ترجمة سورة الحجر

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الحجر باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) અલિફ-લામ્-રૉ. આ અલ્લાહની કિતાબની આયતો છે અને સ્પષ્ટ અને પ્રકાશિત કુરઆનની.
૨) એવો પણ સમય હશે જ્યારે ઇન્કાર કરનાર મુસલમાન થવાની ઇચ્છા દર્શાવશે.
૩) તમે તેઓને ખાતાં, ફાયદો ઉઠાવતાં અને આશાઓમાં વ્યસ્ત છોડી દો, તેઓ નજીકમાં જ જાણી લેશે.
૪) કોઈ વસ્તીને તેના નક્કી કરેલ સમય પહેલા અમે નષ્ટ નથી કરી.
૫) કોઈ જૂથ પોતાના મૃત્યુથી ન આગળ વધે છે અને ન તો પાછળ ખસે છે.
૬) તેઓએ કહ્યું કે, હે તે વ્યક્તિ ! જેના પર કુરઆન અવતરિત કરવામાં આવ્યું છે, ખરેખર તું તો કોઈ પાગલ છે.
૭) જો તમે સાચા જ છો, તો અમારી પાસે ફરિશ્તાઓને કેમ નથી લઇ આવતા.
૮) અમે ફરિશ્તાઓને સત્ય સાથે જ ઉતારીએ છીએ અને તે સમયે તેમને મહેતલ આપવામાં નથી આવતી.
૯) અમે જ આ કુરઆનને અવતરિત કર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે.
૧૦) અમે તમારા પહેલાની કોમમાં પણ પોતાના પયગંબર મોકલ્યા.
૧૧) અને જે પણ પયગંબર આવતા, તેઓ તેમની ઠઠ્ઠામશ્કરી કરતા.
૧૨) પાપીઓના હૃદયોમાં અમે આવી જ રીતે આવું ઠસાવી દઇએ છીએ.
૧૩) તેઓ તેમના પર ઇમાન નથી લાવતા અને નિ:શંક આગળના લોકોથી આજ રીત ચાલી રહી છે.
૧૪) અને જો અમે તેમના માટે આકાશના દ્વાર ખોલી પણ નાંખીએ અને આ લોકો તેના પર ચઢવા પણ લાગે.
૧૫) તો પણ આવું જ કહેશે કે અમારી આંખો ધોકો ખાઇ રહી છે અથવા તો અમારા પર જાદુ કરી દેવામાં આવ્યું છે.
૧૬) નિ:શંક અમે આકાશોમાં “બુરૂજો” (સૂર્ય,ચંદ્ર,તારા, વગેરે...) બનાવ્યા અને જોનારાઓ માટે તેને શણગારી દેવામાં આવ્યું છે.
૧૭) અને દરેક ધિક્કારેલા શેતાનથી તેની રક્ષા કરી.
૧૮) હાં, જો કોઈ છુપી રીતે સાંભળવાનો પ્રયત્ન કરે, તેની પાછળ સળગેલો (ગોળો) લાગી જાય છે.
૧૯) અને ધરતીને અમે ફેલાવી દીધી અને તેના પર પર્વતોને નાખી દીધા અને તેમાં અમે દરેક વસ્તુને એક માપ પ્રમાણે ઊપજાવી દીધી છે.
૨૦) અને તેમાં જ અમે તમારી રોજી બનાવી દીધી છે અને જેમને તમે રોજી આપનારા નથી.
૨૧) અને જેટલી પણ વસ્તુઓ છે તે બધાંના ખજાના અમારી પાસે છે અને અમે દરેક વસ્તુને તેના માપસર જ ઉતારીએ છીએ.
૨૨) અને અમે ભારે હવાઓ મોકલીએ છીએ, પછી આકાશ માંથી પાણી વરસાવી તે તમને પીવડાવીએ છીએ અને તમે તેનો સંગ્રહ કરનારા નથી.
૨૩) અમે જ જીવન પ્રદાન કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ અને અમે જ (છેવટે) વારસ છે.
૨૪) અને તમારા માંથી આગળ વધનારા અને પાછળ રહી જનારા પણ અમારી જાણકારીમાં છે.
૨૫) તમારો પાલનહાર બધાંને ભેગા કરશે, નિ:શંક તે ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જ્ઞાનવાળો છે.
૨૬) નિ:શંક અમે મનુષ્યનું સર્જન, કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટીથી કર્યું.
૨૭) અને આ પહેલા અમે જિન્નાતોનું સર્જન, લૂં વાળી આગ વડે કર્યું.
૨૮) અને જ્યારે તારા પાલppનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું એક મનુષ્યનું સર્જન કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે કરવાનો છું.
૨૯) તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉ અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેના માટે સિજદો કરજો.
૩૦) છેવટે દરેક ફરિશ્તાઓએ સિજદો કર્યો.
૩૧) પરંતુ ઇબ્લિસ સિવાય, કે તેણ સિજદો કરવાવાળો માંથી થવાનો ઇન્કાર કર્યો.
૩૨) (અલ્લાહ તઆલાએ) કહ્યું હે ઇબ્લિસ ! તને શું થયું કે તું સિજદો કરનારાઓ માંથી ન થયો ?
૩૩) તેણે કહ્યું કે, હું એવો નથી કે તે મનુષ્યને સિજદો કરું જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે બનાવ્યો.
૩૪) કહ્યું, હવે જન્નત માંથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે.
૩૫) અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે.
૩૬) કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે.
૩૭) કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે.
૩૮) નક્કી કરેલ દિવસ સુધી.
૩૯) (શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર ! જો કે તે મને પથભ્રષ્ટ કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ ધરતી પર તેમના માટે ગુનાને શણગારી દઇશ અને તે બધાને પથભ્રષ્ટ પણ કરીશ.
૪૦) તારા તે બંદાઓ સિવાય, જેઓને પસંદ કરી લેવામાં આવ્યા છે.
૪૧) કહ્યું કે, હાં, આ જ મારા સુધી પહોંચવા માટેનો સત્ય માર્ગ છે.
૪૨) મારા બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નથી, પરંતુ હાં જે પથભ્રષ્ટ લોકો તારું અનુસરણ કરશે.
૪૩) નિ:શંક તે સૌનું ઠેકાણું જહન્નમ છે.
૪૪) જેના સાત દ્વાર છે, દરેક દ્વાર માટે તેમનો એક ભાગ વહેંચાયેલો છે.
૪૫) ડરવાવાળા જન્નતી લોકો, બગીચાઓ અને ઝરણાઓમાં હશે.
૪૬) (તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે આમાં પ્રવેશ કરો.
૪૭) તેમના હૃદયોમાં જે કંઈ પણ કપટ અને નિરાશા હતી, અમે બધું જ કાઢી લઇશું, તે ભાઇ-ભાઇ બની એક-બીજા સામે આસનો પર બેઠા હશે.
૪૮) ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે અને ન તો તેઓ ત્યાંથી ક્યારેય કાઢવામાં આવશે.
૪૯) મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું.
૫૦) અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે.
૫૧) તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો.
૫૨) કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે.
૫૩) તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ.
૫૪) કહ્યું શું આ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી તમે મને ખુશખબર આપો છો, આ ખુશખબર તમે કેવી રીતે આપી રહ્યા છો
૫૫) તેઓએ કહ્યું કે અમે તમને સાચી ખુશખબરી આપી રહ્યા છીએ. તમે નિરાશ લોકો માંથી ન થઇ જાવ.
૫૬) કહ્યું કે પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત પથભ્રષ્ટ લોકો અને ભટકેલા લોકો જ થાય છે.
૫૭) પુછ્યું કે, અલ્લાહએ મોકલેલા (ફરિશ્તાઓ) ! તમારું એવું શું અગત્યનું કામ છે?
૫૮) તેમણે જવાબ આપ્યો કે અમે અપરાધી લોકો તરફ મોકલવામાં આવ્યા છે.
૫૯) પરંતુ લૂતના કુટુંબીજનો સિવાય અમે તે સૌને જરૂર બચાવી લઇશું.
૬૦) તેમની પત્ની સિવાય, અમે તેણીને રોકાઇ જનારાઓ અને બાકી રહેવાવાળાઓ માંથી નક્કી કરી દીધી છે.
૬૧) જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા.
૬૨) તો તેમણે (લૂત અ.સ.)એ કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો.
૬૩) તેઓએ (ફરિશ્તાઓએ) કહ્યું ! ના, પરંતુ અમે તારી પાસે તે વસ્તુ લઇને આવ્યા છીએ જેના વિશે આ લોકો શંકામાં હતા.
૬૪) અમે તો તમારી પાસે (સ્પષ્ટ) સત્ય લઇને આવ્યા છીએ અને ખરેખર સાચી છે.
૬૫) હવે તમે પોતાના કુટુંબીજનો સાથે રાત્રિના કોઈ પ્રહરમાં ચાલી નીકળો અને તમે તેઓની પાછળ રહેજો અને (ખબરદાર) તમારા માંથી કોઈ (પાછળ) ચહેરો ફેરવીને ન જુએ. અને જે જગ્યા પરનો આદેશ તમને આપવામાં આવી રહ્યો છે ત્યાં જતા રહેજો.
૬૬) અને અમે તેમના માટે એ વાતનો નિર્ણય કરી લીધો કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું.
૬૭) અને શહેરવાળાઓ ખુશી મનાવતા આવ્યા.
૬૮) (લૂત અ.સ. એ) કહ્યું, આ લોકો મારા મહેમાન છે, મારું અપમાન ન કરો.
૬૯) અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરો.
૭૦) તેઓએ કહ્યું શું અમે તમને આખી દુનિયાની (ઠેકેદારી) થી રોક્યા નથી ?
૭૧) (લૂત અ.સ. એ) કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે.
૭૨) તમારી વયના સોગંદ ! તે તો પોતાની ખોટી મસ્તીમાં જ હતા.
૭૩) બસ ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા.
૭૪) છેવટે અમે તે શહેરને ઉપર કરી દીધું અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા.
૭૫) નિ:શંક જોનારા માટે આમાં ઘણી જ નિશાનીઓ છે.
૭૬) આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી.
૭૭) અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.
૭૮) “અયકહ” વસ્તીના રહેવાસીઓ પણ ઘણા અત્યાચારી હતા.
૭૯) જેમનાથી અમે બદલો લીધો, આ બન્ને શહેર સામાન્ય માર્ગ ઉપર હતા.
૮૦) અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
૮૧) અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા.
૮૨) આ લોકો નિડરતાથી પર્વતોને કોતરીને ઘર બનાવતા હતા.
૮૩) છેવટે તેઓને પણ સવાર થતા જ ચીસે પકડી લીધા.
૮૪) બસ ! તેમની કોઈ યુક્તિ અથવા કાર્યએ કંઈ પણ ફાયદો ન પહોંચાડ્યો.
૮૫) અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સત્ય સાથે સર્જન કર્યું. અને કયામત જરૂર આવશે. બસ ! તમે સારી રીતે દરગુજર કરો.
૮૬) નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને જાણવાવાળો છે.
૮૭) નિ:શંક અમે તમને સાત આયતો આપી રાખી છે, જે વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે.
૮૮) તમે ક્યારેય પોતાની નજર તે વસ્તુ તરફ ન કરો, જેના કારણે અમે તેમના માંથી કેટલાય પ્રકારના લોકોને ધનિષ્ઠ બનાવ્યા છે. ન તેમના પર તમે નિરાશ થશો અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો.
૮૯) અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.
૯૦) જેવી રીતે કે અમે તે મતભેદ કરનારાઓ માટે ઉતારી હતી.
૯૧) જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા.
૯૨) સોગંદ છે તમારા પાલનહારની ! અમે તે બધાને જરૂર પૂછીશું.
૯૩) દરેક તે બાબત વિશે જે તેઓ કરતા હતા.
૯૪) બસ ! તમે તે આદેશને જે તમને આપવામાં આવ્યો છે, સ્પષ્ટ રીતે જણાવી દો અને મુશરિકોથી મોઢું ફેરવી લો.
૯૫) તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે.
૯૬) જે અલ્લાહની સાથે બીજાને પૂજ્ય નક્કી કરે છે તેમને નજીકમાં જ જાણ થઇ જશે.
૯૭) અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે.
૯૮) તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ અને પ્રશંસાનું વર્ણન કરતા રહો અને સિજદો કરનારાઓમાં થઇ જાવ.
૯૯) અને પોતાના પાલનહારની બંદગી કરતા રહો ત્યાં સુધી કે તમે મૃત્યુ પામો.
Icon