ترجمة سورة القصص

الترجمة الغوجراتية
ترجمة معاني سورة القصص باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) તૉ-સીન્-મીમ્
૨) આ પ્રકાશિત કિતાબની આયતો છે.
૩) અમે તમારી સમક્ષ મૂસા અને ફિરઔનના સાચા કિસ્સાનું વર્ણન કરીએ છીએ, તે લોકો માટે, જેઓ ઈમાન ધરાવે છે.
૪) નિ:શંક ફિરઔને ધરતી પર વિદ્રોહ કર્યો હતો અને ત્યાંના લોકોને અલગઅલગ જૂથમાં વહેચી દીધા હતાં અને તેમાંથી એક જૂથને નબળો બનાવી દીધો હતો અને તેમના બાળકોને તો ઝબહ કરી નાખતો હતો અને તેમની બાળકીઓને જીવિત છોડી દેતો હતો, નિ:શંક તે વિદ્રોહી લોકો માંથી હતો.
૫) પછી અમારી ઇચ્છા થઇ કે અમે તેમના પર કૃપા કરીએ, જેમને ધરતીમાં તદ્દન નબળા બનાવી દીધા હતાં અને અમે તેમને જ નાયબ અને (ધરતી)ના વારસદાર બનાવીએ.
૬) અને એ પણ કે અમે ધરતી પર તાકાત અને અધિકાર આપીએ અને ફિરઔન, હામાન અને તેમના લશ્કરોને તે બતાવીએ જેનાથી તેઓ ડરી રહ્યા હતાં.
૭) અમે મૂસા અ.સ.ની માતાને વહી કરી કે તેને દૂધ પીવડાવતી રહે અને જ્યારે તને તેના વિશે કંઇ ભય લાગે તો તેને દરિયામાં વહાવી દેજો અને કોઈ ડર ન રાખજો અને નિરાશ ન થશો. અમે ખરેખર તેને તમારી તરફ પાછા મોકલીશું. અને તેને અમારા પયગંબરો માંથી બનાવીશું.
૮) છેવટે ફિરઔનના લોકોએ તે બાળકને ઉઠાવી લીધો કે છેવટે આ જ બાળક તેમનો શત્રુ બન્યો અને તેમની નિરાશા માટેનું કારણ બન્યો, કંઇ શંકા નથી કે ફિરઔન અને હામાન અને તેમના લશ્કર અપરાધી જ હતાં.
૯) અને ફિરઔનની પત્નીએ કહ્યું, આ તો મારી અને તમારી આંખોની ઠંડક છે, તેને કતલ ન કરો, શક્ય છે કે આ આપણને કંઇક ફાયદો પહોંચાડે અથવા તેને આપણો જ દીકરો બનાવી લઇએ અને તે લોકો સમજતા જ ન હતાં.
૧૦) મૂસા અ.સ.ની માતાનું દીલ ગભરાઇ ગયું, આ કિસ્સાને જાહેર કરવાની જ હતી જો અમે તેમના હૃદયને શાંતિ ન આપતા, આ એટલા માટે કે તે વિશ્વાસ કરવાવાળાઓ માંથી બની જાય.
૧૧) મૂસા અ.સ.ની માતાએ મૂસાની બહેનને કહ્યું, કે તું આની પાછળ પાછળ જા, તો તે તેને (મૂસાને) દૂરથી જોઇ રહી હતી અને ફિરઔનના લોકોને આની જાણ પણ ન થઇ.
૧૨) તેમના પહોંચતા પહેલા જ અમે મૂસા અ.સ. પર દૂધ પીવડાવનારીઓનું દૂધ અવૈધ કરી દીધું હતું, તે કહેવા લાગી, કે શું હું તમને એવું ઘર બતાવું, જે આ બાળકનું તમારા માટે ભરણ-પોષણ કરે અને તેઓ તેના માટે શુભેચ્છક હોય ?
૧૩) બસ ! અમે તેને તેની માતા તરફ પાછો ફેરવ્યો, જેથી તેની આંખો ઠંડી રહે અને નિરાશ ન થાય અને જાણી લે કે અલ્લાહ તઆલાનું વચન સાચું છે, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી.
૧૪) અને જ્યારે મૂસા અ.સ. યુવા વસ્થામાં પહોંચી ગયા અને સંપૂર્ણ બળવાન થઇ ગયા, અમે તેમને હિકમત અને જ્ઞાન આપ્યું, સત્કાર્ય કરવાવાળાઓને અમે આવી જ રીતે બદલો આપીએ છીએ.
૧૫) અને મૂસા અ.સ. એક એવા સમયે શહેરમાં આવ્યા જ્યારે કે શહેરના લોકો બેદરકાર હતાં, અહીંયા બે વ્યક્તિઓને ઝઘડતા જોયા, એક તો તેમના મિત્રો માંથી હતો અને બીજો તેમના શત્રુઓ માંથી હતો, તેની કોમવાળાઓએ તેની વિરુદ્ધ, જે તેમના શત્રુઓ માંથી હતો, તેમને ફરિયાદ કરી, તેના કારણે મૂસા અ.સ.એ તેને મુક્કો માર્યો, જેના કારણે તે મૃત્યુ પામ્યો, મૂસા અ.સ. કહેવા લાગ્યા કે આ તો શેતાનનું કાર્ય છે, ખરેખર શેતાન શત્રુ અને સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ કરનાર છે.
૧૬) પછી દુઆ કરવા લાગ્યા કે, હે પાલનહાર ! મેં પોતે મારા પર અત્યાચાર કર્યો છે, તું મને માફ કરી દે, અલ્લાહ તઆલાએ તેમને માફ કરી દીધા, તે માફ કરનાર અને ઘણો દયાળુ છે.
૧૭) કહેવા લાગ્યા કે, હે મારા પાલનહાર ! જેવી રીતે તેં મારા પર આ દયા કરી, હું પણ હવે ક્યારેય કોઈ પાપીની મદદ નહીં કરું.
૧૮) સવારમાં ભયના કારણે જાણવા માટે શહેરમાં ગયા કે અચાનક તે જ વ્યક્તિ, જેણે ગઇકાલે તેમની પાસે મદદ માંગી હતી, તેમની ફરિયાદ કરી રહ્યો છે, મૂસા અ.સ.એ તેને કહ્યું, કે આમાં કોઈ શંકા નથી કે તું સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.
૧૯) પછી જ્યારે પોતાના અને તેના શત્રુને પકડવા લાગ્યા, તે ફરિયાદી કહેવા લાગ્યો કે મૂસા ! શું જેવી રીતે ગઇકાલે તે એક વ્યક્તિનું કતલ કર્યું છે, મને પણ મારી નાખવા ઇચ્છે છે ? તું તો શહેરમાં અત્યાચારી અને વિદ્રોહી બનવા માંગે છે. અને તારી એ ઇચ્છા જ નથી કે મેળાપ કરવાવાળાઓ માંથી બને.
૨૦) શહેરના કિનારા પરથી એક વ્યક્તિ દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે, હે મૂસા ! અહીંના સરદારો તને કતલ કરવાની ચર્ચા કરી રહ્યા છે, બસ ! તું હમણા જ જતો રહે અને મને તારો શુભેચ્છક સમજ.
૨૧)બસ ! મૂસા અ.સ. ત્યાંથી ડરતા ડરતા ભાગી ગયા, કહેવા લાગ્યા કે, હે પાલનહાર ! મને અત્યાચારી જૂથથી બચાવી લે.
૨૨) અને જ્યારે મદયન તરફ ગયા તો કહેવા લાગ્યા, મને આશા છે કે મારો પાલનહાર મને સીધા માર્ગે લઇ જશે.
૨૩) મદયનના પાણી પાસે જ્યારે પહોંચ્યા, તો જોયું કે લોકોનું એક જૂથ ત્યાં પાણી પીવડાવી રહ્યું છે અને બે સ્ત્રીઓ અલગ ઊભી રહી પોતાના (ઢોરોને) રોકતા દેખાઇ, પૂછ્યું કે તમને શું મુશ્કેલી છે ? તે બન્નેએ કહ્યું કે જ્યાં સુધી આ ચરાવનાર પાછા ન જાય ત્યાં સુધી અમે પાણી નહીં પીવડાવીએ અને અમારા પિતા ઘણા વૃદ્વ છે.
૨૪) બસ ! મૂસા અ.સ.એ પોતે તે ઢોરોને પાણી પીવડાવી દીધું, પછી છાંયડા તરફ આવી ગયા અને કહેવા લાગ્યા કે હે પાલનહાર ! તું જે કંઇ પણ ભલાઇ મારી તરફ ઉતારે હું તેનો મોહતાજ છું.
૨૫) એટલા માંજ તે બન્ને સ્ત્રીઓ માંથી એક તેમની તરફ શરમાઇને આવી, કહેવા લાગી કે મારા પિતા તમને બોલાવે છે, જેથી તમે અમારા (ઢોરો)ને જે પાણી પીવડાવ્યું છે તેનું વળતર આપે. જ્યારે મૂસા અ.સ. તેમની પાસે પહોંચ્યા અને તેમની સામે પોતાની સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું, તો તે કહેવા લાગ્યા હવે ડરો નહીં, તમે અત્યાચારી કોમથી છૂટકારો મેળવ્યો.
૨૬) તે બન્ને માંથી એકે કહ્યું, પિતાજી ! તમે તેમને મજૂરી માટે રાખી લો, કારણકે જેને તમે મજૂરી માટે રાખશો, તેમના માંથી સૌથી શ્રેષ્ઠ તે છે, જે તાકાતવાળો અને નિષ્ઠાવાન હોય.
૨૭) તે વૃદ્વે કહ્યું, હું મારી બન્ને દિકરીઓ માંથી એકને તમારી સાથે લગ્ન કરાવવા ઇચ્છું છું, તેની (મહેર) આઠ વર્ષ સુધી મારી પાસે કામ કરશો, હાં તમે દસ વર્ષ પૂરા કરો તો તે તમારા તરફથી ઉપકાર રૂપે હશે, હું એવું ક્યારેય નથી ઇચ્છતો કે તમને કોઈ તકલીફ આપું, અલ્લાહ ઇચ્છશે તો તમે મને શુભેચ્છક પામશો.
૨૮) મૂસા અ.સ.એ કહ્યું, તો આ વાત મારી અને તમારી વચ્ચે નક્કી થઇ ગઇ, હું તે બન્ને સમયગાળા માંથી જે સમય પણ પૂરો કરું, મારા પર કોઈ અતિરેક ન થાય, આપણે જે કંઇ પણ કહી રહ્યા છે, તેના પર અલ્લાહ (સાક્ષી અને) વ્યવસ્થાપક છે.
૨૯) જ્યારે મૂસા અ.સ.એ સમયગાળો પૂરો કરી લીધો અને પોતાના ઘરવાળાઓને લઇને ચાલ્યા, તો “તૂર” નામના પર્વત તરફ આગ જોઇ, પોતાની પત્નીને કહેવા લાગ્યા, ઊભા રહો ! મેં આગ જોઇ છે, શક્ય છે કે હું ત્યાંથી કોઈ જાણકારી લઇને આવું અથવા આગનો કોઈ અંગારો લઇ આવું જેથી તમે તાપણું કરી લો.
૩૦) બસ ! જ્યારે ત્યાં પહોંચ્યા, તો તે પવિત્ર ધરતીના મેદાનના જમણા કિનારે વૃક્ષ માંથી પોકારવામાં આવ્યા કે, હે મૂસા ! નિ:શંક હું જ અલ્લાહ છું, સમગ્ર સૃષ્ટિનો પાલનહાર.
૩૧) અને એ (પણ અવાજ) આવ્યો કે પોતાની લાકડી નાખી દો, પછી જ્યારે તેને જોઇ તો તે સાપની જેમ વળ ખાઇ રહી છે, તો પીઠ ફેરવી પરત આવ્યા અને રોકાઇને જોયું પણ નહીં, અમે કહ્યું કે, હે મૂસા ! આગળ આવો, ડરો નહીં, ખરેખર તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છો.
૩૨) પોતાના હાથને પોતાના ગળામાં નાખ, તે કોઈ રોગ વગર ચમકતો થઇ જશે, તદ્દન સફેદ અને ભયના કારણે પોતાના ખભા દબાવી લે, બસ ! આ બન્ને ચમત્કાર તમારા માટે તમારા પાલનહાર તરફથી છે, ફિરઔન અને તેના જૂથ તરફ, ખરેખર તે બધા અવજ્ઞાકારી છે.
૩૩) મૂસા અ.સ.એ કહ્યું, પાલનહાર ! મેં તેમના એક વ્યક્તિનું કતલ કરી દીધું છે, હવે મને ભય છે કે તેઓ મને પણ કતલ કરી નાખશે.
૩૪) અને મારો ભાઇ હારૂન, મારા કરતા વધારે સ્પષ્ટ જબાનવાળો છે, તું તેને પણ મારી મદદ કરનાર બનાવી મારી સાથે મોકલ, કે તે મને સાચો માની લે, મને તો ભય છે કે તે સૌ મને જુઠલાવી દેશે.
૩૫) અલ્લાહ તઆલાએ કહ્યું કે અમે તમારા ભાઇ વડે તમારા પક્ષને મજબૂત કરી દઇશું અને તમને બન્નેને વિજય આપીશું, ફિરઔનના લોકો તમારા સુધી નહીં પહોંચી શકે, અમારી નિશાનીઓના કારણે, તમે બન્ને અને તમારું અનુસરણ કરનારા જ પ્રભુત્વશાળી રહેશે.
૩૬) બસ ! તેમની પાસે મૂસા અ.સ. અમારા આપેલા સ્પષ્ટ ચમત્કારો લઇને પહોંચ્યા તો તેઓ કહેવા લાગ્યા, આ તો ઘડી કાઢેલું જાદુ છે, અમે પોતાના પૂર્વજોના સમયમાં ક્યારેય આવું નથી સાંભળ્યું.
૩૭) મૂસા અ.સ. કહેવા લાગ્યા, મારો પાલનહાર તેને ખૂબ સારી રીતે જાણે છે, જે તેની પાસે સત્ય માર્ગ લઇ આવે છે અને જેના માટે આખેરતનું પરિણામ (સારું) હોય, ખરેખર અત્યાચારીઓનું ભલું નહીં થાય.
૩૮) ફિરઔન કહેવા લાગ્યો, હે દરબારીઓ ! હું તો મારા સિવાય કોઈને તમારો પૂજ્ય નથી માનતો, સાંભળ ! હે હામાન ! તું મારા માટે માટીને આગમાં ગરમ કર, પછી મારા માટે એક મહેલ બનાવ, તો હું મૂસાના પૂજ્યને જોઇ શકું, આને હું જુઠ્ઠો સમજું છું.
૩૯) તેણે અને તેના લશ્કરોએ ખોટી રીતે શહેરમાં અહંકાર કર્યો અને સમજી બેઠા કે તેઓ અમારી પાસે પાછા ફેરવવામાં જ નહીં આવે.
૪૦) છેવટે અમે તેને અને તેના લશ્કરોને પકડી લીધા અને દરિયામાં ડુબાડી દીધા, હવે જોઇ લો કે તે અપરાધીઓની દશા કેવી થઇ ?
૪૧) અને અમે તેમને એવા નાયબ બનાવી દીધા કે લોકોને જહન્નમ તરફ બોલાવે અને કયામતના દિવસે તેમની કંઇ મદદ કરવામાં નહીં આવે.
૪૨) અને અમે આ દુનિયામાં પણ તેમની પાછળ પોતાની લઅનત (ફિટકાર) કરી દીધી અને કયામતના દિવસે પણ તેઓ ખરાબ સ્થિતિમાં હશે.
૪૩) અને પહેલાના લોકોને નષ્ટ કર્યા પછી, અમે મૂસાને એવી કિતાબ આપી જે લોકો માટે પુરાવો અને સત્ય માર્ગ અને કૃપા બનીને આવી, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
૪૪) અને તૂરની પશ્ર્ચિમ તરફ જ્યારે અમે મૂસા અ.સ.ને આદેશની વહી આપી તે સમયે તમે ન તો ત્યાં હાજર હતાં અને ન તો જોનારા માંથી હતાં.
૪૫) પરંતુ અમે ઘણી પેઢીઓનું સર્જન કર્યું, જેમના પર લાંબો સમયગાળો પસાર થઇ ગયો અને ન તો તમે મદયનના લોકો માંથી હતાં કે તેમની સામે અમારી આયતોને પઢતા, પરંતુ અમે જ પયગંબરોને મોકલવાવાળા છે.
૪૬) અને ન તમે “તૂર” વખતે હતાં, જ્યારે અમે પોકાર્યા, પરંતુ આ તમારા પાલનહાર તરફથી એક કૃપા છે, એટલા માટે કે તમે તે લોકોને સચેત કરી દો, જેમની પાસે તમારાથી પહેલા કોઈ સચેત કરનાર નથી આવ્યા, કદાચ કે તેઓ શિખામણ પ્રાપ્ત કરી લે.
૪૭) તેમણે પોતે કરેલા કરતુતોના કારણે કોઈ મુસીબત પહોંચતી, જો આ વાત ન હોત તો, આ લોકો કહેતા કે હે અમારા પાલનહાર ! તે અમારી તરફ કોઈ પયગંબર કેમ ન મોકલ્યા ? કે અમે તારી આયતોનું અનુસરણ કરતા અને ઈમાનવાળાઓ માંથી થઇ જતા.
૪૮) પછી જ્યારે તેમની પાસે અમારા તરફથી સત્ય આવી ગયું તો, કહે છે કે આમને મૂસા જેવું કેમ આપવામાં ન આવ્યું ? સારું, તો શું મૂસા અ.સ.ને જે કંઇ આપવામાં આવ્યું હતું તેનો ઇન્કાર લોકોએ નહતો કર્યો ? સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ બન્ને જાદુગર છે, જે એકબીજાની મદદ કરનાર છે અને અમે તો આ બધાનો ઇન્કાર કરનારા છીએ.
૪૯) કહી દો, કે જો સાચા હોવ તો તમે પણ અલ્લાહ પાસેથી કોઈ એવી કિતાબ લઇ આવો, જે તે બન્ને કરતા વધારે માર્ગદર્શન આપતી હોય, હું તેનું જ અનુસરણ કરીશ.
૫૦) પછી જો આ લોકો તમારી વાત ન માને, તો તમે વિશ્વાસ કરી લો, કે આ લોકો પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે અને તેના કરતા વધારે પથભ્રષ્ટ કોણ છે ? જે પોતાની મનેચ્છાઓ પાછળ પડેલ છે, અલ્લાહના માર્ગદર્શન વગર, નિ:શંક અલ્લાહ તઆલા અત્યાચારી લોકોને સત્ય માર્ગદર્શન નથી આપતો.
૫૧) અને અમે સતત લોકો માટે અમારી વાણી અવતરિત કરતા રહ્યા, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
૫૨) જેમને અમે આ પહેલા કિતાબ આપી, તે તો આના પર પણ ઈમાન ધરાવે છે.
૫૩) અને જ્યારે તેની આયતો તેમની સમક્ષ પઢવામાં આવે છે તો, તેઓ કહી દે છે, આ કિતાબનું અલ્લાહ તરફથી હોવું, આના પર અમારું ઈમાન છે, અમે તો આ પહેલાથી જ મુસલમાન છે.
૫૪) આવા લોકોને પોતે રાખેલ ધીરજના બદલામાં બમણું વળતર આપવામાં આવશે, તેઓ સત્કાર્ય વડે દુષ્કર્મને દૂર દે છે અને અમે જે કંઇ પણ તેમને આપી રાખ્યું છે તેમાંથી આપતા રહે છે.
૫૫) અને જ્યારે નકામી વાત સાંભળે છે, તો તેનાથી અળગા રહે છે અને કહી દે છે કે અમારા કાર્યો અમારા માટે અને તમારા કાર્યો તમારા માટે. તમારા પર સલામતી થાય, અમે અજાણ લોકો સાથે (તકરાર) કરવા નથી ઇચ્છતા.
૫૬) તમે જેને ઇચ્છો, સત્ય માર્ગ પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, સત્ય માર્ગ બતાવે છે. સત્ય માર્ગવાળાઓને તે જ ખૂબ સારી રીતે જાણે છે.
૫૭) કહેવા લાગ્યા, કે જો અમે તમારી સાથે મળી, સત્ય માર્ગનું અનુસરણ કરવા લાગીએ તો, અમને અમારા શહેર માંથી કાઢી મૂકવામાં આવશે, શું અમે તેમને શાંત અને પવિત્ર શહેરમાં જગ્યા નથી આપી ? જ્યાં દરેક પ્રકારના ફળો મળી આવે છે, જે અમારી પાસે રોજી માટે છે, પરંતુ તેમના માંથી ઘણા લોકો કંઇ જાણતા નથી.
૫૮) અને અમે ઘણી તે વસ્તીઓ નષ્ટ કરી દીધી, જેઓ પોતાના મોજશોખ પર ઇતરાવા લાગી હતી, આ છે તેમની રહેવાની જગ્યાઓ, ત્યાર પછી તે જગ્યાને ઘણી જ ઓછી આબાદ કરવામાં આવી અને અમે જ દરેક વસ્તુના વારસદાર છે.
૫૯) તમારો પાલનહાર કોઈ એક વસ્તીને પણ ત્યાં સુધી નષ્ટ નથી કરતો, જ્યાં સુધી કે તેમની કોઈ મોટી વસ્તીમાં પોતાનો પયગંબર ન મોકલે, જે તેમને અમારી આયતો પઢીને સંભળાવે અને અમે વસ્તીઓને ત્યારે જ નષ્ટ કરીએ છીએ જ્યારે ત્યાંના લોકો અત્યાચાર કરવામાં હદ વટાવી દે.
૬૦) અને તમને જે કંઇ આપવામાં આવ્યું છે, તે ફક્ત દુનિયાના જીવનનો સામાન અને તેનો શણગાર છે, હાં અલ્લાહ પાસે જે કંઇ છે તે ખૂબ જ ઉત્તમ અને હંમેશા રહેવાવાળુ છે, શું તમે નથી સમજતા ?
૬૧) શું તે વ્યક્તિ, જેને અમે સાચું વચન આપ્યું છે, જે થઇને જ રહેશે, તે એવા વ્યક્તિ જેવો થઇ શકે છે ? જેને અમે દુનિયાના જીવનને થોડોક ફાયદો અમસ્તા જ આપી દીધો, છેવટે તે કયામતના દિવસે પકડીને હાજર કરવામાં આવશે.
૬૨) અને જે દિવસે અલ્લાહ તઆલા તેમને પોકારીને કહેશે કે તમે જે લોકોને મારા ભાગીદાર ઠેરવતા હતાં, તેઓ ક્યાં છે ?
૬૩) જેમના માટે વાત સાબિત થઇ, ગઇ તેઓ જવાબ આપશે કે હે અમારા પાલનહાર ! આ જ તે લોકો છે, જેમને અમે ભટકાવ્યા હતાં, અમે તે લોકોને તેવી જ રીતે ભટકાવ્યા જેવી રીતે અમે ભટકાવવામાં આવ્યા હતાં, અમે તારી સામે તેમનાથી અળગા છે, આ લોકો અમારી બંદગી ન હતા કરતા.
૬૪) કહેવામાં આવશે કે પોતાના ભાગીદારોને બોલાવો, તેઓ બોલાવશે, પરંતુ તેઓ જવાબ પણ નહીં આપે અને સૌ યાતનાને જોઇ લેશે. કાશ આ લોકો સત્ય માર્ગ પર હોત.
૬૫) તે દિવસે તેમને બોલાવી પૂછશે કે, તમે પયગંબરોને શું જવાબ આપ્યો ?
૬૬) ત્યારે, તે દિવસે, તેમના દરેક પુરાવા વ્યર્થ થઇ જશે અને એકબીજાને સવાલ પણ નહીં કરે.
૬૭) હાં, જે વ્યક્તિ તૌબા કરી લે, ઈમાન લઇ આવે અને સત્કાર્ય કરે, તે જ છૂટકારો પામનારા લોકો માંથી થઇ જશે.
૬૮) અને તમારો પાલનહાર જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે અને જેને ઇચ્છે છે પસંદ કરી લે છે, તેમાંથી કોઈને કંઇ પણ અધિકાર નથી, અલ્લાહ માટે જ પવિત્રતા છે, તે પવિત્ર છે તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે.
૬૯) તેમના હૃદયો જે કંઇ છુપાવે છે અને જે કંઇ જાહેર કરે છે, તમારો પાલનહાર બધું જ જાણે છે.
૭૦) તે જ અલ્લાહ છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, દુનિયા અને આખેરતમાં તેના માટે જ પ્રશંસા છે, આદેશ તેનો જ છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફેરવવામાં આવશો.
૭૧) કહી દો, કે જુઓ તો ખરા, અલ્લાહ તઆલા તમારા પર રાત્રિને કયામત સુધી નક્કી કરી દે તો અલ્લાહ સિવાય કોણ પૂજ્ય છે, જે તમારી પાસે દિવસનો પ્રકાશ લાવે ? શું તમે સાંભળતા નથી ?
૭૨) પૂછો ! કે એ પણ જણાવો, કે જો અલ્લાહ તઆલા તમારા પર હંમેશા માટે કયામત સુધી દિવસ જ રાખે તો પણ અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય છે જે તમારી પાસે રાત લઇ આવે ? જેમાં તમે આરામ કરો, શું તમે જોતા નથી ?
૭૩) તેણે જ તમારા માટે પોતાની કૃપા દ્વારા દિવસ-રાત નક્કી કરી દીધા છે, કે તમે રાતના સમયે આરામ કરો અને દિવસમાં તેની મોકલેલી રોજી શોધો. આ એટલા માટે કે તમે આભાર વ્યક્ત કરો.
૭૪) અને જે દિવસે તેમને પોકારી, અલ્લાહ તઆલા કહેશે, કે જેમને તમે મારી સાથે ભાગીદાર ઠેરાવતા હતા, તેઓ ક્યાં છે ?
૭૫) અને અમે દરેક કોમ માંથી એક સાક્ષી આપનાર અલગ કરી દઇશું, કે પોતાના પુરાવા રજુ કરો, બસ ! તે સમયે જાણી લેશે કે સત્ય અલ્લાહ તઆલા પાસે છે અને જે કંઇ જૂઠાણું તે લોકો બાંધતા હતાં, બધું જ તેમની પાસેથી અદૃશ્ય થઇ જશે.
૭૬) કારૂન મૂસા અ.સ.ની કોમ માંથી હતો, પરંતુ તેમના પર અત્યાચાર કરતો હતો, અમે તેને (એટલા) ખજાના આપી રાખ્યા હતાં કે કેટલાય શક્તિશાળી લોકો મુશ્કેલીથી તે (ખજાનાની) ચાવીઓ ઉઠાવતા હતાં, એક વાર તેની કોમના લોકોએ તેને કહ્યું, કે ઇતરાઇ ન જા, અલ્લાહ તઆલા ઇતરાઇ જનારાઓને પસંદ નથી કરતો.
૭૭) અને જે કંઇ તને અલ્લાહ તઆલાએ તને આપી રાખ્યું છે, તેમાંથી આખેરતના ઘર માટે તૈયારી રાખ અને પોતાના દુનિયાના ભાગને પણ ભૂલી ન જા અને જેવી રીતે અલ્લાહ તઆલાએ તારા પર ઉપકાર કર્યો છે, તું પણ લોકો પર ઉપકાર કર અને શહેરમાં વિદ્રોહ ન ફેલાવ, નિ:શંક અલ્લાહ તઆલા વિદ્રોહીઓને પસંદ નથી કરતો.
૭૮) કારૂને કહ્યું, કે આ બધું મને મારી પોતાની બુદ્ધિના કારણે આપવામાં આવ્યું છે, શું તેને અત્યાર સુધી ખબર નથી કે અલ્લાહ તઆલાએ આ પહેલા ઘણી વસ્તીના લોકોને નષ્ટ કરી દીધા, જેઓ આના કરતા વધારે શક્તિશાળી અને ઘણા ધનવાન હતાં અને અપરાધીઓ સાથે તેમના અપરાધ વિશે પૂછતાછ આવા સમયે કરવામાં નથી આવતી.
૭૯) બસ ! કારૂન સંપૂર્ણ શણગાર સાથે પોતાની કોમ સામે નીકળ્યો, તો દુનિયાના જીવનને પસંદ કરનારા લોકો કહેવા લાગ્યા, કાશ ! અમને પણ આવી જ રીતે મળ્યું હોત, જેવું કે કારૂન પાસે છે, આ તો ઘણો જ નસીબવાળો છે.
૮૦) જ્ઞાની લોકો તેમને સમજાવવા લાગ્યા, કે અફસોસ ! ઉત્તમ વસ્તુ તે છે જે બદલાના રૂપે તેમને મળશે, જે અલ્લાહ પર ઈમાન લાવે અને સત્કાર્ય કરે, આ વાત તે લોકોના હૃદયમાં નાંખવામાં આવે છે, જેઓ ધીરજ રાખનાર છે.
૮૧) (છેવટે) અમે તેને તેના મહેલ સાથે ધરતીમાં ધસાવી દીધો અને અલ્લાહ સિવાય કોઈ જૂથ તેની મદદ કરવા માટે તૈયાર ન થયું, ન તે પોતાને બચાવી શક્યો.
૮૨) અને જે લોકો ગઇકાલે તેના હોદ્દા સુધી પહોંચવાની ઇચ્છા ધરાવતા હતાં, તે આજે કહેવા લાગ્યા, કે શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલા જ પોતાના બંદાઓ માંથી જેના માટે ઇચ્છે રોજી વિશાળ કરી દે છે અને તંગ પણ ? જો અલ્લાહ તઆલા આપણા પર કૃપા ન કરતો તો આપણને પણ ધસાવી દેતો. શું જોતા નથી કે કૃતઘ્નીઓને કયારેય સફળતા નથી મળતી.
૮૩) આખેરતનું ઘર અમે તેમના માટે બનાવ્યું છે, જેઓ ધરતી પર ઘમંડ નથી કરતા, ન વિદ્રોહ ઇચ્છે છે, ડરવાવાળાઓ માટે શ્રેષ્ઠ પરિણામ છે.
૮૪) જે વ્યક્તિ સત્કાર્ય લાવશે, તેને તેનું વળતર શ્રેષ્ઠ મળશે અને જે દુષ્કર્મ લઇને આવશે તો આવા દુષ્કર્મીઓને તેમના કાર્યોનો બદલો તે જ આપવામાં આવશે, જે તેઓ કરતા હતાં.
૮૫) જે અલ્લાહએ તમારા પર કુરઆન અવતરિત કર્યું છે, તે તમને ફરીવાર પ્રથમ જગ્યાએ લાવશે, કહી દો ! કે મારો પાલનહાર તેને પણ ખૂબ સારી રીતે જાણે છે જે સત્ય માર્ગ પર છે અને તે પણ, જે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.
૮૬) તમને ક્યારેય તેનો વિચાર પણ ન આવ્યો હતો કે તમારી તરફ કિતાબ અવતરિત કરવામાં આવશે, પરંતુ આ તમારા પાલનહારની કૃપાથી અવતરિત થયું, હવે તમે ક્યારેય ઇન્કાર કરનારાઓની મદદ ન કરશો.
૮૭) ધ્યાન રાખો કે આ ઇન્કાર કરનારાઓ તમને અલ્લાહ તઆલાની આયતોનો પ્રચાર કરવાથી રોકી ન દે, તમારી તરફ અવતરિત થઇ ગયા પછી, તમે પોતાના પાલનહાર તરફ બોલાવતા રહો અને શિર્ક કરવાવાળાઓ માંથી ન થઇ જાવ.
૮૮) અલ્લાહ તઆલા સાથે બીજા કોઈ પૂજ્યને ન પોકારો, અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, દરેક વસ્તુ નષ્ટ થનારી છે, સિવાય તેનો ચહેરો (અલ્લાહ તઆલાની હસ્તી), તેનો જ આદેશ છે અને તમે તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
Icon