ترجمة سورة الحج

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الحج باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) લોકો ! પોતાના પાલનહારથી ડરો, નિ:શંક કયામતનો ધરતીકંપ ખૂબ જ મોટી વસ્તુ છે.
૨) જે દિવસે તમે તેને જોઇ લેશો, દરેક દૂધ પીવડાવનારી પોતાના દૂધ પીતા બાળકને ભૂલી જશે અને દરેક ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ પડી જશે અને તમે જોશો કે લોકો નશામાં ચકચૂર છે. જો કે ખરેખર તેઓ નશામાં નહીં હોય, પરંતુ અલ્લાહની યાતના ઘણી જ સખત છે.
૩) કેટલાક લોકો અલ્લાહ વિશે વાતો ઘડે છે અને તે પણ અજ્ઞાન હોવા છતાં અને દરેક વિદ્રોહી શેતાનોનું અનુસરણ કરે છે.
૪)જેના પર (અલ્લાહનો ફેંસલો) લખી દેવામાં આવ્યો છે કે જે કોઈ પણ તેની (શેતાનની) સાથે મિત્રતા કરશે, તે તેને પથભ્રષ્ટ કરી દેશે અને તેને આગની યાતના તરફ લઇ જશે.
૫) હે લોકો ! જો તમને તમારા મૃત્યુ પછીના જીવન વિશે શંકા છે, તો વિચારો! અમે તમારું સર્જન માટી વડે કર્યું, પછી વીર્યના ટીપા વડે, પછી લોહીથી, પછી માંસ વડે, જે ચહેરો આપવામાં આવ્યો હતો અને ઘાટ વગરનો હતો. આ અમે તમારા પર જાહેર કરી દઇએ છીએ, અને અમે જેને ઇચ્છીએ છીએ, એક નક્કી કરેલ સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળપણની અવસ્થામાં દુનિયામાં લાવીએ છીએ, જેથી તમે પોતાની યુવાવસ્થામાં પહોંચી જાવો, તમારા માંથી કેટલાક તો તે છે, જેઓને મૃત્યુ આપવામાં આવે છે અને કેટલાકને વૃદ્વાવસ્થાએ પહોંચાડી દેવામાં આવે છે કે તે એક વસ્તુને જાણવા છતાં અજાણ બની જાય, તમે જોશો કે ધરતી સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ઊપજે છે અને ફૂલે છે અને દરેક પ્રકારની લોભામણી ઉપજો ઉપજાવે છે.
૬) આ એટલા માટે કે અલ્લાહ જ સાચો છે અને તે જ મૃતકોને જીવિત કરે છે અને તે દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.
૭) અને એ કે કયામત ચોક્કસ આવનારી છે, જેના વિશે કોઈ શંકા નથી અને ખરેખર અલ્લાહ તઆલા કબરમાં રહેલા લોકોને ફરીથી જીવિત કરશે.
૮)કેટલાક લોકો અલ્લાહ વિશે જ્ઞાન ન હોવા છતાં અને સત્ય માર્ગદર્શન વગર અને પ્રકાશિત કિતાબ વગર ઝઘડો કરે છે.
૯) જે પથભ્રષ્ટ બને, એટલા માટે કે તે અલ્લાહના માર્ગથી લોકોને ભટકાવી દે, તેને દુનિયા અને કયામતના દિવસે પણ અપમાનિત કરવામાં આવશે. અમે તેને જહન્નમમાં બળવાની યાતના ચખાડીશું.
૧૦) આ તે કાર્યોના કારણે, જે તમારા હાથોએ આગળ મોકલ્યા હતાં. નિ:શંક અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી.
૧૧) કેટલાંક લોકો એવા પણ છે કે એક કિનારા ઉપર ઊભા રહી, અલ્લાહની બંદગી કરે છે જો કોઈ ફાયદો મળી ગયો તો ધ્યાન ધરે છે અને જો કોઈ આપત્તિ આવી ગઇ તો તે જ સમયે મોઢું ફેરવી લે છે, આ લોકો દુનિયા અને આખેરત બન્નેમાં નુકસાન ઉઠાવશે, ખરેખર આ સ્પષ્ટ નુકસાન છે.
૧૨) અલ્લાહ સિવાય એ લોકોને પોકારે છે, જે ન તેમને નુકસાન પહોંચાડી શકે છે અને ન તો ફાયદો, આ જ તો સ્પષ્ટ પથભ્રષ્ટતા છે.
૧૩) તેઓ તેમને પોકારે છે, જેનું નુકસાન તેમના ફાયદા કરતા વધારે છે, ખરેખર તેઓ ખોટા વાલી છે અને ખોટા દોસ્ત પણ છે.
૧૪) ઈમાનવાળા અને સત્કાર્યવાળાઓને અલ્લાહ તઆલા વહેતી નહેરોવાળી જન્નતોમાં પ્રવેશ આપશે, અલ્લાહ જે ઇચ્છે-કરીને જ રહે છે.
૧૫) જેનો આવો વિચાર હોય કે અલ્લાહ તઆલા પોતાના પયગંબરની મદદ બન્ને જગ્યાએ (દુનિયા અને આખેરત) નહીં કરે, તે ઊંચી જગ્યાએ એક દોરડું બાંધી (પોતાને ફાંસીએ ચઢાવી દે), પછી જોઇ લે કે તેની યુક્તિઓ દ્વારા, તે વાત દૂર થઇ જાય છે જે તેને સતાવતી હોય.
૧૬) અમે આવી જ રીતે આ કુરઆનને સ્પષ્ટ આયતો સાથે અવતરિત કર્યું છે, જેને અલ્લાહ ઇચ્છે, સત્ય માર્ગદર્શન આપે છે.
૧૭) નિ:શંક ઈમાનવાળા અને યહૂદી લોકો અને સાબી અને ઈસાઈઓ અને મજૂસીઓ અને મુશરિક લોકો, આ સૌની વચ્ચે કયામતના દિવસે, અલ્લાહ તઆલા પોતે ફેંસલો કરી દેશે. અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર સાક્ષી છે.
૧૮) શું તમે નથી જોતા કે અલ્લાહની સામે દરેક આકાશો અને ધરતીવાળાઓ સિજદામાં છે અને સૂર્ય, ચંદ્ર, તારાઓ, પર્વતો, વૃક્ષ, ઢોર અને ઘણા મનુષ્ય પણ, હાં ઘણા તે લોકો પણ છે, જેમના પર યાતનાનું વચન સાબિત થઇ ગયું છે, જેને અલ્લાહ અપમાનિત કરી દે તેને કોઈ ઇજજત આપનાર નથી. અલ્લાહ જે ઇચ્છે છે, તે કરે છે.
૧૯) આ બન્ને જૂથ પોતાના પાલનહાર વિશે વિવાદ કરવાવાળા છે, બસ ! ઇન્કાર કરનારાઓ માટે તો આગના પોશાક કાપવામાં આવશે અને તેમના માથા પર સખત ઉકાળેલું પાણી રેડવામાં આવશે.
૨૦) જેના કારણે તેમના પેટની દરેક વસ્તુ અને ચામડી ઓગળી જશે.
૨૧) અને તેમની સજા માટે લોખંડના હથોડા છે.
૨૨) આ લોકો જ્યારે પણ ત્યાંના દુ:ખથી ભાગી જવાની ઇચ્છા કરશે, ત્યાં જ પાછા ધકેલી દેવામાં આવશે અને (કહેવામાં આવશે કે) બળવાની યાતના ચાખો.
૨૩) ઈમાનવાળા અને સદાચારી લોકોને અલ્લાહ તઆલા તે જન્નતોમાં લઇ જશે જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેમને સોનાની બંગડી પહેરાવવામાં આવશે અને સાચા મોતી પણ, ત્યાં તેમનો પોશાક શુદ્ધ રેશમ હશે.
૨૪) તેમને ઉત્તમ વાત તરફ માર્ગદર્શન આપી દેવામાં આવ્યું અને પ્રશંસાવાળા માર્ગ તરફ માર્ગદર્શન કરી દેવામાં આવ્યું.
૨૫) જે લોકોએ ઇન્કાર કર્યો અને અલ્લાહના માર્ગથી રોકવા લાગ્યા અને તે પવિત્ર મસ્જિદથી પણ, જેને અમે દરેક લોકો માટે સમાન કરી દીધી છે, ત્યાંના રહેવાસીઓ માટે પણ અને બહારથી આવનારા લોકો માટે પણ, જે કોઈ અત્યાચાર કરી ત્યાં અલ્લાહની અવજ્ઞા કરવાની ઇચ્છા કરશે અમે તેને દુ:ખદાયી યાતના ચખાડીશું.
૨૬) અને જ્યારે અમે ઇબ્રાહીમ અ.સ.ને કાબા માટે જગ્યા નક્કી કરી આપી, તે શરત પર કે મારી સાથે કોઈને ભાગીદાર ન ઠેરવશો અને મારા ઘરને તવાફ, કિયામ, રૂકુઅ, સિજદા કરવાવાળાઓ માટે સ્વચ્છ રાખશો.
૨૭) અને લોકોને હજ્જનો આદેશ આપી દો, લોકો તમારી પાસે ચાલીને પણ આવશે અને પાતળા ઊંટો પર પણ, દૂર દૂરથી દરેક માર્ગે આવશે.
૨૮) પોતાનો ફાયદો મેળવવા આવી જાવ અને તે નક્કી કરેલ દિવસોમાં અલ્લાહના નામનું સ્મરણ કરો, તે ઢોરો પર જે પાલતું છે, બસ ! તમે પોતે પણ ખાઓ અને ભુખ્યા ફકીરોને પણ ખવડાવો.
૨૯) પછી તેઓ પોતાની ગંદકી દૂર કરે અને પોતાની નજરોને પૂરી કરે અને અલ્લાહના જૂના ઘરનો તવાફ કરે.
૩૦) આ છે અને જે કોઈ અલ્લાહની પવિત્ર વસ્તુની ઇજજત કરશે, તો તેના પોતાના માટે અલ્લાહ પાસે શ્રેષ્ઠતા છે. અને તમારા માટે ઢોર હલાલ કરી દેવામાં આવ્યા, તે ઢોર સિવાય, જેનું વર્ણન કરી દેવામાં આવ્યું. બસ ! તમારે મુર્તિઓની ગંદકીથી બચીને રહેવું જોઇએ અને જુઠ્ઠી વાતથી પણ બચવું જોઇએ.
૩૧) એકેશ્વરવાદને માનતા, તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠેરવતા. સાંભળો ! અલ્લાહની સાથે ભાગીદાર ઠેરવનાર, જેવો કે આકાશ માંથી પડી ગયો, હવે તેને પક્ષીઓ ઉચકીને લઇ જશે અથવા હવા કોઈ દૂર જગ્યાએ ફેંકી દેશે.
૩૨) આ સાંભળી લીધું, હવે વધું સાંભળો, અલ્લાહની નિશાનીઓની જે ઇજજત કરે છે, આવું તેના હૃદયના ડરના કારણે છે.
૩૩) આમાં તમારા માટે એક નક્કી કરેલ સમય સુધીનો ફાયદો છે, પછી તેમના હલાલ થવાની જગ્યા કાબા છે.
૩૪) અને દરેક કોમ માટે અમે કુરબાનીની રીતો બતાવી છે, જેથી તે ઢોરો પર અલ્લાહનું નામ લે, જે અલ્લાહએ તેમને આપી રાખ્યા છે. સમજી લોકે તમારા સૌનો સત્ય પૂજ્ય ફક્ત એક જ છે, તમે તેનું અનુસરણ કરતા રહો. આજીજી કરવાવાળાઓને ખુશખબર આપી દો.
૩૫) જ્યારે તેમની સામે અલ્લાહનું વર્ણન કરવામાં આવે તો તેમના હૃદય ધ્રુજી ઉઠે છે, તેમને જે પણ તકલીફ પહોંચે છે તેના પર ધીરજ રાખે છે, નમાઝ કાયમ કરે છે અને જે કંઇ પણ અમે તેમને આપી રાખ્યું છે, તેઓ તેમાંથી ખર્ચ કરતા રહે છે.
૩૬) કુરબાની માટેના ઊંટ, અલ્લાહએ તમારા માટે તેને નિશાની બનાવી છે, તેમાં તમારા માટે ફાયદો છે, બસ ! તેમને ઊભા રાખી તેમના પર અલ્લાહનું નામ લો, પછી જ્યારે તે ધરતી પર પડી જાય, તેને ખાવ અને લાચાર, ન માંગનાર અને માંગનારાને પણ ખવડાવો, આવી જ રીતે અમે ઢોરોને તમારા વશમાં કરી દીધા છે, જેથી તમે આભાર વ્યકત કરો.
૩૭) અલ્લાહ તઆલાની પાસે કુરબાનીનું માંસ નથી પહોંચતું, ન તેમનું લોહી, પરંતુ તેની પાસે તો તમારા હૃદયનો ડર પહોંચે છે, આવી જ રીતે અલ્લાહ તઆલાએ તે ઢોરોને તમારા વશમાં કરી દીધા છે. જેથી તમે તેના માર્ગદર્શનના આભાર માટે તેની પ્રશંસાનું વર્ણન કરો અને સદાચારી લોકોને ખુશખબર આપી દો.
૩૮) સાંભળો ! નિ:શંક સાચા ઈમાનવાળાઓના શત્રુઓને અલ્લાહ તઆલા પોતે હટાવી દે છે, કોઈ દગાખોર, કૃતઘ્ની લોકો, અલ્લાહ તઆલાને સહેજ પણ પસંદ નથી.
૩૯) જે (ઇન્કાર કરનારા મુસલમાનો સાથે) યુદ્વ કરી રહ્યા છે, તેમને (મુસલમાનોને) પણ યુદ્વની પરવાનગી આપવામાં આવે છે, કારણકે તે પીડિત છે, નિ:શંક તેમની મદદ કરવા માટે અલ્લાહ શક્તિ ધરાવે છે.
૪૦) આ તે લોકો છે, જેમને ખોટી રીતે પોતાના ઘરો માંથી કાઢવામાં આવ્યા, ફક્ત તેમની આ વાત પર કે અમારો પાલનહાર ફક્ત અલ્લાહ જ છે, જો અલ્લાહ તઆલા લોકોને અંદરોઅંદર એકબીજા દ્વારા ન હટાવતો તો, બંદગી કરવાની જગ્યા, મસ્જિદો અને ચર્ચો, અને યહૂદીઓની બંદગી કરવાની જગ્યા અને તે મસ્જિદો પણ નષ્ટ કરી દેવામાં આવતી, જ્યાં અલ્લાહ તઆલાનું નામ વધારે લેવાય છે, જે અલ્લાહની મદદ કરશે, અલ્લાહ ચોક્કસ તેની પણ મદદ કરશે, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, ખૂબ જ મૂલ્યવાન છે.
૪૧) આ તે લોકો છે કે જો અમે ધરતી પર તેમને (સરદાર બનાવી દઇએ તો), આ લોકો પાબંદી સાથે નમાઝ પઢશે અને ઝકાત પણ આપશે અને સારા કાર્યોનો આદેશ આપશે અને ખરાબ કાર્યોથી રોકશે, દરેક કાર્યોનું પરિણામ અલ્લાહની પાસે જ છે.
૪૨) જો આ લોકો તમને જુઠલાવે, (તો કોઈ આશ્વર્યની વાત નથી). આ પહેલા નૂહ અ.સ.ની કોમ, આદ અને ષમૂદ,
૪૩) અને ઇબ્રાહીમ અ.સ.ની કોમ અને લૂત અ.સ.ની કોમ,
૪૪) અને મદયનવાળા પણ, પોતાના પયગંબરને જુઠલાવી ચૂક્યા છે, મૂસા અ.સ. ને પણ જુઠલાવવામાં આવ્યા હતાં, બસ ! મેં ઇન્કાર કરનારાઓને આવી રીતે જ મહેતલ આપી, પછી તેમની પકડ કરી, પછી મારી યાતના કેવી રહી ?
૪૫) ઘણી જ વસ્તીઓ છે, જેમને અમે નષ્ટ કરી દીધી, એટલા માટે કે તે અત્યાચારી હતાં, બસ ! તેમાંથી (કેટલીક વસ્તીઓની) છતો ઊંધી પડી છે અને ઘણા આબાદ કુવાં બેકાર પડયા છે અને ઘણા પાકા અને ઊંચા મહેલો વેરાન છે.
૪૬) શું તે લોકો ધરતી પર હર્યા-ફર્યા નથી ? જેથી તેમના હૃદય તે વાતોને સમજી ગયા હોત અથવા કાનથી જ તેમને સાંભળી લેતા હોત, વાત એવી છે કે ફક્ત આંખો જ આંધળી નથી હોતી, પરંતુ તે દિલ આંધળા થઇ જાય છે જે તેમના હૃદયોમાં છે.
૪૭) અને તમારી પાસે યાતના માટે ઉતાવળ કરે છે, અલ્લાહ ક્યારેય પોતાનું વચન નહીં ટાળે, હાં ! તમારા પાલનહાર પાસે એક દિવસ તમારી ગણતરી પ્રમાણે એક હજાર વર્ષનો છે.
૪૮) ઘણી અત્યાચાર કરનારી વસ્તીઓને મેં મહેતલ આપી, છેવટે તેમને પકડી લીધા અને મારી તરફ જ પાછા ફરવાનું છે.
૪૯) જાહેર કરી દો કે, લોકો ! હું તમને સ્પષ્ટ સચેત કરનારો છું.
૫૦) બસ ! જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કાર્ય કર્યા છે, તેમના માટે જ માફી છે અને ઇજજતવાળી રોજી.
૫૧) અને જે લોકો અમારી નિશાનીઓને નીચી બતાવવાનો પ્રયાસ કરે છે, તે લોકો જ જહન્નમી છે.
૫૨) અમે તમારા કરતા પહેલા જે પયગંબરને મોકલ્યા, તેમની સાથે એવું બન્યું કે જ્યારે તેઓ પોતાના હૃદયમાં કોઈ ઇચ્છા કરવા લાગ્યા, તો શેતાને તેમની ઇચ્છામાં કંઇક વધારો કરી દીધો, બસ ! શેતાનના વધારાને અલ્લાહ તઆલા દૂર કરી દે છે, પછી પોતાની વાત નિશ્વિત કરી દે છે, અલ્લાહ તઆલા ખૂબ જ જાણનાર હિકમતવાળો છે.
૫૩) આ એટલા માટે કે શેતાનના વધારાને અલ્લાહ તઆલા તે લોકોની કસોટીનું કારણ બનાવી દે, જેમના હૃદયોમાં રોગ છે અને જેમના હૃદયો સખત છે. નિ:શંક અત્યાચારી લોકો સખત વિવાદમાં છે.
૫૪) અને એટલા માટે પણ કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, તેઓ માની લે કે આ તમારા પાલનહાર તરફથી જ ખરેખર સત્ય છે, પછી તેઓ તેના પર ઈમાન લાવે અને તેમના હૃદય તેની તરફ ઝૂકી જાય, નિ:શંક અલ્લાહ તઆલા ઈમાનવાળાઓને સત્ય માર્ગદર્શન આપવાવાળો છે.
૫૫) ઇન્કાર કરનારા અલ્લાહની આ વહીમાં હંમેશા શંકા જ કરતા રહેશે, ત્યાં સુધી કે અચાનક તેમના માથા પર કયામત આવી જાય, અથવા તેમની પાસે તે દિવસની યાતના આવી જાય, જે અશુભ છે.
૫૬) તે દિવસે ફક્ત અલ્લાહની જ બાદશાહત હશે, તે જ તમારી વચ્ચે ફેંસલો કરશે, ઈમાનવાળાઓ અને સદાચારી લોકો નેઅમતોથી ભરપૂર જન્નતોમાં હશે.
૫૭) અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારી આયતોને જુઠલાવી તેમના માટે અપમાનિત કરી દેનારી યાતના છે.
૫૮) અને જે લોકોએ અલ્લાહના માર્ગમાં વતન છોડ્યું, પછી તેઓને શહીદ કરી દેવામાં આવ્યા, અથવા મૃત્યુ પામ્યા, અલ્લાહ તઆલા તેમને ઉત્તમ રોજી આપશે અને નિ:શંક અલ્લાહ તઆલા રોજી આપનારાઓમાં સૌથી શ્રેષ્ઠ છે.
૫૯) તેઓને અલ્લાહ તઆલા એવી જગ્યાએ પહોંચાડશે કે તે તેનાથી ખુશ થઇ જશે, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને ધૈર્યવાન છે.
૬૦) વાત આવી જ છે. અને જેણે બદલો લીધો, તેના જેવો જ, જેવું તેની સાથે કરવામાં આવ્યું હતું, પછી જો તેની સાથે અતિરેક કરવામાં આવે તો નિ:શંક અલ્લાહ તઆલા પોતે તેની મદદ કરશે, નિ:શંક અલ્લાહ દરગુજર કરનાર, માફ કરનાર છે.
૬૧) આ એટલા માટે કે અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે અને નિ:શંક અલ્લાહ સાંભળનાર, જોનાર છે.
૬૨) આ બધું એટલા માટે કે અલ્લાહ જ સાચો છે અને તેના સિવાય જેમને પણ આ લોકો પોકારે છે તે ખોટા છે. અને નિ:શંક અલ્લાહ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ મોટો છે.
૬૩) શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલા આકાશ માંથી પાણી વરસાવે છે, બસ ! ધરતી હરિયાળી થઇ જાય છે, નિ:શંક અલ્લાહ તઆલા દયાળુ, જાણનાર છે.
૬૪) આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે તે બધું તેનું જ છે અને ખરેખર અલ્લાહ તે જ છે, બે નિયાઝ ,ખૂબ જ પ્રશંસાવાળો.
૬૫) શું તમે નથી જોયું કે અલ્લાહએ જ ધરતીની દરેક વસ્તુને તમારા માટે કામે લગાડેલ છે અને તેના આદેશથી પાણીમાં ચાલતી હોડીઓ પણ, તેણે જ આકાશને રોકી રાખ્યું છે, કે ધરતી પર તેની પરવાનગી વગર પડી ન જાય, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે માયાળુ અને નમ્રતા દાખવનાર તથા દયાળુ છે.
૬૬) તેણે જ તમને જીવન પ્રદાન કર્યું, પછી તે જ તમને મૃત્યુ આપશે, પછી તે જ તમને જીવિત કરશે, નિ:શંક માનવી કૃતઘ્ની છે.
૬૭) દરેક કોમ માટે અમે બંદગી કરવાની એક રીત નક્કી કરી દીધી છે, જેને તેઓ કરવાવાળા છે, બસ ! તેમણે તે આદેશમાં તમારી સાથે ઝઘડો ન કરવો જોઇએ. તમે પોતાના પાલનહાર તરફ લોકોને બોલાવો, ખરેખર તમે જ સત્ય માર્ગવાળા છો.
૬૮) તો પણ આ લોકો તમારી સાથે તકરાર કરવા લાગે, તો તમે કહી દો કે તમારા કાર્યોને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે.
૬૯) નિ:શંક તમારા સૌના વિવાદનો ફેંસલો કયામતના દિવસે અલ્લાહ તઆલા પોતે જ કરશે.
૭૦) શું તમે નથી જાણતા કે આકાશ અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહના જ્ઞાનમાં છે, આ બધું જ લખેલી કિતાબમાં સુરક્ષિત છે, અલ્લાહ તઆલા માટે તો આ કામ ઘણું જ સરળ છે.
૭૧) અને આ લોકો અલ્લાહને છોડીને તે લોકોની બંદગી કરી રહ્યા છે, જેમના પૂજ્ય હોવાની કોઈ દલીલ અવતરિત નથી થઇ, ન તેઓ પોતે તે વિશે જાણે છે, અત્યાચારીઓની મદદ કરનાર કોઈ નથી.
૭૨) જ્યારે તેમની સમક્ષ અમારી કિતાબની ખુલ્લી આયતોનું વર્ણન કરવામાં આવે છે તો, તમે ઇન્કાર કરનારાઓના મોઢાઓ પર નારાજગીના અંશ જોઇ લો છો, તે લોકો અમારી આયતો સંભળાવનારા પર હુમલો કરવા માટે તૈયાર જ બેઠા હોય છે, કહી દો કે શું હું તમને આના કરતા પણ વધારે ખરાબ વાતની જાણ આપું, તે આગ છે, જેનું વચન અલ્લાહએ ઇન્કાર કરનારાઓને આપ્યું છે અને તે ખૂબ જ ખરાબ ઠેકાણું છે.
૭૩) હે લોકો ! એક ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, કાન લગાવી સાંભળો ! અલ્લાહ સિવાય જેને પણ તમે પોકારો છો, તે એક માખીનું સર્જન નથી કરી શકતા, ભલેને બધા જ એકઠા થઇ જાય, પરંતુ જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ લઇ લે તો આ (પૂજ્યો) તો તેને પણ તેની પાસેથી છીનવી નથી શકતા, ખૂબ જ નબળો છે, જે માંગી રહ્યો છે અને ખૂબજ નબળો છે તે, જેની પાસે માંગવામાં આવી રહ્યું છે.
૭૪) તે લોકોએ અલ્લાહની પ્રતિષ્ઠા પ્રમાણે અલ્લાહની કદર ન કરી, અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, વિજયી છે.
૭૫) આદેશ પહોંચાડવા માટે ફરિશ્તાઓ અને માનવીઓ માંથી અલ્લાહ જ પસંદ કરે છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળનાર, જોનાર છે.
૭૬) તે ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તેમની આગળ છે, જે કંઇ તેમની પાછળ છે અને અલ્લાહ તરફ જ દરેક કાર્ય ફેરવવામાં આવે છે.
૭૭) હે ઈમાનવાળાઓ ! રૂકુઅ, સિજદા કરતા રહો અને પોતાના પાલનહારની બંદગીમાં લાગેલા રહો અને સત્કાર્ય કરતા રહો, જેથી તમે સફળ થઇ જાવ.
૭૮) અને અલ્લાહના માર્ગમાં તે રીતે જ જેહાદ કરો, જે રીતે જેહાદ કરવાનો હક છે, તેણે જ તમને પસંદ કર્યા અને તમારા પર દીન બાબતે કોઈ તંગી નથી રાખી, પોતાના પિતા ઇબ્રાહીમ અ.સ.ના દીન પર અડગ રહો, તે અલ્લાહએ જ તમારું નામ મુસલમાન રાખ્યું છે, આ કુરઆન પહેલા અને આમાં પણ, જેથી પયગંબર તમારા પર સાક્ષી બની જાય અને તમે બધા માટે સાક્ષી બની જાવ, બસ ! તમારે નમાઝ પઢતા રહેવું જોઇએ અને ઝકાત આપતા રહેવું જોઇએ અને અલ્લાહને મજબૂતી સાથે થામી લેવા જોઇએ, તે જ તમારો દોસ્ત અને માલિક છે, બસ ! તે કેટલો સારો માલિક છે અને કેટલો શ્રેષ્ઠ મદદ કરનાર
Icon