ترجمة معاني سورة الحشر باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
ﰡ
آية رقم 1
૧) આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અલ્લાહ તઆલા ની પવિત્રતાનું વર્ણન કરે છે, તે પ્રબળ અને હિકમતવાળો છે.
آية رقم 2
૨) તે જ છે જેણે ગ્રંથવાળો માંથી ઇન્કારીઓને, તેમના ઘરો માંથી પ્રથમ ચુકાદાના સમયે કાઢી મુકયા, તમારી કલ્પના (પણ) ન હતી કે તેઓ નીકળશે અને તેઓ પોતે (પણ) સમજી રહ્યા હતા કે તેમના (મજબૂત) કિલ્લા તેઓને અલ્લાહ (ની યાતના) થી બચાવી લેશે, બસ ! તેઓના પર અલ્લાહ (ની યાતના) એવી જગ્યાએથી આવી પહોંચી કે તેમને કલ્પના પણ ન હતી, અને તેમના હૃદયોમાં અલ્લાહએ ડર નાખી દીધો, તેઓ પોતાના ઘરોને પોતાના જ હાથો વડે વિરાન કરી રહ્યા હતા અને મુસલમાનોના હાથો વડે (બરબાદ કરાવી રહ્યા હતા), બસ ! હે જોનારાઓ શિક્ષા ગ્રહણ કરો.
آية رقم 3
૩) અને જો અલ્લાહ તઆલાએ તેઓના પર દેશનિકાલને લખી ન દીધું હોત તો ચોક્કસ પણે તેઓને દુનિયામાં જ સજા આપતો, અને આખેરતમાં (તો) તેઓ માટે આગની સજા તો છે જ.
آية رقم 4
૪) આ એટલા માટે કે તેઓએ અલ્લાહ તઆલા અને તેના પયગંબર વિરોધ કર્યો અને જે પણ અલ્લાહ નો વિરોધ કરશે તો અલ્લાહ તઆલા પણ સખત સજા આપનાર છે.
آية رقم 5
૫) તમે ખજૂરોના જે વૃક્ષો કાપી નાખ્યા અથવા જેમને તમે પોતાના મૂળિયા ઉપર બાકી રહેવા દીધા, આ બધું જ અલ્લાહના આદેશ પ્રમાણે હતું અને એટલા માટે પણ કે પાપીઓને અલ્લાહ અપમાનિત કરે.
آية رقم 6
૬) અને તેઓનું જે ધન અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરના હાથે પહોંચાડયું છે જેના પર ન તો તમે પોતાના ઘોડા દોડાવ્યા અને ન ઊંટો, પરંતુ અલ્લાહ તઆલા પોતાના પયગંબરને જેના પર ઇચ્છે વિજયી બનાવી દે છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિમાન છે.
آية رقم 7
૭) વસ્તીઓવાળાઓનું જે (ધન) અલ્લાહ તઆલા તમારા મુઠ-ભેડ વગર પોતાના પયગંબરને પહોંચાડયું તે અલ્લાહનું છે, પયગંબર માટે અને સગા- સબંધીઓ માટે અને અનાથો લાચારો માટે અને મુસાફરો માટે છે, જેથી તમારા ધનવાનોના હાથમાં જ આ ધન ફરતું ન રહી જાય અને તમને પયગંબર જે કંઇ પણ આપે લઇ લો, અને જેનાથી રોકે રૂકી જાવ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.
آية رقم 8
૮) (જંગમાં લડયા વગર હાથ લાગેલ માલ) તે હિજરત કરનાર લાચારો માટે છે જે પોતાના ઘરબાર અનેસંપત્તિઓ થી કાઢી મુકવામાં આવ્યા, તે અલ્લાહની કૃપા અને પ્રસન્નતા ઇચ્છે છે, તેઓ અલ્લાહ અને તેના પયગંબરની મદદ કરે છે, આ લોકો જ સત્યનિષ્ઠ છે.
آية رقم 9
૯) અને (તેમના માટે પણ છે ) જે લોકોએ તે ઘરમાં એટલે કે (મદીના શહેર) અને ઇમાન માં તે લોકોથી (હિજરત કરનારાઓ ના આગમન) પહેલા જગ્યા બનાવી દીધી છે અને પોતાની તરફ હિજરત કરી આવનારા લોકોથી મોહબ્બત રાખે છે અને હિજરત કરવાવાળાઓને જે કંઇ આપવામાં આવે તેનાથી તેઓ પોતાના હૃદયોમાં તંગી રાખતા નથી, પરંતુ પોતાના પર તેઓને પ્રાથમિકતા આપે છે, ચાહે પોતાની જરૂરત કેમ ન હોય, (વાત આ છે) કે જે પણ પોતાના જીવ માટે કંજૂસી કરવાથી બચાવી લેવામાં આવ્યો તે જ સફળ છે.
آية رقم 10
૧૦) અને (તેમના માટે પણ છે) જે તેમના પછી આવ્યા, તેઓ કહેશે કે હે ! અમારા પાલનહાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇને પણ જે અમારા પહેલા ઇમાન લાવી ચુકયા છે અને ઇમાનવાળાઓ પ્રત્યે અમારા હૃદયોમાં વેર (અને દુશ્મની) પેદા ન કર, હે ! અમારા પાલનહાર નિ:શંક તું માયાળુ અને દયાળુ છે.
آية رقم 11
૧૧) શું તમે ઢોંગીઓને ન જોયા ? તે પોતાના ગ્રથવાળા ઇન્કારી ભાઇઓને કહે છે જો તમે દેશનિકાલ કરવામાં આવ્યા તો જરૂરથી અમે પણ તમારી સાથે નીકળી જઇશું અને તમારા વિશે અમે કયારેય કોઇની પણ વાત નહી માનીએ અને જો તમારાથી લડાઇ કરવામાં આવશે તો જરૂરથી અમે તમારી મદદ કરીશુ પરંતુ અલ્લાહ તઆલા સાક્ષી આપે છે કે આ તદ્દન જૂઠા છે.
آية رقم 12
૧૨) જો તે લોકોને દેશનિકાલ કરવામાં આવે તો આ લોકો તેમની સાથે નહી જાય અને જો તેમની સાથે લડાઇ કરવામાં આવે તો આ લોકો તેમની મદદ (પણ) નહીં કરે અને જો (કદાચ) મદદ કરવા માટે આવી પણ ગયા તો પીઠ બતાવીને ભાગી જશે, પછી મદદ કરવામાં નહીં આવે.
آية رقم 13
૧૩) (મુસલમાનો ભરોસો રાખો) કે તમારો ડર તેઓના હૃદયોમાં અલ્લાહના ડરથી વધારે છે, આ એટલા માટે કે તેઓ સમજ-બુઝ ધરાવતા નથી
آية رقم 14
૧૪) આ સૌ ભેગા થઇને પણ તમારી સાથે લડી નથી શકતા, હાં એ વાત અલગ છે કે કિલ્લામાં હોય અથવા દીવાલો પાછળ છૂપાયેલા હોય, તેમની લડાઇ તો અદંર અદંર જ ખૂબ છે, તમે તેમને ભેગા સમજો છો પરંતુ તેમના હૃદયો અસલ માં એકબીજાથી અલગ છે, એટલા માટે કે આ લોકો સમજ- બુઝ ધરાવતા નથી.
آية رقم 15
૧૫) તે લોકોની જેમ જે થોડાક સમય પહેલા હતા, જેમણે પોતાના કરતુતોનો સ્વાદ ચાખી લીધો અને જેમના માટે દુ:ખદાયી યાતના છે.
آية رقم 16
૧૬) શેતાન ની માફક, કે તેણે માનવીઓને કહ્યુ કે ઇન્કાર કર, જ્યારે તેણે (માનવીએ) ઇન્કાર કરી દીધો તો કહેવા લાગ્યો હું તો તારાથી અળગો છું, હું તો અલ્લાહ જગતના પાલનહારથી ડરુ છું
آية رقم 17
૧૭) બસ ! બન્ને (શેતાન અને ઇન્કારીઓ) નું પરિણામ એવું થયું કે જહન્નમમાં હંમેશા માટે ગયા અને અત્યાચારીઓ માટે આવી જ સજા છે
آية رقم 18
૧૮) હે ઇમાનવાળાઓ ! અલ્લાહથી ડરતા રહો અને દરેક વ્યક્તિ જોઇ લે કે કાલ (કિયામત) માટે તેણે (કાર્યોનું) શું (સંગ્રહ) મોકલ્યું છે. અને (દરેક સમયે) અલ્લાહથી ડરતા રહો, અલ્લાહ તમારા દરેક કાર્યોથી ખબરદાર છે.
آية رقم 19
૧૯) અને તમે તે લોકો જેવા ન થઇ જાઓ જેમણે અલ્લાહ (ના આદેશો) ને ભુલાવી બેઠા, તો અલ્લાહએ પણ તેમના અસ્તિત્વને ભુલાવી દીધું અને આવા જ લોકો અવજ્ઞકારી હોય છે.
آية رقم 20
૨૦) જહન્નમવાળાઓ અને જન્નતવાળાઓ સરખા નથી, જે જન્નતવાળાઓ છે તે જ સફળ છે (અને જે જહન્નમવાળા છે તે નિષ્ફળ છે)
آية رقم 21
૨૧) જો અમે આ કુરઆનને કોઇ પર્વત પર અવતરિત કરતા તો તમે જોતા કે અલ્લાહના ભયથી તે દબાઇને ટુકડે ટુકડા થઇ જતો, અમે આવા ઉદાહરણોને લોકો સામે વર્ણન કરીએ છીએ જેથી તેઓ ચિંતન કરે.
آية رقم 22
૨૨) તે જ અલ્લાહ છે જેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, અદ્રશ્ય અને દ્રશ્યને જાણવાવાળો, કૃપાળુ અને અત્યંત દયાળુ.
آية رقم 23
૨૩) તે જ અલ્લાહ છે જેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, બાદશાહ, અત્યંત પવિત્ર , દરેક ખામીથી સલામત, શાંતિ આપનાર, દેખરેખ કરનાર, વિજયી, શક્તિશાળી, મોટાઇવાળો. પવિત્ર છે અલ્લાહ, તે વસ્તુઓથી જેમને તેઓ અલ્લાહના ભાગીદાર ઠેરવે છે.
آية رقم 24
૨૪) તે જ અલ્લાહ છે, સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના માટે જ પવિત્ર નામ છે, દરેક વસ્તુ ચાહે તે આકાશોમાં હોય અથવા તો ધરતીમાં. તેની પવિત્રતાનું વર્ણન કરે છે. અને તે જ વિજયી, હિકમતવાળો છે.
تقدم القراءة