surah.translation .
من تأليف: رابيلا العُمري .

૧) યાસીન્
૨) હિકમતવાળા કુરઆનના સોગંદ
૩) નિ:શંક તમે પયગંબરો માંથી છો.
૪) સત્ય માર્ગ પર છો.
૫) આ કુરઆન જબરદસ્ત, દયાળુ અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવ્યું છે.
૬) જેથી તમે એવા લોકોને સચેત કરો, જેમના પૂર્વજોને સચેત કરવામાં નહોતા આવ્યા, જેથી આ લોકો બેદરકાર છે.
૭) તેમાંથી વધારે પડતા લોકો માટે વાત નક્કી છે કે તેઓ ઈમાન નહીં લાવે.
૮) અમે તેમના ગળામાં તોક નાંખી દીધા, પછી તે હડપચી સુધી છે, જેના કારણે તેમના માથા ઊંચા થઇ ગયા છે.
૯) અને અમે એક પાળ તેમની સામે બનાવી દીધી અને એક પાળ તેમની પાછળ, જેનાથી અમે તે લોકોને ઢાંકી દીધા, જેથી તેઓ જોઇ નથી શકતા.
૧૦) અને તમે તે લોકોને સચેત કરો અથવા ન કરો બન્ને સરખું છે, આ લોકો ઈમાન નહીં લાવે.
૧૧) બસ ! તમે ફક્ત તે જ વ્યક્તિને સચેત કરી શકો છો, જે શિખામણ પ્રાપ્ત કરે અને રહમાન (અલ્લાહ) થી વિણદેખે ડરતો હોય, તમે તેને માફી અને ઇજજતવાળા વળતરની ખુશખબર આપી દો.
૧૨) નિ:શંક અમે મૃતકોને જીવિત કરીશું અને અમે તે કાર્યો પણ લખીએ છીએ, જેને લોકો આગળ મોકલે છે અને તેમના તે કાર્યો પણ, જેને તે લોકો પાછળ છોડે છે અને અમે દરેક વસ્તુને એક સ્પષ્ટ કિતાબમાં લખી રાખ્યું છે.
૧૩) અને તમે તે લોકો સામે એક વસ્તીવાળાઓનું ઉદાહરણ વર્ણન કરો, જ્યારે તે વસ્તીમાં (કેટલાય) પયગંબરો આવ્યા.
૧૪)જ્યારે અમે તેમની પાસે બે ને મોકલ્યા, પરંતુ તે લોકોએ (પહેલા) બન્નેને જુઠલાવ્યા, પછી અમે ત્રીજા વડે સમર્થન કર્યું, ત્રણેય લોકોએ કહ્યું કે અમે તમારી પાસે મોકલવામાં આવ્યા છે.
૧૫) તે લોકોએ કહ્યું કે તમે અમારા જેવા સામાન્ય વ્યક્તિ છો અને રહમાને કોઇ વસ્તુ અવતરિત નથી કરી, તમે ખુલ્લું જુઠ બોલી રહ્યા છો.
૧૬) તે (પયગંબરોએ) કહ્યું અમારો પાલનહાર જાણે છે કે નિ:શંક અમે તમારી તરફ મોકલવામાં આવ્યા છે.
૧૭) અને અમારી જવાબદારી તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
૧૮) તે લોકોએ કહ્યું કે અમે તો તમને અપશુકનિ સમજીએ છીએ, જો તમે છેટા ન રહ્યા તો અમે પથ્થરો વડે તમને નષ્ટ કરી દઇશું અને તમને અમારા તરફથી સખત તકલીફ પહોંચશે.
૧૯) તે પયગંબરોએ કહ્યું કે તમારું અપશુકન તમારી પાસે જ છે, શું આને અપશુકન સમજો છો કે તમને શિખામણ આપવામાં આવે, પરંતુ તમે તો હદવટાવી જનાર લોકો છો.
૨૦) અને એક વ્યક્તિ શહેરના છેલ્લા છેડેથી દોડતો આવ્યો, કહેવા લાગ્યો કે હે મારી કોમના લોકો ! તે પયગંબરોના માર્ગ પર ચાલો.
૨૧) એવા લોકોના માર્ગ પર ચાલો, જેઓ તમારી પાસે કોઇ વળતર નથી માંગતા અને તેઓ સત્ય માર્ગ પર છે.
૨૨) અને મને શું થઇ ગયું છે કે હું તેની બંદગી ન કરું, જેણે મારું સર્જન કર્યું અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
૨૩) શું હું તેને છોડી એવા લોકોને પૂજ્ય બનાવી લઉ, જો રહમાન (અલ્લાહ) મને કંઈ નુકસાન પહોંચાડવા ઇચ્છે, તો તેમની ભલામણ મને કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે. અને ન તો તેઓ મને બચાવી શકશે.
૨૪) પછી હું ખરેખર સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છું.
૨૫) મારું સાંભળો ! હું તમારા સૌના પાલનહાર ઉપર ઈમાન લાવી ચુક્યો.
૨૬) કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, કહેવા લાગ્યો કે કદાચ ! મારી કોમ પણ જાણી લેતી.
૨૭) કે મને મારા પાલનહારે માફ કરી દીધો અને મને ઇજજતવાળા લોકો માંથી કરી દીધો.
૨૮) ત્યાર પછી અમે તેની કોમ માટે આકાશ માંથી કોઇ લશ્કર ન ઉતાર્યુ અને ન આવી રીતે અમે ઉતારીએ છીએ.
૨૯) તે તો ફક્ત એક સખત ચીસ હતી, જેથી તેઓ અચાનક હોલવાઈ ગયેલી (આગ) જેવા થઇ ગયા.
૩૦)(આવા) બંદાઓ માટે ખેદ છે, ક્યારેય તેમની પાસે કોઇ એવા પયગંબર નથી આવ્યા, જેમની મશ્કરી તે લોકોએ ન કરી હોય.
૩૧) શું તે લોકોએ નથી જોયું કે તેમના પહેલા ઘણી કોમોને અમે નષ્ટ કરી દીધી, કે તેઓ તેમની તરફ પાછા નહીં આવે.
૩૨) અને કોઇ જૂથ એવું નથી, જેને અમે ભેગા કરી અમારી સમક્ષ નહીં લાવીએ.
૩૩) અને તેમના માટે એક નિશાની (નિષ્પ્રાણ) ધરતી છે, જેને અમે જીવિત કરી દીધી અને તેમાંથી અનાજ ઉગાડ્યું, જેમાંથી તેઓ ખાય છે.
૩૪) અને અમે તેમાં ખજુરો અને દ્રાક્ષના બગીચા બનાવ્યા અને જેમાં અમે ઝરણાં પણ વહાવી દીધા છે.
૩૫) જેથી (લોકો) તેના ફળો ખાય અને તેને તે લોકોના હાથોએ નથી બનાવ્યું, પછી આભાર કેમ નથી માનતા ?
૩૬) તે પવિત્ર હસ્તી છે, જેણે દરેક વસ્તુને જોડીમાં બનાવી, ભલેને તે ધરતીએ ઉપજાવેલી વસ્તુ હોય, અથવા તેઓ પોતે હોય, અથવા તે (વસ્તુઓ) હોય જેના વિશે આ લોકો જાણતા પણ નથી.
૩૭) અને તેમના માટે એક નિશાની રાત છે, જેના દ્વારા અમે દિવસને ખેંચી લઇએ છીએ, જેથી તેઓ અચાનક અંધકારમાં જતા રહે છે.
૩૮) અને સૂર્ય માટે જે નક્કી કરેલ સીમા છે, તે તેની ઉપર જ ચાલતો રહે છે, આ નક્કી કરેલ સીમાઓ છે, જે વિજયી અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી છે.
૩૯) અને ચંદ્રની મંજિલો અમે નક્કી કરી છે, ત્યાં સુધી કે તે પાછો આવી જૂની (સૂકી) ડાળી જેવો થઇ જાય છે.
૪૦) સૂર્ય, ચંદ્રને પકડી નથી શકતો અને ન તો રાત, દિવસ કરતા આગળ વધી શકે છે અને બધા જ આકાશોમાં તરે છે.
૪૧) અને તે લોકો માટે એક નિશાની (આ પણ) છે કે અમે તેમની પેઢીને ભરેલી હોડીમાં મુસાફરી કરાવી.
૪૨) અને તેમના માટે તેના જેવી જ બીજી વસ્તુઓ બનાવી જેના પર આ લોકો મુસાફરી કરે છે.
૪૩) અને જો અમે ઇચ્છતા, તો તેમને ડુબાડી દેતા, પછી ન તો કોઇ તેમની ફરિયાદ કરવાવાળો હોત અને ન તે લોકોને બચાવવામાં આવતા.
૪૪) પરંતુ અમે પોતાના તરફથી કૃપા કરીએ છીએ અને એક મુદ્દત સુધી તેમને ફાયદો પહોંચાડી રહ્યા છીએ.
૪૫) અને તેમને જ્યારે કહેવામાં આવે છે કે આગળ-પાછળના (પાપ)થી બચીને રહો, જેથી તમારા પર કૃપા કરવામાં આવે.
૪૬) અને તેમની પાસે તેમના પાલનહારની નિશાનીઓ માંથી કોઇ નિશાની એવી નથી, જેનાથી આ લોકો છેટા ન રહેતા હોય.
૪૭) અને જ્યારે તે લોકોને કહેવામાં આવે છે કે અલ્લાહએ આપેલ (ધન) માંથી ખર્ચ કરો, તો ઇન્કાર કરનારાઓ ઈમાનવાળાને જવાબ આપે છે કે અમે તેમને કેમ ખવડાવીએ, જેમને જો અલ્લાહ ઇચ્છતો તો પોતે જ ખવડાવી દેતો, તમે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છો.
૪૮) તેઓ કહે છે કે આ વચન કયારે આવશે, સાચા હોય તો જણાવો.
૪૯) તે લોકો તો ફક્ત એક સખત ચીસની રાહ જોઇ રહ્યા છીએ, જે ચીસ તેમને પકડી લેશે અને આ લોકો અંદરોઅંદર ઝઘડતા હશે.
૫૦) તે સમયે ન તો આ લોકો વસિયત કરી શકશે અને ન પોતાના ઘરવાળાઓ તરફ પાછા આવી શક્શે.
૫૧) સૂર ફૂંકતાની સાથે જ દરેક પોતાની કબરો માંથી (ઉઠી) પોતાના પાલનહાર તરફ ચાલવા લાગશે.
૫૨) કહેવા લાગશે, હાય અફસોસ ! અમને અમારા સપનાના સ્થળેથી કોણે જગાડ્યા? આ જ છે, જેનું વચન રહમાને આપ્યું હતું અને પયગંબરોએ સાચું કહી દીધું હતું.
૫૩) આ એક ચીસ સિવાય કંઈ નથી, અચાનક દરેકે દરેક અમારી સમક્ષ હાજર કરી દેવામાં આવશે.
૫૪) બસ ! આજના દિવસે કોઇ વ્યક્તિ ઉપર, થોડોક પણ અત્યાચાર કરવામાં નહીં આવે અને તમને તમારા કર્મોનો જ બદલો આપવામાં આવશે.
૫૫) જન્નતી લોકો આજ ના દિવસે પોતાના કાર્યોમાં ખુશ છે.
૫૬) તે અને તેમની પત્નીઓ છાંયડામાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે.
૫૭) તેમના માટે જન્નતમાં દરેક પ્રકારના ફળો હશે, ઉપરાંત તેઓ જે પણ ઇચ્છશે, (તે બધું જ મળશે).
૫૮) દયાળુ પાલનહાર તરફથી તેમને "સલામ" કહેવામાં આવશે.
૫૯) હે અપરાધીઓ ! આજે તમે અલગ થઇ જાવ.
૬૦) હે આદમના સંતાનો ! શું મેં તમારી પાસેથી વચન ન લીધું હતું ? કે તમે શેતાનની બંદગી ન કરશો, તે તમારો ખુલ્લો શત્રુ છે.
૬૧) અને મારી જ બંદગી કરજો, સત્ય માર્ગ આ જ છે.
૬૨) શેતાને તમારા માંથી ઘણા લોકોને પથભ્રષ્ટ કરી દીધા, શું તમે સમજતા નથી?
૬૩) આ જ તે જહન્નમ છે, જેનું વચન તમને આપવામાં આવતુ હતું.
૬૪) પોતાના ઇન્કારનો બદલો મેળવવા માટે આજે આમાં દાખલ થઇ જાવ.
૬૫) અમે આજના દિવસે તેમના મોઢા ઉપર મહોર લગાવી દઇશું અને તેમના હાથ અમારી સાથે વાત-ચીત કરશે અને તેમના પગ સાક્ષી આપશે, તે કાર્યોની, જે તેઓ કરતા હતાં.
૬૬) જો અમે ઇચ્છતા તો તેમને દૃષ્ટિહિન કરી દેતા, પછી આ લોકો માર્ગ મેળવવા માટે ભાગદોડ કરતા, પરંતુ તે લોકો કેવી રીતે જોઇ શકે ?
૬૭) અને જો અમે ઇચ્છતા તો તેમની જગ્યા પર જ તેમના મોઢા બદલી દેતા, પછી ન તો તેઓ ચાલી શકતા અને ન તો પાછા ફરી શકતા.
૬૮) અને જેને અમે વૃદ્વાવસ્થાએ લઇ જઇએ છીએ, તેને બાળપણ તરફ પલટાવી દઇએ છીએ, શું તો પણ તેઓ નથી સમજતા ?
૬૯) ન તો અમે તે પયગંબરને શાયરી (કવિતા) શિખવાડી અને ન તો તેમને તે શોભે છે, તે તો ફક્ત શિખામણ અને સ્પષ્ટ કુરઆન (ની આયતો) છે.
૭૦) જેથી તેઓ, તે દરેક વ્યક્તિને સચેત કરી દે જે જીવિત છે અને ઇન્કાર કરનારાઓ માટે દલીલ સાબિત થઇ જાય.
૭૧) શું તેઓ જોતા નથી કે અમે અમારા હાથ વડે બનાવેલી વસ્તુઓ માંથી તેમના માટે ઢોરોનું સર્જન કર્યું, જેના તેઓ માલિક થઇ ગયા છે.
૭૨) અને તે ઢોરોને અમે તેમને આધિન કરી દીધા છે, જેમાંથી કેટલાક તેમની સવારી માટે છે અને કેટલાકનું માંસ ખાય છે.
૭૩) તેઓને તેનાથી બીજા ઘણા ફાયદા છે અને પીવા માટેની વસ્તુઓ, શું તો (પણ) તેઓ આભાર વ્યક્ત નહીં કરે ?
૭૪) અને તેઓ અલ્લાહને છોડીને બીજાને પૂજ્ય બનાવે છે, જેથી તેઓની મદદ કરવામાં આવે.
૭૫) (જો કે) તેઓમાં તેમની મદદ કરવાની શક્તિ જ નથી, (પરંતુ) તો પણ (મુશરિક લોકો) તેમના માટે હાજર રહેવાવાળા સૈનિકો બનેલા છે.
૭૬) બસ ! તમે તેમની વાતોથી નિરાશ ન થશો, અમે તેમની છૂપી અને જાહેર, દરેક વાતોને જાણીએ છીએ.
૭૭) શું માનવીને એટલી પણ ખબર નથી કે અમે તેનું સર્જન એક ટીપા વડે કર્યું ? પછી તરત જ તે ખુલ્લો ઝઘડો કરવાવાળો બની ગયો.
૭૮) અને તેણે આપણા માટે ઉદાહરણ આપ્યું અને પોતાની જન્મને ભૂલી ગયો, કહેવા લાગ્યો, આ સડી ગયેલા હાડકાંઓને કોણ જીવિત કરી શકશે ?
૭૯) તમે જવાબ આપી દો કે આ હાડકાને તે જીવિત કરશે, જેણે તેમનું સર્જન પ્રથમ વાર કર્યું હતું, જે દરેક પ્રકારના સર્જનને ખૂબ સારી રીતે જાણે છે.
૮૦) તે જ છે, જેણે તમારાં માટે લીલાંછમ વૃક્ષો માંથી આગ ઉત્પન્ન કરી, જેનાથી તમે તરત જ આગ સળગાવો છો.
૮૧) જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, શું તે આ લોકો જેવાનું સર્જન નથી કરી શક્તો ? નિ:શંક કરી શકે છે અને તે જ તો, હિકમતવાળો, સર્જક (અલ્લાહ) છે.
૮૨) તે જ્યારે પણ કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, તેને એટલું જ કહી દે છે કે, થઇ જા, તો તે, તે જ સમયે થઇ જાય છે.
૮૩) બસ ! પવિત્ર છે તે અલ્લાહ, જેના હાથમાં દરેક વસ્તુની સંપૂર્ણ સત્તા છે અને જેની તરફ તમે બધા પાછા ફેરવવામાં આવશો.