ترجمة سورة هود

الترجمة الغوجراتية
ترجمة معاني سورة هود باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) અલીફ-લામ્-રાઅ, આ એક એવી કિતાબ છે કે જેની આયતો મુહકમ (મજબૂત) છે, પછી સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવી છે, એક હકીમ-માહિતગાર તરફથી.
૨) એ કે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરો, હું તમને અલ્લાહ તરફથી સચેત કરનાર અને ખુશખબર આપનાર છું.
૩) અને એ કે તમે પોતાના પાપોને પોતાના પાલનહાર પાસે ક્ષમા કરાવો, પછી તેની જ તરફ ધ્યાન ધરો, તે તમને નક્કી કરેલ સમય સુધી ઉત્તમ જીવવા માટેનો સામાન આપશે, અને દરેક વધુ કર્મો કરનારને વધુ સવાબ આપશે અને જો તમે જુઠલાવતા રહ્યા તો મને તમારા માટે એક મોટા દિવસની યાતનાનો ભય છે.
૪) તમારે અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે અને તે દરેક વસ્તુ પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે.
૫) યાદ રાખો કે તે લોકો પોતાના હૃદયોને બમણા કરી દે છે, જેથી પોતાની વાતોને (અલ્લાહ) થી છુપાવી શકે, યાદ રાખો કે તે લોકો જે સમયે પોતાના વસ્ત્રો લપેટે છે તે (અલ્લાહ), તે સમયને પણ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ છુપાવે છે, અને જે કંઈ તેઓ જાહેર કરે છે, નિ:શંક તે હૃદયોના ભેદોને જાણે છે.
૬) ધરતી પર હરતા-ફરતા જેટલા સજીવો છે દરેકની રોજી અલ્લાહના શિરે છે, તે જ તેમના રહેઠાણોને જાણે છે અને તેમની કબરોની જગ્યાને પણ જાણે છે, બધું જ સ્પષ્ટ કિતાબમાં લખેલ છે.
૭) અલ્લાહ તે જ છે જેણે આકાશ અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યું અને તેનું અર્શ પાણી પર હતું, જેથી તે તમારી કસોટી કરે કે તમારા માંથી સત્કાર્ય કરનાર કોણ છે, જો તમે તેમને કહો કે તમે લોકો મૃત્યુ પામ્યા પછી પાછા જીવિત કરવામાં આવશો તો ઇન્કાર કરનારા જવાબ આપશે કે આ તો સ્પષ્ટ જાદુ છે.
૮) અને જો અમે તેમની યાતનાને થોડાંક સમય સુધી ટાળી દઇએ, તો આ લોકો જરૂર પોકારશે કે યાતનાને કેવી વસ્તુએ રોકી છે, સાંભળો જે દિવસે તે તેમના પર આવી જશે પછી તેમના પરથી હટશે નહીં, પછી તો જે વસ્તુની ઠઠ્ઠામશ્કરી કરતા હતા તે તેમને ઘેરાવમાં લઇ લેશે.
૯) જો અમે માનવીને પોતાની કોઈ નેઅમતનો સ્વાદ ચખાડ્યા પછી તેને લઇ લઇએ તો તે ઘણો જ નિરાશ અને કૃતઘ્ની બની જાય છે.
૧૦) અને જો અમે તેને કોઈ નેઅમતનો સ્વાદ ચખાડીએ તે તકલીફ પછી, જે તેને પહોંચી હતી, તો તે કહેવા લાગે છે કે બસ ! ખરાબીઓ મારાથી છેટી થવા લાગી, નિ:શંક તે ઘણો જ ઇતરાનારો, અહંકારી છે.
૧૧) સિવાય તે લોકો, જેઓ ધીરજ રાખે છે અને સત્કાર્ય કરતા રહે છે, તેમના માટે જ માફી પણ છે અને ઘણો જ સારો બદલો પણ.
૧૨) બસ ! કદાચ તમે આ વહીના કોઈ ભાગને છોડી દેવાના છો, જે તમારી તરફ અવતરિત કરવામાં આવે છે અને આનાથી તમારું હૃદય તંગ છે, ફકત તેમની એ વાતો પર કે તેના પર કોઈ ખજાનો કેમ ન આવ્યો, અથવા તેની સાથે કોઈ ફરિશ્તો આવતો, સાંભળી લો ! તમે તો ફકત સચેત કરનારા છો અને દરેક વસ્તુનો જવાબદાર અલ્લાહ તઆલા જ છે.
૧૩) શું આ લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, જવાબ આપી દો કે તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો જો તમે સાચા હોવ.
૧૪) પછી જો તેઓ આ વાતને ન માને, તો તમે જાણી લો કે આ કુરઆન અલ્લાહના જ્ઞાન સાથે અવતરિત કરવામાં આવ્યું છે અને એ કે અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, બસ ! શું તમે મુસલમાન બનો છો ?
૧૫) જે વ્યક્તિ દુનિયાના જીવન અને તેના શણગાર પર રાજી થવા ઇચ્છતા હોય, અમે આવા લોકોના દરેક કાર્યો (નો બદલો) અહીંયા જ સંપૂર્ણ આપી દઇએ છીએ, અને અહીંયા તેમના બદલામાં કંઈ પણ ઓછું કરવામાં નથી આવતું.
૧૬) હાં, આ જ તે લોકો છે જેમના માટે આખેરતમાં આગ સિવાય કંઈ નથી અને જે કંઈ તેઓએ અહીંયા કર્યું હશે, ત્યાં બધું જ વ્યર્થ છે અને જે કંઈ તેમના કાર્યો હતા બધા જ નષ્ટ થઇ જશે.
૧૭) શું તે વ્યક્તિ, જે પોતાના પાલનહારની દલીલ પર હોય અને તેની સાથે અલ્લાહનો સાક્ષી હોય અને તેના પહેલા મૂસા (અ.સ.)ની કિતાબ (ની સાક્ષી આપે) જે કૃપા અને માર્ગદર્શન આપનારી છે, (બીજા જેવા હોઇ શકે છે ?) આ જ લોકો છે જેઓ આના પર ઇમાન રાખે છે અને દરેક સમૂદાયો માંથી જે કોઈ આનો ઇન્કાર કરે તેનું છેલ્લું ઠેકાણું જહન્નમ છે, બસ ! તમે તે (કિતાબ વિશે) કોઈ શંકામાં ન રહો, નિ:શંક આ તમારા પાલનહાર તરફથી સત્ય છે, પરંતુ વધારે પડતા લોકો ઇમાન નથી લાવતા.
૧૮) તેના કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ પર જૂઠાણું બાંધે ? આ લોકો પોતાના પાલનહારની સમક્ષ રજૂ કરવામાં આવશે અને દરેક સાક્ષીઓ કહેશે કે આ તે લોકો છે જેમણે પોતાના પાલનહાર પર જુઠ ઘડયું, ખબરદાર ! અલ્લાહની લઅનત (ફિટકાર) છે અત્યાચારીઓ માટે.
૧૯) જે અલ્લાહના માર્ગથી રોકે છે અને તેમાં ખામી શોધે છે આ જ લોકો આખેરતનો ઇન્કાર કરનારા છે.
૨૦) ન આ લોકો દુનિયામાં અલ્લાહને હરાવી શક્યા અને અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી. તેમના માટે સજા બમણી કરવામાં આવશે, ન આ લોકો સાંભળવાની શક્તિ ધરાવતા હતા અને ન જોતા હતા.
૨૧) આ જ તે લોકો છે જેમણે પોતે જ પોતાનું નુકસાન કરી લીધું અને તે બધું જ તેમનાથી ખોવાઇ ગયું જે તેમણે ઘડી કાઢ્યું હતું.
૨૨) નિ:શંક આ લોકો જ આખેરતમાં નુકસાન ઉઠાવનારા હશે.
૨૩) નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને તેમણે સત્કાર્યો કર્યા અને પોતાના પાલનહાર તરફ ઝૂકેલા રહ્યા, તે લોકો જ જન્નતમાં જનારા હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.
૨૪) તે બન્ને જૂથનું ઉદાહરણ આંધળા-બહેરા અને જોનાર-સાંભળનાર જેવું છે, શું આ લોકો ઉદાહરણમાં સરખા છે ? શું તો પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા ?
૨૫) નિ:શંક અમે નૂહ (અ.સ.)ને તેમની કોમ તરફ પયગંબર બનાવીને મોક્લ્યા, કે હું તમને સ્પષ્ટ રીતે સચેત કરી દેનારો છું.
૨૬) કે તમે ફકત અલ્લાહની જ બંદગી કરો, મને તો તમારા માટે દુ:ખદાયી યાતનાના દિવસનો ભય છે.
૨૭) તેમની કોમના ઇન્કાર કરનાર સરદારોએ જવાબ આપ્યો કે અમે તો તને અમારા જેવો એક મનુષ્ય જ જોઇ રહ્યા છે અને તારું અનુસરણ કરનારાઓને પણ અમે જોઇ રહ્યા છે કે તે લોકો સ્પષ્ટ રીતે નીચલા (હીન) લોકો સિવાય બીજા કોઈ નથી, જે સમજ્યા વગર (તમારું અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ અમારા ઉપર નથી જોઇ રહ્યા, પરંતુ અમે તો તમને જુઠા સમજી રહ્યા છીએ.
૨૮) નૂહ (અ.સ.)એ કહ્યું મારી કોમના લોકો ! મને જણાવો કે જો હું મારા પાલનહાર તરફથી કોઈ દલીલ પર છું અને મને તેણે પોતાની પાસેથી કોઈ કૃપા અર્પણ કરી હોય, પછી તેને તમે ન જોઇ, તો શું જબરદસ્તી હું તમારા ગળે નાંખી દઉં, જો કે તમે તેનાથી અળગા છો.
૨૯) મારી કોમના લોકો ! હું તમારી પાસે તેના પર કંઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે જ છે. ન હું ઇમાનવાળાઓને મારી પાસેથી દૂર કરી શકું છું, તેમને પોતાના પાલનહારને મળવું છે, પરંતુ હું જોઇ રહ્યો છું કે તમે બધા અજ્ઞાનતામાં પડ્યા છો.
૩૦) મારી કોમના લોકો ! જો હું તે ઇમાનવાળાઓને મારી પાસેથી દૂર કરી દઉં તો અલ્લાહની વિરૂદ્ધ મારી મદદ કોણ કરી શકે છે ? શું તમે કંઈ પણ શિખામણ પ્રાપ્ત નથી કરતા.
૩૧) હું તમને એવું નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, હું અદૃશ્યનું જ્ઞાન પણ નથી રાખતો, ન હું એવું કહું છું કે હું કોઈ ફરિશ્તો છું, ન મારી એ વાત છે કે જેના પર તમારી દૃષ્ટિ અપમાનિત થઇ પડે છે. તેમને અલ્લાહ તઆલા કોઈ નેઅમત આપશે જ નહીં, તેમના હૃદયોમાં જે કંઈ પણ છે તેને ખૂબ સારી રીતે અલ્લાહ જ જાણે છે, જો હું આવું કહુ તો ખરેખર હું અત્યાચારીઓ માંથી થઇ જઇશ.
૩૨) (કોમના લોકોએ) કહ્યું, હે નૂહ ! તમે અમારી સાથે વિવાદ કર્યો અને ઘણો વાદ-વિવાદ કરી લીધો, હવે તમે જે વસ્તુથી અમને ડરાવી રહ્યા છો, તે જ અમારી પાસે લઇ આવો, જો તમે સાચા હોવ.
૩૩) જવાબ આપ્યો કે, તેને પણ અલ્લાહ તઆલા જ લાવશે, જો તે ઇચ્છે અને તમે તેને ક્યારેય હરાવી નહીં શકો.
૩૪) તમને મારી ભલામણ કંઈ પણ લાભ નહીં પહોંચાડી શકે, ભલેને હું કેટલીય ભલામણ કેમ ન ઇચ્છું. શરત એ કે અલ્લાહની ઇચ્છા તમને પથભ્રષ્ટ કરવાની હોય, તે જ તમારા સૌનો પાલનહાર છે અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
૩૫) શું આ લોકો કહે છે કે આ (કુરઆનને) તેણે પોતે જ ઘડી કાઢ્યું છે ? તમે જવાબ આપી દો કે જો મેં આને ઘડી કાઢ્યું હોય તો મારું પાપ મારા માટે છે અને હું તે પાપોથી અળગો છું, જે તમે કરી રહ્યા છો.
૩૬) નૂહ (અ.સ.) તરફ વહી કરવામાં આવી કે તમારી કોમ માંથી જે લોકો ઇમાન લાવી ચૂક્યા તેમના સિવાય બીજા કોઈ ઇમાન નહીં લાવે, બસ ! તમે તેમના કાર્યોથી નિરાશ ન થાવ.
૩૭) અને એક હોડી અમારી આંખો સામે અને અમારી વહી દ્વારા બનાવો અને અત્યાચારીઓ વિશે અમારી સાથે કંઈ પણ વાર્તાલાપ ન કરો, તેઓને પાણીમાં ડુબાડી દેવામાં આવશે.
૩૮) તે (નૂહ અ.સ.) હોડી બનાવવા લાગ્યા તેમની કોમના સરદારો તેમની પાસેથી પસાર થતા તો તેમની મશ્કરી કરતા, તેઓ કહેતા જો તમે અમારી મશ્કરી કરો તો અમે પણ એક દિવસ તમારી મજાક ઉડાવીશું જેવી રીતે તમે અમારા પર હસો છો.
૩૯) તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર પ્રકોપ ઉતરશે, જે તેને અપમાનિત કરશે અને તેના પર હંમેશાની સજા ઉતરશે.
૪૦) અહીં સુધી કે જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો અને “ તન્નૂર” (અર્થાત ધરતી) ઊકળવા લાગ્યું, અમે કહ્યું કે આ હોડીમાં દરેક પ્રકારના (સજીવો માંથી) જોડ (એટલે કે ) બે ઢોર (એક નર અને એક માદા) લઇ લો અને તમારા ઘરવાળાઓને પણ, સિવાય તે લોકોને જેમના પર પહેલાથી જ વાત નક્કી થઇ ગઇ છે અને દરેક ઇમાન લાવનારા લોકોને પણ, તેમની સાથે ઇમાન લાવનારા થોડાક જ હતા.
૪૧) નૂહ (અ.સ.)એ કહ્યું કે આ હોડીમાં બેસી જાઓ, અલ્લાહના જ નામથી તે ચાલશે અને રોકાશે, નિ:શંક મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે.
૪૨) તે હોડી તેમને લઇ પર્વતો જેવા મોજા પર ચાલી રહી હતી અને નૂહ (અ.સ.)એ પોતાના પુત્રને, જે એક કિનારા પર હતો, પોકારીને કહ્યું કે હે મારા પ્રિય દીકરા ! અમારી સાથે સવાર થઇ જા અને ઇન્કાર કરનારાઓ માંથી ન થઇ જા.
૪૩) તેણે જવાબ આપ્યો કે હું તો કોઈ ઊંચા પર્વત ઉપર ચાલ્યો જઇશ, જે મને પાણીથી બચાવી લેશે, નૂહ (અ.સ.)એ કહ્યું આજે અલ્લાહના આદેશ મુજબ બચાવનાર કોઈ નથી, ફકત તે જ લોકો બચશે જેના પર અલ્લાહની દયા હશે, તે જ સમયે બન્નેની વચ્ચે મોજા આવી ગયા અને તે ડુબનારાઓ માંથી થઇ ગયો.
૪૪) કહ્યું કે હે ધરતી ! પોતાના પાણીને પી લે, અને હે આકાશ ! બસ કર, થંભી જા, તે જ સમયે પાણી સુકાવી દેવામાં આવ્યું અને કામ પૂરું કરી દેવામાં આવ્યું અને હોડી “જૂદી” નામના પર્વત પર ઉભી રહી અને કહેવામાં આવ્યું કે અત્યાચારી લોકો પર લઅનત (ફિટકાર) ઉતરે.
૪૫) નૂહ (અ.સ.)એ પોતાના પાલનહારને પોકારીને કહ્યું કે મારા પાલનહાર ! મારો દીકરો તો મારા ઘરવાળાઓ માંથી હતો, નિ:શંક તારું વચન ખરેખર સાચું છે અને તું દરેક નિર્ણય કરનારાઓ માંથી ઉત્તમ છે.
૪૬) અલ્લાહ તઆલાએ કહ્યું, હે નૂહ ! ખરેખર તે તારા ઘરવાળાઓ માંથી નથી, તેના કર્મો તદ્દન વ્યર્થ છે, તારે તે વસ્તુ ક્યારેય ન માંગવી જોઇએ જેનું જ્ઞાન તારી પાસે નથી, હું તને શિખામણ આપું છું કે તું અણસમજુ લોકો માંથી ન થઇ જા.
૪૭) નૂહ (અ.સ.)એ કહ્યું, મારા પાલનહાર ! હું તારા જ શરણમાં આવુ છું તે વાતથી કે તારી પાસે તે માંગુ જેનું જ્ઞાન મને નથી, જો તું મને માફ નહીં કરે અને તું મારા પર દયા નહીં કરે તો હું નુકસાન ઉઠાવનારા લોકો માંથી થઇ જઇશ.
૪૮) કહેવામાં આવ્યું કે હે નૂહ ! અમારા તરફથી શાંતિ અને તે કૃપાઓ લઇ ઊતર જે તારા માટે છે અને તારા સિવાય ઘણા લોકો માટે, અને ઘણા તે જૂથો હશે જેને અમે લાભ તો જરૂર પહોંચાડીશું, પછી તેમના પર અમારા તરફથી દુ:ખદાયી યાતના પહોંચશે.
૪૯) આ જાણકારી અદૃશ્યની વાતો માંથી છે, જેની વહી અમે તમારી તરફ કરીએ છીએ, તેને આ પહેલા ન તમે જાણતા હતા અને ન તો તમારી કોમ, એટલા માટે ધીરજ રાખો, નિ:શંક સારું પરિણામ ડરવાવાળાઓ માટે જ છે.
૫૦) અને આદની કોમ તરફ તેમના ભાઇ હૂદ (અ.સ.)ને અમે મોકલ્યા, તેમણે કહ્યું મારી કોમના લોકો ! અલ્લાહની જ બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તમે તો ફકત આરોપ લગાવી રહ્યા છો.
૫૧) હે મારી કોમના લોકો ! આના બદલામાં હું તમારી પાસે કોઈ વળતર નથી માગતો, મારું વળતર તેના શિરે છે જેણે મારું સર્જન કર્યું, તો પણ તમે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા ?
૫૨) હે મારી કોમના લોકો ! તમે પોતાના પાલનહાર પાસે પોતાના પાપોની માફી માગો અને તેના દરબારમાં તૌબા કરો, જેથી તે તમારા પર વરસનારા વાદળો મોકલી દે. અને તમારી તાકાતમાં પણ વધારો કરી દે. અને તમે પાપો કર્યા પછી (તૌબા કરવાથી) મોઢું ન ફેરવો.
૫૩) તેમણે કહ્યું હે હૂદ (અ.સ.) ! તમે અમારી પાસે કોઈ દલીલ તો લાવ્યા નથી અને અમે ફકત તારા કહેવાથી અમારા પૂજ્યોને છોડવાના નથી અને અમે ન તો તારા પર ઇમાન લાવવાવાળા છે.
૫૪) પરંતુ અમે તો એ જ કહીએ છીએ કે તમે અમારા કોઈ પૂજ્યની ખરાબ ઝપટમાં આવી ગયા છો, તેમણે જવાબ આપ્યો કે હું અલ્લાહને સાક્ષી બનાવું છું અને તમે પણ સાક્ષી આપજો કે હું તો અલ્લાહ સિવાય તે બધા થી અળગો છું જેમને તમે ભાગીદાર ઠેરવો છો.
૫૫) હાં તો તમે સૌ મળીને મારી વિરૂદ્ધ યુક્તિઓ રમી લો અને મને થોડીક પણ મહેતલ ન આપો.
૫૬) મારો વિશ્વાસ ફક્ત અલ્લાહ પર છે, જે મારો અને તમારા બધાનો પાલનહાર છે, જેટલા પણ સજીવો છે સૌના કપાળો તેના જ હાથમાં છે. નિ:શંક મારો પાલનહાર સાચા માર્ગ ઉપર છે.
૫૭) બસ ! જો તમે મોઢું ફેરવો તો ફેરવો, હું તો તમારી પાસે તે આદેશો પહોંચાડી ચૂક્યો જે આપીને મને તમારી પાસે મોકલવામાં આવ્યો હતો, મારો પાલનહાર તમારી જગ્યા પર બીજા લોકોને લાવી દેશે અને તમે તેનું કંઈ પણ બગાડી શકતા નથી, નિ:શંક મારો પાલનહાર દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.
૫૮) અને જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો તો અમે હૂદને અને તેના મુસલમાન મિત્રોને પોતાની ખાસ કૃપા વડે મુક્ત કર્યા અને અમે સૌને સખત યાતનાથી બચાવી લીધા.
૫૯) આ આદની કોમના લોકો હતા, જેમણે પોતાના પાલનહારની આયતોનો ઇન્કાર કર્યો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી. અને દરેક વિદ્રોહી, અવજ્ઞાકારોના આદેશોનું અનુસરણ કર્યું.
૬૦) દુનિયામાં પણ તેમની ઉપર લઅનત (ફિટકાર) નાંખી દેવામાં આવી અને કયામતના દિવસે પણ, જોઇ લો આદની કૌમે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, હૂદની કોમ, આદના લોકો (કૃપાથી) દૂર થાય.
૬૧) અને ષમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલિહ (અ.સ.)ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી, તેણે જ તમારું ધરતી માંથી સર્જન કર્યું અને તેણે જ આ ધરતી પર તમને વસાવ્યા, બસ ! તમે તેની પાસે માફી માંગો અને તેની તરફ રજૂ થઇ જાવો, નિ:શંક મારો પાલનહાર નજીક અને દુઆઓને કબૂલ કરનાર છે.
૬૨) તેમણે કહ્યું, હે સાલિહ ! આ પહેલા તો અમને તારાથી ઘણી આશાઓ હતી, શું તું અમને તેમની બંદગીઓથી રોકી રહ્યો છે જેમની બંદગી આપણા પૂર્વજો કરતા આવી રહ્યા છે ? અમને તો તે દીન વિશે શંકા છે, જેની તરફ તું અમને બોલાવી રહ્યો છે.
૬૩) તેમણે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો ! મને જણાવો કે જો હું મારા પાલનહાર તરફથી કોઈ મજબૂત દલીલ લાવું અને તેણે મને પોતાની કૃપા આપી હોય, પછી જો મેં તેની અવજ્ઞા કરી તો કોણ છે જે તેની વિરૂદ્ધ મારી મદદ કરશે ? તમે તો મારું નુકસાન વધારી રહ્યા છો.
૬૪) અને મારી કોમના લોકો ! આ અલ્લાહની ઉતારેલી ઊંટણી છે, જે તમારા માટે એક ચમત્કાર છે, હવે તેને તમે અલ્લાહની ધરતી પર ખાવા માટે છોડી દો અને તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચાડો, નહીં તો તરત જ પ્રકોપ તમારા પર આવી પહોંચશે.
૬૫) તો પણ તે લોકોએ તે ઊંટણીના પગ કાપી નાંખ્યા, તેના પર સાલિહ (અ.સ.)એ કહ્યું કે સારું તો તમે પોતાના ઘરોમાં ત્રણ દિવસ સુધી રહી લો, આ વચન ખોટું નથી.
૬૬) પછી જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો, અમે સાલિહને અને તેમના પર ઇમાન લાવવાવાળાને પોતાની કૃપાથી તેનાથી બચાવી લીધા અને તે દિવસના અપમાનથી પણ, નિ:શંક તમારો પાલનહાર અત્યંત તત્વદર્શી અને વિજયી છે.
૬૭) અને અત્યાચારીઓને ઘણી ઊંચી ચીસે પકડી લીધા, પછી તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડેલા રહી ગયા.
૬૮) એવી રીતે, જાણે કે તેઓ ત્યાં ક્યારેય રહેતા જ ન હતા, સચેત થઇ જાવ કે ષમૂદની કોમે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, સાંભળી લો તે ષમૂદના લોકો પર ફિટકાર છે.
૬૯) અમે અમારા મોકલેલા સંદેશવાહક ઇબ્રાહીમ (અ.સ.) પાસે ખુશખબર લઇ પહોંચ્યા, અને સલામ કરી, તેમણે પણ જવાબમાં સલામ આપી અને વિલંબ કર્યા વગર ગાયનું ભુનેલું વાછરડું લઇ આવ્યા.
૭૦) હવે જ્યારે જોયું કે તેમના હાથ પણ તેની તરફ નથી પહોંચી રહ્યા, તો તેની અજાણતા જોઇ, મનમાં તેમનાથી ડરવા લાગ્યા, તેમણે કહ્યું ડરો નહીં, અમે તો લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
૭૧) તેની પત્ની જે ઉભી હતી, હસવા લાગી, તો અમે તેને ઇસ્હાક અને ઇસ્હાક પછી યાકૂબની ખુશખબર આપી.
૭૨) તે કહેવા લાગી, મારા પર અફસોસ છે, મારે ત્યાં સંતાન કેવી રીતે થઇ શકે છે, હું પોતે વૃદ્ધા અને મારા પતિ પણ વૃદ્ધાવસ્થામાં છે. આ તો ખરેખર આશ્ચર્યની વાત છે.
૭૩) ફરિશ્તાઓએ કહ્યું, શું તું અલ્લાહના આદેશ પર આશ્વર્ય પામે છે ? હે આ ઘરવાળાઓ ! તમારા પર અલ્લાહની કૃપા અને તેની બરકતો ઉતરે, નિ:શંક અલ્લાહ તઆલા પ્રશંસાને લાયક અને ખૂબ જ પ્રતિષ્ઠાવાળો છે.
૭૪) જ્યારે ઇબ્રાહીમ (અ.સ.)નો ભય ખતમ થવા લાગ્યો અને તેમને ખુશખબરી પણ પહોંચી ગઇ તો અમને લૂતની કોમ વિશે પુછવા લાગ્યા.
૭૫) નિ:શંક ઇબ્રાહીમ (અ.સ.) ખૂબ જ ધૈર્યવાન, નમ્ર અને અલ્લાહની તરફ ઝૂકવાવાળા હતા.
૭૬) હે ઇબ્રાહીમ (અ.સ.) એ વિચારને છોડી દો, તમારા પાલનહારનો આદેશ આવી પહોંચ્યો અને તેમના પર ખતમ ન થનારી યાતના આવશે.
૭૭) જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) પાસે પહોંચ્યા તો તે તેમના કારણે ખૂબ જ નિરાશ થઇ ગયા અને મનમાં જ પરેશાન થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજનો દિવસ મોટી મુસીબતનો છે.
૭૮) અને તેમની કોમના લોકો દોડતા દોડતા તેમની પાસે પહોંચ્યા, તે તો પહેલાથી જ દુષ્કર્મો કરતા હતા, લૂત (અ.સ.) એ કહ્યું, હે કોમના લોકો ! આ છે મારી દીકરીઓ જે તમારા માટે ખૂબ જ પવિત્ર છે, અલ્લાહથી ડરો અને મને મારા મહેમાનો સામે અપમાનિત ન કરો, શું તમારામાં એક પણ સારો વ્યક્તિ નથી ?
૭૯) તેમણે જવાબ આપ્યો કે તમે ખૂબ જાણો છો, અમને તમારી દીકરીઓ પર કોઈ અધિકાર નથી અને તમે અમારી ઇચ્છાને સારી રીતે જાણો છો.
૮૦) લૂત (અ.સ.)એ કહ્યું કે કદાચ મારામાં તમારી સાથે લડવાની શક્તિ હોત ! અથવા હું કોઈ મજબૂત સહારો લઇ શક્તો હોત.
૮૧) હવે ફરિશ્તાઓએ કહ્યું કે હે લૂત (અ.સ.) અમે તમારા પાલનહાર તરફથી મોકલેલા છે, શક્ય નથી કે આ લોકો તમારી પાસે આવી પહોંચે, બસ તમે તમારા ઘરવાળાઓને લઇ પાછલી રાત્રે નીકળી જાવ, તમારા માંથી કોઈ પણ મોઢું ફેરવી ન જુએ, સિવાય તમારી પત્નીના, એટલા માટે કે તેને પણ તે (યાતના) પહોંચનારી છે જે તે બધાને પહોંચશે. નિ:શંક તેમના વચનનો સમય સવારનો છે, શું સવાર તદ્દન નજીક નથી ?
૮૨) પછી જ્યારે અમારો આદેશ આવી પહોંચ્યો અમે તે વસ્તીને ઊલટસલટ કરી દીધી, ઉપરનો ભાગ નીચે કરી દીધો અને તેમના પર કાંકરા વરસાવ્યા જે એક પછી એક હતા.
૮૩) તમારા પાલનહાર તરફથી નિશાનીવાળા હતા અને તે અત્યાચારીઓ પાસે જ હતા.
૮૪) અને અમે મદયનના લોકો તરફ તેમના ભાઇ શુઐબ (અ.સ.)ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ પૂજ્ય નથી અને તમે તોલમાપમાં પણ કમી ન કરો, હું તો તમને ખુશ જોઇ રહ્યો છું અને મને તમારા પર ઘેરી લેનાર પ્રકોપનો ભય છે.
૮૫) હે મારી કોમના લોકો ! તોલમાપ ન્યાય સાથે પૂરેપૂરું કરો, લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો અને ધરતીમાં વિદ્રોહ અને બગાડ ન ફેલાવો.
૮૬) અલ્લાહ તઆલાએ હલાલ કરેલી વસ્તુ, જે બચે તે તમારા માટે ઉત્તમ છે, જો તમે ઇમાનવાળા છો. હું તમારા પર દેખરેખ રાખનાર નથી.
૮૭) તેમણે જવાબ આપ્યો કે હે શુઐબ, શું તારી નમાઝ તને આ જ આદેશ આપે છે કે અમે અમારા પૂર્વજોના પૂજ્યોને છોડી દઇએ અને અમે અમારા ધન માંથી જે કંઈ પણ ઇચ્છીએ તે કરવાનું પણ છોડી દઇએ, તમે તો ઘણા ધૈર્યવાન અને સદાચારી છો.
૮૭) તેમણે જવાબ આપ્યો કે હે શુઐબ, શું તારી નમાઝ તને આ જ આદેશ આપે છે કે અમે અમારા પૂર્વજોના પૂજ્યોને છોડી દઇએ અને અમે અમારા ધન માંથી જે કંઈ પણ ઇચ્છીએ તે કરવાનું પણ છોડી દઇએ, તમે તો ઘણા ધૈર્યવાન અને સદાચારી છો.
૮૯) અને હે મારી કોમના લોકો ! એવું ન થાય કે તમને મારો વિરોધ તે યાતના માટેનું કારણ બનાવી દે જે નૂહ, હૂદ અને સાલિહની કોમના લોકો પર પહોંચી અને લૂતની કોમના લોકો તો તમારા કરતા દૂર ન હતા.
૯૦) તમે પોતાના પાલનહાર પાસે માફી માંગો અને તેની તરફ તૌબા કરો, નિ:શંક મારો પાલનહાર ખૂબ જ દયાળુ અને ઘણી જ મુહબ્બત કરનાર છે.
૯૧) તેમણે કહ્યું કે હે શુઐબ તારી વધારે પડતી વાતો તો અમારી સમજમાં જ નથી આવતી અને અમે તો તને અમારામાં ઘણો જ અશક્ત જોઇ રહ્યા છે. જો (અમે) તારા ખાનદાન વિશે ન વિચારતા તો તને પથ્થરો મારી નષ્ટ કરી દેતા અને અમે તને કોઈ પ્રતિષ્ઠાવાન વ્યક્તિ નથી ગણતા.
૯૨) તેમણે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો ! શું તમારી દૃષ્ટિએ મારા ખાનદાનના લોકો અલ્લાહ કરતા પણ વધારે પ્રતિષ્ઠિત છે, કે તમે તેને પીઠ પાછળ નાંખી દીધી છે, નિ:શંક મારો પાલનહાર જે કંઈ પણ તમે કરી રહ્યા છો દરેકને ઘેરાવમાં રાખેલ છે.
૯૩) હે મારી કોમના લોકો ! હવે તમે પોતાની જગ્યાએ કર્મો કરતા રહો, હું પણ કર્મો કરી રહ્યો છું, તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર તે યાતના આવશે, જે તેને અપમાનિત કરી દેશે અને કોણ છે, જે જૂઠ્ઠો છે, તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું.
૯૪) જ્યારે અમારો આદેશ (પ્રકોપ) આવી પહોંચ્યો અમે શુઐબ (અ.સ.)ને અને તેમની સાથે (દરેક) ઇમાનવાળાઓને પોતાની ખાસ કૃપા વડે બચાવી લીધા અને અત્યાચારીઓને સખત ચીસ વડે નષ્ટ કરી દીધા અને તે લોકો પોતાના ઘરોમાં ઊંધા પડ્યા રહ્યા.
૯૫) જાણે કે તેઓ તે ઘરોમાં રહેતા જ ન હતા, સચેત રહો ! મદયનના લોકો માટે પણ એવી જ દૂરી થાય જેવી દૂરી ષમૂદના લોકો માટે થઇ.
૯૬) અને નિ:શંક અમે જ મૂસા (અ.સ.)ને પોતાની આયતો અને પ્રકાશિત પુરાવા સાથે મોકલ્યા હતાં.
૯૭) ફિરઔન અને તેના સરદારો પાસે, તો પણ તે લોકોએ ફિરઔનના આદેશોનું અનુસરણ કર્યું અને ફિરઔનનો કોઈ આદેશ બરાબર ન હતો.
૯૮) તે તો કયામતના દિવસે પોતાની કોમ સામે આવી તે દરેકને જહન્નમમાં લઇ જશે, તે ઘણી જ ખરાબ ખીણ છે જેના પર તેઓને લાવવામાં આવશે.
૯૯) તેમના પર તો આ દુનિયામાં પણ લઅનત (ફિટકાર) નાખી દીધી અને કયામતના દિવસે પણ, ખરાબ ઇનામ છે જે તેઓને આપવામાં આવશે.
૧૦૦) વસ્તીઓની આ કેટલીક જાણકારી જેનું અમે તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે તેમાંથી તો કેટલીક હાજર છે અને કેટલાક (ની ઊપજો) કપાઇ ગઇ છે.
૧૦૧) અમે તેમના પર કંઈ પણ અત્યાચાર નથી કર્યો પરંતુ તેમણે જ પોતે પોતાના પર અત્યાચાર કર્યો અને તેમને તેમના પૂજ્યોએ કંઈ ફાયદો ન પહોંચાડયો જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારી રહ્યા હતા, જ્યારે તમારા પાલનહારનો આદેશ આવી ગયો પરંતુ તેમણે તેમનામાં નુકસાનમાં વધારો કરી દીધો.
૧૦૨) તમારા પાલનહારની પકડની આ જ રીત છે, કે તે વસ્તીઓના રહેવાસી માંથી અત્યાચારીઓને પકડે છે, નિ:શંક તેની પકડ દુ:ખ આપનારી અને ખૂબ જ સખત છે.
૧૦૩) નિ:શંક આમાં તે લોકો માટે શિખામણ છે જે લોકો કયામતની યાતનાથી ડરે છે, તે દિવસ જેમાં દરેક લોકોને ભેગા કરવામાં આવશે અને તે, એવો દિવસ છે જેમાં સૌને હાજર કરવામાં આવશે.
૧૦૪) તે (કયામતના દિવસ)ને અમે દૂર કરી રહ્યા છે, તે ફકત એક નક્કી કરેલ સમય સુધી છે.
૧૦૫) જે દિવસે તે આવી જશે, તે દિવસે કોઈ પણ વ્યક્તિ અલ્લાહની પરવાનગી વગર વાત પણ નહીં કરી શકે, તો તેમાં કોઈ દુરાચારી હશે અને કોઈ સદાચારી.
૧૦૬) પરંતુ જે દુરાચારી હશે તે જહન્નમમાં હશે ત્યાં ચીસો અને રાડો પાડશે.
૧૦૭) તે તેમાં હંમેશા રહેવાવાળા છે, જ્યાં સુધી આકાશો અને ધરતી બાકી રહેશે, તે સમય સુધી જ્યાં તમારો પાલનહાર ઇચ્છે. નિ:શંક તમારો પાલનહાર જે કંઈ ઇચ્છે તે કરી લે છે.
૧૦૮) પરંતુ જે લોકો સદાચારી હશે, તે જન્નતોમાં હશે જ્યાં હંમેશા રહેશે જ્યાં સુધી આકાશ અને ધરતી બાકી રહેશે, તે સમય સુધી જ્યાં તમારો પાલનહાર ઇચ્છે. આ અગણિત માફી છે.
૧૦૯) એટલા માટે તમે તે વસ્તુઓ વિશે શંકામાં ન રહેશો, જેમની આ લોકો પૂજા કરી રહ્યા છે, તેમની પૂજા તો એવી છે જેવી તેમના પૂર્વજોની આ પહેલા હતી, અમે તે દરેકને તેમનો પૂરેપૂરો ભાગ, કમી કર્યા વગર આપી દઇશું.
૧૧૦) નિ:શંક અમે મૂસા (અ.સ.)ને કિતાબ આપી પછી તેનો વિરોધ કરવામાં આવ્યો, જો પહેલા જ તમારા પાલનહારની વાત ન આવી હોત તો ખરેખર તેમનો ફેંસલો કરી દેવામાં આવતો, તે લોકોને તો આમાં ખૂબ જ શંકા છે.
૧૧૧) નિ:શંક તે લોકો માંથી દરેક જ્યારે તેની સામે જશે તો તમારો પાલનહાર તેમને તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપશે, નિ:શંક તેઓ જે કરી રહ્યા છે તેને તે સારી રીતે જાણે છે.
૧૧૨) બસ ! તમે અડગ રહો તેના પર, જેનો તમને આદેશ આપવામાં આવ્યો છે અને તે લોકો પણ જેઓ તમારી સાથે તૌબા કરી ચૂક્યા છે, ખબરદાર તમે હદ ન વટાવશો, અલ્લાહ તમારા દરેક કાર્યોને જુએ છે.
૧૧૩) જુઓ ! અત્યાચારીઓ તરફ, ક્યારેય ઝૂકશો નહીં, નહિ તો તમને પણ (જહન્નમની) આગ અડી જશે અને અલ્લાહ સિવાય બીજો કોઈ તમારી મદદ કરનાર ન હશે. અને ન તમારી મદદ કરવામાં આવશે.
૧૧૪) દિવસના બન્ને ભાગમાં નમાઝ પઢતા રહો અને રાતના અમુક ભાગમાં પણ, નિ:શંક સદકર્મો દુષ્કર્મોને ખતમ કરી દે છે, આ શિખામણ છે, શિખામણ પ્રાપ્ત કરનારાઓ માટે.
૧૧૫) તમે ધીરજ રાખો, ખરેખર અલ્લાહ તઆલા સદાચારી લોકોનો બદલો વ્યર્થ નથી કરતો.
૧૧૬) બસ ! તમારા પહેલાના લોકો માંથી એવા સદાચારી લોકો કેમ ન થઇ ગયા જે ધરતી પર વિદ્રોહ ફેલાવવાથી રોકતા હતા, તે થોડાક લોકો સિવાય જેમને અમે તે લોકો માંથી બચાવ્યા હતા, અત્યાચારીઓ તો તે વસ્તુની પાછળ પડી ગયા જેમાં તેઓને સમૃદ્ધિ આપવામાં આવી હતી અને તેઓ પાપી હતા.
૧૧૭) તમારો પાલનહાર એવો નથી કે કોઈ વસ્તીને અત્યાચારથી નષ્ટ કરી દે અને ત્યાંના લોકો સદાચારી હોય.
૧૧૮) જો તમારો પાલનહાર ઇચ્છતો તો દરેક લોકોને એક જ માર્ગ પર એક જૂથ બનાવી દેત, તે લોકો હંમેશા વિરોધ કરનારા જ રહેશે.
૧૧૯) તે લોકો સિવાય, જેમના પર તમારો પાલનહાર દયા કરે, તેમને તો એટલા માટે જ પેદા કરવામાં આવ્યું છે અને તમારા પાલનહારની વાત સાચી છે, કે હું જહન્નમને જિન્નાતો અને માનવીઓથી ભરી દઇશ.
૧૨૦) પયગંબરોની દરેક વાતો અમે તમારી સમક્ષ તમારા હૃદયની શાંતિ માટે જણાવી રહ્યા છીએ, તમારી પાસે આ રીતે પણ સત્ય પહોંચી ગયું છે જે શિખામણ છે, ઇમાનવાળાઓ માટે.
૧૨૧) ઇમાન ન લાવનારાઓને કહી દો કે તમે પોતાની રીતે કર્મો કરતા રહો, અમે પણ કર્મો કરવામાં વ્યસ્ત છે.
૧૨૨) અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા છે.
૧૨૩) ધરતી અને આકાશોનું અદૃશ્યનું જ્ઞાન ફક્ત અલ્લાહ પાસે જ છે, દરેક કાર્યો તેની જ પાસે રજૂ કરવામાં આવે છે, બસ ! તમારે તેની જ બંદગી કરવી જોઇએ અને તેના પર જ ભરોસો કરવો જોઇએ અને તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તઆલા અજાણ નથી.
Icon