ترجمة سورة الشعراء

الترجمة الغوجراتية
ترجمة معاني سورة الشعراء باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية .
من تأليف: رابيلا العُمري .

૧) તૉ-સીન્-મીમ્
૨) આ આયતો પ્રકાશિત કિતાબની છે.
૩) તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો.
૪) જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.
૫) અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા.
૬) તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે.
૭) શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે ?
૮) નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.
૯) અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે.
૧૦) અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ.
૧૧) ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને ?
૧૨) મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે.
૧૩) અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.
૧૪) અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.
૧૫) અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે.
૧૬) તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે.
૧૭) કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે.
૧૮) ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો ?
૧૯) પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે.
૨૦) મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું.
૨૧) પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.
૨૨) તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે.
૨૩) ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે ?
૨૪) મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.
૨૫) ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી ?
૨૬) મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.
૨૭) ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.
૨૮) મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.
૨૯) ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ.
૩૦) મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું ?
૩૧) ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ,
૩૨) મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,
૩૩) અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.
૩૪) ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.
૩૫) આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો ?
૩૬) તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.
૩૭) જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.
૩૮) પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,
૩૯) અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો,
૪૦) જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું,
૪૧) જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે ?
૪૨) ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો.
૪૩) મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,
૪૪) તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું.
૪૫) હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું
૪૬) આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,
૪૭) અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,
૪૮) એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર,
૪૯) ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
૫૦) તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે.
૫૧) એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે.
૫૨) અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે.
૫૩) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.
૫૪) કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે.
૫૫) અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.
૫૬) અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.
૫૭) છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે,
૫૮) અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.
૫૯) આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા,
૬૦) બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.
૬૧) બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.
૬૨) મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.
૬૩) અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.
૬૪) અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,
૬૫) અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો,
૬૬) પછી બીજા લોકોને ડુબાડી દીધા.
૬૭) ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.
૬૮) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.
૬૯) તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો,
૭૦) જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો ?
૭૧) તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.
૭૨) તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે ?
૭૩) અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે ?
૭૪) તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,
૭૫) તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો ?
૭૬) તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે.
૭૭) અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે.
૭૮) જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.
૭૯) તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.
૮૦) અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે.
૮૧) અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.
૮૨) અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.
૮૩) હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.
૮૪) અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.
૮૫) મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.
૮૬) અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં.
૮૭) અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.
૮૮) જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.
૮૯) પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે.
૯૦) અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે.
૯૧) અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
૯૨) અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે ?
૯૩) જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે ?
૯૪) બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.
૯૫) અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં,
૯૬) અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે,
૯૭) કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં.
૯૮) જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.
૯૯) અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા.
૧૦૦) હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી.
૧૦૧) અને ન તો શુભેચ્છુક મિત્ર.
૧૦૨) જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં.
૧૦૩) આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.
૧૦૪) નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.
૧૦૫) નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
૧૦૬) જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી ?
૧૦૭) સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.
૧૦૮) બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.
૧૦૯) હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.
૧૧૦) બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો.
૧૧૧)કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.
૧૧૨) પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં?
૧૧૩) તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય.
૧૧૪) હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,
૧૧૫) હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.
૧૧૬) તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.
૧૧૭) નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,
૧૧૮) બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.
૧૧૯) છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.
૧૨૦) બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.
૧૨૧)નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
૧૨૨) અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ.
૧૨૩) આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
૧૨૪) જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી ?
૧૨૫) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
૧૨૬) બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.
૧૨૭) હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે.
૧૨૮) શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો.
૧૨૯) અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.
૧૩૦) અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો.
૧૩૧) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
૧૩૨) તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો.
૧૩૩) તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા.
૧૩૪) બગીચા અને ઝરણાં દ્વારા.
૧૩૫) મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે.
૧૩૬) તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.
૧૩૭) આ તો જૂના લોકોની આદત છે.
૧૩૮) અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે.
૧૩૯) જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં.
૧૪૦) નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.
૧૪૧) ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.
૧૪૨) તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?
૧૪૩) હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું.
૧૪૪) તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,
૧૪૫) હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે.
૧૪૬) શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે.
૧૪૭) એટલે કે આ બગીચાઓ અને ઝરણા,
૧૪૮) અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.
૧૪૯) અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.
૧૫૦) બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
૧૫૧) નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.
૧૫૨) જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.
૧૫૩) તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.
૧૫૪) તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો.
૧૫૫) પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો.
૧૫૬) (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે.
૧૫૭) તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી.
૧૫૮) અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.
૧૫૯) અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.
૧૬૦) લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.
૧૬૧) તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા ?
૧૬૨) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
૧૬૩) બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
૧૬૪) હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
૧૬૫) શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો.
૧૬૬) અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો.
૧૬૭) તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.
૧૬૮) લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.
૧૬૯) મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે.
૧૭૦) બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા.
૧૭૧) એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.
૧૭૨) પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.
૧૭૩) અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.
૧૭૪) આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
૧૭૫) નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
૧૭૬) અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.
૧૭૭) જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી.
૧૭૮) હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
૧૭૯) અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો.
૧૮૦) હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.
૧૮૧) માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.
૧૮૨) અને સાચા ત્રાજવા વડે તોલો.
૧૮૩) લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.
૧૮૪) તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
૧૮૫) તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે.
૧૮૬) અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ.
૧૮૭) જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ.
૧૮૮) કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો.
૧૮૯) કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો.
૧૯૦) નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં.
૧૯૧) અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.
૧૯૨)અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે.
૧૯૩) આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે.
૧૯૪) તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.
૧૯૫) સ્પષ્ટ અરબી ભાષામાં છે.
૧૯૬) આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે.
૧૯૭) શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે ?
૧૯૮) અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા,
૧૯૯) બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા.
૨૦૦) આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું.
૨૦૧) તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.
૨૦૨) બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય.
૨૦૩) તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે ?
૨૦૪) બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે ?
૨૦૫) સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ.
૨૦૬) પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી.
૨૦૭) તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે.
૨૦૮) અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા.
૨૦૯) શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી.
૨૧૦) આ કુરઆનને શેતાન નથી લાવ્યા.
૨૧૧) તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.
૨૧૨) પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.
૨૧૩) બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ.
૨૧૪) પોતાના સંબંધીઓને સચેત કરી દો.
૨૧૫) જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.
૨૧૬) જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.
૨૧૭) પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ.
૨૧૮) જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો.
૨૧૯) અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ.
૨૨૦) તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે.
૨૨૧) શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે ?
૨૨૨) તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.
૨૨૩) અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.
૨૨૪) કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે.
૨૨૫) શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે ?
૨૨૬) અને તે લોકો જે કહે છે તે કરતા નથી.
૨૨૭)ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે.
Icon