ترجمة سورة الزخرف

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الزخرف باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) હા-મિમ્
૨) સોગંદ છે આ સ્પષ્ટ કિતાબના !
૩) અમે આ કુરઆનને અરબી ભાષામાં બનાવ્યું, જેથી તમે સમજી શકો.
૪) નિ:શંક આ "લોહે મહફૂઝ"માં છે અને અમારી નજીક ઉચ્ચ દરજ્જા વાળી, હિકમતવાળી છે.
૫) શું અમે આ શિખામણને તમારાથી એટલા માટે દૂર કરી દઇએ કે તમે હદવટાવી જનારા લોકો છો.
૬) અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો અવતરિત કર્યા.
૭) જે પયગંબર તેમની પાસે આવ્યા, તેમણે તેમની મશ્કરી કરી.
૮) બસ ! અમે તેમના કરતા વધારે શક્તિશાળી લોકોને નષ્ટ કરી દીધા અને આગળના લોકોનું ઉદાહરણ આપી ચૂક્યા છે.
૯) જો તમે તેમને પ્રશ્ન પૂછો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું, તો ખરેખર તેમનો જવાબ એ જ હશે કે તેમનું સર્જન વિજયી અને હિકમતવાળા (અલ્લાહ)એ જ કર્યું છે.
૧૦) તે જ છે, જેણે તમારા માટે ધરતીને પાથરણું બનાવી અને તેમાં તમારા માટે માર્ગો બનાવ્યા, જેથી તમે માર્ગ મેળવી શકો.
૧૧) તેણે જ આકાશ માંથી એક પ્રમાણ મુજબ પાણી વરસાવ્યું, બસ ! અમે તેના વડે નિષ્પ્રાણ શહેરને જીવિત કરી દીધું, આવી જ રીતે તમને કાઢવામાં આવશે.
૧૨) જેણે દરેક વસ્તુના જોડીદાર બનાવ્યા અને તમારા માટે હોડીઓ બનાવી અને ઢોર, જેમના પર તમે સવારી કરો છો.
૧૩) જેથી તમે તેમની પીઠ પર બેસીને સવારી કરો, પછી પોતાના પાલનહારની નેઅમતને યાદ કરો, જ્યારે તેમના પર સીધા બેસી જાવ અને કહો કે તે પવિત્ર છે, જેણે આ (ઢોરોને) અમારા વશમાં કરી દીધા, જોકે અમારી પાસે (આ ઢોરોને) વશમાં કરવાની શક્તિ ન હતી.
૧૪) ખરેખર અમે અમારા પાલનહાર તરફ પાછા ફરીશું.
૧૫) અને તે લોકોએ અલ્લાહના કેટલાક બંદાઓને તેનો ભાગ ઠેરાવી દીધા, નિ:શંક મનુષ્ય ખુલ્લો કૃતધ્ની છે.
૧૬) શું અલ્લાહ તઆલાએ પોતાના સર્જન માંથી દીકરીઓ પોતાના માટે રાખી અને તમને દીકરા આપ્યા ?
૧૭) (જો કે) તેમના માંથી જ્યારે કોઇને તે વસ્તુની જાણ કરવામાં આવે, જેનું ઉદાહરણ તેણે રહમાન (અલ્લાહ) માટે આપ્યું છે, તો તેનો ચહેરો કાળો પડી જાય છે અને તે નિરાશ થઇ જાય છે.
૧૮) શું (અલ્લાહના સંતાન દીકરીઓ છે) ? જેમનું પાલન-પોષણ ઘરેણામાં થયું અને ઝઘડામાં (પોતાની વાત) સ્પષ્ટ ન કરી શકી ?
૧૯) અને તેમણે ફરિશ્તાઓને, જેઓ રહમાનની બંદગી કરે છે, દીકરીઓ ઠેરવી દીધી, શું તેમના સર્જન વખતે તેઓ હાજર હતા ? તેમની આ સાક્ષીને લખી લેવામાં આવશે અને તેમને પૂછવામાં આવશે.
૨૦) અને કહે છે કે અલ્લાહ ઇચ્છતો તો અમે તેમની બંદગી ન કરતા, તેમને આ વિશેની કંઈ પણ જાણ નથી, આ તો ફક્ત બકવાસ કરે છે.
૨૧) શું અમે તે લોકોને આ પહેલા કોઇ કિતાબ આપી છે ? જેને આ લોકોએ મજબૂતીથી પકડી રાખી છે.
૨૨) (ના-ના) પરંતુ આ લોકો કહે છે કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગ પર ચાલીને સત્ય માર્ગ પર જ છે.
૨૩) આવી જ રીતે તમારાથી પહેલા અમે જે વસ્તીમાં કોઇ સચેત કરનાર મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ આ જ જવાબ આપ્યો કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગનું અનુસરણ કરનારા છે.
૨૪) (પયગંબરે) કહ્યું કે હું તમારી પાસે ખૂબ જ ઉત્તમ વાત લઇને આવ્યો છું, જેના પર તમે તમારા પૂર્વજોને જોયા, તો તેમણે જવાબ આપ્યો કે અમે આનો ઇન્કાર કરીએ છીએ, જે વસ્તુ તમને આપીને મોકલવામાં આવ્યા છે.
૨૫) બસ ! અમે તેમની સાથે બદલો લીધો અને જોઇ લો, જુઠલાવનારા લોકોની દશા કેવી થઇ.
૨૬) અને જ્યારે ઇબ્રાહીમ અ.સ.એ પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે હું તે વસ્તુને નથી માનતો, જેની તમે બંદગી કરો છો.
૨૭) તે હસ્તી સિવાય, જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન પણ આપશે.
૨૮) (અને ઇબ્રાહીમ અ.સ.) આ જ વાત પોતાના સંતાનમાં પણ છોડી ગયા, જેથી લોકો (શિર્કથી) છેટા રહે.
૨૯) પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને (દુનિયાનો) સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સ્પષ્ટ રીતે જાણકારી આપનારા પયગંબર આવી ગયા.
૩૦) અને સત્ય જોતા જ પોકારી ઉઠયા કે આ તો જાદુ છે અને અમે તેનો ઇન્કાર કરીએ છીએ.
૩૧) અને કહેવા લાગ્યા, આ કુરઆન તે બન્ને શહેરના લોકો માંથી કોઇ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ પર કેમ અવતરિત ન થયું ?
૩૨) શું તમારા પાલનહારની રહમતના ભાગ પાડે છે ? અમે જ તેમની દુનિયાના જીવનની રોજી તેમની વચ્ચે વહેંચી છે અને એકને બીજા પર પ્રભુત્વ આપ્યું, જેથી એકબીજાને આધારિત રહે, જેમાં આ લોકો સંકોચ અનુભવે છે, આના કરતા તમારા પાલનહારની નેઅમત ખૂબ જ ઉત્તમ છે.
૩૩) અને જો એ વાત ન હોત કે દરેક લોકો એક જ માર્ગ પર આવી જાય, તો રહમાનનો ઇન્કાર કરનારાઓના ઘરની છતોને અમે ચાંદીની બનાવી દેતા, અને સીડીઓને પણ, જેના પર ચઢે છે.
૩૪) અને તેમના ઘરોના દરવાજા અને સિંહાસન પણ, જેના પર તેઓ તકિયા લગાવી બેસતા.
૩૫) અને સોનાના પણ અને આ બધું અમસ્તુ જ દુનિયાના જીવનના લાભ માટે છે અને આખેરત તો તમારા પાલનહારની નજીક ડરવાવાળાઓ માટે જ છે.
૩૬) અને જે વ્યક્તિ રહમાનની યાદથી બેદરકારી કરે, અમે તેના પર એક શેતાન નક્કી કરી દઇએ છીએ, તે જ તેનો મિત્ર બને છે.
૩૭) અને તે તેમને માર્ગથી રોકે છે અને આ લોકો આ જ અનુમાન કરે છે કે અમે સત્ય માર્ગ પર છે.
૩૮) ત્યાં સુધી કે જ્યારે તે અમારી પાસે આવશે, તો કહેશે કે કાશ ! મારી અને તમારી વચ્ચે પૂર્વ અને પશ્ચિમ જેટલું અંતર હોત, ઘણો જ ખરાબ મિત્ર છે.
૩૯) અને જ્યારે તમે અત્યાચારી બની ગયા, તો આજના દિવસે તમારું ભેગા થઇ યાતનાને (હળવી કરવી), કંઈ લાભ નહીં પહોંચાડે.
૪૦) શું તમે બહેરાને સંભળાવી શકો છો ? અથવા આંધળાને માર્ગ બતાવી શકો છો અને તેને, જે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે ?
૪૧) બસ ! જો અમે તમને અહીંયાથી લઇ જઇએ, તો પણ અમે તેમની સાથે બદલો લઇશું.
૪૨) અથવા તેમની સાથે જે વચન કર્યું છે, તે તમને બતાવી દેવા માટે પણ શક્તિ ધરાવીએ છીએ.
૪૩) બસ ! જે વહી તમારી તરફ કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડી રાખો, નિ:શંક તમે સત્ય માર્ગ પર છો.
૪૪) અને નિ:શંક આ તમારા માટે અને તમારી કોમ માટે શિખામણ છે અને નજીક માંજ તમને પૂછવામાં આવશે.
૪૫) અને અમારા તે પયગંબરોને પૂછી લો, જેમને અમે તમારા કરતા પહેલા મોકલ્યા હતા, કે શું અમે રહમાન સિવાય બીજા પૂજ્યો બનાવ્યા હતા ? જેમની બંદગી કરવામાં આવે ?
૪૬) અને અમે મૂસા અ.સ.ને અમારી નિશાનીઓ લઇને ફિરઔન અને તેના લોકો તરફ મોકલ્યા, તો (મૂસા અ.સ.એ જઇને) કહ્યું કે, હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું.
૪૭) બસ ! જ્યારે તેઓ અમારી નિશાનીઓ લઇને તેઓને પાસે પહોંચ્યા, તો તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા.
૪૮) અને જે નિશાની અમે તેઓને બતાવતા હતા, તે એકબીજાથી ચઢીયાતી હતી અને અમે તેમના પર પ્રકોપ ઉતાર્યો, જેથી તેઓ સુધારો કરી લે.
૪૯) અને તે લોકોએ કહ્યું કે, હે જાદુગર ! અમારા માટે પોતાના પાલનહારથી તેના માટે દુઆ કર, જેનું વચન અમને આપ્યું છે, નિ:શંક અમે સત્ય માર્ગ પર આવી જઇશું.
૫૦) પછી જ્યારે અમે તેમના પરથી તે પ્રકોપ દૂર કરી દીધો, તેઓએ તે જ વખતે તેમનું વચન તોડી નાંખ્યું.
૫૧) અને ફિરઔને પોતાની કોમમાં જાહેર કરાવ્યું અને કહ્યું કે હે મારી કોમના લોકો ! શું મિસ્રનું શહેર મારું નથી ? અને મારા (મહેલો) નીચે આ નહેરો વહી રહી છે, શું તમે જોતા નથી ?
૫૨) પરંતુ હું તે તુચ્છ વ્યક્તિ કરતા શ્રેષ્ઠ છું અને (તે) સ્પષ્ટ બોલી પણ નથી શકતો.
૫૩) સારું, તો તેના માટે સોનાની બંગડીઓ કેમ ન ઉતરી ? અથવા તેની સાથે પ્રતિષ્ઠિત ફરિશ્તાઓ કેમ ન આવ્યા ?
૫૪) તેણે પોતાની કોમને પથભ્રષ્ટ કરી દીધા અને તે લોકોએ તેનું જ અનુસરણ કર્યું, ખરેખર આ બધા અવજ્ઞાકારી લોકો હતા.
૫૫) પછી જ્યારે તેઓએ અમને ગુસ્સે કર્યા, તો અમે તેમની સાથે બદલો લીધો અને સૌને ડુબાડી દીધા.
૫૬) બસ ! અમે તે લોકોને બેકાર કરી દીધા અને પાછળ આવનારા લોકો માટે નિશાની બનાવી દીધા.
૫૭) અને જ્યારે મરયમના દીકરાનું ઉદાહરણ આપવામાં આવ્યું તો, તેનાથી તમારી કોમ (ખુશીથી) ચીસો પાડવા લાગી.
૫૮) અને તે લોકોએ કહ્યું કે અમારા પૂજ્યો સારાં છે અથવા તે ? તે લોકોનું આવું કહેવું ફક્ત ઝઘડાના હેતુથી હતું. પરંતુ આ લોકો ઝઘડો કરનારા જ છે.
૫૯) ઈસા અ.સ. પણ ફક્ત બંદા છે, જેના પર અમે ઉપકાર કર્યો અને તેમને ઇસ્રાઇલના સંતાન માટે કુદરતની નિશાની બનાવી.
૬૦) અને જો અમે ઇચ્છતા તો તમારા બદલામાં ફરિશ્તાઓને લાવતા, જેઓ ધરતી પર નાયબ બનતા.
૬૧) અને નિ:શંક ઈસા અ.સ. કયામતની નિશાની છે, બસ ! તમે (કયામત) અંગે શંકા ન કરો અને મારું અનુસરણ કરો, આ જ સત્ય માર્ગ છે.
૬૨) અને શેતાન તમને રોકી ના લે, ખરેખર તે તમારો ખુલ્લો દુશ્મન છે.
૬૩) અને જ્યારે ઈસા અ.સ. ચમત્કાર લઇને આવ્યા, તો કહ્યું કે, હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે તમે થોડીક બાબતોમાં વિવાદ કરો છો, તેને સ્પષ્ટ કરી દઉં, બસ ! તમે અલ્લાહ તઆલાથી ડરો અને મારું કહ્યું માનો.
૬૪) મારો અને તમારો પાલનહાર ફક્ત અલ્લાહ તઆલા છે, બસ ! તમે સૌ તેની બંદગી કરો, સત્ય માર્ગ આ (જ) છે.
૬૫) પછી (ઇસ્રાઇલના સંતાનના) જૂથોએ અંદરોઅંદર વિવાદ કર્યો, બસ ! અત્યાચારી લોકો માટે ખરાબી છે, દુ:ખદાયી યાતનાના દિવસની.
૬૬) આ લોકો ફક્ત કયામતની રાહ જૂએ છે, કે તે અચાનક તેમના પર આવી જશે અને તેમને જાણ પણ નહીં થાય.
૬૭) તે દિવસે (ખાસ) મિત્રો પણ એકબીજાના દુશ્મન બની જશે, ડરવાવાળા લોકો સિવાય,
૬૮) મારા બંદાઓ ! આજના દિવસે તમારા માટે ન કોઇ દુ:ખ છે અને ન તો તમે નિરાશ થશો.
૬૯) જે અમારી આયતો પર ઈમાન લાવ્યા અને તેઓ મુસલમાન હતા.
૭૦) તમે અને તમારી પત્નીઓ રાજી-ખુશીથી જન્નતમાં પ્રવેશો.
૭૧) તેમની ચારેય બાજુથી સોનાની રકાબી અને સોનાના પ્યાલા લાવવામાં આવશે, તે લોકો જેની ઇચ્છા કરે અને જેનાથી તેઓની આંખોને શાંતિ મળે, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો.
૭૨) આ જ તે જન્નત છે, કે તમે પોતાના કર્મોના બદલામાં તેના વારસદાર બનાવવામાં આવ્યા છો.
૭૩) ત્યાં તમારા માટે ખૂબ જ ફળો હશે, જેને તમે ખાતા રહેશો.
૭૪)નિ:શંક અપરાધી લોકો જહન્નમની યાતનામાં હંમેશા રહેશે.
૭૫) આ યાતના ક્યારેય તેમના પરથી હળવી કરવામાં નહીં આવે અને તે તેમાં જ નિરાશ પડ્યા રહેશે.
૭૬) અને અમે તેમના પર અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે જ અત્યાચારી હતા.
૭૭) અને પોકારી-પોકારીને કહેશે કે હે દ્વારપાળ ! તારો પાલનહાર અમને મૃત્યુ આપી દે, તે કહેશે કે તમને (હંમેશા) રહેવાનું છે.
૭૮) અમે તો તમારી પાસે સત્ય લઇને આવ્યા, પરંતુ તમારા માંથી વધારે પડતા લોકો સત્યથી ચીડાતા હતા.
૭૯) શું તે લોકોએ કોઇ કાર્યનો પાક્કો ઇરાદો કરી લીધો છે, નિ:શંક અમે પણ ઠોસ કામ કરવાવાળા છે.
૮૦) શું તે લોકો અનુમાન કરે છે કે અમે તેમની છૂપી અને ખાનગી વાતો નથી જાણતા ? (નિ:શંક અમે બધું સાંભળી રહ્યા છીએ). ઉપરાંત અમારા નક્કી કરેલા (ફરિશ્તાઓ) તેમની પાસે જ લખી રહ્યા છે.
૮૧) તમે કહી દો ! કે જો કદાચ રહમાનને સંતાન હોય, તો હું સૌ પ્રથમ બંદગી કરવાવાળો હોત.
૮૨) આકાશો, ધરતી અને અર્શનો પાલનહાર, તે સૌથી પવિત્ર છે, જેનું આ લોકો વર્ણન કરે છે.
૮૩) હવે તમે તે લોકોને આજ તકરાર અને વિવાદમાં છોડી દો, ત્યાં સુધી કે તે લોકો તે દિવસ જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે.
૮૪) તે જ આકાશોમાં પૂજ્ય છે અને ધરતીમાં પણ બંદગીને લાયક તે જ છે અને તે ખૂબ હિકમતવાળો અને સંપૂર્ણ જ્ઞાનવાળો છે.
૮૫) અને તે ખૂબ જ બરકતવાળો છે, જેની પાસે આકાશો અને ધરતી અને તેમની વચ્ચેની દરેક વસ્તુનું સામ્રાજ્ય છે અને કયામતનું જ્ઞાન પણ તે જ જાણે છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફરશો.
૮૬)જેમને આ લોકો અલ્લાહ સિવાય પોકારે છે, તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી ધરાવતા, (ભલામણ કરવાનો અધિકાર તેનો છે) જે સત્ય વાતને માને અને તેમને જ્ઞાન પણ હોય.
૮૭) જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ", પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે.
૮૮) અને તેમના (પયગંબરનું) એવું કહેવું છે કે હે મારા પાલનહાર ! ખરેખર આ તે લોકો છે, જેઓ ઈમાન નથી લાવતા.
૮૯) બસ ! તમે તેમનાથી મોઢું ફેરવી લો અને સલામ કહી દો, તે લોકો નજીકમાં જ જાણી લેશે.
Icon