ترجمة سورة نوح

الترجمة الغوجراتية
ترجمة معاني سورة نوح باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) નિ:શંક અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ મોક્લ્યા કે પોતાની કોમને ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમની પાસે દુ:ખદાયી યાતના આવી જાય.
૨) (નૂહ અ.સ.એ) કહ્યુ, કે અય મારી કોમ ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું.
૩) કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો.
૪) તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જાય છે, તો ઢીલ નથી આપતો. કદાચ કે તમને બુધ્ધિ હોત.
૫) (નૂહ અ.સ.એ) કહ્યુ, અય મારા પાલનહાર ! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા.
૬) પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા.
૭) મેં જ્યારે પણ તેમને તારી ક્ષમા તરફ બોલાવ્યા, તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ કરી અને ખુબ જ ઘમંડ કર્યુ.
૮) પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા.
૯) અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ.
૧૦) અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ ક્ષમા કરવાવાળો છે.
૧૧) તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે.
૧૨) અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે.
૧૩) તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા.
૧૪) જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે.
૧૫) શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ તળ પર તળ કેવી રીતે સાત આકાશો બનાવ્યા.
૧૬) અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક.
૧૭) અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ)
૧૮) ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે.
૧૯) અને ખરેખર તમારા માટે ધરતીને અલ્લાહ તઆલાએ પાથરણું બનાવી દીધુ છે.
૨૦) જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો.
૨૧) નૂહ (અ.સ.) એ કહ્યુ કે અય મારા પાલનહાર ! તે લોકોએ મારી વાતને રદ કરી, અને તેવા લોકોની વાત માની જેમનું ધન અને સંતાનોએ તેમની ખોટમાં (ખરેખર) વધારો કર્યો.
૨૨) અને તે લોકોએ ભારે ધોકો કર્યો.
૨૩) અને તેમણે કહ્યુ કે તમે કદાપિ પોતાના પૂજ્યોને ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો).
૨૪) અને તેમણે ઘણા લોકોને પથભ્રષ્ટ કર્યા , (અય અલ્લાહ) તુ તે અત્યાચારીઓની પથભ્રષ્ટતાને વધુ કર.
૨૫) આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. અને અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદ કરનાર ન જોયો.
૨૬) અને નૂહ (અ.સ.) એ કહ્યુ, કે અય મારા પાલનહાર ! તું જમીન પર કોઇ ઇન્કારીને વસવાવાળો ન છોડીશ.
૨૭) જો તુ તેમને છોડી દઇશ તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને (પણ) ભટકાવી દેશે. અને દુરાચારી અને ઇન્કારીઓને જ જન્મ આપશે.
૨૮) અય મારા પાલનહાર ! તુ મને અને મારા માતા-પિતા અને જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં આવ્યા અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને ઇન્કારીઓને બરબાદી સિવાય બીજી કોઇ વાતમાં આગળ ન વધારીશ.
Icon