ترجمة سورة طه

الترجمة الغوجراتية
ترجمة معاني سورة طه باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) તા-હા
૨) અમે આ કુરઆન તમારા પર એટલા માટે અવતરિત નથી કર્યુ કે તમે સંકટમાં પડી જાવ.
૩) પરંતુ તેને શિખામણ આપવા માટે જે અલ્લાહથી ડરતો રહે.
૪) આનું અવતરણ તેની તરફથી છે, જેણે ધરતીનું અને ઊંચા આકાશોનું સર્જન કર્યુ.
૫) જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે.
૬) જેની માલિકી હેઠળ આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની અને ધરતી નીચેની પણ દરેક વસ્તુઓ છે.
૭) જો તમે ઊંચા અવાજે વાત કહો તો, તે તો દરેક છૂપી પરંતુ તેના કરતા પણ ઝીણવટ ભરી વસ્તુને પણ જાણે છે.
૮) તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઈ પૂજ્ય નથી, શ્રેષ્ઠ નામ તેના જ છે.
૯) તમે મૂસા (અ.સ.)ના કિસ્સાને જાણો છો ?
૧૦) જ્યારે તેમણે આગ જોઇ પોતાના ઘરવાળાઓને કહ્યું કે તમે થોડીક વાર ઊભા રહો, મને આગ દેખાઈ છે, શક્ય છે કે હું તેનો કોઈ અંગારો તમારી પાસે લાવું અથવા આગ પાસે જઇ માર્ગ શોધી લાવું.
૧૧) જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો અવાજ કરવામાં આવ્યો કે, હે મૂસા !
૧૨) નિ:શંક હું જ તારો પાલનહાર છું. તમે પોતાના પગરખાં ઉતારી દો. કારણકે તમે પવિત્ર “તૂવા” નામના મેદાનમાં છો.
૧૩) અને મેં તમને પસંદ કરી લીધા, હવે જે વહી કરવામાં આવે તેને ધ્યાનથી સાંભળો.
૧૪) નિ:શંક હું જ અલ્લાહ છું, મારા સિવાય બંદગીને લાયક બીજો કોઈ નથી. બસ ! તું મારી જ બંદગી કર અને મારી યાદ માટે નમાઝ પઢતો રહે.
૧૫) નિ:શંક કયામત આવવાની છે, જેની જાણ હું કરવા ઇચ્છતો નથી, જેથી દરેક વ્યક્તિને તે બદલો આપવામાં આવે, જે પ્રયત્ન તેણે કર્યો હોય.
૧૬) બસ ! હવે આ વિશે ચોક્કસ જાણ થયા પછી તમને કોઈ એવો વ્યક્તિ રોકી ન લે જે આના પર ઈમાન ન ધરાવતો હોય અને પોતાની મનેચ્છાઓની પાછળ લાગેલો હોય. નહિતો તમે નષ્ટ થઇ જશો.
૧૭) હે મૂસા ! તારા જમણા હાથમાં શું છે ?
૧૮) જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને બીજા ઘણા ફાયદા છે.
૧૯) કહ્યું હે મૂસા ! આને હાથ માંથી નીચે નાંખી દે.
૨૦) નાંખતાની સાથે જ તે સાંપ બની દોડવા લાગી.
૨૧) કહ્યું કે નીડર થઇ આને પકડી લો, અમે તેને તે જ મૂળ સ્થિતિમાં ફરીવાર લાવી દઇશું.
૨૨) અને તારો હાથ પોતાની બગલમાં નાખ તો તે સફેદ પ્રકાશિત થઇને નીકળશે. પરંતુ કોઈ ખામી વગર આ બીજો ચમત્કાર છે.
૨૩) આ એટલા માટે કે અમે તમને અમારી મોટી મોટી નિશાનીઓ બતાવવા ઇચ્છીએ છીએ.
૨૪) હવે તમે ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ ફેલાવી રાખ્યો છે.
૨૫) મૂસા અ.સ.એ કહ્યું હે મારા પાલનહાર ! મારું હૃદય મારા માટે ખોલી નાંખ.
૨૬) અને મારા કાર્યને મારા માટે સરળ બનાવી દે.
૨૭) અને મારી જબાનની ગાંઠ ખોલી નાંખ.
૨૮) જેથી લોકો મારી વાત સારી રીતે સમજી શકે.
૨૯) અને મારો નાયબ મારા કબીલા માંથી કરી દે.
૩૦) એટલે કે મારા ભાઇ હારૂનને
૩૧) તું તેનાથી મારી કમર મજબૂત કરી દે.
૩૨) અને તેને મારો ભાગીદાર બનાવ.
૩૩) જેથી અમે બન્ને વધુમાં વધુ તારા નામનું સ્મરણ કરીએ.
૩૪) અને વધારેમાં વધારે તને યાદ કરીએ.
૩૫) નિ:શંક તું અમને ખૂબ સારી રીતે જોનાર છે.
૩૬) અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા તારી બધી જ માંગણી પૂરી કરવામાં આવી.
૩૭) અમે તો તમારા પર એકવાર આના કરતા મોટો ઉપકાર કર્યો હતો.
૩૮) જ્યારે અમે તમારી માતાના દિલમાં તે વિચાર મૂકી દીધો, જેની વાત હવે કરવામાં આવી રહી છે.
૩૯) કે તું તેને પેટીમાં બંધ કરી દરિયામાં છોડી દે, બસ ! દરિયો તેને કિનારા પર લાવી દેશે અને મારો અને તેનો શત્રુ તેને લઇ લેશે અને મારા તરફથી ખાસ કૃપા તમારા પર અવતરિત કરી દીધી, જેથી તમારો ઉછેર મારી સામે કરવામાં આવે.
૪૦) (યાદ કરો) જ્યારે કે તમારી બહેન ચાલી રહી હતી અને કહેતી હતી કે જો તમે કહો તો હું તેને જણાવી દઉં, જે તેની દેખરેખ રાખે, આ ઉપાયથી અમે તમને ફરી તમારી માતા પાસે પહોંચાડ્યા જેથી તેની આંખો ઠંડી રહે અને તે નિરાશ ન થાય અને તમે એક વ્યક્તિને મારી નાંખ્યો હતો, તેનાથી પણ અમે તમને નિરાશ થવાથી બચાવી લીધા, છેવટે અમે તમારી કસોટી ખૂબ સારી રીતે કરી લીધી, પછી તમે કેટલાય વર્ષ સુધી “મદયન” શહેરના લોકો સાથે રહ્યા, પછી અલ્લાહની ઇચ્છા પ્રમાણે હે મૂસા ! તમે આવ્યા.
૪૧) અને મેં તમને ખાસ પોતાના માટે પસંદ કરી લીધા.
૪૨) હવે તમે પોતાના ભાઇને અને મારી નિશાનીઓને સાથે લઇ જાવ. અને ખબરદાર મારી યાદમાં સુસ્તી ન કરશો.
૪૩) તમે બન્ને ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ કર્યો છે.
૪૪) તેને નમ્રતાપૂર્વક સમજાવો કે કદાચ તે સમજી જાય અથવા ડરી જાય.
૪૫) બન્નેએ કહ્યું કે હે અમારા પાલનહાર ! અમને ભય છે કે ક્યાંક ફિરઔન અમારા પર કોઈ અત્યાચાર ન કરે, અથવા પોતાના વિદ્રોહમાં વધી ન જાય.
૪૬) કહ્યું કે તમે ભયભીત ન થાવ, હું તમારી સાથે છું અને હું સાંભળતો, જોતો રહીશ.
૪૭) તમે તેની પાસે જઇને કહો કે અમે તારા પાલનહારના પયગંબરો છીએ, તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનને મોકલી દે, તેમની સજાને ટાળી દે, અમે તો તારી પાસે તારા પાલનહાર તરફથી નિશાની લઇને આવ્યા છે અને સલામતી તેના જ માટે છે જે સત્ય માર્ગદર્શન સ્વીકારી લે.
૪૮) અમારી તરફ વહી કરવામાં આવી છે કે જે જુઠલાવે અને અવજ્ઞા કરે તેના માટે યાતના છે.
૪૯) ફિરઔને પ્રશ્ન કર્યો કે હે મૂસા ! તમારા બન્નેન્નો પાલનહાર કોણ છે ?
૫૦) જવાબ આપ્યો કે અમારો પાલનહાર તે છે જેણે દરેકને તેનો ખાસ ચહેરો આપ્યો. પછી માર્ગ બતાવ્યો.
૫૧) તેણે કહ્યું કે સારું, જણાવો કે આગળના લોકોની દશા શું થવાની છે ?
૫૨) જવાબ આપ્યો કે તેનું જ્ઞાન મારા પાલનહારની પાસે કિતાબમાં છે. ન તો મારો પાલનહાર ભૂલ કરે છે અને ન તો ભૂલી જાય છે.
૫૩) તેણે જ તમારા માટે ધરતીને પાથરણું બનાવ્યું અને તેણે તેમાં ચાલવા માટે માર્ગો બનાવ્યા અને આકાશ માંથી પાણી પણ તે જ વરસાવે છે, પછી તે વરસાદના કારણે અલગ-અલગ પ્રકારની ઊપજો અમે જ ઊપજાવીએ છીએ.
૫૪ તમે પોતે ખાઓ અને પોતાના ઢોરોને પણ ચરાવો, કોઈ શંકા નથી કે આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
૫૫) તે જ ધરતી માંથી અમે તમારું સર્જન કર્યું અને તેમાં જ પાછા ફેરવીશું અને તેમાંથી જ ફરીવાર તમને સૌને બહાર કાઢીશું.
૫૬) અમે તેને અમારી દરેક નિશાનીઓ બતાવી, પરંતુ તો પણ તેણે અવજ્ઞા કરી અને ઇન્કાર કર્યો.
૫૭) કહેવા લાગ્યો, હે મૂસા ! શું એટલા માટે આવ્યો છે કે પોતાના જાદુના જોરથી અમારા શહેર માંથી અમને બહાર કાઢી મૂકો ?
૫૮) સારું, અમે પણ તારી વિરુદ્ધ તેના જેવું જ જાદુ જરૂર લાવીશું, બસ તું અમારી અને તારી વચ્ચે એક સમય નક્કી કરી દે, કે ન તો અમે તેની વિરુદ્ધ કરીએ અને ન તું, સમથળ મેદાનમાં સ્પર્ધા થાય.
૫૯) મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે શણગાર અને જલસાનો દિવસ નક્કી છે અને એ કે લોકો સવાર માંજ ભેગા થઇ જાય.
૬૦) બસ ! ફિરઔન પાછો ફર્યો અને તેણે પોતાની યુક્તિઓ ભેગી કરી, આવી ગયો.
૬૧) મૂસા અ.સ.એ તેને કહ્યું તમારી હાર આવી ગઇ, અલ્લાહ તઆલા પર જૂઠાણું ન બાંધો કે જેથી તે તમને યાતના આપી નષ્ટ કરી દે, યાદ રાખો તે ક્યારેય સફળ નહીં થાય, જેણે ખોટી વાત ઊપજાવી.
૬૨) બસ ! આ લોકોને અંદરોઅંદર સલાહ સૂચન કરવામાં વિરોધાભાસી થઇ ગયા અને છૂપાઇને ધીરેધીરે સલાહસૂચન કરવા લાગ્યા.
૬૩) કહેવા લાગ્યા કે આ બન્ને ફક્ત જાદુગર છે અને તેમની ઇચ્છા એ છે કે પોતાના જાદુના જોરથી તમને તમારા શહેર માંથી કાઢી મૂકે અને તમારા શ્રેષ્ઠ ધર્મને બરબાદ કરી દે.
૬૪) તો તમે પણ પોતાની કોઈ યુક્તિ ન છોડશો, પછી સીધા લાઇનબંધ આવો, જે આજે વિજય પામ્યો તે જ બાજી લઇ ગયો.
૬૫) કહેવા લાગ્યા કે, હે મૂસા ! તું પહેલા નાંખ અથવા અમે પહેલા નાંખીએ.
૬૬) જવાબ આપ્યો કે નહીં, તમે જ પહેલા નાંખો, હવે તો મૂસા અ.સ. એવું વિચારવા લાગ્યા કે તેમની દોરીઓ અને લાકડીઓ તેમના જાદુના જોરથી દોડી રહી છે.
૬૭) બસ ! મૂસા અ.સ. મનમાં ને મનમાં ભયભીત થયા.
૬૮) અમે કહ્યું ભયભીત ન થાઓ, તમે જ વિજય મેળવશો અને ચઢિયાતા રહેશો.
૬૯) અને તમારા જમણા હાથમાં જે છે તેને નાંખી દો, કે તેમની દરેક કારીગરીને ગળી જાય. તેઓએ જે કંઇ પણ બનાવ્યું છે આ તો ફક્ત જાદુગરોની યુક્તિઓ છે અને જાદુગરો ગમે ત્યાંથી આવે, સફળ નથી થતા.
૭૦) હવે તો દરેક જાદુગરો સિજદામાં પડી ગયા અને પોકારવા લાગ્યા કે અમે તો હારૂન અને મૂસાના પાલનહાર પર ઈમાન લાવ્યા.
૭૧) ફિરઔન કહેવા લાગ્યો કે શું મારી પરવાનગી પહેલા જ તમે તેના પર ઈમાન લઇ આવ્યા ? નિ:શંક આ જ તમારો વડીલ છે જેણે તમને જાદુ શિખવાડ્યું છે. (સાંભળો) હું તમારા હાથ-પગ વિરુદ્ધ દિશામાં કપાવી તમને સૌને ખજૂરની ડાળીઓ પર ઊંધા લટકાવી દઇશ અને તમે સંપૂર્ણ રીતે જાણી લેશો કે અમારા માંથી કોનો માર વધારે સખત અને બાકી રહેનારો છે.
૭૨) તે લોકોએ જવાબ આપ્યો કે અશક્ય છે કે અમે તને પ્રોત્સાહન આપીએ આ પુરાવા પર, જે અમારી સમક્ષ આવી પહોંચ્યા અને તે અલ્લાહ પર જેણે અમારું સર્જન કર્યું છે, હવે તો તું જે કંઇ કરવાનો છે કરી લે. તું જે કંઇ પણ આદેશ આપી શકતો હોય તે ફક્ત દુનિયાના જીવન માટે જ છે.
૭૩) અમે પોતાના પાલનહાર પર ઈમાન લાવ્યા કે જેથી તે અમારી ભૂલોને માફ કરે અને જાદુગરી (નો પાપ) જેના માટે તે અમને ઉભાર્યા છે. અલ્લાહ જ શ્રેષ્ઠ અને હંમેશા રહેવાવાળો છે.
૭૪) વાત એવી છે કે જે પણ પાપી બની અલ્લાહ પાસે આવશે, તેના માટે જહન્નમ છે, જ્યાં ન મૃત્યુ હશે અને ન જીવન હશે.
૭૫) અને જે પણ તેની પાસે ઈમાનની સ્થિતિમાં આવશે અને તેણે સત્કાર્યો કર્યા હશે, તેના માટે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત દરજ્જા છે.
૭૬) હંમેશાવાળી જન્નતો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ જ ઇનામ (બક્ષિસ) છે તે દરેક વ્યક્તિ માટે, જે (પાપોથી) પવિત્ર થયો.
૭૭) અમે મૂસા અ.સ. તરફ વહી અવતરિત કરી કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ અને તેમના માટે દરિયામાં સૂકો માર્ગ બનાવ, પછી તમને કોઈનાથી પકડાઇ જવાનો ન ભય હશે, ન ડર.
૭૮) ફિરઔને પોતાના લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી તો દરિયો તે સૌના પર છવાઇ ગયો, જેવો છવાઇ જવાનો હતો.
૭૯) ફિરઔને પોતાની કોમને પથભ્રષ્ટતામાં નાંખી દીધી અને સત્ય માર્ગ ન બતાવ્યો.
૮૦) હે ઇસ્રાઇલના સંતાનો ! જુઓ, અમે તમને તમારા શત્રુઓથી છુટકારો આપ્યો અને તમારી સાથે તૂર નામના પર્વતની જમણી બાજુનું વચન કર્યું. અને તમારા માટે “મન્ અને સલ્વા” ઉતાર્યું.
૮૧) તમે અમારી આપેલી પવિત્ર રોજી ખાઓ અને તેમાં હદ ન વટાવો, નહિતર તમારા પર મારો ગુસ્સો ઊતરશે. અને જેના પર મારો ગુસ્સો ઊતરી જાય, તે ખરેખર નષ્ટ થઇ ગયો.
૮૨) હાં ! નિ:શંક હું તેમને માફ કરી દેવાનો છું જેઓ તૌબા કરશે, ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે અને સત્ય માર્ગ પર જ રહેશે.
૮૩) હે મૂસા ! તમને પોતાની કોમ પાસેથી (બેદરકાર થઇ) કેવી વસ્તુ ઝડપથી લઇ આવી ?
૮૪) કહ્યું કે તે લોકો મારી પાછળ જ છે અને હે પાલનહાર ! હું તારા તરફ જલ્દી એટલા માટે આવ્યો કે તું પ્રસન્ન થઇ જાવ.
૮૫) કહ્યું, અમે તારી કોમને તારી પાછળ કસોટીમાં નાંખી દીધી અને તે લોકોને “સામરી” એ પથભ્રષ્ટ કરી દીધા.
૮૬) બસ ! મૂસા અ.સ. સખત ગુસ્સે થઇ, દુ:ખી થઇ પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે હે મારી કોમના લોકો ! શું તમારી સાથે તમારા પાલનહારે સદાચારનું વચન ન હતું લીધું ? શું આ સમયગાળો તમને લાંબો લાગ્યો ? પરંતુ તમારી ઇચ્છા એ જ છે કે તમારા પર તમારો પાલનહાર ગુસ્સે થાય, કે તમે મારા વચનનો ભંગ કર્યો.
૮૭) તે લોકોએ જવાબ આપ્યો કે, અમે પોતાના અધિકારથી તમારી સાથે વચન ભંગ નથી કર્યું, પરંતુ અમે જે ઘરેણાં ઉઠાવ્યા હતા, તેને અમે નાંખી દીધા અને આવી રીતે સામરીએ પણ નાંખી દીધા.
૮૮) પછી તેણે લોકો માટે એક વાછરડું બનાવ્યું એટલે કે વાછરડાની મૂર્તિ, જેનો ગાય જેવો અવાજ પણ હતો, પછી કહેવા લાગ્યા કે આ તમારો પણ પાલનહાર છે અને મૂસાનો પણ, પરંતુ મૂસા ભૂલી ગયો છે.
૮૯) શું આ પથભ્રષ્ટ લોકો એ પણ નથી જોતા કે તે તો તેમની વાતોનો જવાબ પણ નથી આપી શકતો અને તેમના કોઈ સારાંનરસાંનો અધિકાર પણ નથી રાખતો.
૯૦) અને હારૂન અ.સ.એ આ પહેલા જ તેમને કહી દીધું હતું, હે મારી કોમના લોકો ! આ વાછરડા દ્વારા તો ફક્ત તમારી કસોટી કરવામાં આવી છે, તમારો સાચો પાલનહાર તો અલ્લાહ, રહમાન જ છે. બસ ! તમે સૌ મારું અનુસરણ કરો અને મારી વાત માનો.
૯૧) તે લોકોએ જવાબ આપ્યો કે મૂસા અ.સ.ના પાછા ફરવા સુધી તો અમે આની જ પૂજાપાઠ કરતા રહીશું.
૯૨) મૂસા અ.સ. કહેવા લાગ્યા, હે હારૂન ! આ લોકોને પથભ્રષ્ટતામાં જોઇ તને કેવી વસ્તુએ રોક્યો હતો ?
૯૩) કે તું મારી પાછળ ન આવ્યો, શું તેં પણ મારા આદેશને ન માન્યો ?
૯૪) હારૂન અ.સ.એ કહ્યું, હે મારા ભાઇ ! મારી દાઢી ન પકડો અને માથાના વાળ ન ખેંચશો, મને તો ફક્ત એ વિચાર આવ્યો ક્યાંક તમે એવું કહેશો કે તેં ઇસ્રાઇલના સંતાન વચ્ચે વિવાદ કરી દીધો. અને મારા આદેશની રાહ ન જોઇ.
૯૫) મૂસા અ.સ.એ પુછ્યું, સામરી ! તારી શું સ્થિતિ છે ?
૯૬) તેણે જવાબ આપ્યો કે મેં તે વસ્તુ જોઇ જેને તે લોકોએ ન જોઇ. તો મેં ફરિશ્તાની નીચેની માટીની મુઠ્ઠી ભરી લીધી, તેને તેની અંદર નાંખી દીધી, આવી જ રીતે મારા મનમાં આ વાત સત્ય લાગી.
૯૭) કહ્યું કે સારું જા દુનિયાના જીવનમાં તારી સજા એ જ છે કે તું કહેતો રહીશ કે મને અડશો નહીં અને એક બીજું વચન તારા માટે છે જે તારાથી ક્યારેય હટશે નહીં અને હવે તું પોતાના આ પૂજ્યને પણ જોઇ લે, જેને તે બનાવ્યો હતો કે અમે તેને બાળી નાખીને દરિયામાં ભૂકો કરી ઉડાવી દઇશું.
૯૮) ખરી વાત એ જ છે કે તમારા સૌનો સાચો પૂજ્ય ફક્ત અલ્લાહ જ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી. તેનું જ્ઞાન દરેક વસ્તુ પર છે.
૯૯) આવી જ રીતે અમે તમારી સમક્ષ પહેલા થઇ ગયેલા કિસ્સાઓનું વર્ણન કરીએ છીએ અને નિ:શંક અમે તમને પોતાની પાસેથી શિખામણ આપી ચૂક્યા છે.
૧૦૦) આનાથી જે મોઢું ફેરવશે તે ખરેખર કયામતના દિવસે પોતાનો ભારે બોજ ઉઠાવશે.
૧૦૧) જેમાં હંમેશા રહેશે અને તેમના માટે કયામતના દિવસે (મોટો) ખરાબ ભાર છે.
૧૦૨)જે દિવસે સૂર ફૂંકવામાં આવશે અને પાપીઓને અમે તે દિવસે (ભય ના કારણે) ભૂરી અને પીળી આંખો સાથે લાવીશું.
૧૦૩)તેઓ અંદરોઅંદર ધીરેધીરે વાત કરી રહ્યા હશે કે અમે તો ફક્ત દસ દિવસ જ રહ્યા (દુનિયામાં).
૧૦૪) જે કંઇ તેઓ કહી રહ્યા છે, તેની સત્યતાને અમે જાણીએ છીએ. તે લોકો કરતા વધારે સત્ય માર્ગવાળો કહી રહ્યો હશે કે તમે તો ફક્ત એક જ દિવસ રહ્યા.
૧૦૫) તે તમને પર્વતો વિશે સવાલ કરે છે, તો તમે કહી દો કે તેમને મારો પાલનહાર કણો બનાવી ઉડાવી દેશે.
૧૦૬) અને ધરતીને સપાટ મેદાન કરી દેશે.
૧૦૭) જેમાં ન તો તમે વળાંક જોશો અને ન તો ખાડા.
૧૦૮) જે દિવસે લોકો પોકારવાવાળાની પાછળ ચાલશે, જેમાં કંઇ પણ ખામી નહીં હોય અને કૃપાળુ અલ્લાહ સમક્ષ દરેકનો અવાજ નીચો થઇ જશે. તમને બણબણાટ સિવાય કંઇ પણ નહીં સંભળાય.
૧૦૯) તે દિવસે ભલામણ કંઇ કામ નહીં આવે, પરંતુ જેને રહમાન (અલ્લાહ) પરવાનગી આપે અને તેની વાતને પસંદ કરે.
૧૧૦) જે કંઇ તેમની આગળ-પાછળ છે તેને અલ્લાહ જ જાણે છે, સર્જનોનું જ્ઞાન તેનાથી ઉચ્ચ નથી થઇ શકતું.
૧૧૧) દરેક ચહેરા, તે જીવિત અને બાકી રહેનાર, વ્યવસ્થાપક અલ્લાહની સમક્ષ સંપૂર્ણ આજીજી સાથે ઝૂકેલા હશે, નિ:શંક તે બરબાદ થઇ ગયો જેણે અત્યાચાર કર્યો.
૧૧૨) અને જે સત્કાર્ય કરશે અને સાથે સાથે ઈમાન પણ ધરાવતો હશે, તો તેને ન તો અન્યાય થવાનો ભય હશે અને ન તો તેનો અધિકાર છીનવાઇ જવાનો.
૧૧૩) એવી જ રીતે અમે તમારા પર અરબી ભાષામાં કુરઆન અવતરિત કર્યું અને દરેક રીતે ભયની વાતો સંભળાવી, જેથી લોકો ડરવા લાગે. અથવા તેમના હૃદયમાં ચિંતન-મનન થાય.
૧૧૪)બસ ! અલ્લાહ, પ્રતિષ્ઠિત, ઉચ્ચ અને સાચો બાદશાહ છે. તમે કુરઆન પઢવામાં ઉતાવળ ન કરો, તે પહેલા કે તમારા તરફ જે વહી કરવામાં આવે છે તે પૂરી ન થઇ જાય, હાં આ દુઆ કરો કે પાલનહાર મારું જ્ઞાન વધાર.
૧૧૫) અમે આદમ અ.સ.ને પહેલેથી જ નિશ્ચિત આદેશ આપ્યો હતો પરંતુ તે ભૂલી ગયા અને અમે તેમનામાં કોઈ મજબૂતાઇ ન જોઇ.
૧૧૬) અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું, કે આદમ અ.સ.ને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ કર્યો, તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.
૧૧૭) તો અમે કહ્યું હે આદમ ! આ તારો અને તમારી પત્નીનો શત્રુ છે, એવું ન થાય કે તે તમને બન્નેને જન્નત માંથી કઢાવી દે, કે જેથી તમે મુસીબતમાં પડી જાવ.
૧૧૮)અહીંયા તો તમને એવો આરામ છે કે ન તો તમે ભૂખ્યાં છો અને ન તો નિર્વસ્ત્ર.
૧૧૯) અને ન તો તમે તરસ્યા છો અને ન તડકાના કારણે તમને તકલીફ પહોંચે છે.
૧૨૦) પરંતુ શેતાને તેમના હૃદયમાં એ વાત નાંખી કે તે કહેવા લાગ્યો કે શું હું તમને હંમેશા રહેનાર વૃક્ષ અને બાદશાહ બનવા માટે જણાવું કે જે ક્યારેય જૂનું નહીં થાય.
૧૨૧)છેવટે તે બન્નેએ તે વૃક્ષ માંથી કંઇક ખાઇ લીધું, બસ ! બન્નેના ગુપ્તાંગ ખુલ્લા થઇ ગયા અને જન્નતના પાંદડાથી ઢાંકવા લાગ્યા. આદમ અ.સ.એ પોતાના પાલનહારની અવજ્ઞા કરી, બસ ! ભટકી ગયા.
૧૨૨) પછી તેના પાલનહારે ખૂબ આપ્યું, તેની તૌબા કબૂલ થઇ અને તેને માર્ગદર્શન આપ્યું.
૧૨૩) કહ્યું કે તમે બન્ને અહીંયાથી ઊતરી જાવ, તમે એકબીજાના શત્રુ છો, હવે તમારી પાસે ક્યારેય મારા તરફથી માર્ગદર્શન આવે તો, જે મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે તો ન તો તે પથભ્રષ્ટ થશે , ન તેના પર તકલીફ આવશે.
૧૨૪) અને જે મારી યાદથી મોઢું ફેરવશે તેનું જીવન તંગીમાં રહેશે. અને અમે તેને કયામતના દિવસે આંધળો કરી ઉઠાવીશું.
૧૨૫) તે કહેશે, હે પાલનહાર ! મને તે આંધળો કરી કેમ ઊભો કર્યો, જો કે હું જોતો હતો.
૧૨૬) (જવાબ આપવામાં આવશે કે) આવી જ રીતે થવું જોઇતું હતું, તું મારી અવતરિત કરેલી આયતોને ભૂલી ગયો, તો આજે તને પણ ભૂલી જવામાં આવે છે.
૧૨૭) અમે આવો જ બદલો તે દરેક વ્યક્તિને આપીએ છીએ, જે હદ વટાવી દે અને પોતાના પાલનહારની આયતો પર ઈમાન ન લાવે અને નિ:શંક આખેરતની યાતના ઘણી સખત અને બાકી રહેનાર છે.
૧૨૮) શું તેનું માર્ગદર્શન એ વાતે પણ ન કર્યું કે, અમે તેમના પહેલાં ઘણી જ વસ્તીઓને નષ્ટ કરી દીધી છે.જેમની રહેવાની જગ્યાએ આ લોકો હરીફરી રહ્યા છે, નિ:શંક આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
૧૨૯) જો તમારા પાલનહારનીએ વાત પહેલાથી જ નક્કી કરેલ અને નક્કી કરેલ સમય ન હોત તો, તે જ સમયે યાતના આવી જાત.
૧૩૦) બસ ! તેમની વાતો પર ધીરજ રાખો અને પોતાના પાલનહારની તસ્બીહ અને તેની પ્રશંસાનું વર્ણન કરતા રહો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં. રાત્રિના અમુક સમયે પણ અને દિવસના અમુક ભાગમાં પણ તસ્બીહ પઢતા રહો. શક્ય છે કે તમે પ્રસન્ન થઇ જાવ.
૧૩૧) અને પોતાની નજર ક્યારેય તે વસ્તુ પાછળ ન નાંખશો, જે અમે તેમના માંથી કેટલાક લોકોને દુનિયાનો શણગાર આપી રાખ્યો છે, જેથી તેમની કસોટી તેના વડે કરીએ, તમારા પાલનહારનું આપેલું ઉત્તમ અને ખૂબ જ બાકી રહેનાર છે.
૧૩૨) પોતાના ઘરવાળાને નમાઝનું કહેતા રહો અને પોતે પણ કાયમ પઢતા રહો, અમે તમારી પાસે રોજી નથી માંગતા પરંતુ અમે પોતે તમને રોજી આપીએ છીએ. છેવટે વિજય ડરવાવાળા માટે જ છે.
૧૩૩) તેમણે કહ્યું કે આ પયગંબર અમારી પાસે તેના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ નથી લાવ્યો ? શું તેમની પાસે આગળની કિતાબોના સ્પષ્ટ પુરાવા નથી આવ્યા ?
૧૩૪) અને જો અમે આ પહેલા જ તેમને યાતના આપી નષ્ટ કરી દેતા તો ખરેખર આ લોકો કહેતા કે, હે અમારા પાલનહાર ! તે અમારી પાસે પોતાનો પયગંબર કેમ ન મોકલ્યો ? કે અમે તારી આયતોનું અનુસરણ કરીએ તે પહેલા કે અમને અપમાનિત કરવામાં આવતા.
૧૩૫) કહી દો દરેક પરિણામની રાહ જુએ છે, બસ ! તમે પણ રાહ જુઓ, નજીકમાં જ જાણી લેશો કે સત્ય માર્ગ તથા સીધા રસ્તાવાળાઓ કોણ છે ?
Icon