ترجمة سورة القيامة

الترجمة الغوجراتية
ترجمة معاني سورة القيامة باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના.
૨) અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના.
૩) શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં.
૪) કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ.
૫) પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
૬) સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
૭) બસ ! જે સમયે નજર પથરાઇ જશે.
૮) અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
૯) સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
૧૦) તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે ?
૧૧) ના ના કોઇ શરણ નથી.
૧૨) આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે.
૧૩) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે.
૧૪) પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે.
૧૫) કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
૧૬) (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
૧૭) તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
૧૮) અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો.
૧૯) પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
૨૦) ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
૨૧) અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો.
૨૨) તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
૨૩) પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
૨૪) અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
૨૫) સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
૨૬) ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
૨૭) અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે ?
૨૮) અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે.
૨૯) અને પિંડી સાથે પિંડી વળગી જશે.
૩૦) આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
૩૧) તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી.
૩૨) પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી.
૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
૩૪) ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
૩૫) પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
૩૬) શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
૩૭) શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું.
૩૮) પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો.
૩૯) પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
૪૦) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે.
Icon