું જ ઘણું જ આપનાર છે.
હે અમારા પાલનહાર ! તું ખરેખર લોકોને એક દિવસ ભેગા કરવાવાળો છે, જેના આવવામાં કોઇ શંકા નથી, નિંશંક અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો.
ઇન્કારીઓને તેઓનું ધન અને તેઓના સંતાનો અલ્લાહ તઆલા (ની યાતના) થી છોડાવવામાં કંઇ કામ નહી લાગે, આ તો જહન્નમના ઇંધણ જ છે.
જેવું કે ફિરઔનના સંતાનોની સ્થિતી થઇ અને તેઓની જે તેઓ પહેલા હતા, તેઓએ અમારી આયતોને જુઠલાવી, પછી અલ્લાહ તઆલાએ પણ તેઓને તેઓના પાપોના કારણે પકડી લીધા અને અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે.
ઇન્કારીઓને કહી દો કે તમે નજીક માંજ પરાસ્ત થઇ જશો અને જહન્નમ તરફ ભેગા કરવામાં આવશો અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
નિંશંક તમારા માટે શીખ હતી તે બન્ને જૂથોમાં જે ભળી ગયા હતા, એક જૂથ તો અલ્લાહ તઆલાના માર્ગમાં લડી રહ્યું હતું અને બીજું જૂથ ઇન્કારીઓનું હતું, તે તેઓને પોતાની આંખો વડે પોતાનાથી બમણા જોઇ રહ્યા હતા અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાની મદદ વડે મજબુત કરે છે, નિંશંક આમાં આંખોવાળા માટે મોટી શીખ છે.
ઇચ્છનીય વસ્તુઓની મોહબ્બત લોકો માટે શણગારવામાં આવી છે, જેવી રીતે સ્ત્રીઓ, સંતાનો, સોના-ચાંદીના ભેગા કરેલા દાગીનાઓ, નિશાનદાર ઘોડાઓ, જાનવરો, અને ખેતી, આ દૂનિયાના જીવનનો સામાન છે, અને પાછા ફરવા માટે સારૂ ઠેકાણુ તો અલ્લાહ તઆલા પાસે જ છે.
તમે કહી દો કે શું હું તમને આના કરતા ઘણી ઉત્તમ વસ્તુ બતાવું ? ડરવાવાળાઓ માટે તેઓના પાલનહાર પાસે જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે અને પવિત્ર પત્નિઓ અને અલ્લાહ તઆલાની પ્રસન્નતા છે, દરેક બંદાઓ અલ્લાહની દેખરેખ હેઠળ છે.
જે કહે છે કે હે અમારા પાલનહાર ! અમે ઇમાન લાવ્યા એટલા માટે અમારા ગુના માફ કરી દેં અને અમને આગની યાતનાથી બચાવી લેં.
આ લોકો ધીરજ રાખનાર, સત્ય બોલનારા, આજ્ઞાકારી લોકો, અલ્લાહના માર્ગમાં ખર્ચ કરનારા અને રાતના પાછલા ભાગમાં માફી માંગનારા છે.
અલ્લાહ તઆલા, ફરિશ્તાઓ અને જ્ઞાનવાળા તે વાતની સાક્ષી આપે છે કે અલ્લાહ તઆલા સિવાય કોઇ પુજવાને લાયક નથી અને તે હંમેશા ન્યાય કરનાર છે, તે વિજયી અને હિકમતવાળા સિવાય કોઇ બંદગીને લાયક નથી.
નિંશંક અલ્લાહ તઆલાની નજીક દીન ઇસ્લામ જ છે અને કિતાબવાળાઓએ પોતાની પાસે જ્ઞાન આવી ગયા છતાં અંદર અંદર વિદ્રોહ અને ઇર્ષ્યાના કારણે જ વિરોધ કર્યો છે અને અલ્લાહ તઆલાની આયતોની સાથે જે કોઇ ઇન્કાર કરે અલ્લાહ તઆલા તેનો નજીક માંજ હિસાબ લેનાર છે.
તો પણ આ લોકો તમારી સાથે ઝઘડો કરે તો તમે કહી દો કે હું અને મારુ અનુસરણ કરનારાઓએ અલ્લાહ તઆલાની સમક્ષ પોતાનું મસ્તક ઝુકાવી દીધું છે અને કિતાબવાળાઓને અને અભણ લોકોને કહી દો કે શું તમે પણ અનુસરણ કરો છો ? બસ ! આ લોકો પણ અનુસરણ કરતા થઇ જાય તો સત્યમાર્ગ વાળાઓ છે અને જો આ લોકો મોઢું ફેરવે તો તમારા શિરે ફકત પહોંચાડી દેવાનું છે અને અલ્લાહ તઆલા બંદાઓની સારી રીતે દેખરેખ કરી રહ્યો છે.
જે લોકો અલ્લાહ તઆલાની આયતો નો ઇન્કાર કરે છે અને કારણ વગર પયગંબરોને કત્લ કરી નાખે છે અને જે લોકો ન્યાય ની વાત કરે છે તેઓને પણ કત્લ કરી નાખે છે, તો હે પયગંબર ! તેઓને દુંખદાયી યાતનાની ખબર આપી દો.
તેઓના કાર્યો દુનિયા અને આખેરત (પરલોક ) માં બેકાર છે અને તેઓને કોઇ મદદ કરનાર નથી
શું તમે તેઓને નથી જોયા જેઓને એક ભાગ કિતાબનો આપવામાં આવ્યો તેઓને પોતાના અંદર અંદરના પરિણામ માટે અલ્લાહ તઆલાની કિતાબ તરફ બોલાવવામાં આવે છે, તો પણ તેઓનું એક જૂથ મોઢું ફેરવી પાછા ફરી જાય છે.
તેનું કારણ તેઓનું એવું કહેવું છે કે અમને તો ગણતરીના દિવસ જ આગમાં રહેવાનું છે, તેઓની ઘડી કાઢેલી વાતોએ તેઓને તેઓના દીન વિશે ધોકામાં રાખ્યા છે.
બસ ! શું સ્થિતી હશે જ્યારે કે અમે તેમને તે દિવસે ભેગા કરીશું ? જેના આવવામાં કોઇ શંકા નથી અને દરેક વ્યક્તિને પોતાનો પુરેપુરો બદલો આપવામાં આવશે અને તેઓ પર અત્યાચાર કરવામાં નહી આવે.
તમે કહી દો કે હે અલ્લાહ ! હે સમ્રગ સૃષ્ટિના સર્જનહાર ! તું જેને ઇચ્છે સરદારી આપે અને જેની પાસેથી ઇચ્છે તેની પાસેથી સરદારી છીનવી લેં અને તું જેને ઇચ્છે ઇઝઝત આપે અને જેને ઇચ્છે અપમાનિત કરી દેં, તારા જ હાથમાં દરેક ભલાઇ છે, નિંશંક તું દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
તું જ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં લઇ જાય છે, તું જ નિર્જીવ માંથી સજીવનું સર્જન કરે છે અને તું જ સજીવ માંથી નિર્જીવનું સર્જન કરે છે, તું જ છે કે જેને ઇચ્છે છે પુષ્કળ રોજી આપે છે.
ઇમાનવાળાઓ ઇમાનવાળાઓને છોડીને ઇન્કારીઓને પોતાના મિત્ર ન બનાવે અને જે આવું કરશે તે અલ્લાહ તઆલાની દેખરેખ હેઠળ નહી રહે, પરંતુ એ કે તેઓના દુર્વ્યહારથી બચવા માટે (મિત્ર બનાવી શકો છો). અને અલ્લાહ તઆલા પોતે તમને પોતાની હસ્તીથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે.
કહી દો કે ભલેને તમે પોતાના હૃદયોની વાતોને છૂપી રાખો અથવા તો જાહેર કરો અલ્લાહ તઆલા જાણે છે, આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે બધું જ તેને ખબર છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
જે દિવસે દરેક જીવ (વ્યક્તિ) પોતાના કરેલા સદકાર્યોને અને પોતાના દુષ્કર્મોને પામી લેશે, ઇચ્છા કરશે કે કદાચ ! તેના અને દુષ્કર્મોના વચ્ચે ઘણું જ અંતર હોત, અલ્લાહ તઆલા તમને પોતાની હસ્તી થી ડરાવી રહ્યો છે અને અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર ઘણો જ કૃપાળુ છે.
કહી દો કે જો તમે અલ્લાહથી મોહબ્બત રાખો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ તઆલા પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુના માફ કરી દેશે અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, દયાળુ છે.
કહી દો કે અલ્લાહ તઆલા અને પયગંબરનું અનુસરણ કરો, જો આ લોકો મોઢું ફેરવી લેં તો નિંશંક અલ્લાહ તઆલા ઇન્કારીઓને મોહબ્બત નથી કરતો.
નિંશંક અલ્લાહ તઆલાએ સમ્રગ સૃષ્ટિના લોકો માંથી આદમ (અ.સ.), નૂહ (અ.સ.), ઇબ્રાહીમ (અ.સ.) ના કુટુંબીઓ અને ઇમરાન ના કુટુંબીઓને પસંદ કરી લીધા.
કે આ સૌ અંદર અંદર એકબીજાની પેઢી માંથી છે અને અલ્લાહ તઆલા સાંભળનાર, જાણનાર છે.
જ્યારે ઇમરાન ની પત્નિએ કહ્યું કે હે મારા પાલનહાર ! મારા ગર્ભમાં જે કંઇ છે તેને મેં તારા નામે અર્પણ કરવાની નઝર માની, તું મારા તરફથી કબુલ કર, નિંશંક તું સારી રીતે સાંભળનાર અને સારી રીતે જાણનાર છે.
જ્યારે બાળકીને જનમ આપ્યો તો કહેવા લાગી કે પાલનહાર ! મને તો બાળકી થઇ, અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે કે કોણ જન્મયું છે અને બાળક-બાળકી સમાન નથી, મેં તેનું નામ મરયમ રાખ્યું, હું તેને અને તેના સંતાનને ધુતકારેલા શેતાનથી તારા શરણમાં આપુ છું.
બસ ! તેને તેના પાલનહારે ઉત્તમ રીતે કબુલ કરી અને તેનું ભરણ-પોષણ ઉત્તમ રીતે કર્યુ, તેના ખબર અંતર માટે ઝકરીયા (અ.સ.) ને બનાવ્યા, જ્યારે પણ ઝકરીયા (અ.સ.) તેણીના કમરામાં જતાં તેણીની પાસે રોજી જોતા, તે સવાલ કરતા હે મરયમ ! આ રોજી તમારી પાસે કયાંથી આવી ? તે જવાબ આપતી કે આ અલ્લાહ તઆલા પાસેથી છે, નિંશંક અલ્લાહ તઆલા જેને ઇચ્છે પુષ્કળ રોજી આપે છે.
તે જ જ્ગ્યા પર ઝકરીયા (અ.સ.) એ પોતાના પાલનહાર પાસે દુઆ કરી, કહ્યું કે હે મારા પાલનહાર ! મને પોતાની પાસેથી પવિત્ર સંતાન આપ, નિંશંક તું દુઆને સાંભળનાર છે.
બસ ! ફરિશ્તાઓએ તેમને પોકાર્યા જ્યારે કે તે કમરામાં ઉભા રહી નમાઝ પઢી રહ્યા હતા, કે અલ્લાહ તઆલા તમને યહ્યાની ખરેખરી શુભસુચના આપી રહ્યો છે, જે અલ્લાહ તઆલાના કલમાની પુષ્ટી કરનાર, સરદાર અને જીવ પર કાબુ રાખનાર અને પયગંબર છે. સદાચાર લોકો માંથી.
કહેવા લાગ્યા હે મારા પાલનહાર ! મારે ત્યાં બાળકનો જનમ કેવી રીતે થશે ? હું તો ખુબ જ વૃધ્ધ થઇ ગયો છું અને મારી પત્નિ વંધ્યા સ્ત્રી છે, કહ્યું આવી જ રીતે અલ્લાહ તઆલા જે ઇચ્છે છે કરે છે.
કહેવા લાગ્યા કે પાલનહાર ! મારા માટે આની કોઇ નિશાની નક્કી કરી દેં, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તમે લોકો સાથે વાત નહી કરી શકો, ફકત ઇશારાથી સમજાવશો, તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ વધારે કરો અને સવાર-સાંજ તેના જ નામનું સ્મરણ કરતા રહો.
અને જ્યારે ફરિશ્તાઓએ કહ્યું હે મરયમ ! અલ્લાહ તઆલાએ તમને ચુંટી લીધા અને તમને પવિત્ર કરી દીધા અને સમ્રગ સૃષ્ટિની સ્ત્રીઓ માંથી તમને ચુંટી લીધા.
હે મરયમ ! તમે પોતાના પાલનહારની બંદગી કરો અને સિજદો કરો અને રૂકુઅ કરવાવાળા સાથે રૂકુઅ કરો.
આ અદ્રશ્યની વાતો માંથી છે, જેને અમે તમારી તરફ વહી દ્વારા પહોંચાડીએ છીએ, તમે તેઓની પાસે ન હતા જ્યારે કે તેઓ પોતાની કલમ નાખી રહ્યા હતા કે મરયમને આમાંથી કોણ પામશે ? અને ન તો તેઓના ઝગડા વખતે તમે ત્યાં હતા.
જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે હે મરયમ ! અલ્લાહ તઆલા તમને પોતાના એક કલ્માની શુભસુચના આપી રહ્યો છે, જેનું નામ મસીહ, મરયમના દીકરા ઇસા છે, જે દુનિયા અને આખેરત (પરલોક) માં ઇઝઝતવાળા છે અને તે મારા પસંદ કરેલાઓમાંથી છે.
તે લોકો સાથે બાળપણમાં પારણામાં વાતો કરશે અને વૃધ્ધાવસ્થામાં પણ. અને તે સદાચારી લોકો માંથી હશે.
કહેવા લાગી અલ્લાહ મને બાળક કેવી રીતે થશે ? જ્યારે કે મને તો કોઇ માનવીએ હાથ પણ નથી લગાવ્યો, ફરિશ્તાઓએ કહ્યું આવી જ રીતે અલ્લાહ તઆલા જે ઇચ્છે છે તે પેદા કરે છે. જ્યારે પણ તે કોઇ કાર્યને કરવા ઇચ્છે છે તો ફકત આવું કહી દે છે કે થઇ જા તો તે થઇ જાય છે.
અલ્લાહ તઆલા તેને લખવાનું, હિકમત, તૌરાત અને ઇન્જિલ શિખવાડશે.
અને તે ઇસ્રાઇલના સંતાનો તરફ પયગંબર હશે, કે હું તમારી પાસે તમારા પાલનહારની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પંખીના જેવું માટીનું પક્ષી બનાવું છું, પછી તેમાં ફુંક મારૂ છું, તો તે અલ્લાહ તઆલાના આદેશથી પક્ષી બની જાય છે અને અલ્લાહ તઆલાના આદેશથી હું પેદાઇશી આંધળાને અને કોઢીને સાજો કરી દઉં છું અને મૃતકોને જીવિત કરૂ છું અને જે કંઇ તમે ખાવો અને જે કંઇ પોતાના ઘરોમાં સંગ્રહ કરો છો હું તમને જણાવી દઉં છું, આમાં તમારા માટે મોટી નિશાની છે. જો તમે ઇમાનવાળા હોય.
અને હું તૌરાતની પુષ્ટી કરવાવાળો છું, જે મારી સામે છે અને હું એટલા માટે આવ્યો છું કે તમારા પર કેટલીક તે વસ્તુ હલાલ કરૂ જે તમારા પર હરામ કરી દેવામાં આવી છે અને હું તમારી પાસે તમારા પાલનહારની નિશાની લાવ્યો છું, એટલા માટે તમે અલ્લાહ તઆલાથી ડરતા રહો અને મારૂ અનુસરણ કરતા રહો.
યકીન રાખો ! મારો અને તમારો પાલનહાર અલ્લાહ તઆલા જ છે, તમે સૌ તેની જ બંદગી કરો, આ જ સત્ય માર્ગ છે.
પરંતુ જ્યારે ઇસા (અ.સ.) ને તેઓના ઇન્કારનો આભાસ થવા લાગ્યો તો કહેવા લાગ્યા અલ્લાહ તઆલાના માર્ગમાં મારી મદદ કરવાવાળા કોણ કોણ છે ? હવારીઓએ (મદદકરનાર) જવાબ આપ્યો કે અમે અલ્લાહ તઆલાના માર્ગના મદદ કરનાર છે, અમે અલ્લાહ તઆલા પર ઇમાન લાવ્યા અને તમે સાક્ષી રહેજો કે અમે અનુસરણ કરનાર છે.
હે અમારા પાલનહાર ! અમે તે અવતરિત કરેલી વહી પર ઇમાન લાવ્યા અને અમે તારા પયગંબરનું અનુસરણ કર્યું. બસ ! તું અમને સાક્ષીઓ માંથી લખી લે.
અને ઇન્કારીઓએ ષડયંત્ર રચ્યું અને અલ્લાહ તઆલાએ પણ છૂપી ચાલ રચી અને અલ્લાહ તઆલા દરેક છૂપી ચાલ રચનારા કરતા ઉત્તમ છે.
જ્યારે અલ્લાહ તઆલાએ કહ્યું કે હે ઇસા ! હું તમને પુરે પુરો લેવાનો છું અને તને મારી તરફ ઉઠાવી લઇશ અને તને ઇન્કારીઓથી પવિત્ર કરીશ અને તારૂ અનુસરણ કરનારાઓને ઇન્કારીઓ પર વિજય આપીશ, કયામતના દિવસ સુધી, પછી તમારે દરેકે મારી જ તરફ પાછા ફરવાનું છે, હું જ તમારા અંદર અંદરના મતભેદોનો ફેસલો કરીશ.
પછી ઇન્કારીઓને તો હું દૂનિયા અને આખેરતમાં સખત યાતના આપવાનો છું, અને તેઓની મદદ કરનાર કોઇ નહી હોય.
પરંતુ ઇમાનવાળાઓ અને સદકાર્ય કરવાવાળાઓને અલ્લાહ તઆલા તેઓનું ફળ પુરેપુરૂ આપશે અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને મોહબ્બત નથી કરતો.
આ જે અમે તમારી સમક્ષ પઢી રહ્યા છે આયતો છે અને હિકમતથી ભરેલી શિખામણો છે.
અલ્લાહ તઆલાની પાસે ઇસા (અ.સ.)નું ઉદાહરણ આદમ (અ.સ.) જેવું જ છે, જેમને માટીથી બનાવી કહી દીધું કે થઇ જા બસ ! તે થઇ ગયા.
તારા પાલનહાર તરફથી સત્ય આ જ છે, ખબરદાર શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જતા.
એટલા માટે જે વ્યક્તિ તમારી પાસે આ જ્ઞાન આવી ગયા છતાં પણ તમારી સાથે આ બાબતે ઝઘડો કરે તો તમે કહી દો કે આવો ! અમે અને તમે પોત પોતાના સંતાનોને તથા અમે અને તમે પોત-પોતાની સ્ત્રીઓને તથા અમે અને તમે પોત-પોતાના જીવોને ખાસ કરીને બોલાવી લઇએ, પછી આપણે નમ્રતાથી દરખાસ્ત કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની લઅનત (ફીટકાર) કરીએ.
નિંશંક ફકત આ જ સાચી વાત છે અને કોઇ સાચો પૂજય નથી અલ્લાહ તઆલા સિવાય અને નિંશંક વિજયી અને હિકમતવાળો અલ્લાહ તઆલા જ છે.
પછી પણ જો ન સ્વીકારે તો અલ્લાહ તઆલા પણ ખુલ્લી રીતે વિદ્રોહીઓને જાણનાર છે.
તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે, કે આપણે અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ, ન તો અલ્લાહ તઆલાને છોડીને અંદર અંદર એકબીજાને જ પુજ્ય બનાવીએ, બસ ! જો તેઓ મોઢું ફેરવી લેં તો તમે કહી દો કે સાક્ષી રહો અમે તો મુસલમાન છે.
કિતાબવાળાઓ ! તમે ઇબ્રાહીમ (અ.સ.) વિશે કેમ ઝગડો કરી રહ્યા છો, જ્યારે કે તૌરાત અને ઇન્જીલ તો તેમના પછી અવતરિત કરવામાં આવી, શું તમે તે પણ નથી સમજતા ?
સાંભળો ! તમે લોકો જેમાં ઝગડો કરી ચુકયા જેના વિશે તમને જ્ઞાન હતું, હવે તે બાબતે કેમ ઝગડી રહ્યા છો જેનું તમને જ્ઞાન જ નથી ? અને અલ્લાહ તઆલા જાણે છે અને તમે નથી જાણતા.
ઇબ્રાહીમ (અ.સ.) ન યહુદી હતા અને ન તો ઇસાઇ હતા, પરંતુ તે તો સાચા મુસલમાન હતા. તે મુશરિક પણ ન હતા.
દરેક લોકો કરતા ઇબ્રાહીમ (અ.સ.) થી નજીક તે લોકો છે જેમણે તેમનું કહ્યું માન્યું અને તે પયગંબર અને જે લોકો ઇમાન લાવ્યા, ઇમાનવાળાઓનો દોસ્ત અને સહારો અલ્લાહ તઆલા જ છે.
કિતાબવાળાઓનું એક જૂથ ઇચ્છે છે કે તમને પથભ્રષ્ટ કરી દેં, પરંતુ તે પોતે પોતાને પથભ્રષ્ટ કરી રહ્યા છે અને સમજતા નથી.
હે કિતાબવાળાઓ ! તમે (માની લેવા છતા) ઇરાદાપૂર્વક અલ્લાહ ની આયતો નો ઇન્કાર કેમ કરી રહ્યા છો ?
હે કિતાબવાળાઓ ! જાણવા છતાં સત્ય અને અસત્યનું મિશ્રણ કેમ કરો છો અને કેમ સત્યને છૂપાવી રહ્યા છો ?
અને કિતાબવાળાના એક જૂથે કહ્યું કે જે કંઇ ઇમાનવાળા પર અવતરિત કરવામાં આવ્યું તેના પર દિવસે ઇમાન લાવો છો અને સાંજના સમયે ઇન્કારી બની જાવ છો, જેથી આ લોકો પણ ફરી જાય.
તમારા દીનનું અનુસરણ કરનારા સિવાય બીજા કોઇનો વિશ્ર્વાસ ન કરો, તમે કહી દો કે નિંશંક સત્યમાર્ગ તો ફકત અલ્લાહનો જ છે, (અને આ પણ કહે છે કે તેની વાત પર પણ વિશ્ર્વાસ ન કરો) કે કોઇને તેના જેવું આપવામાં આવે જેવું તમને આપવામાં આવ્યું છે, અથવા તો એ કે આ લોકો તમારા પાલનહાર સાથે ઝઘડો કરશે, તમે કહી દો કે કૃપા તો અલ્લાહ તઆલાના જ હાથમાં છે. તે જેને ઇચ્છે તેને આપે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જાણનાર છે.
તે પોતાની દયા જેના પર ઇચ્છે ખાસ કરી દેં અને અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે.
કેટલાક કિતાબવાળા તો એવા છે જો તેઓને ખજાનાના જવાબદાર બનાવી દેં તો પણ તેઓ તમને પરત કરી દેશે અને તેઓ માંથી કેટલાક એવા પણ છે જો તમે તેઓને એક દિનાર પણ આપો-અમાનત રૂપે, તો તમને પરત ન કરે. હાઁ આ અલગ વાત છે કે તમે તેઓના માથા પર જ ઉભા રહો અથવા તો એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા પર તે અભણોના અધિકારનો કોઇ ગુનો નથી, આ લોકો જાણવા છતાં અલ્લાહ પર જુઠાણું બાંધે છે.
કેમ નહી (પકડ થશે) જો કે જે વ્યક્તિ પોતાનું વચન પુરૂ કરે અને ડરવા લાગે તો અલ્લાહ તઆલા પણ આવા ડરવાવાળાઓને મોહબ્બત કરે છે.
નિંશંક જે લોકો અલ્લાહ તઆલાના વચન અને પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખેરતમાં કોઇ ભાગ નથી, અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે, ન તો તેઓની તરફ કયામત ના દિવસે જોશે, ન તો તેઓને પવિત્ર કરશે અને તેઓ માટે દુંખદાયી યાતના છે.
નિંશંક તેઓમાં એક એવું જૂથ પણ છે જે કિતાબ પઢતા-પઢતા પોતાની જીભને મરડી નાખે છે જેથી તમે તેને કિતાબનું જ લખાણ સમજો, પરંતુ ખરેખર તે કિતાબ (કુરઆન) નું લખાણ નથી અને તેઓ કહે પણ છે કે તે અલ્લાહ તઆલા તરફથી છે, પરંતુ ખરેખર તે અલ્લાહ તઆલા તરફથી નથી, તે તો ખુલ્લી રીતે અલ્લાહ તઆલા પર જુઠાણું બાંધે છે.
કોઇ એવા વ્યક્તિને જેને અલ્લાહ તઆલા કિતાબ, હિકમત અને પયગંબરી આપે, તો પણ શક્ય નથી કે તે લોકોને કહે કે તમે અલ્લાહ તઆલાને છોડીને મારા બંદાઓ બની જાઓ, પરંતુ તે તો કહેશે કે તમે સૌ પાલનહારના બની જાઓ, તમારા કિતાબ શીખવાડવાના કારણે અને તમારા કિતાબ પઢવાના કારણે.
અને આ નથી (થઇ શકતું) કે તે તમને ફરિશ્તાઓ અને પયગંબરોને પાલનહાર બનાવી લેવા માટે આદેશ આપે, શું તે તમારા મુસલમાન થઇ જવા છતાં ઇન્કાર કરવાનો આદેશ આપશે ?
જ્યારે અલ્લાહ તઆલાએ પયગંબરો પાસેથી વચન લીધું કે જે કંઇ હું તમને કિતાબ અને હિકમત આપું પછી તમારી પાસે તે પયગંબર આવી જાય જે તમારી પાસેની વસ્તુઓને સત્ય ઠેરાવતો હોય, તો તમારા માટે તેના પર ઇમાન લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે, કહ્યું કે તમે તેના સમર્થક છો અને તેના પર મારી જવાબદારી ઉપાડો છો ? સૌએ કહ્યું કે અમને મંજુર છે, કહ્યું તો હવે સાક્ષી બનીને રહો અને હું પોતે પણ તમારી સાથે સાક્ષીઓ માંથી છું.
બસ ! તે પછી પણ જે પાછો ફરે તે નિંશંક ખુલ્લો અવજ્ઞાકારી છે.
શું તે અલ્લાહ તઆલા દીન સિવાય બીજા દીનની શોધમાં છે, જો કે દરેક આકાશોવાળા અને દરેક ધરતીવાળા અલ્લાહ તઆલાના જ આજ્ઞાકારી છે, રાજી હોય અથવા ન હોય, સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશે.
તમે કહી દો કે અમે અલ્લાહ તઆલા અને જે કંઇ અમારા પર અવતરિત કરવામાં આવ્યું છે અને જે કંઇ ઇબ્રાહીમ (અ.સ.), ઇસ્માઇલ (અ.સ.), યાકૂબ (અ.સ.) અને તેઓના સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું અને જે કંઇ મૂસા (અ.સ.), ઇસા (અ.સ.), અને બીજા પયગંબરોને અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યું. તે સૌ પર ઇમાન લાવ્યા. અમે તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા અને અમે અલ્લાહ તઆલાના આજ્ઞાકારી છે.
જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહી આવે અને આખેરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.
અલ્લાહ તઆલા તે લોકોને કેવી રીતે સત્યમાર્ગ આપશે જે પોતાના ઇમાન લાવવા અને પયગંબરની સત્યતાની સાક્ષી આપવા અને પોતાની પાસે ખુલ્લા પુરાવા આવી ગયા છતાં ઇન્કારી બની જાય છે. અલ્લાહ તઆલા આવા અન્યાયી લોકોને સત્યમાર્ગ નથી બતાવતો.
તેઓની આ જ સજા છે કે તેઓ પર અલ્લાહ તઆલાની, ફરિશ્તાઓની અને દરેક લોકોની લઅનત (ફીટકાર) થાય.
જેમાં તેઓ હંમેશા પડી રહેશે, ન તો તેઓની યાતનાને સરળ બનાવવામાં આવશે અને ન તો મોહલત આપવામાં આવશે.
પરંતુ જે લોકો આ પછી તૌબા અને સુધારો કરી લેં તો નિંશંક અલ્લાહ માફ કરનાર કૃપાળુ છે.
નિંશંક જે લોકો પોતાના ઇમાન લાવવા પછી ઇન્કાર કરે પછી ઇન્કારમાં વધી જાય તેઓની તૌબા કદાપિ કબુલ કરવામાં નહી આવે, આ જ પથભ્રષ્ટ લોકો છે.
હાઁ જે લોકો ઇન્કાર કરે અને મૃત્યુ સુધી ઇન્કારી બનીને રહે, તેઓ માંથી જો કોઇ ધરતી ભરીને સોનું આપે ભલે ને મુક્તિદંડ હોય તો પણ કદાપિ કબુલ કરવામાં નહી આવે. આ જ લોકો છે જેમના માટે દુંખદાયી યાતના છે, અને જેઓની મદદ કરનાર કોઇ નથી.
જ્યાં સુધી તમે પોતાની મનપસંદ વસ્તુને અલ્લાહના માર્ગમાં ખર્ચ નહી કરો ત્યાં સુધી ભલાઇ નહી પામો. અને જે કંઇ તમે ખર્ચ કરો તેને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે.
તૌરાત ના અવતરણ પહેલા યાકૂબ (અ.સ.) એ જે વસ્તુને પોતાના ઉપર હરામ કરી દીધી હતી તે સિવાય દરેક ભોજન ઇસ્રાઇલના સંતાનો પર હલાલ હતું. તમે કહી દો કે જો તમે સાચા છો તો તૌરાત લઇ આવો અને વાંચી સંભળાવો.
તે પછી પણ જે લોકો અલ્લાહ તઆલા પર જુઠાણું બાંધે તે જ અત્યાચારી છે.
કહી દો કે અલ્લાહ તઆલા સાચો છે, તમે સૌ ઇબ્રાહીમ હનીફ ના તરીકાનું અનુસરણ કરો, જે મુશરિક ન હતા.
અલ્લાહ તઆલાનું પ્રથમ ઘર જે લોકો માટે નક્કી કરવામાં આવ્યું તે જ છે જે મક્કામાં છે, જે સમ્રગ સૃષ્ટિના લોકો માટે બરકત અને સત્યમાર્ગનું કારણ છે.
જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, મકામે ઇબ્રાહીમ છે, તેમાં જે આવી જાય સુરક્ષિત થઇ જાય છે, અલ્લાહ તઆલાએ તે લોકો પર જે તેની તરફ માર્ગ પામી શકે છે તેના માટે આ ઘરનું હજ્જ કરવું જરૂરી કરી દીધું છે, અને જે કોઇ ઇન્કાર કરે તો અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેપરવા છે.
તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! તમે અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કેમ કરો છો ? જે કંઇ તમે કરો છો અલ્લાહ તઆલા તેના પર સાક્ષી છે.
તે કિતાબવાળાઓને કહો કે તમે અલ્લાહ તઆલાના માર્ગથી લોકોને કેમ રોકો છો ? અને તેમાં ખામીઓ શોધો છો, જો કે તમે પોતે સાક્ષી છો અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી.
હે ઇમાનવાળાઓ ! જો તમે કિતાબવાળાઓના કોઇ જૂથની વાતોને માનશો તો તે તમને તમારા ઇમાન લાવ્યા પછી ઇન્કારી બનાવી દેશે.
(જો કે ખુલ્લુ છે કે) તમે કેવી રીતે ઇન્કાર કરી શકો છો, તમારા પર અલ્લાહ તઆલાની આયતો પઢવા છતાં, અને તમારી સાથે પયગંબર સ.અ.વ. હાજર છે, જે વ્યક્તિ અલ્લાહ તઆલા (ના દીન) ને મજબુતીથી પકડી લેં, તો નિંશંક તેને સત્યમાર્ગ બતાવી દેવામાં આવ્યો.
હે ઇમાનવાળાઓ ! અલ્લાહ તઆલાથી તેટલું ડરો જેટલું તેનાથી ડરવું જોઇએ. અને મૃત્યુ પામ્યા સુધી મુસલમાન જ રહેજો.
અલ્લાહ તઆલાની દોરીને સૌ મળી મજબુતીથી પકડી લો અને ભાગલા ન પાડો અને અલ્લાહ તઆલાની તે સમયની કૃપાને યાદ કરો જ્યારે તમે એકબીજાના શત્રુ હતા, તો તેણે તમારા હૃદયોમાં મોહબ્બત ભરી દીધી, બસ ! તમે તેની કૃપાથી ભાઇ ભાઇ બની ગયા, અને તમે આગના ઘડાની નજીક પહોંચી ગયા હતા તો તેણે તમને બચાવી લીધા, અલ્લાહ તઆલા આવી જ રીતે તમારા માટે પોતાની નિશાની બયાન કરે છે, જેથી તમે સત્યમાર્ગ પામો.
તમારા માંથી એક જૂથ એવું હોવું જોઇએ જે ભલાઇ તરફ બોલાવે અને સદકાર્યોનો આદેશ આપે અને ખરાબ કાર્યોથી રોકે અને આજ લોકો કામયાબ થશે.
તમે તે લોકો જેવા ન થઇ જતા જે લોકોએ પોતાની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા છતાં ભાગલા પાડયા, અને મતભેદ કર્યો, તે જ લોકો માટે મોટી યાતના છે.
જે દિવસે કેટલાક મુખો સફેદ હશે અને કેટલાક કાળા, કાળા મુખોવાળાઓ ! (ને કહેવામાં આવશે) શું તમે ઇમાનલાવ્યા પછી ઇન્કાર કર્યો ? હવે પોતાના ઇન્કારનો સ્વાદ ચાખો.
અને સફેદ મુખોવાળાઓ અલ્લાહની કૃપામાં પ્રવેશ કરશે અને તેમાં હંમેશા રહેશે.
હે પયગંબર ! અમે તે સત્ય આયતોનું પઠન તમારી સમક્ષ કરી રહ્યા છે અને અલ્લાહ તઆલા લોકો પર અત્યાચાર કરવાનું નથી ઇચ્છતો.
અલ્લાહ તઆલા માટે જ છે જે કંઇ આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ તઆલા તરફ જ દરેક કાર્ય મોકલવામાં આવે છે.
તમે ઉત્તમ જૂથ છો, જે લોકો માટે બનાવવામાં આવ્યા છે, કે તમે સદકાર્યનો આદેશ આપો છો અને ખરાબ વાતોથી રોકો છો અને અલ્લાહ તઆલા પર ઇમાન રાખો છો, જો કિતાબવાળા પણ ઇમાન લાવતા તો તેઓ માટે સારૂ હોત, તેઓમાં ઇમાનવાળાઓ પણ છે, પરંતુ વધારે પડતા લોકો વિદ્રોહી છે.
આ તમને સતાવવા સિવાય વધારે નુકસાન પહોંચાડી શકતા નથી, જો યુધ્ધ કરવાનો સમય આવી જાય તો પીઠ બતાવશે, પછી તેઓની મદદ કરવામાં નહી આવે.
તેઓ દરેક જગ્યા પર અપમાનિત કરવામાં આવશે, સિવાય એ કે અલ્લાહ તઆલાની અથવા લોકોના શરણમાં હોય, આ લોકો અલ્લાહના ગુસ્સાના હકદાર બની ગયા અને તેઓ પર લાચારી નાખી દેવામાં આવી, આ એટલા માટે કે આ લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને કારણ વગર પયગંબરોને કત્લ કરતા હતા, આ બદલો છે અવજ્ઞાકારીઓ અને અત્યાચારીઓ નો.
આ બધા જ સરખા નથી, પરંતુ તે કિતાબવાળાઓમાં એક જૂથ (સત્ય પર) અડગ રહેવાવાળું પણ છે, જે રાત્રિના સમયે અલ્લાહની કિતાબનું પઠન અને સિજદા પણ કરે છે.
આ લોકો અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન પણ રાખે છે, સદકાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કાર્યોથી રોકે છે અને ભલાઇના કાર્યોમાં જલ્દી કરે છે, આ સદાચારી લોકો છે.
આ લોકો જે કંઇ પણ ભલાઇ કરે તેઓની નાકદરી કરવામાં નહી આવે અને અલ્લાહ તઆલા ડરવાવાળાઓને ખુબ સારી રીતે જાણે છે.
ઇન્કારીઓને તેઓનું ધન અને તેઓના સંતાન અલ્લાહ પાસે કંઇ કામ નહી આવે, આ તો જહન્નમી લોકો છે, તેમાં જ પડયા રહેશે.
આ ઇન્કારીઓ જે ખર્ચ કરે તેનું ઉદાહરણ આ રીતે છે કે એક ઝડપી હવા ચાલી જેમાં હિમ વરસે, જે અત્યાચારીઓના ખેતર ઉપર પડી અને તેને નષ્ટ કરી દીધું, અલ્લાહ તઆલાએ તેઓ પર અત્યાચાર નથી કર્યો, પરંતુ એ લોકો પોતે પોતાના જીવો પર અત્યાચાર કરતા હતા.
હે ઇમાનવાળાઓ ! તમે ઇમાનવાળા સિવાય બીજાને સાચા મિત્ર ન બનાવો (તમે તો) જોતા નથી, બીજા લોકો તમને ખતમ કરવામાં કોઇ કસર નથી છોડતા, તેઓ ઇચ્છે છે કે તમે દુંખી થાવ, તેઓની શત્રુતા તો તેઓની જબાન વડે જાહેર થઇ ગઇ છે અને જે તેઓના હૃદયોમાં છૂપું છે તે ઘણું જ વધારે છે, અમે તમારા માટે આયતોનું વર્ણન કરી દીધું.
જો બુધ્ધીશાળી હોય (તો ચિંતન કરો) હાઁ તમે તેઓથી મોહબ્બત કરો છો અને તે તમારાથી નથી કરતા, તમે સંપુર્ણ કિતાબનું અનુસરણ કરો છો (તેઓ અનુસરણ નથી કરતા, પછી મોહબ્બત કેવી ?) તેઓ તમારી સામે ઇમાનનો એકરાર કરે છે, પરંતુ એકાંતમાં ગુસ્સાના કારણે આંગળીઓ ચાવે છે, કહી દો કે તમારા ગુસ્સામાં જ મૃત્યુ પામો, અલ્લાહ તઆલા હૃદયોના ભેદોને ખુબ સારી રીતે જાણે છે.
તમને જો ભલાઇ મળે તો આ લોકો દુંખી થાય છે, હાઁ જો બુરાઇ મળે તો ખુશ થાય છે, તમે જો ધીરજ રાખો અને ડરવાવાળા બની જાવ તો તેઓનું કપટ તમને કંઇ નુકસાન નહી પહોંચાડે, અલ્લાહ તઆલાએ તેઓના કાર્યોનો ઘેરાવ કરી રાખ્યો છે.
હે પયગંબર ! તે સમયને પણ યાદ કરો જ્યારે પરોઢમાં તમે પોતાના ઘરેથી નીકળી મુસલમાનોને યુધ્ધના મેદાનમાં યુધ્ધના મોરચા પર શીસ્તબધ્ધ બેસાડી રહ્યા હતા, અલ્લાહ તઆલા સાંભળનાર, જાણનાર છે.
જ્યારે તમારા બન્ને જૂથ પોતાને કમજોર સમજવા લાગ્યા, અલ્લાહ તઆલા તેઓનો દોસ્ત અને મદદ કરનાર છે અને તેની પવિત્ર હસ્તી પર ઇમાનવાળાઓએ વિશ્ર્વાસ કરવો જોઇએ.
બદરના યુધ્ધ વખતે અલ્લાહ તઆલાએ ઠીક તે સમયે તમારી મદદ કરી હતી જ્યારે કે તમે ઘણી જ નબળી સ્થિતીમાં હતા, એટલા માટે અલ્લાહથી જ ડરતા રહો, જેથી તમે આભારી બનો.
જ્યારે તમે ઇમાનવાળાઓને દિલાસો આપી રહ્યા હતા, શું આકાશ માંથી ત્રણ હજાર ફરિશ્તાઓ ઉતારી અલ્લાહ તઆલાની તમને મદદ કરવી તમારા માટે પુરતી નહી થાય.
કેમ નહી પરંતુ જો તમે ધીરજ રાખો અને ડરવા લાગો અને આ લોકો તે જ સમયે તમારી પાસે આવી જાય તો તમારો પાલનહાર તમારી મદદ પાંચ હજાર ફરિશ્તાઓ વડે કરશે, જે નિશાનવાળા હશે.
અને આ તો ફકત તમારી હૃદયની ખુશી અને હૃદયની શાંતી માટે છે, જોકે મદદ તો અલ્લાહ તઆલા તરફથી જ છે, જે વિજયી અને હિકમતવાળો છે.
(તે અલ્લાહ તરફથી મદદ કરવાનો હેતુ આ હતો કે અલ્લાહ) ઇન્કારીઓના એક જૂથને કાપી નાખે અથવા તો તેઓને અપમાનિત કરી નાખે અને (બધા જ) અપમાનિત થઇ પાછા ફરી જાય.
હે પયગંબર ! તમારા હાથમાં કંઇ નથી અલ્લાહ તઆલા ઇચ્છે તો તેઓની તૌબા કબુલ કરે અથવા તો યાતના આપે, કારણ કે તેઓ અત્યાચારી છે.
આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે બધું અલ્લાહનું જ છે, તે જેને ઇચ્છે તેને માફ કરે જેને ઇચ્છે તેને યાતના આપે, અલ્લાહ તઆલા માફ કરનાર, કૃપાળુ છે.
હે ઇમાનવાળાઓ ! વધારીને વ્યાજ ન ખાઓ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેથી તમને મુક્તિ મળે.
અને તે આગથી ડરો, જે ઇન્કારીઓ માટે તૈયાર કરવામાં આવી છે.
અને અલ્લાહ અને તેના પયગંબરના આજ્ઞાકારી બનો, જેથી તમારા પર દયા કરવામાં આવે.
અને પોતાના પાલનહારની માફી તરફ અને તે જન્નત તરફ ભાગો જેની ચોડાઇ આકાશો અને ધરતી બરાબર છે, જે ડરવાવાળાઓ માટે તૈયાર કરવામાં આવી છે.
જે લોકો ખુશહાલી અને તંગીમાં પણ અલ્લાહ ના માર્ગમાં ખર્ચ કરે છે, ગુસ્સો પીવાવાળા અને લોકોને માફ કરવાવાળા છે, અલ્લાહ તઆલા તે સદાચારી લોકોથી મોહબ્બત કરે છે.
જ્યારે તેઓથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનો કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. નિંશંક અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાને માફ કરી શકે છે ? અને તે લોકો જ્ઞાન આવી ગયા પછી કોઇ ખરાબ કૃત્ય પર અડગ નથી રહેતા.
તેઓનો બદલો તેઓના પાલનહાર તરફથી માફી છે અને જન્નતો છે જેની નીચે નહેરો વહી રહી છે જેમાં તેઓ હંમેશા રહેશે. તે સદકાર્ય કરવાવાળા લોકો માટે કેટલો સારો ષવાબ છે.
તમારા પહેલા પણ આવા કીસ્સાઓ થઇ ગયા છે, તો ધરતીમાં હરી ફરીને જોઇ લો કે જુઠલાવવાળાઓની કેવી દશા થઇ ?
સામાન્ય લોકો માટે તો આ (કુરઆન) બયાન છે અને ડરવાવાળાઓ માટે માર્ગદર્શન અને શિખામણ છે.
તમે ના સુસ્તી કરો અને ન તો ઉદાસ થાવ, તમે જ વિજય પ્રાપ્ત કરશો જો તમે ઇમાનવાળાઓ છો.
જો તમે ઘાયલ થયા હોય તો તમારા વિરોધી લોકો પણ આવી જ રીતે ઘાયલ થઇ ગયા છે, અમે તે દિવસોને લોકો માટે બદલતા રહીએ છીએ, (ઉહદ યુધ્ધની હાર) એટલા માટે હતી કે ઇમાનવાળાઓ જાહેર કરી દેં અને તમારા માંથી કેટલાકને શહીદનો દરજ્જો આપીએ, અલ્લાહ તઆલા અત્યાચારીઓથી મોહબ્બત નથી કરતો.
(આ કારણ પણ હતું) કે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને તદ્દન અલગ કરી દેં અને ઇન્કારીઓને ખતમ કરી દેં.
શું તમે સમજી બેઠા છો કે તમે જન્નતમાં જતા રહેશો જો કે અત્યાર સુધી અલ્લાહ તઆલાએ આ જાહેર નથી કર્યુ કે તમારા માંથી જેહાદ કરવાવાળા કોણ લોકો છે અને ધીરજ કરવાવાળા કોણ છે ?
યુધ્ધ પહેલા તો તમે શહીદ થવાની ઇચ્છા કરતા હતા, હવે તેને પોતાની આંખોથી પોતાની સામે જોઇ લીધું.
મુહમ્મદ સ.અ.વ. ફકત પયગંબર જ છે, તેમના પહેલા ઘણા પયગંબરો થઇ ચુકયા છે, શું જો તે મૃત્યુ પામે અથવા તો તે શહીદ થઇ જાય તો તમે ઇસ્લામ માંથી પોતાની એડી વડે ફરી જશો ? અને જે પણ ફરી જાય પોતાની એડીઓ વડે તે કદાપિ અલ્લાહ તઆલાનું કંઇ બગાડી શકવાનો નથી, નજીક માંજ અલ્લાહ તઆલા આભારીઓને સારૂ વળતર આપશે.
અલ્લાહ ના આદેશ વગર કોઇ જીવ નથી મરી શકતું, નક્કી કરેલ સમય લખેલ છે, દુનિયાથી મુહબ્બત કરવાવાળાઓને અમે થોડીક દુનિયા આપી દઇએ છીએ અને આખેરતનો સવાબ ઇચ્છતા લોકોને અમે તે પણ આપીશું, અને ઉપકાર કરવાવાળાઓને અમે નજીક માંજ સારૂ વળતર આપીશું.
કેટલાય પયગંબરો સાથે મળી ઘણા અલ્લાહવાળા જેહાદ કરી ચુકયા છે, તેઓને પણ અલ્લાહના માર્ગમાં તકલીફ પડી, પરંતુ ન તો તેઓ હિમ્મત હાર્યા ન તો આળસુ બની ગયા અને ન તો તેમણે કમજોરી દાખવી અને અલ્લાહ ધીરજ રાખનારને (જ) પસંદ કરે છે.
તે આવું જ કહેતા રહ્યા કે હે પાલનહાર ! અમારા ગુનાને માફ કરી દેં અને અમારા કાર્યોમાં જે વધારાનો અત્યાચાર થયો છે તેને પણ માફ કરી દેં અને અમને અડગ રાખ અને ઇન્કારીઓના જૂથ સામે અમારી મદદ કર.
અલ્લાહ તઆલાએ તેઓને દુનિયાનું ફળ પણ આપ્યું અને આખેરતના ફળની શ્રેષ્ઠતા પણ આપી અને અલ્લાહ તઆલા સદાચારી લોકોથી મોહબ્બત કરે છે.
હે ઇમાનવાળાઓ ! જો તમે ઇન્કારીઓની વાતોને માનશો તો તે તમને તમારી એડીઓ વડે પાછા ફેરવી દેશે, પછી તમે નિષ્ફળ થઇ જશો.
પરંતુ અલ્લાહ જ તમારો દોસ્ત છે અને તે જ ઉત્તમ મદદ કરનાર છે.
અમે નજીક માંજ ઇન્કારીઓના હૃદયોમાં ભય નાખી દઇશું, તે કારણે કે આ લોકો અલ્લાહ સાથે તે વસ્તુઓને ભાગીદાર ઠેરવે છે જેના કોઇ પુરાવા અલ્લાહ તઆલાએ નથી ઉતાર્યા, તેઓનું ઠેકાણું જહન્નમ છે. અને તે અત્યાચારી લોકોનું ખરાબ ઠેકાણું છે.
અલ્લાહ તઆલાએ તમારી સાથેનું પોતાનું વચન સાચું કરી બતાવ્યું, જ્યારે કે તમે તેના આદેશથી તેમને કાપી રહ્યા હતા, અહીં સુધી કે જ્યારે તમે કમજોરી દાખવી અને કાર્યમાં ઝગડો કરવા લાગ્યા અને અવજ્ઞા કરી, તે પછી કે તેણે (અલ્લાહ) તમારી મનેચ્છાની વસ્તુ તમને બતાવી. તમારા માંથી કેટલાક દુનિયા ઇચ્છતા હતા, અને કેટલાકનો ઇરાદો આખેરતનો હતો, તો પછી તેણે (અલ્લાહ) તમને તેમનાથી ફેરવી નાખ્યા જેથી તમારી કસોટી કરીએ અને નિંશંક તેણે (અલ્લાહ) તમારી ભુલોને માફ કરી દીધી અને ઇમાનવાળાઓ માટે અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે.
જ્યારે કે તમે ભાગદોડ કરી રહ્યા હતા અને તમે કોઇની તરફ ધ્યાન પણ નહતા કરતા, અને અલ્લાહ તઆલાના પયગંબર તમને તમારી પાછળથી અવાજ આપી રહ્યા હતા, બસ ! તમને ઉદાસી પહોંચી, જેથી તમે છુટી ગયેલી વસ્તુ પર ઉદાસ ન થાઓ, અને ન પહોંચનારી (તકલીફ) પર ઉદાસ થાઓ, અલ્લાહ તઆલાને તમારા દરેક કાર્યોની જાણ છે.
ત્યારબાદ તેણે (અલ્લાહ) તે ઉદાસી પછી તમારા પર શાંતી ઉતારી અને તમારા માંથી એક જૂથને શાંતિની ઉંઘ આવવા લાગી, હાઁ કેટલાક તે લોકો પણ હતા તેઓને પોતાના જીવોની પડી હતી, તે અલ્લાહ તઆલા વિશે ખોટી આશંકાઓ સેવી રહ્યા હતા અને કહેતા હતા શું અમને પણ કોઇ વસ્તુનો અધિકાર છે ? તમે કહી દો કે દરેક કાર્ય પર અલ્લાહનો અધિકાર છે, આ લોકો પોતાના હૃદયોના ભેદોને તમારી સમક્ષ જાહેર નથી કરતા. કહે છે કે જો અમને કંઇ પણ અધિકાર હોત તો અહીં કત્લ કરવામાં ન આવતા, તમે કહી દો કે જો તમે ઘરોમાં હોત તો પણ જેના ભાગ્યમાં કત્લ થવાનું હતું તે તો કાતીલ તરફ ચાલી આવતા, અલ્લાહને તમારા હૃદયોની વાતોની કસોટી અને જે કંઇ તમારા હૃદયોમાં છે તેને પવિત્ર કરવું હતું અને અલ્લાહ હૃદયોના ભેદોને જાણે છે.
તમારા માંથી જે લોકોએ તે દિવસે પીઠ બતાવી જે દિવસે બન્ને જૂથો વચ્ચે યુધ્ધ થયું હતું, આ લોકો પોતાના કેટલાક કાર્યોના કારણે શેતાનના લલચાવવામાં આવી ગયા, પરંતુ ખરેખર અલ્લાહ તઆલાએ તેઓને માફ કરી દીધા, અલ્લાહ તઆલા માફ કરનાર, ધૈર્યવાન છે.
હે ઇમાનવાળાઓ ! તમે તે લોકો જેવા ન થઇ જશો જેમણે ઇન્કાર કર્યો, અને પોતાના ભાઇઓના વિશે જ્યારે કે તે સફરમાં હોય અથવા જેહાદમાં હોય કહ્યું કે જો આ અમારી પાસે હોત તો ન મૃત્યુ પામતા અને ન તો તેઓને મારવામાં આવતા, તેનું કારણ એ હતું કે આ વિચારને અલ્લાહ તઆલા તેઓની દીલી તમન્ના બનાવી દેં, અલ્લાહ તઆલા જીવિત કરે છે અને મૃત્યુ આપે છે. અને અલ્લાહ તઆલા તમારા કાર્યોને જોઇ રહ્યો છે.
સોગંદ છે જો અલ્લાહ તઆલાના માર્ગમાં શહીદ કરવામાં આવે અથવા તો મૃત્યુ પામો તો નિંશંક અલ્લાહ તઆલાની માફી અને દયા તેનાથી ઉત્તમ છે જેને આ લોકો ભેગું કરી રહ્યા છે.
નિંશંક તમે મરી જાવ અથવા તો તમને મારવામાં આવે, ભેગા તો અલ્લાહ તઆલા તરફ જ કરવામાં આવશો.
અલ્લાહ તઆલાની દયાના કારણે તમે તેઓ પર નમ્રતા દાખવો છો અને જો તમે ખરાબ જબાન અને સખત હૃદયના હોત તો આ સૌ તમારી પાસેથી છૂટી જતા, તેટલા માટે તમે તેઓને માફ કરો અને તેઓ માટે માફી માંગતા રહો અને કાર્યની સલાહ-સુચન તેઓથી લેતા રહો, પછી જ્યારે તમારો મજબુત નિર્ણય થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિંશંક અલ્લાહ તઆલા ભરોસો કરનારને પસંદ કરે છે.
જો અલ્લાહ તઆલા તમારી મદદ કરે તો તમારા પર કોઇ વિજય મેળવી શકતું નથી અને જો તે તમને છોડી દે તો તે પછી કોણ છે જે તમારી મદદ કરે ? ઇમાનવાળાઓએ અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
શકય નથી કે પયગંબર વિશ્ર્વાસઘાત કરે, દરેક વિશ્ર્વાસઘાત કરનાર વિશ્ર્વાસઘાતને લઇ કયામતના દિવસે હાજર થશે, પછી દરેક વ્યક્તિને પોતાના કાર્યો નો પુરેપુરો બદલો આપવામાં આવશે અને તેમના પર અત્યાચાર કરવામાં નહી આવે.
શું તે વ્યક્તિ જેના માટે અલ્લાહ તઆલાની રજામંદી છે તેના જેવો છે જે અલ્લાહ તઆલાના રોષને પાત્ર થયો ? અને જેનું ઠેકાણું જહન્નમ છે જે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
અલ્લાહ તઆલા પાસે તેઓના અલગ-અલગ દરજ્જા છે અને તેઓના દરેક કાર્યને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જોઇ રહ્યો છે.
નિંશંક મુસલમાનો પર અલ્લાહ તઆલાનો મોટો ઉપકાર છે કે તેમના માંથી એક પયગંબર મોકલ્યા, જે તેઓને તેની આયતો પઢીને સંભળાવે છે અને તેઓને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ અને હિકમત શિખવાડે છે, ખરેખર આ પહેલા તે સૌ ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા.
(શું વાત છે) કે જ્યારે તમને એક એવી તકલીફ પહોંચી કે તમે તેઓને આવી જ બે તકલીફો (યુધ્ધમાં) પહોંચાડી ચુકયા છો, તો આ લોકો કહેવા લાગ્યા કે આ ક્યાંથી આવી ? તમે કહી દો કે આ પોતે તમારા તરફથી છે. નિંશંક અલ્લાહ તઆલા દરેક કાર્ય પર શક્તિ ધરાવે છે.
અને તમને જે કંઇ તે દિવસે થયું જે દિવસે બે જૂથો વચ્ચે યુધ્ધ થયું હતું આ બધું અલ્લાહ ના આદેશ પ્રમાણે હતું અને એટલા માટે કે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને ખુલ્લી રીતે જાણી લેં.
અને ઢોંગીઓને પણ જાણી લઇએ, જેમને કહેવામાં આવ્યું કે અલ્લાહના માર્ગમાં જેહાદ કરો, અથવા ઇન્કારીઓને દુર કરો, તો તેઓ કહેવા લાગ્યા કે જો અમે યુધ્ધ કરવાનું જાણતા હોત તો જરૂર સાથ આપતા, તેઓ તે દિવસે ઇમાન કરતા ઇન્કારથી વધારે નજીક હતા, પોતાના મોઢાઓથી તે વાતો કહે છે જે તેઓના હૃદયોમાં નથી અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે જેને તેઓ છૂપાવે છે.
આ તે લોકો છે જેઓ પોતે પણ બેસી રહ્યા અને પોતાના ભાઇઓ વિશે કહ્યું કે જો તેઓ પણ અમારી વાત માની લેતા તો કત્લ કરવામાં ન આવતા. કહી દો કે જો તમે સાચા હોય તો પોતાનું મૃત્યુ હટાવી બતાવો.
જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરવામાં આવ્યા છે તેઓને કદાપિ મૃતક ન સમજો, પરંતુ તે જીવિત છે, પોતાના પાલનહાર પાસે તેઓને રોજી આપવામાં આવે છે.
અલ્લાહ તઆલાએ પોતાની કૃપા જે તેઓને આપી રાખી છે તેનાથી ઘણા ખુશ છે અને ખુશી વ્યકત કરી રહ્યા છે, તે લોકો (શહીદો) વિશે જેઓ (મુસલમાનો) હજુ સુધી તેઓ (શહીદો) ને નથી મળ્યા, તેઓ (શહીદો) ની પાછળ છે, તેઓ (શહીદો) ને ન કોઇ ભય છે અને ન તો તેઓ ઉદાસ થશે.
તેઓ ખુશ થાય છે, અલ્લાહની નેઅમત અને કૃપાથી અને તેનાથી પણ કે અલ્લાહ તઆલા ઇમાનવાળાના વળતરને વ્યર્થ નથી કરતો.
જે લોકોએ ઘાયલ થયા પછી પણ અલ્લાહ અને પયગંબરના આદેશોને કબુલ કર્યા તેઓ માંથી જે લોકોએ સદકાર્ય કર્યા અને ડરવા લાગ્યા, તેઓ માટે પુષ્કળ પ્રમાણમાં વળતર છે.
તે લોકો જ્યારે તેમને લોકોએ કહ્યું કે ઇન્કારીઓએ તમારી સામે યુધ્ધ કરવા માટે લશ્કર ભેગું કરી દીધું છે તમે તેઓથી ભયભીત થાઓ, તો તે વાતે તેઓના ઇમાનમાં વધારો કરી દીધો અને કહેવા લાગ્યા અમને અલ્લાહ પુરતો છે અને તે ઘણો જ સારો રખેવાળ છે.
(પરીણામ એ આવ્યું કે) અલ્લાહની નેઅમત અને કૃપાની સાથે પરત ફર્યા, તેઓને કંઇ પણ તકલીફ ન પહોંચી, તેઓએ અલ્લાહ તઆલાની રજામંદીનું અનુસરણ કર્યું, અલ્લાહ ઘણો જ કૃપાળુ છે.
આ ખબર આપનાર ફકત શેતાન જ છે, જે પોતાના મિત્રોથી ભયભીત કરે છે, તમે તે ઇન્કારીઓથી ભયભીત ન થાઓ અને મારો ડર રાખો, જો તમે ઇમાનવાળાઓ હોય.
ઇન્કારમાં આગળ વધી જનાર લોકો તમને ઉદાસ ન કરે, નિંશંક આ અલ્લાહ તઆલાનું કંઇ પણ બગાડી નહી શકે, અલ્લાહ તઆલાની ઇચ્છા છે કે તેઓને આખેરત માંથી કોઇ ભાગ ન આપે અને તેઓ માટે મોટી યાતના છે.
ઇન્કાર ને ઇમાનના બદલામાં ખરીદવાવાળા કદાપિ અલ્લાહ તઆલાને કંઇ નુકસાન પહોંચાડી શકવાના નથી અને તેઓ માટે જ દુંખદાયી યાતના છે.
ઇન્કારી લોકો અમારી આપેલી મહોલતને પોતાના માટે ઉત્તમ ન સમજે, આ મહોલત તો એટલા માટે છે કે તે ગુના કરવામાં વધી જાય, તેઓ માટે જ અપમાનિત કરી દેનાર યાતના છે.
જે સ્થિતીમાં તમે છો તેના પર ઇમાનવાળાઓને છોડી નહી દે, જ્યાં સુધી કે પવિત્ર અને અપવિત્ર લોકોને અલગ ન કરી દે, અને અલ્લાહ તઆલા તમને અદ્રશ્યની જાણ નહી આપે, પરંતુ અલ્લાહ તઆલા પોતાના પયગંબરો માંથી જેને ઇચ્છે તેને પસંદ કરી લે છે, એટલા માટે તમે અલ્લાહ તઆલા પર અને તેના પયગંબરો પર ઇમાન લાવો, જો તમે ઇમાન લાવશો અને ડરશો તો તમારા માટે ખુબ જ મોટું વળતર છે.
જે લોકો પર અલ્લાહ તઆલાએ પોતાની કૃપા કરી રાખી છે તે તેમાં પોતાની કંજુસીને પોતાના માટે ઉત્તમ ન સમજે, પરંતુ તે તેઓ માટે ખુબ જ ખરાબ છે, નજીક માંજ કયામતના દિવસે આ લોકોને પોતાની કંજુસીના હાર પહેરાવામાં આવશે, આકાશો અને ધરતીનો વારસો અલ્લાહ તઆલા માટે જ છે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ તઆલા જાણે છે.
નિંશંક અલ્લાહ તઆલાએ તે લોકોની વાત પણ સાંભળી જેમણે કહ્યું કે અલ્લાહ તઆલા ફકીર છે અને અમે ધનવાન છે, તેઓની આ વાતને અમે લખી લઇશું અને તેઓનું પયગંબરોને કારણ વગર કત્લ કરી દેવું પણ (લખી લઇશું),
આ તમારા કરેલા કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી.
આ તે લોકો છે જેમણે કહ્યું કે અલ્લાહ તઆલાએ અમને આદેશ આપ્યો છે કે કોઇ પયગંબરનું અનુસરણ ત્યાં સુધી નહી કરીએ જ્યાં સુધી તે અમારી પાસે એવી કુરબાની ન લાવી દે જેને આગ ખાઇ જાય, તમે કહી દો કે જો તમે સાચા છો તો મારા કરતા પહેલા તમારી પાસે જે પયગંબર બીજા ચમત્કારો સાથે આવી વસ્તુ પણ લાવ્યા જે તમે કહી રહ્યા છો, તો પછી તમે તેઓને કેમ કત્લ કરી નાખ્યા ?
તો પણ આ લોકો તમને જુઠલાવે તો તમારા પહેલા પણ ઘણા પયગંબરોને જુઠલાવવામાં આવ્યા છે જે ખુલ્લા પુરાવા, (આસ્માની) પુસ્તિકાઓ અને પ્રકાશિત કિતાબ લઇને આવ્યા.
દરેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે અને કયામતના દિવસે તમને પોતાનો પુરો બદલો આપવામાં આવશે. બસ ! જે વ્યક્તિ આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, ખરેખર તે સફળ થઇ ગયો અને દુનિયાનું જીવન તો ફકત ધોકો જ છે.
નિંશંક તમારા ધન અને પ્રાણો વડે તમારી કસોટી કરવામાં આવશે અને આ પણ સત્ય છે કે તમને તે લોકોની જે લોકોને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અને મુશરિકોની ઘણી જ દુંખદાયક વાતો પણ સાંભળવી પડશે અને જો તમે ધીરજ રાખો અને ડરવા લાગો તો ખરેખર આ ઘણી જ હિમ્મતવાળુ કાર્ય છે.
અલ્લાહ તઆલાએ જ્યારે કિતાબવાળાઓ પાસેથી વચન લીધું કે તમે આ (કિતાબ) ને દરેક લોકો સામે જરૂરથી બયાન કરશો અને આને છુપાવશો નહી, તો પણ તે લોકોએ આ વચનને પોતાની પીઠ પાછળ નાખી દીધું અને તેને ઘણી જ નજીવી કિંમતે વેચી નાખી, તેઓનો આ વેપાર ખુબ જ ખરાબ છે.
તે લોકો જેઓ પોતાના ખરાબ કૃત્યોના કારણે ખુશ છે, અને ઇચ્છે છે કે જે તેઓએ નથી કર્યુ તેના પર પણ તેમની પ્રશંસા કરવામાં આવે, તમે આવું ન સમજો કે તેઓ યાતનાથી બચી જશે, તેઓ માટે તો દુંખદાયી યાતના છે.
આકાશો અને ધરતીની સરદારી અલ્લાહ માટે જ છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
આકાશો અને ધરતીના સર્જનમાં અને રાત-દિવસના હેરફેરમાં, ખરેખર બુધ્ધીશાળી લોકો માટે નિશાની છે.
જે લોકો અલ્લાહના નામનું સ્મરણ ઉભા-ઉભા, બેસી અને પડખા ફેરવતા કરે છે, અને આકાશો અને ધરતીના સર્જનમાં ચિંતન-મનન કરે છે અને કહે છે કે હે અમારા પાલનહાર ! તે આ કારણ વગર નથી બનાવ્યું, તું પવિત્ર છે, બસ ! અમને આગની યાતનાથી બચાવી લેં.
હે અમારા પાલનહાર ! તું જેને જહન્નમમાં નાખી દે, ખરેખર તે તેને અપમાનિત કર્યો અને અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી.
હે અમારા પાલનહાર ! અમે સાંભળ્યું કે અવાજ આપનાર મોટા અવાજે ઇમાન તરફ પોકારી રહ્યો છે, કે લોકો ! પોતાના પાલનહાર પર ઇમાન લાવો, બસ ! અમે ઇમાન લાવ્યા, હે પાલનહાર ! હવે તું અમારા ગુના માફ કરી દેં અને અમારી બુરાઇ અમારાથી દુર કરી દેં અને અમારૂ મૃત્યુ સદાચારી લોકો માંથી કર.
હે અમારા પાલનહાર ! અમને તે આપ જેનું વચન તે અમારી સાથે પોતાના પયગંબરો દ્વ્રારા કર્યુ છે અને અમને કયામતના દિવસે અપમાનિત ન કર, ખરેખર તું વચન ભંગ કરનાર નથી.
બસ ! તેઓના પાલનહારે તેઓની દુઆ કબુલ કરી, કે તમારા માંથી કોઇ કાર્ય કરવાવાળાના કાર્યને, ભલે તે પુરૂષ હોય અથવા સ્ત્રી, કદાપિ વ્યર્થ નથી કરતો, તમે સૌ એકબીજા માંથી છો, એટલા માટે તે લોકો જેમણે હિજરત કરી અને પોતાના ઘરો માંથી કાઢી નાખવામાં આવ્યા અને જેમને મારા માર્ગમાં તકલીફ આપવામાં આવી અને જે લોકોએ જેહાદ કર્યુ, અને શહીદ કરવામાં આવ્યા, હું જરૂર તેમની બુરાઇને તેઓથી દૂર કરી દઇશ અને ખરેખર તેઓને તે જન્નતોમાં દાખલ કરીશ જેની નીચે નહેરો વહી રહી હશે, આ છે વળતર અલ્લાહ તઆલા તરફથી, અને અલ્લાહ તઆલા પાસે જ ઉત્તમ વળતર છે.
તમને ઇન્કારીઓનું શહેરોમાં હરવું-ફરવું ધોકામાં ન નાખી દે.
આ તો ઘણો જ ઓછો ફાયદો છે, તે પછી તેઓનું ઠેકાણું જહન્નમ છે. અને તે ખરાબ ઠેકાણું છે.
પરંતુ જે લોકો પોતાના પાલનહારથી ડરતા રહ્યા તેઓ માટે જન્નતો છે, તેની નીચે નહેરો વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે, આ મહેમાની છે અલ્લાહ તરફથી અને સદાચારી લોકો માટે જે કંઇ અલ્લાહ તઆલા પાસે છે તે ઘણું જ ઉત્તમ છે.
નિંશંક કિતાબવાળાઓ માંથી કેટલાક એવા પણ છે જે અલ્લાહ તઆલા પર ઇમાન લાવે છે અને તમારી તરફ જે અવતરિત કરવામાં આવ્યું છે અને તેઓની તરફ જે અવતરિત કરવામાં આવ્યું તેના પર પણ, અલ્લાહ તઆલાથી ડરે છે અને અલ્લાહ તઆલાની આયતોને નજીવી કિંમતે વેચતા પણ નથી, તેઓનું વળતર તેઓના પાલનહાર પાસે છે, ખરેખર અલ્લાહ તઆલા નજીક માંજ હિસાબ લેવાવાળો છે.
હે ઇમાનવાળાઓ !તમે અડગ રહો અને એકબીજાને પકડી રાખો અને જેહાદ માટે તૈયાર રહો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેથી તમે સફળ બનો.
Icon